‘આ દુનિયામાં સૌ કોઈ દીર્ઘાયુ થવા માટે જ સર્જાયું છે’ : સ્વામી રામદેવ — હરદ્વારના યોગગ્રામમાં પાંચમો દિવસ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ : ચૈત્ર સુદ ચોથ, વિક્રમ સંવત: ૨૦૭૮. મંગળવાર, ૫ એપ્રિલ ૨૦૨૨)

આજે યોગગ્રામમાં મારો પાંચમો દિવસ શરૂ થાય છે. આજે એક્યુપ્રેશર માટે ગયો ત્યારે અહીંની યોગશિક્ષિકા કૃત્તિકાએ મને પૂછ્યું કે, ‘તમને અહીં કેવું લાગે છે?’ મેં કહ્યું, ‘ચાર મહિના પહેલાં બુકિંગ કરાવતી વખતે મેં મનોમન જે અપેક્ષાઓ રાખી હતી તેના કરતાં પણ રોજેરોજ પાંચ-પાંચ ટકાનો ઉમેરો થતો રહે એવો સુખદ અનુભવો થાય છે. એમણે પૂછ્યું, ‘અહીંની કઈ વાત તમને સૌથી વધુ સારી લાગી?’ મેં કહ્યું, ‘અહીંના ટોચના ડૉક્ટરોથી લઈને ચિકિત્સાકાર્યમાં સાથ આપનારા તમામ સહયોગીઓ, હાઉસ કીપિંગનો સ્ટાફ, ડાયનિંગ હૉલના માણસો – બધા જ તમારી સાથે જાણે એવી આત્મીયતાથી વર્તે છે જાણે તમે એમના અંગત કુટુંબીજન હો — ભાઈબહેન કે માતાપિતા હો.’

કૃત્તિકા ખુશ થઈ ગઈ. જોકે, આ વાત મેં એને ખુશ કરવા નહોતી કીધી. ખરેખર છેલ્લા 96 કલાકમાં મને અહીં દરેક ઠેકાણે આવા જ અનુભવો થયા છે. ઇવન, ઇ-રિક્શામાં એક ઠેકાણેથી બીજે લઈ જનારા ડ્રાયવરો પણ આપણા ઘરનું વાહન ચલાવનારા હોય એવી રીતે આપણી સાથે વર્તે.

આજે સવારે ઉઠીને જલનેતિ તથા નેત્ર પ્રક્ષાલનનું રૂટિન પૂરું કર્યા બાદ રબરનેતિ લેવાની હતી. રબરની પાતળી નળી તેલમાં બોળીને નસકોરામાં નાખે અને તમારે મોઢામાંથી એને બહાર કાઢવાની. પછી બીજા નસકોરામાં આ વિધિ થાય. આને કારણે વર્ષોથી કોઈ મેઇન્ટેનન્સ વિના બ્લોક થઈ ગયેલાં નસકોરાં ખુલી જાય અને પ્રાણાયામ વખતે તમને શ્વાસ અંદર-બહાર કાઢવામાં વધુ સુગમતા થઈ જાય. મેં કહ્યું, ‘મને નહીં ફાવે.’
ચિકિત્સાસહાયકે કહ્યું, ‘ટ્રાય તો કરો…’ મેં વિનંતી કરી, ‘ફરી ક્યારેક, આજે નહીં.’ એણે હસીને મને જવા દીધો. મારા જેવા ઘણા મળતા હશે એને.

ઝડપથી સ્વામીજીની નિશ્રામાં યોગાભ્યાસ માટે પહોંચી ગયા.
સ્વામીજી અઢી કલાક સુધી આકરાં યોગાસનો કરાવતાં કરાવતાં, પ્રાણાયામ કરાવતાં કરાવતાં સુંદર બોધવચનો કહેતા હોય છે. વચ્ચે ભજનો પણ આવે. પાંચ વાગ્યે તેઓ અહીં આવે ત્યારે પરસેવે રેબઝેબ હોય છે. ઝડપથી દોડવાનો ભરપૂર વ્યાયામ કરીને અહીં આવતા હોય છે. સાથે એમના અંગરક્ષકો પણ ખભા પર ઑટોમેટિક રાયફલો લટકાવીને દોડે. દોડતી વખતે સ્વામીજી સ્પોર્ટ્સ શૂઝ પહેરે. બાકી લાડકાની ચાખડી (પાદુકા) પહેરતા હોય છે.
સ્વામીજીએ આજે વૉર્મિંગ અપ એક્સરસાઇઝ કરાવતાં કહ્યું, ‘આ દુનિયામાં સૌ કોઈ દીર્ઘાયુ થવા માટે જ નિર્માણ થયું છે.’

એમણે કહ્યું, ‘કેટલાક લોકો ફરિયાદ કરતા હોય છે કે, ‘આટલા વખતથી યોગ કરીએ છીએ પણ અમને તો કોઈ ફાયદો નથી થતો.’ એવું બને જ નહીં. જેમ સાઇનાઇડ લો તો મૃત્યુ નિશ્ચિત છે એમ યોગ કરો તો શરીર સ્વસ્થ થઈ જ જાય. પણ ઘણા લોકો બેઇમાની કરતા હોય છે. અધૂરો યોગ કરે. નિશ્ચિત માત્રામાં કરતા નથી.’

પછી સ્વામીજીએ પ્રત્યક્ષ ઉદાહરણ સાથે પોતાની વાત સમજાવી. બાજુમાં પ્રજ્વલિત હવનની અગ્નિશિખામાં એક બાજુથી હથેળી નાખીને તરત પસાર કરીને બીજી બાજુ લઈ આવ્યા. આવું દસવાર કર્યું અને પછી કહ્યું, ‘જુઓ, મેં આટલી બધી વાર અગ્નિમાં હાથ નાખ્યો પણ કંઈ થયું મને? હવે જો હું દસ સેકન્ડ સુધી આ અગ્નિમાં હાથ હલાવ્યા વિના મૂકી રાખું તો શું થશે? હું દાઝી જઈશ. અગ્નિ એનો પરચો દેખાડી દેશે. યોગનું પણ આવું જ છે. તમે લોકો પ્રાણાયામ અધૂરા-અધૂરા કરો તો ક્યાંથી ફાયદો થાય? આસનો જેમતેમ કરીને ઉતાવળે પૂરાં કરી નાખો તો કોઈ ફાયદો ન થાય. પૂરેપૂરા પ્રાણાયામ કરો, સરખી રીતે આસનો કરો તો યોગ પણ એનો પરચો બતાવશે જ.’

આ વાત મારા મનમાં બરાબર ચોંટી ગઈ. સ્વામીજીએ યજ્ઞશિખામાં દસ વાર હાથ ફેરવ્યો, આપણે પણ ફેરવી શકીએ – કંઈ નહીં થાય. પણ દસ સેકન્ડ સુધી એમાં હાથ મૂકી રાખ્યો તો? યોગ કરતી વખતે પ્રાણાયામ કે આસનોનાં આવર્તનો કરવા ખાતર કરી લઈએ તો કોઈ ફાયદો થવાનો નથી. પૂરી નિષ્ઠાથી સરખી રીતે દરેક પ્રાણાયામ થાય તો જ એનો ફાયદો થાય. અને આસનોનું પણ એવું જ. સ્કૂલમાં હતા ત્યારે પી.ટી.ના ક્લાસમાં ફિઝિકલ ટ્રેનિંગ આપતા શિક્ષકની કાંકરીવાળી વ્હિસલના અવાજે એક-બે-ત્રણ-ચાર ગણીને વેઠ ઉતારતા હોઈએ એમ હાથ-પગ હલાવીને પાછા આવી જતા. કોઈ ફાયદો થયો એમાં?

સ્વામીજીએ કહ્યું, ‘જીવનમાં આવતાં દરેક દુઃખ, ઝંઝાવાત, સંઘર્ષ ભગવાનના આશીર્વાદ છે. ભગવાન કહે છે કે આ બધાથી બચો, એટલું શારીરિક-માનસિક બળ કેળવો. એ જ રીતે શરીરના રોગ કે વિકાર પણ પ્રભુના આશિષ છે. ભગવાન લાલબત્તી ધરે છે કે હવે તમે સુધરી જાઓ, પાછા સ્વસ્થ તઈ જાઓ, ફરી એકવાર તંદુરસ્ત થઈ જાઓ. અન્યથા દીર્ઘાયુ નહીં પામો. જીવનનાં પાછલાં વર્ષો બીમારીઓથી પરવશ થઈને બીજાઓ પર ભારરૂપ થઈ જીવવું પડશે. એટલે અત્યારથી ચેતી જાઓ.’

સ્વામીજી આજે હવન ચિકિત્સા વિશે વાત કરતાં કરતાં ધૂમ્રનો ઉલ્લેખ કરીને હિન્દીમાંથી ગુજરાતીમાં સરી પડ્યા. મંચ પરથી મારી સામે જોઈને કહે, ‘ગુજરાતીમાં એને ધુમાડો કહે છે!’

આજે મંડૂકાસન કરતી વખતે મને ખ્યાલ આવ્યો કે ચાર દિવસમાં જ મારા શરીરની ફ્લેક્સિબિલિટી વધવા માંડી છે. પલાંઠી વાળીને જમીન પર બેસતાં અને ઊભા થતાં કોઈ તકલીફ નથી થતી. અર્ધ પદ્માસનમાં ગમે એટલા સમય સુધી બેસી શકાય અને પદ્માસન પણ સહેલાઈથી કરી શકું છું.
મંડૂકાસન વજ્રાસનમાં બેસીને કરવાનું હોય. પહેલાં વજ્રાસનમાં બેસવા આરામથી બેઉ પગ પાછળ તરફ વાળીને એડી પર બેસી શકતું. પણ અહીં આવીને પહેલા જ દિવસે ખબર પડી કે હવે મારાથી વજ્રાસન થઈ શકતું નથી. વર્ષોથી ટેવ છૂટી ગઈ છે. એટલે પદ્માસન લગાવીને મંડૂકાસન કરતો જેમાં પેન્ક્રિયાસ પર દબાણ લાવવાનું હોય. જેમને શ્યુગરનો પ્રૉબ્લેમ હોય એમણે રોજ કરવું એવી સલાહ આપવામાં આવતી હોય છે.

આજે સ્વામીજીએ મંડૂકાસન કરવાનું કહ્યું તો મને થયું કે લાવ ટ્રાય કરી જોઉં વજ્રાસનમાં બેસી શકાય છે કે નહીં. ચમત્કાર! આરામથી બેસી શકાયું અને મંડૂકાસન કરી શક્યો. ચાર જ દિવસમાં આટલો ફાયદો થયો તો પચાસ દિવસ પછી મુંબઈ પાછા જતી વખતે તો આવા ફાયદાઓનો કેટલો બધો ખજાનો મારી સાથે હશે! ડાયાબીટીસ માટે ભ્રામરી પ્રાણાયમ પણ અક્સીર છે.

ગાર્ડનમાં પરોઢિયે અદ્‌ભુત વાતાવરણ સર્જાતું હોય છે. ધીમે ધીમે ઉઘડતું આકાશ, અમે બેઠા હોઈએ ત્યાં આખા આખા જગ્યાએ યજ્ઞની વેદીમાંથી ઊઠતો ‘ધુમાડો’, સાથે ચિંતનમય ગુરુવાણી અને સંગીત. આટલું ઓછું હોય એમ મોર, કોયલ ઉપરાંત મારા માટે અજાણ્યા એવા બીજા એટલીસ્ટ અડધો ડઝન જેટલાં પક્ષીઓના અવાજ.

સ્વામીજીએ રોજની જેમ આજે પણ કહ્યું કે, ‘કોઈ નિષ્ક્રિય થઈને બેસી નહીં રહે. અપને અપને સામર્થ્ય અનુસાર કરેં.’ સ્વામીજી યોગાભ્યાસના સંદર્ભમાં કહેતા હતા. શરૂઆતથી જ કંઈ દરેક જણ એક્સપર્ટ હોય એ રીતે પ્રાણાયામ કે આસન ન કરી શકે તે સ્વાભાવિક છે. અમુક રોગ કે અમુક વિકારને કારણે અમુક આસનો નથી થઈ શકતાં તો એના વિકલ્પરૂપે બીજાં આસનો છે. પ્રાણાયામનું પણ એવું જ છે. કેટલીક વખત તો યોગશિક્ષક જ ના પાડે કે આ આસન-પ્રાણાયામ તમારા માટે નથી. કેટલીક વખત તમારા માટે જરૂરી હોય એવાં આસન-પ્રાણાયામ યોગ્ય શિક્ષણ, યોગ્ય પ્રેક્ટિસ અને યોગ્ય સમજણને અભાવે નથી થઈ શકતા. એટલે જ ‘અપને અપને સામર્થ્ય કે અનુસાર…’ એક પછી એક દિવસ વીતશે અને તમે ગઈ કાલના કરતં આજે વધારે સારી રીતે કરી કરશો, પરમ દિવસે હજુ સારી રીતે… એ રીતે એકએક પગથિયું ચડતાં જઈશું તો જ જીવનમાં યોગ-પ્રાણાયામ પૂરેપૂરાં વણાઈ જશે. જીવનનાં બાકીનાં કાર્યો માટે પણ એવું જ છે. નિષ્ક્રિય બેસી રહેવાનું નહીં. પોતપોતાની શકિત અનુસાર સાતત્યથી કામ કરતાં રહીએ તો કૅપેસિટી ક્રમશ: વધતી જવાની.

મધ્યમ માર્ગની મહત્તાની વાત કરતાં સ્વામીજીએ કહ્યું કે, ‘મોટું લક્ષ્ય પામવા માટે તત્પૂરતી તીવ્રતા (એક્સ્ટ્રીમ) પણ બહુ જરૂરી છે.’

કેટલાક લોકો ચોવીસે કલાક યોગ-આરોગ્યની પાછળ પડી જાય છે પણ યોગ-આરોગ્ય અંતે તો કર્મયોગ માટે છે. અર્થાત્ જો તમે તમારા રોજિંદા કામમાંથી ફંટાઈ જઈને આખો વખત આરોગ્ય વિશે પિષ્ટપેષણ કરતા રહો કે યોગ-પ્રાણાયામ કરતા રહો તો એનો કોઈ અર્થ નથી. તમારો કર્મયોગ પૂરેપૂરી શક્તિથી, તમારામાં હોય એટલા સામર્થ્ય સાથે કરી શકો એટલા માટે યોગ કરવાની જરૂર છે, શરીરની જાળવણી કરવાની જરૂર છે. સ્વામીજીની સાથે આસનો કરતાં કરતાં આ વિચાર મારા મનમાં પ્રગટ્યો એટલે થયું કે લાવ, તમારી સાથે વહેંચી દઉં.

સ્વામીજીએ આજે પોતાના વિશે વાત કરી જેમાં ક્યાંય આત્મશ્લાઘાનો છાંટો પણ નહોતો. જે વાત હતી તે માત્ર વાસ્તવિકતાનું બયાન હતું. એમણે કહ્યું, ‘ભારતમાં કેટલાક લોકો મારી નિંદા કરતાં થાકતા નથી. બિઝનેસગુરુ કહે છે મને! હું કહું છું કે સ્વામી રામદેવે જે કામ કર્યું છે તે ન કર્યું હોત તો વિદેશી કંપનીઓ હજુય ભારતને લૂંટી રહી હોત. આજે કરોડો ભારતીયો તંદુરસ્ત થયા છે, લાખો લોકોને રોજગાર મળ્યો છે. મેં ધાર્યું હોત તો આ બધું કરવાને બદલે હિમાલયભેગો થઈને સાધના કરવામાં જીવન વીતાવતો હોત… મારે તો ભારતમાં જ નહીં વિદેશોમાં પણ પતંજલિનાં ઉત્પાદનો વેચીને ત્યાંનો પૈસો અહીં લાવવો છે. નેપાળ કે આફ્રિકા જેવા ગરીબ દેશોમાંથી નહીં. પણ અમેરિકાથી— ત્યાંની ફાર્માકંપનીઓએ આપણે ત્યાં દવાઓ વેચીવેચીને ખૂબ લૂંટ્યા છે આપણને. યુકે અને યુરોપના દેશોમાંથી— એ લોકો આપણા પર શાસન કરીને ભારતનું ઘણું ધન પોતાની સાથે લઈ ગયા છે. લૂંટનો એ માલ પાછો તો લાવવો પડશે ને. રશિયાથી પણ— ખૂબ શસ્ત્રો વેચ્યાં છે આપણને. અને ચીનથી પણ… આ બધા પૈસાદાર દેશોમાં પતંજલિનો માલ વેચીને ભારતમાં પૈસા પાછા લાવીશું, જરૂર લાવીશું, તમે જોજો.’

પચ્ચીસ વર્ષ પહેલાં શું કોઈને કલ્પના પણ હતી કે આ ભગવાંધારી સંન્યાસી ભારતીયજનોનું આરોગ્ય સુધારવાની પ્રોડક્ટ્સ બનાવીને વર્ષે 25,000 કરોડનું ટર્નઓવર કરતી કંપની ઊભી કરશે અને એ પછી પણ પોતે તો સાવ અકિંચન જ રહેશે.

આજે બ્રેકફાસ્ટમાં માત્ર એક સફરજન ખાવાનું હતું. આજે મારી શરદી વધી ગઈ એટલે દિવસ દરમ્યાનની બધી જ ટ્રીટમેન્ટો કૅન્સલ કરીને સવારસાંજ એન્ટી કોલ્ડ મસાજ થયો. પગના તળિયે અને હથેળી પર લવિંગનું તેલ, કલૌંજી ( અનિયન સીડ્સ) વત્તા બીજી કેટલીક ઔષધિઓ ઉમેરીને માલિશ કરવામાં આવ્યું. સારું લાગ્યું.

આજે મારી ટ્રીટમેન્ટ અને આહારનું પ્રથમ ટાઇમટેબલ પૂરું થતું હતું. આગામી પાંચ દિવસ માટે નવું ટાઇમટેબલ બનાવવાનું હતું. સાંજે એક્યુપ્રેશર પછી ડૉ. આકાશ રાઠોડને મળ્યો. એમણે અને એમનાં મદદનીશે મને ચેક કરીને નવા પ્રોગ્રામનો પ્રિન્ટઆઉટ આપ્યો. અહીં આવ્યો ત્યારે બીપી બહુ નહીં પણ નોર્મલ કરતાં વધારે હતું. 140/98. આજે માપ્યું તો 128/82. નૉર્મલી 120/80 હોવું જોઈએ. જોકે, આમાં એવું જડબેસલાક નથી હોતું. પ્રકૃતિ પ્રમાણે દરેકનું બીપી નૉર્મલ કરતાં ઓછુંવત્તું હોવાનું ( એવું જ શ્યુગરનું). ડૉક્ટરે કહ્યું કે અહીં તમને ખાવામાં નમકને બદલે સિંધવ સંચળ આપવામાં આવે છે અને તે પણ સાવ ઓછી માત્રામાં જેના પ્રતાપે બીપી નૉર્મલ થઈ ગયું.
ડૉક્ટરે મને દાંતની જાળવણી માટે રોજ સવારે નમક નાખીને સરસવના તેલથી દાંત પર અને પેઢાં પર આંગળી વડે માલિશ કરવાનું કહ્યું અને સાથોસાથ નાળિયેરના તેલથી ઑઇલ પુલિંગ કરવાનું કહ્યું. સાંજનું સરસવવાળું ઑઇલ પુલિંગ એમણે સામેથી જ બંધ કરાવ્યું.

એ પછી મારે ડૉક્ટર અનુરાગને મળવાનું હતું. એમને મળવા ટોકન લેવું પડે. મારી પાસે પાંચ નંબરનું ટોકન હતું. પંદરેક મિનિટ રાહ જોઈ ત્યાં કોઈ ચાર નંબરના ટોકનવાળું આવી ચડ્યું, પછી તો નંબર બેવાળું ટોકન લઈને કોઈ આવી ગયું. મારી પાછળ બીજા ઘણા લોકો હતા. આજે બપોરે જ એક મોટું ગ્રુપ આવ્યું છે. એમને અહીંની સિસ્ટમની ખબર ન હોય તે સ્વાભાવિક છે એટલે સૌ કોઈ ઉતાવળા થતા હતા. મારે તો ડૉક્ટર અનુરાગને એટલું જ કહેવાનું હતું કે એમણે લખી આપેલી કોઈ દવા મેં હજુ શરૂ કરી નથી. પછી એ જે સલાહ સૂચના આપે તે પ્રમાણે આગળ વધવાનું હતું. કાલે મળી લેવાશે એમ વિચારીને હું ત્યાંથી નીકળી ગયો.

ટ્રીટમેન્ટ સેન્ટરની બહાર નીકળીને રિસેપ્શન પાસેથી પસાર થતાં સ્વામીજીના બૉડીગાર્ડ્સ જોયા. હું રોકાઈ ગયો. સ્વામીજી ત્યાં જ હતા. મેં જઈને એમને કહ્યું, ‘બાપુની કથાનો એક દિવસ માટે લાભ લેવો છે પણ અહીંના નિયમો એટલા સ્ટ્રિક્ટ છે કે કૉમ્પલેક્સની બહાર પગ પણ ન મૂકાય. બાપુનાં દર્શન થઈ જાય તો…’

આટલું સાંભળીને સ્વામીજીએ મારા ખભા પર હાથ મૂકીને કહ્યું, ‘ચિંતા શું કરો છો? કાલે મારી સાથે બેસી જજો…’

કેવી સરળતા અને કેવો ત્વરિત નિર્ણય. ગજબ છે!

આજે છ વાગ્યાના યોગવર્ગમાં ત્રાટક શીખવાડ્યું. અંધારું કરીને ઘીના દીવાની જ્યોત સામે એકીટશે જોતાં રહેવાનું. આંખ અને મનની શાંતિ માટેનું ત્રાટક. ષટ્કર્મમાંનું એક છે. સ્વામીજીએ આજે સવારે જ કહ્યું હતું કે, ‘કેટલાક વિદ્યાર્થીઓની આંખો બહુ અભ્યાસ કરવાથી નબળી થઈ જાય છે અને એટલે નાની ઉંમરે એમને ચશ્માં આવી જાય છે એવું કહેવાય છે. પણ હકીકત એ છે કે વાંચવાથી નહીં પણ વાંચતી વખતે મન અશાંત હોય ત્યારે આંખ નબળી પડતી હોય છે જેના માટે ત્રાટક કરવું જોઈએ.’

ત્રાટક શીખ્યા પછી નિવાસસ્થાનના બગીચાની બેન્ચ પર બે ઘડી બેસીને જે કલ્પનાતીત હતી તે વાત બની રહી હતી તેના વિશે વિચારતો રહ્યો. સ્વામીજી મને પોતાની ગાડીમાં બાપુની કથા સંભળાવવા લઈ જશે!

આજના આ આનંદને કારણે દૂધીના સુપ અને દૂધીના શાકનું ભોજન પણ પકવાન જેવું લાગ્યું. જોકે, દૂધીનો સૂપ તો ખરેખર ટેસ્ટી હતો. રેસિપી જાણી લેવી પડશે. રાત્રે કવાથ પીને સૂઈ ગયો.

યોગગ્રામમાં બીજા દિવસનો લેખ લખ્યા પછી આગળ કશું લખાયું નહોતું પણ અહીંનું એક્સાઇટમેન્ટ એટલું બધું હતું અને ઉપરાછાપરી એવી એવી કલ્પનાતીત ઘટનાઓ બનતી જતી હતી કે એ યુફોરિયામાં બીજું કશું સૂઝતું નહોતું.
એન્ટી કોલ્ડ મસાજ પછી શરીર થોડુંક સુધારા પર છે પણ હજુય હન્ડ્રેડ પર્સેન્ટ દુરસ્ત થયું નથી. શંખ પ્રક્ષાલન પછી શરીરનો કચરો આ રીતે પણ અમુક લોકોમાં નીકળતો હોય છે. સવાર સુધીમાં કમ્પલીટલી સારું થઈ જાય એવી પ્રાર્થના સાથે સૂઈ ગયો.

•••

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

28 COMMENTS

  1. આદરણીય શ્રી સૌરભભાઇ….. જેમ જેમ યેગગ્રામની આપની દિનચર્યા વાંચતો જાઉં છું… તેમ તેમ ત્યાંના નૈસર્ગિક વાતાવરણ, સ્વાસ્થ્ય સુધારક ઉપચાર અને લાભદાઈ પરિણામો તેમજ સ્વામીજી ના સાત્વિક વિચારો અને સંદેશ થી ખુબ જ રોમાંચ અનુભવી રહ્યો છું… તે બદલ આપનો હ્રદયપૂર્વક આભાર. બકુલેશ વોરા ( જુહુ – મુંબઈ)

  2. બહુ જ સરસ વર્ણન કરો છો . આ લેખ માળા એક પુસ્તક રૂપે પણ પ્રકાશિત કરશો .. ઘણી પ્રેરણા મળે છે .. સરસ તંદુરસ્ત થાવ એવું શુભેચ્છા

  3. ખૂબ સરસ રીતે યોગ ગ્રામ ની સહેલગાહ કરાવો છો . આપના
    આવનારા લેખ ની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છીએ.

  4. સૌરભભાઈ

    અદભુત લાખો છો આપ, સ્વામીજી વિશે પણ વિસ્તારથી જણાવશો જેથી કરીને બહુ લોકોની ગેરસમજ દૂર થાય. એમને મારા પ્રણામ.

    રોજિંદી ક્રિયા નું વર્ણન ખૂબ સરસ કરો છો.

    રાજેશ શાહ, વડોદરા

    • Thoroughly engrossing articles. Worth imbibing in normal routine. If you can’t visit Yogagram, at least your experiences teach us a lot.

  5. As usual superb article…the first hand example…passing hand quickly in the fire … made strong impact in my mind too … Will help not only me but many more tremendously … Thank you very much.

  6. તમારો અનુભવ પિક્ચર જોઈએ એવું લાગે છે, મજેદાર લેખ…

  7. સૌરભ ભાઈ ઘણોજ સરસ અનેં ધણી મહિતી આપ્તો લેખ .

  8. મયુર પારેખ (વિલે પાર્લા)

    દીર્ઘાયુષી મોટા ભાગના લોકો ને થવું જ હોય છે અને આ માટે તેમને કારણ પૂછશો તો કહેશે કે બસ જીવવું છે.
    સૌરભભાઈ તમારી પાસે દીર્ઘાયુ થવા માટે બહુજ શુભ આશય છે. તમે જે ક્ષેત્રમાં કાર્યરત છો એ દ્વારા તમે લોકોમાં જાગૃતિ લાવવા માટે ઘણી મહેનત કરી રહ્યા છો. તમારા આર્ટિકલ વાંચીને લોકોને બધી જ જાતનું નોલેજ મળે છે. જેમાં આરોગ્ય , ધાર્મિક, આધ્યાત્મિક, રાજકીય અને આપણો સાચો ભૂતકાળ એટલે કે ઈતિહાસ (અત્યાર સુધી આપણને ખોટો ઈતિહાસ ભણાવવામાં આવ્યો છે) બધું આવી જાય છે. આ યજ્ઞકાર્ય માં હજી બીજા ચાલીસ વર્ષ સુધી કામ કરવા માટે તમે તંદુરસ્ત અને મનદુરસ્ત રહેવા માટે બહુ ઉત્તમ નિર્ણય લીધો છે. શુભાશય- શુભકાર્ય માટે તો અદ્રશ્ય શક્તિ પણ મદદ કરે છે એટલે તમારો
    કાયાકલ્પ તો નક્કી જ છે. સો ટકા.
    ત્યાં યોગગ્રામ માં તમે છો પણ અહીં અમે ઉત્સાહમાં આવી ગયા છીએ. હું પણ હમણાં પાંચ દિવસથી પ્રાણાયામ – આસનો કરું છું, જલનેતી કરવા માટે કીટલી લઈ આવ્યો છું (હું પહેલાં કરતો હતો એટલે આરામથી કરી શકું છું).
    શરીર નીચોવાઈ જાય એટલા શ્રમ છતાં પણ તમે રોજનીશી લખીને મોકલો છો, આ કોઈ સામાન્ય માણસ માટે અશક્ય છે.

    ગઈકાલે ‘ નિદા ફાઝલી ની ખીચડી ‘ ની રેસિપી મોકલી તે મનમાં રહી ગઈ કારણ કે ફક્ત વાંચી છે (ખાધા પછી દાઢે રહી જશે) આજે રવિવાર છે, સાંજના મેનું માં આજે
    ‘ નિદા ફાઝલી ની ખીચડી’ confirm છે.
    આપણી ઉંમર લગભગ સરખી છે, હું પણ તમારી જેમ ખાવાનો શોખીન છું., મોહનજી ની પૂરી – શાક, હરકી પેઢી પર મલાઈ લસ્સી, અને ઘણી આઈટમો હરિદ્વાર માં ખાધી છે પણ ખાણીપીણી ની વાત અત્યારે નહીં કારણ કે તમે અત્યારે એક તપાસ્યા – તપ કરી રહયા છો. તપોભંગ મારાથી ન થાય.

  9. અદભુત લેખ.સાક્ષાત તમને,સ્વામીજીને અને પૂજ્ય.બાપુને મળતાં હોઈએ તેવું લાગે છે.

  10. હંમેશની માફક ખૂબ સુંદર લેખ. મઝા પડી રહી છે. આવતી કાલના લેખની આતુરતાથી રાહ જોવાઇ રહી છે.

  11. સારું એવું જાણવા મળ્યુ ,આપનો લેખ વાંચીને ઘણા ન્યૂઝપ્રેમીઓ બાબા રામદેવની સાક્ષાત અનુભવી રહયા છીએ.

  12. સૌરભભાઈ રામદેવ બાબાના આશ્રમનો તમારો અનુભવ વાંચીને ઘણું શીખવા મળે છે આ રીતે જ અવિરત લખતા રહો વિવિધ વિષયોની તમારી જાણકારી અદભુત છે વાંચીને ઘણું જાણવા મળે છે લખતા રહો

  13. very very intersting to read.

    i have decided todo vrajrasan.
    will you pl give us cost structure?
    minimum how many days wehave to
    leave at aashram .
    kindly guide.
    regards

  14. Excellent to read this in so details.. I am fan of your articles from long time. Gujrati readers need your kind of writer, motivator, informer and what not. Real enjoying and waiting to read daily .. hope to stay there once in lifetime..

  15. ખૂબ સરસ મજાની રસાળ શૈલી મા આપ વર્ણન કરી રહ્યા છો પચાસ દિવસ મા ખર્ચ નું પેકેજ કેટલું થયું તે પણ જણાવજો માહિતી માટે..

  16. હું ઘણા સમય થી કૉમેન્ટ્સ લખું છું,પણ કોઈ જવાબ મળતો નથી ,એટલે મને પણ અંધારા માં તીર ચલાવવા જેવું લાગે છે.પણ એટલી
    આશા છે કે જેમ મહાભારત માં અર્જુન સતત પ્રયાસ બાદ અંધારા માં
    લક્ષ્ય ભેદ કરવા માં સફળ થયેલો એમ મારો અવાજ પણ તમારા સુધી
    પહોંચશે..newspremi ને પ્રેમ કરવો એ એ એક નશો છે ,પણ ધીરે
    ધીરે ચડે છે…મારું વાંચન પણ અત્યાર સુધી સીમિત હતું ,પણ એ આદત પણ પાડવી છે..

  17. લેખ વાંચી ને અનુભવ લેવા ની ઇચ્છા થઈ ગઈ છે

  18. આદરણીય સૌરભભાઈ, ખુબ જ મજામાં છો એ આપના પ્રત્યેક લેખ પરથી લાગે છે…..આપના આ લેખન થકી ખુબ જાણવા મળે છે.આ બાબતો જ્યારે કોઇક વખત યોગગામ જઈશું ત્યારે જરૂર થી કામ લાગશે… ભાઈ આનું એક પુસ્તક પણ કરશો એ સુચન આસ્થાને નથી.ખુબ ખુબ તંદુરસ્તી પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ….

  19. ખૂબ સરસ માહિતી મળતી રહે છે યોગગ્રામ વિશે અને ત્યાંની ગતિવિધિ તેમજ યોગ અને તંદુરસ્તીની પદ્ધતિ વિશે.
    વાંચી, જાણી અભિભૂત થવાય છે.

    • ખુબજ ઉપયોગી માહિતી ચીવટથી બધા ને કામ આવે એ રીતે તમે એક માં પીરશે છે એમ પીરસી રહિયા છો. આપનો દિલ થી ખૂબ ખૂબ આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here