વાજપેયી અને અડવાણી: ગુડ કૉપ, બૅડ કૉપ?

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

આજથી 10 વર્ષ પહેલાં, માર્ચ 2008માં પ્રગટ થયેલી ‘માય ક્ધટ્રી, માય લાઈફ’ શીર્ષક ધરાવતી આત્મકથામાં લાલકૃષ્ણ અડવાણીએ અટલ બિહારી વાજપેયી વિશે લખેલા દીર્ઘ પ્રકરણમાં આરંભમાં નોંધ્યું છે:

‘જો મારે કોઈ એવી વ્યક્તિનું નામ લેવાનું હોય, જે શરૂઆતથી અત્યાર સુધીના મારા રાજકીય જીવનનો અંતરંગ હિસ્સો છે, જે લગભગ પચાસ વર્ષ સુધી આ પાર્ટીમાં મારા સહયોગી રહ્યા છે તથા જેમનું નેતૃત્વ મેં હંમેશાં નિ:સંકોચ ભાવથી સ્વીકાર્યું છે તો એ નામ અટલ બિહારી વાજપેયીનું હશે.’

કેટલાક નાના તથા કેટલાક મોટા મતભેદો (જેની વાત અડવાણીએ લખી છે, તે આગળ જતાં આપણે જોઈશું) બાવજૂદ તમે જોઈ શકો છો કે આ આરંભિક વાક્યમાં જ નહીં, વાજપેયી વિશેના સમગ્ર પ્રકરણ દરમ્યાન લીટીએ લીટીએ અડવાણીનો એમના માટેનો પ્રેમ તથા આદર ઝલકે છે, વાજપેયીને પોતે પોતાનાથી સિનિયર એવા નેતા તરીકે હંમેશાં સ્વીકાર્યા છે એવું કમિટમેન્ટ નીતરે છે.

પણ પાર્ટીના કેટલાક નેતાઓએ તથા એ નેતાઓ સાથે વફાદારી ધરાવતા કેટલાક કાર્યકરોએ તેમ જ સંઘ પરિવારના કેટલાક લોકોએ અને સૌથી વિશેષ તો વિરોધી રાજકીય પક્ષોના માણસોએ મીડિયાની મદદથી એવી છાપ ઊભી કરી કે વાજપેયી ‘સોફ્ટ હિન્દુત્વ’માં માને છે અને અડવાણી એક ‘હાર્ડ લાઈનર’ છે, ‘કટ્ટરવાદી’ છે.

માઈન્ડ વેલ, આ બે પાલા કેટલાક લોકોએ અને મીડિયાએ ક્રિયેટ કરેલા છે અને મને કહેવા દો કે આવો ભ્રમ ફેલાવવામાં તેઓ મહદ્અંશે સફળ પણ રહ્યા છે. પણ રિયાલિટી શું છે? ચેક કરીએ.

1989ની સાલમાં શિલાન્યાસ અને રામ જન્મભૂમિ આંદોલનની હવા દેશમાં ચારેતરફ ફેલાયેલી હતી. આવા વાતાવરણમાં કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા હીરેન મુખર્જી અને વાજપેયી વચ્ચે પત્રવ્યવહાર થાય છે. હીરેન મુખર્જીના એક પત્રનો ઉત્તર આપતાં વાજપેયી લખે છે:

‘અત્યારે તો એવું વાતાવરણ સર્જાયું છે કે ગાંધીજીએ પોતાને હિન્દુ કહેવડાવવામાં સંકોચ નથી રાખ્યો એ બદલ એમને ગુનેગાર ઠેરવવાની પેરવી થઈ રહી છે. તમને કદાચ જાણકારી હશે જ કે હવે તો ઉદ્ઘાટન સમારંભોમાં દીપક પ્રગટાવવા સામે કે નાળિયેર વધેરવા સામે પણ કેટલાક લોકો વાંધો ઉઠાવી રહ્યા છે.’

વાજપેયી આગળ લખે છે: ‘હીરેનદા, તમારી જેમ હું પણ આ (રામ જન્મભૂમિ) મામલે શાંતિપૂર્ણ ઉકેલ લાવવાના પક્ષમાં જ છું. મેં જ્યારે કહ્યું કે અદાલત આ મામલાનો ઉકેલ નહીં લાવી શકે ત્યારે મારા કહેવાનો મતલબ માત્ર એટલો જ હતો કે આવા સંવેદનશીલ મામલામાં જ્યાં ધાર્મિક લાગણીઓ ઊંડે સુધી જોડાઈ હોય, અદાલતના કોઈ પણ નિર્ણયનો અમલ કરવામાં ઘણી મુશ્કેલી ઊભી થવાની જ છે. કમનસીબે (કૉન્ગ્રેસ) સરકારે શાહબાનો કેસમાં (સુપ્રીમ) કોર્ટનો ચુકાદો માથે ન ચડાવીને પહેલેથી જ દાખલો બેસાડી દીધો છે.’

વાજપેયી પત્ર પૂરો કરતાં છેલ્લે લખે છે: ‘મુઝે ઐસા લગ રહા હૈ કિ હિન્દુઓં કા એક બહુત બડા વર્ગ ઐસા મહસૂસ કરને લગા હૈ કિ બહુમત મેં હોને કે બાવજૂદ ઉનકે સાથ અન્યાય હો રહા હૈ… આપ શાયદ મુઝસે સહમત હોંગે કિ રાષ્ટ્રહિત કી માંગ હૈ કિ હમ સબ સભી રાજનીતિક દલ ઈસ તરહ કે કદમ ઉઠાએં કિ સમાજ કે બડે વર્ગ મેં અસન્તોષ કી ઈસ ભાવના કો દૂર કિયા જાએ.’

વાજપેયીના આ પત્ર નીચે કયો હિન્દુ સહી નહીં કરે? તો પછી વાજપેયીના અને અડવાણીના હિન્દુત્વ વચ્ચે તિરાડ ઊભી શું કામ કરવી? પણ સેક્યુલરો તથા કૉન્ગ્રેસીઓ – સામ્યવાદીઓ જાણે એસ્ટાબ્લિશ કરવા માગતા હતા કે ભાજપમાં ગુડ કૉપ – બૅડ કૉપની રમત ચાલે છે. (પોલીસો જ્યારે આરોપીની ઊલટતપાસ કરતા હોય તો એક પોલીસ આરોપીની સાથે સારી રીતે વર્તે, એની સાથે સહાનુભૂતિ જતાવે, એને નાની મોટી સગવડો આપે અને બીજો પોલીસ આરોપી સાથે કડકાઈથી વર્તે, એને ધાકમાં રાખે, દંડૂકો બતાવે. આને કારણે આરોપી પાસે માહિતી કઢાવવાનું કામ આસાન થઈ જાય. ધંધામાં થર્ડ પાર્ટી સાથે ડીલિંગ કરતી વખતે ઘણી વખત બેમાંનો એક ભાગીદાર ગુડ કૉપની અને બીજો બૅડ કૉપની ભૂમિકા ભજવતો હોય છે. ઘરમાં પણ સંતાનો માટે માબાપમાંથી એક ગુડ કૉપ અને બીજા બૅડ કૉપ હોય છે. મૂળ આ વિદેશી મુહાવરો છે. જ્યાં પોલીસને કૉપ કહેવામાં આવે છે. હવે તો એ અંગ્રેજી ભાષાનો બહુ કૉમન રૂઢિપ્રયોગ થઈ ગયો છે).

વાજપેયી સોફ્ટ અને સેક્યુલર તથા અડવાણી હાર્ડ લાઈનર અને કોમવાદી એવી ઈમેજને અડવાણીએ બહુ ધીરજપૂર્વક આત્મકથાનાં આ પાનાંઓમાં તોડી છે પણ એ વાંચવાની ફુરસદ કોને છે? ન કાર્યકરોને, ન વિરોધીઓને, ન મીડિયાને. અને એટલે જ આત્મકથાના પ્રાગટ્યને એક આખો દસકો વીતી ગયો હોવા છતાં વાજપાયી-અડવાણી હિન્દુત્વની બાબતમાં બે સામસામા છેડે હતા એવો ભ્રમ હજુય દૂર થયો નથી. આપણે એ ભ્રમની આરપાર જોઈશું. કારણ કે આપણી પાસે મોટી સાઈઝનાં 1,084 પાનાંની આ આત્મકથા વાંચવાની ફુરસદ જ ફુરસદ છે.

આજનો વિચાર

ભારતના ભાગલા પડ્યા પછી મુસલમાનોના ‘દિમાગી પુનર્વસન’ની જરૂર હતી. આ કામ સાચા શિક્ષણ, શુદ્ધ સંસ્કાર તથા આર્થિક – સામાજિક સમાનતાની ગૅરન્ટી આપવાથી થઈ શકયું હોત, પણ આ દિશામાં પગલાં લેવાને બદલે સરકારે મુસ્લિમ સમસ્યાને હંમેશાં કૉન્ગ્રેસ પાર્ટીના ચશ્માંથી જ જોઈ. જ્યાં સુધી મુસલમાનોનો સવાલ છે, 95 ટકા (ભારતીય) મુસલમાનોના પૂર્વજ હિન્દુ હતા. એમણે મુસ્લિમ શાસન દરમ્યાન ઈસ્લામનો સ્વીકાર કર્યો હતો. મઝહબ બદલાઈ જવાથી કંઈ એમની રાષ્ટ્રીયતા બદલાઈ જતી નથી કે એમની સંસ્કૃતિમાં પણ પરિવર્તન આવતું નથી,.

– અટલ બિહારી વાજપેયી

( મુંબઇ સમાચાર : બુધવાર, 29 ઓગસ્ટ 2018)

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here