રાષ્ટ્રપતિ ભવનથી ઘરે જઈ રહેલા મણિસરનું અપહરણ કરવાનું કાવતરું

ગુડ મોર્નિંગઃ સૌરભ શાહ

(newspremi.com, શુક્રવાર, ૨૬ એપ્રિલ ૨૦૧૯)

(હિન્દુ આતંકવાદની ભ્રમણાઃ લેખ-૧૧)

આર.વી.એસ. મણિ અને લૉ મિનિસ્ટ્રીના શર્મા નામના એક સ્ટાફરે – જેને રાષ્ટ્રપતિ ભવનની વર્ક પ્રોસેસની જાણકારી હતી – પાર્લામેન્ટમાં પસાર થયેલા બિલ પર રાષ્ટ્રપતિની સહી કરાવવા જવાનું હતું. શાસ્ત્રી ભવનમાં આવેલા કાયદા મંત્રાલયથી રાષ્ટ્રપતિ ભવન જવા માટે મણિસરે પોતાની જ કાર વાપરી અને શર્માને પણ એમાં જ બેસાડ્યો. શર્મા મણિસરના ઘરની નજીક રહેતો હતો. રાષ્ટ્રપતિ ભવનનું કામ પતાવીને દ્વારકા મોડ પર શર્માને ઉતારીને મણિસરે પોતાના ઘરે પહોંચી જવાનું વિચાર્યું હતું.
લૉ મિનિસ્ટ્રીમાં છેલ્લી ઘડીની મીટિંગ રાત્રે આઠ વાગ્યે શરૂ થઈ જે સાડા નવ સુધી ચાલી. શર્મા અને મણિસર રાત્રે દસ વાગ્યે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. રાષ્ટ્રપતિ ભવનમાં સેક્‌શન ઑફિસરની ફરજ બજાવતા સુબ્રમ્‌ણિયમે મણિસરને આવકાર્યા. લૉ મિનિસ્ટ્રીમાંથી લાવેલાં કાગળીયાંની ફાઈલ રાષ્ટ્રપતિની સહી માટે સોંપવાની કામગીરી પૂરી કરીને મણિસર શર્માને લઈને પોતાની કારમાં બેઠા.

મણિસરના ઉપરી, હોમ મિનિસ્ટ્રીના ઈન્ટરનલ સિક્યુરિટી વિભાગના જોઈન્ટ સેક્રેટરીએ રાત્રે ૧૦.૫૨ વાગ્યે મણિસરને ફોન કરીને પૂછ્યું કે બધું સમુંસૂતરું પાર પડ્યું કે કેમ. મણિસર ડ્રાઈવિંગ કરી રહ્યા હતા. મણિસરના ઉપરીને ચિંતા એ હતી કે એ દિવસે રાષ્ટ્રપતિ વિશાખાપટ્ટનમ કે એવા કોઈ દૂરના સ્થળની મુલાકાતે ગયા હતા અને રાષ્ટ્રપતિના સેક્રેટરિએટમાંથી કોઈએ બીજા દિવસે દિલ્હીથી નીકળીને રાષ્ટ્રપતિ પાસે પહોંચી બેઉ બિલ પર એમની સહી લેવાની હતી. જેથી બેઉ ખરડાને વિધિસર કાયદાનો દરજ્‌જો મળી જાય.

દ્વારકા મોડના ટી જંક્‌શન પર શર્માને છોડીને મણિસરે પોતાના ઘરે જવા માટેનો યુ ટર્ન લીધો. એ સમયે એમણે નોંધ્યું કે ચાર મોટરસાયકલો પોતાની કારનો પીછો કરી રહી હતી. પહેલાં તો મણિસરને લાગ્યું કે કાલે ન્યૂ યર્સ ઈવ, ૩૧મી ડિસેમ્બર છે, એટલે કોઈ જુવાનિયાઓ પીને ધીંગામસ્તી કરવાના મૂડમાં હશે. પણ પછી તરત જ ખ્યાલ આવ્યો કે મામલો ગંભીર હતો. ચારેય મોટરસાયકલ પર બબ્બે સવાર હતા અને તેઓ સતત મણિસરની કારનો પીછો કરી રહ્યા હતા.

કાર સેક્‌ટર ૧૬–બી ની પોલીસ પોસ્ટ નજીક પહોંચી ત્યારે મણિસરે તરત નક્કી કર્યું કે પોલીસની મદદ લઈ લેવી જોઈએ. એમની કાર નવી હતી. પાંચ દિવસ પહેલાં પચ્ચીસમી ડિસેમ્બરે જ ખરીદી હતી. કારમાં રજિસ્ટ્રેશનને લગતાં બધાં પેપર્સ પણ નહોતાં અને હોમ મિનિસ્ટ્રીનું પાર્કિંગ સ્ટિકર પણ નહોતું. દિલ્હીમાં આવું સરકારી સ્ટિકર મોભાનું પ્રતીક ગણાય. મણિસરે વિચારેલું કે થોડા જ દિવસોમાં નવું વર્ષ શરૂ થશે એટલે ૨૦૦૯ની સાલનું સ્ટિકર જ લઈ લઈશું. પોલીસ ચોકીમાં પ્રવેશતાં જ મણિસરને કોઈ પોલીસવાળાએ રોક્યા અને અપમાનિત કર્યા. મણિસરે પોતાની ઓળખાણ આપવાની કોશિશ કરી ત્યારે એમને કહેવામાં આવ્યું કે, ‘દિલ્હીમાં તો દર બીજો માણસ શેખી મારતો હોય છે કે પોતે હોમ મિનિસ્ટ્રીમાં કામ કરે છે.’

મણિસરનો પીછો કરતા પેલા બાઈકર્સ પોલીસ ચોકીની પાછળ જઈને પેશાબ કરવા માટે રોકાયા હોય તેવો દેખાવ કરવા લાગ્યા. પોલીસવાળાએ મણિસર પાસે લાયસન્સ માગ્યું. મણિસરે ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું કે તરત જ પોલીસવાળાએ પાકીટમાંથી હજાર રૂપિયાની એક નોટ અને બીજી કેટલીક નોટ લઈ લીધી અને મણિસરને ધક્કે ચડાવ્યા. પરિસ્થિતિ બદમાંથી બદતર બની રહી હતી.

આંખના પલકારામાં મણિસરે નક્કી કરી લીધું કે હવે આગળ શું કરવાનું છે. એ દોડીને પોતાની કારમાં બેસી ગયા અને પાગલની જેમ પૂરપાટ દોડાવી. મણિસર જાણતા હતા કે પોતાનો પીછો કરનારા બાઈકરો પાછળ પાછળ આવવાના જ છે એટલે એમણે રોડ નં. ૨૦૧ પરથી લેફ્‌ટ ટર્ન લેવાને બદલે ગાડી સીધી સેક્‌ટર ૧૨ તરફ લઈને સેક્‌ટર ૪ ના લેફ્‌ટ ટર્ન પર વાળી લીધી અને ત્યાંથી મૉર્ડન કોન્વેન્ટ સ્કૂલ પાસેથી ફરી ટર્ન લીધો. ત્યાંથી રાઈટ ટર્ન લઈને લવલી ચોક નજીકના પોતાના ઍપાર્ટમેન્ટ પાસે પહોંચ્યા ત્યારે રાતના બાર વાગવામાં પાંચ મિનિટ બાકી હતી.

બીજે દિવસે મણિસરે ઑફિસે જઈને આખો કિસ્સો રિપોર્ટ કર્યો. આ રિપોર્ટ હોમ સેક્રેટરી પાસે પહોંચ્યો જેમણે પોલીસ કમિશ્નરના ધ્યાનમાં આ વાત લાવવી જ જોઈએ એવો મત વ્યક્ત કર્યો.

હવે પછીની માહિતી જૉઈન ધ ડૉટ્‌સ જેવી છે. એક પછી એક ટપકાં જોડ્યા પછી આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય. ઈન્ટેલિજન્સ અને જાસૂસી દુનિયામાં ક્યારેય કોઈ માહિતી સીધેસીધી પ્રાપ્ત નથી થતી હોતી. માહિતીના ખડકલામાંથી તમારે લાગતી વળગતી નાનકડી, દેખીતી રીતે નગણ્ય લાગતી હકીકતને તારવીને એને બીજી અન્ય નગણ્ય લાગતી હકીકતો સાથે જોડવી પડે, તો જ તમને સંપૂર્ણ ચિત્ર, સ્પષ્ટ ચિત્ર જોવા મળે અને એટલે જ વિવિધ ઈન્વેસ્ટિગેટિવ એજન્સીઓનું એકબીજા સાથેનું કો-ઑર્ડિનેશન અત્યંત જરૂરી બની જતું હોય છે. ક્યારેક એક દેશની તપાસ એજન્સીઓ બીજા દેશની તપાસ એજન્સીઓ સાથે માહિતીઓની આપ-લે કરે ત્યારે ચોક્કસ હકીકતો આંખ સામે આવતી હોય છે.

તમે સેક્યુલર ફિલ્મ દિગ્દર્શક મહેશ ભટ્ટનું નામ સાંભળ્યું છે? મણિસરના અપહરણની વાતને મુસ્લિમ માતા તથા હિન્દુ પિતાના પુત્ર એવા મહેશ ભટ્ટ સાથે શું લેવાદેવા એવો સવાલ તમને પૂછવાનું મન થશે એ સ્વાભાવિક છે. મહેશ ભટ્ટની દિકરી આલિયા ભટ્ટ એમની બીજી પત્ની સોની રાઝદાન સાથેના દાંપત્યજીવનનું ફળ છે. આગલાં પત્ની કિરણ ભટ્ટ થકી મહેશ ભટ્ટને બે સંતાન – પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટ.

આ રાહુલ ભટ્ટ એ જ છે જેને દાઉદ સૈયદ ગિલાની સાથે દોસ્તી હતી. આ દાઉદનું નામ આપણા માટે અજાણ્યું છે પણ આ એનું બર્થ સર્ટિફિકેટ પરનું નામ છે. વૉશિંગ્ટનમાં જન્મેલા આ મુસલમાને મોટા થઈને ડૅવિડ કોલમૅન હેડલી નામ ધારણ કર્યું. ડૅવિડ હેડલીને આપણે મુંબઈમાં ૨૬/૧૧/૨૦૦૮ના રોજ તાજ-ઑબેરોય-સી.એસ.ટી. તથા અન્ય જગ્યાઓએ થયેલા આતંકવાદી હુમલાઓના એક કાવતરાખોર તરીકે ઓળખીએ છીએ. આ ડૅવિડ હેડલીએ રાહુલ ભટ્ટને ૨૦૦૮માં કહેલું કે તું છવ્વીસમી નવેમ્બરે ટાઉન સાઈડ (તળ મુંબઈમાં, જ્યાં બૉમ્બ બ્લાસ્ટ અને ગોળીબાર થયા) જતો નહીં. ડૅવિડ હેડલી ૨૦૦૯ની ૯મી ઓક્ટોમ્બરે શિકાગોથી પાકિસ્તાન જઈ રહ્યો હતો ત્યારે એને ઍરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો. અમેરિકાના સત્તાવાળાઓએ ભારતીય ઈન્વેસ્ટિગેટર્સને હેડલીને મળવાની, એની પૂછપરછ કરવાની છૂટ આપી હતી. ડૅવિડ હેડલીએ (ફાંસીની સજામાંથી બચવા માટે) અમેરિકી (તથા ભારતીય) તપાસ એજન્સીઓને ૨૬/૧૧ના કાવતરાની બધી વિગતો કહી. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસીઝ ઈન્ટેલિજન્સ (આઈ.એસ.આઈ.) કઈ રીતે આ ષડયંત્રમાં ભાગીદાર હતી એની પણ વાત કરી. ૨૦૧૩ની ૨૪મી જાન્યુઆરીએ શિકાગોની યુ.એસ.ફેડરલ કોર્ટે મહેશ ભટ્ટના પુત્ર રાહુલ ભટ્ટના દોસ્તાર ડૅવીડ હેડલીને ૨૬/૧૧ના મુંબઈ હુમલાનું કાવતરું રચવામાં ભાગ લેવા બદલ ૩૫ વર્ષની કેદની સજા કરી. અમેરિકન સરકારની મદદથી ડૅવિડ હેડલીની ઊલટતપાસ માટે ગયેલી ભારતીય ઈન્વેસ્ટિગેટિંગ ટીમ (અર્થાત્‌ નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)ના ઈન્સ્પેક્‌ટર જનરલ બેહરાએ હોમ મિનિસ્ટર પી. ચિદમ્બરમ્‌ને પોતાનો રિપોર્ટ સબમિટ કર્યો હતો. આ રિપોર્ટમાંના કેટલાક અંશોને, હેડલીએ એન.આઈ.એ.ની ટીમને જે બયાન આપ્યું એ ટેસ્ટીમનીમાંની કેટલીક વાતોને રિપોર્ટમાંથી કાઢી નાખવામાં આવી છે એવું ગૃહ મંત્રીના કાર્યાલયે જણાવ્યું છે. જે માહિતી આ રિપોર્ટમાંથી (પી.ચિદમ્બરમ્‌ના કહેવાથી) દૂર કરી નાખવામાં આવી એમાંની બે સૌથી મહત્વની ચોંકાવનારી વિગતોના ઉલ્લેખ સાથે આજની વાત પૂરી કરીએ.

પહેલો મુદ્દો. ૨૬/૧૧ના રોજ તાજ-ઑબેરોય વગેરે જગ્યાઓ પર હુમલો થાય એ પહેલાં એ તમામ જગ્યાઓ પર જઈને એ તથા એની આગળપાછળના વિસ્તારોની ભૂગોળ જાણવા માટે, રેકી કરવા માટે, ડૅવિડ હેડલીને મહેશ ભટ્ટના પુત્ર રાહુલ ભટ્ટે સાથ આપ્યો હતો. રાહુલ ભટ્ટની પોલીસે જ્યારે પૂછપરછ કરી હતી ત્યારે એણે મને તો કંઈ ખબર જ નથી, ડૅવિડને હું માત્ર ઓળખતો હતો, મેં એને કોઈ મદદ કરી નથી, એના આશયો વિશે હું અજાણ હતો એવાં સ્ટેટમેન્ટ આપીને પોતાની જાત બચાવી લીધી હતી. પાવરફુલ પિતા અને કરપ્ટ કૉન્ગ્રેસી નેતાના કૉમ્બિનેશનને કારણે રાહુલ મહેશ ભટ્ટ જેલમાં જતાં જતાં બચી ગયો હતો.

આ વાત હેડલીએ એન.આઈ.એ.ના ઈન્વેસ્ટિગેટિવ ઑફિસર્સને આપેલા બયાનમાં દર્જ થઈ હતી જે તે વખતના ગૃહમંત્રી પી. ચિદમ્બરમ્‌ના કહેવથી હટાવી દેવામાં આવી.
બીજો મુદ્દો ડૅવિડ હેડલીના બયાનમાંથી એ દૂર કરવામાં આવ્યો કે ડૅવિડે કહ્યું હતું કે અજમલ કસાબ જીવતો પકડાયો ત્યારે ભારતની સલામતી એજન્સીઓ માટે કામ કરતા કોઈ ઉચ્ચ અધિકારીનું અપહરણ કરીને એને બંધક બનાવીને કસાબને છોડાવવાનું કાવતરું પણ રચાયું હતું. ૧૯૯૯ની ૨૪મી ડિસેમ્બરે ઈન્ડિયન ઍરલાઈન્સની ફ્લાઈટ આઈસી ૮૧૪નુ અપહરણ કરીને લગભગ પોણા બસો જેટલા પૅસેન્જર્સને બંધક બનાવીને આતંકવાદીઓએ મસૂદ અઝહર સહિતના આતંકવાદીઓને ભારતીય જેલમાંથી મુક્ત કરાવ્યા હતા. આ અઝહર મસૂદે મુક્ત થયા પછી જે આતંકવાદી કાવતરાં રચ્યાં એમાંની સૌથી ભયાનક ઘટના ૨૬/૧૧વાળી હતી.

આર.વી.એસ. મણિની પાછળ પડેલા કુલ ૪ મોટરસાયકલો પર સવાર થયેલા આઠ જણા જો પોતાના ઉદ્દેશમાં સફળ થયા હોત અને અજમલ કસાબને છોડવા માટે તે વખતની કૉન્ગ્રેસ સરકારને રાજી કરી લીધી હોત તો આજે કસાબ પાકિસ્તાનમાં છૂટથી હરતો ફરતો હોત. અઝહર મસૂદે છુટ્યા પછી ૨૬/૧૧નું કાવતરું ઘડ્યું એમ કસાબે એથીય વધુ ભયાનક કોઈ કાવતરું ઘડ્યું હોત. અહીં સવાલ માત્ર મણિસર જેવા દેશપ્રેમી સરકારી ઉચ્ચ અફસરોનો નથી. આપણને સૌને ખૂંચે એવો પ્રશ્ન એ છે કે ભારતમાં પાકિસ્તાની આતંકવાદીઓને મદદ થાય એમાં કોને રસ હોઈ શકે. તે વખતની સરકારમાં ઉચ્ચ આસને બિરાજતા રાજકારણીઓ તથા એમના પ્યાદા જેવા બ્યુરોક્રેટ્‌સ તેમજ વિવિધ તપાસ એજન્સીઓ માટે કામ કરતા હેમંત કરકરે જેવાં પ્યાદાઓ શા માટે હિન્દુ આતંકવાદની ભ્રમણા ઊભી કરીને પોતાની સત્તા ટકાવી રાખવા માગતા હતા? એ સૌની એવી તે કઈ મજબૂરીઓ હતી જેને કારણે ચટકો ભરતી કીડીનેય એના દરમાં જઈને લોટ ભભરાવવાની પાંચ હજાર વર્ષ જૂની પરંપરા ધરાવતી અહિંસક હિન્દુ પ્રજાને આતંકવાદી ચીતરવાનું કાવતરું રચવામાં આવ્યું? ભારતને શું માત્ર પાકિસ્તાની આતંકવાદીઓ તરફથી જ જોખમ છે કે પછી એ આતંકવાદીઓ સાથે હાથ મિલાવનારા તે વખતની સરકારના મોટાં માથાંઓ તરફથી પણ જોખમ છે? મણિસરની ‘ધ મિથ ઑફ હિન્દુ ટેરર’ બુકમાં પાને પાને વેરાયેલા આવાં અનેક ટપકાં જોડીએ છીએ ત્યારે તે વખતના શાસકોનો બિહામણો ચેહરો ઊપસી આવે છે.
વધુ કાલે.

આજનો વિચાર

રાહુલ ગાંધી કહે છે કે વારાણસીમાં મોદીનો રોડ શો બિલકુલ ફ્‌લોપ હતો. એમાં માત્ર લોકો જ લોકો દેખાતા હતા, રોડ તો દેખાતો જ નહોતો.

_વૉટ્‌સએપ પર વાંચેલું

એક મિનિટ!

રાહુલઃ આપ ઈતની સુંદર કૈસે હૈં?

માયાવતીઃ ચરસ કે કારણ…

રાહુલઃ આપ ચરસ લેતી હૈં?

માયાવતીઃ હરામખોર, તૂને લે રખ્ખી હૈ ઈસલિયે સુંદર દિખ રહી હૂં…

12 COMMENTS

  1. Unfortunately such incidents never rarely come to light and such cases hardly reach to ultimate stage that is conviction of the culprits. Hoping for the best with NaMo govt soon. Jai Hind

  2. ખરેખર , ખુબ ભયાવહ સત્ય બહાર આવી રહ્યું છે. જો મણી સરે આ પુસ્તક ના લખ્યું હોત તો આવું કમકમાટીભર્યું સત્ય ક્યારેય બહાર ન જ આવત.
    રાહુલ ભટ્ટ ને બચાવવા માટે અને કોન્ગ્રેસ પર આ હુમલા નો દાગ ના લાગે એટલા માટે દિગ્વિજયસિંહે આ હુમલા નો બધો વાંક આર.એસ.એસ. પર નાખવા માટે એક પુસ્તક પણ પ્રકાશીત કર્યું હતું, અને તેમાં મહેશ ભટ્ટ પણ હાજર રહ્યા હતા. જે પુરાવો છે કે મહેશ ભટ્ટ પણ કોન્ગ્રેસ ની આ ગંદી રાજનીતિ માં સામેલ હતા.
    આભાર સૌરભભાઈ નો કે આપણા સૌ ને સત્ય સાથે જોડી રહ્યાં છે.

  3. દીવા જેવી ચોખ્ખી અને આંખ ઉઘાડી નાંખતી આ વાતોને લોકો ક્યારે સમજશે? કૉંગ્રેસ નાં આ અસલી ચેહરા ને લોકો ક્યારે જોશે ?

  4. Sav sachi vat kahi sir tame ajit doval na ek interview ma e k che desh ne khatro desh ma rahela loko thi j che….

  5. Once again a real and eye opener description of the facts and history. Thanks Saurabhbhai for continuing your column.

  6. I want to know who are interested persons who want to defame CJI sri Ranjan Gogoi and why?do you believe CJI may be a culprit in sex harrassment case?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here