કૃષ્ણ એમની દૃષ્ટિએ, કૃષ્ણ આપણી દૃષ્ટિએ (જન્માષ્ટમી સ્પેશ્યલ, ભાગ : ૧)

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : બુધવાર, 24 ઓગસ્ટ 2016)

કવિજીવોને કૃષ્ણની બાળલીલા અને રાસલીલામાં વધારે રસ પડે છે. મને પણ બાળપણમાં કૃષ્ણની બાળલીલામાં રસ પડતો હતો.

પુખ્ત થયા પછી પણ જે હિન્દુ કૃષ્ણની બાળલીલા અને રાસલીલામાં જ રચ્યોપચ્યો રહે તે ઘણું બધું ગુમાવે છે.

કૃષ્ણનું જે ઓજસ્વી, પ્રતાપી અને સૌથી આકર્ષક સ્વરૂપ છે તે ગીતાકાર અને મહાભારતના વિષ્ટિકાર કૃષ્ણનું.

શ્રીમદ્ ભાગવતની કથામાંથી કમાણી કરનારા કથાકારો તથા બ્રાહ્મણોએ સદીઓ પહેલાં એક વાયકા ફેલાવી દીધી હતી કે ઘરમાં ‘મહાભારત’નો ગ્રંથ ના રખાય, ઝઘડા થાય! મારા ઘરમાં સસ્તુ સાહિત્યે પ્રગટ કરેલા મહાભારતના સાત દળદાર ભાગ છે અને વડીલ સાહિત્યકાર દિનકર જોષી સંપાદિત વીસ જેટલા ગ્રંથોની શ્રેણી વસાવી શકાય એ માટે રોજ મારી પિગી બૅન્કમાં પૈસા જમા કરું છું. અને જ્યારે જ્યારે મહાભારત વિશે વિચારું છું કે વાંચું છું કે લખું છું ત્યારે ઝઘડા થવાની વાત તો બાજુએ રહી માનસિક પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય છે. ભાગવતની કથા કરનારાઓએ તો ત્યાં સુધીની વાયકા ફેલાવેલી કે મહાભારતનું પારાયણ ક્યારેય ના થાય અને આમ છતાં જો કોઈ સંભળાવે તો આપણે એને અંત સુધી સાંભળવાનું નહીં.

શા માટે?

કારણ કે મહાભારતના મધ્યમાં ગીતા આવે છે. શ્રીકૃષ્ણના ચિંતનનો અર્ક આપતી અને હિન્દુ ધર્મના અસલ સ્વરૂપનો પરિચય આપતી ભગવદ્ ગીતાને અને ભાગવતની કથા માંડીને લોકોને લાલાની વાત કહીને રડાવતા, રોમાંચ કરાવતા કથાકારોને બાર ગાઉનું અંતર હોય એ સ્વાભાવિક છે.

કોણ જાણે કેમ પણ કવિઓ રાધા-કૃષ્ણનાં કાવ્યો જોડી કાઢે છે ત્યારે બહુ મઝા નથી આવતી, સાચું પૂછો તો એ વેવલાવેડાથી ત્રાસ થાય છે. નરસિંહ-મીરાંની અધ્યાત્મિકતા બેમિસાલ હતી એટલે એમનાં કાવ્યોમાં સો ટચનું સોનું અનુભવવા મળતું. પ્રેમાનંદ જ્યારે સુદામાની વાતમાં કૃષ્ણને લઈ આવે છે ત્યારે હૃદય ભરાઈ આવે છે, પણ દયારામનાં કાવ્યો પછી કૃષ્ણભક્તિનાં કાવ્યોમાં જે વેવલાપણું શરૂ થયું તે અત્યાર સુધી ચાલુ રહ્યું. છેલ્લાં સો-દોઢસો વર્ષમાં કૃષ્ણ વિશે કે રાધાકૃષ્ણ વિશે ગુજરાતીમાં રચાયેલાં અમુક કરોડ કાવ્યોમાંથી જેન્યુઈન કવિતા બે-પાંચ કે વધુમાં વધુ સાત-આઠ કાવ્યોમાં જોવા મળે. બાકી બીજા બધામાં કાં તો વેવલાપણું હોય, કાં આધુનિકતાના નામે તદ્દન વાહિયાત જેવી ઉપમાઓ હોય અને મોટેભાગે તો જે મનોભાવોને પોતે પ્રગટ પણે કોઈ સ્ત્રી સમક્ષ રજૂ કરી શકવાની હિંમત ન હોય તે વાતોને રાધાકૃષ્ણનું નામ લઈને કહેવાઈ હોય જેથી લોકોમાં એ ઝટ દઈને સ્વીકાર્ય બની જાય. મને ખબર છે કે કવિબજારને આ વાત ગળે નહીં ઊતરે અને તેઓ આ નભ જોયું તે કાનજી અને રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વહેતું ના મેલો ઘનશ્યામ જેવાં અનેક કાવ્યોનાં ઉદાહરણો આપશે. આ બધાં જ માણવા જેવાં કાવ્યો છે, ભરપૂર મનોરંજન આપતી કવિતાઓ છે. પણ એમાં ક્યાંય સાચા શ્રીકૃષ્ણ પ્રગટતા નથી, એકાદ છુટાછવાયા શબ્દમાં પણ નહીં. આ તમામ મનોરંજક કાવ્યો છે, લોકપ્રિયતા પામેલી રચનાઓ છે એટલું કહેવું પૂરતું છે.

એની વે.

મારા માટે જે સાચા શ્રીકૃષ્ણ છે તે બાળલીલાવાળા કે રાસલીલાવાળા નહીં, પરંતુ મહાભારતવાળા અને ભગવદ્ ગીતાવાળા. મારી આ માન્યતાને જાહેરમાં પ્રગટ કરતાં હું ખચકાતો હતો, કારણ કે મને ખબર છે કે જ્યારે કરોડો લોકો બાળલીલા/ રાસલીલાવાળા કૃષ્ણને ભજતા હોય અને હું એ કૃષ્ણને સાવ રિજેક્ટ તો નહીં પણ અલમોસ્ટ અવગણવાની વાત કરું તો ચારે દિશામાંથી મારા પર ટપલાં પડવાનાં. નૉટ ધૅટ કે ટપલાં ખાવાથી ડરીએ છીએ. ઈન ફેક્ટ, આદત સી પડી ગઈ છે, પણ સમ હાઉ ઑર અધર, હું મારા ‘મનની વાત’ કહેવાની હિંમત એકઠી કરી શકતો નહોતો.

તો આજે કેવી રીતે બહાદુરી દેખાડવાનું મન થયું?

જન્માષ્ટમીએ ફરાળમાં શું શું ખાવું છે એની લાંબી યાદી સવારના પહોરમાં બનાવીને શિંગોડાનો લોટ ક્યાંથી મગાવવો અને સાબુદાણા અહીં સારા મળશે કે ત્યાં એ વિશે એક સાચા વૈષ્ણવ તરીકે કલાકો સુધી ગહન ચિંતન કર્યા પછી હું લખવા માટે સ્ટડી રૂમમાં આવ્યો ત્યારે શોધતાં શોધતાં મારા હાથમાં એક નાનકડી પુસ્તિકા આવી. નાનકડી એટલે સાવ નાનકડી. માત્ર ૭૪ પાનાંની.

અનુક્રમણિકાના ઉઘાડતા પાને જ મેં આ ફકરો વાંચ્યો:

‘હાલ તુરતને માટે વૃંદાવનના શ્રીકૃષ્ણને દૂર રાખી દો, અને સિંહનાદથી ગીતાનું જ્ઞાન ગરજી રહેલા શ્રીકૃષ્ણની ઉપાસના ચારે તરફ ફેલાવી દો… અત્યારે આપણને સૌથી વધુ જરૂર એવા પરાક્રમી વીરના આદર્શની છે કે જેની નસોમાં પગથી માથા સુધી રજોગુણનો અતિશય જોમદાયક પ્રભાવ હોય, જે સત્યને જાણવા માટે હિંમતપૂર્વક મરણને ભેટવા તૈયાર હોય, ત્યાગ જેનું બખ્તર હોય અને તલવાર જેનું જ્ઞાન હોય. જીવનસંગ્રામમાં અત્યારે આપણે માટે બહાદુર યોદ્ધાની ભાવના આવશ્યક છે, નહિ કે જગતને પ્રમોદ-ઉદ્યાન સમજીને પ્રેમકેલી કરતા પ્રેમીની!’

આ શબ્દો હતા સ્વામી વિવેકાનંદના.

મારી તો લાઈફ બની ગઈ.

ઈ.સ. ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદ પોતાના કલકત્તાના ટૂંકા ગાળાના નિવાસ દરમિયાન મોટે ભાગે આલમ બજારમાં આવેલા શ્રીરામકૃષ્ણ મઠના મકાનમાં રહેતા હતા. આ સમય દરમિયાન સાધના માટે તૈયાર થતા કેટલાક યુવાનો તેમને મળ્યા અને બ્રહ્મચર્ય તેમ જ સંન્યાસની પ્રતિજ્ઞા એમણે લીધી. આ યુવાનોને ભાવિ કાર્ય માટે તાલીમ આપવા સ્વામી વિવેકાનંદે ગીતા અને વેદાંતના વર્ગો શરૂ કર્યા તેમ જ એમને ધ્યાન – સાધનાની દીક્ષા આપી. આ વર્ગોમાં સ્વામી વિવેકાનંદે બંગાળીમાં વાર્તાલાપ આપ્યા. મને જે ૭૪ પાનાંની ચોપડી મળી આવી તે ‘ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્ ગીતા’ એ મઠની ડાયરીમાંથી મળેલા સ્વામીજીના વાર્તાલાપનો અનુવાદ છે. આ ઉપરાંત આ પુસ્તિકામાં ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ના જુદા જુદા ભાગોમાંથી સંકલિત કરેલા ગદ્યખંડો પણ આપેલા છે. રાજકોટના રામકૃષ્ણ મિશન દ્વારા પ્રગટ થયેલા સમગ્ર સ્વામી વિવેકાનંદ સાહિત્યના દોઢેક ડઝન જેટલા ગ્રંથ મારી પાસે છે, પણ એના વિશે ભવિષ્યમાં ક્યારેક વાત કરીશું. અત્યારે વાત માંડી છે સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ દેખાતા કૃષ્ણ ભગવાન વિશેની. જોઈએ સ્વામીજીની દૃષ્ટિ આપણા જેવા સંસારીજીની દૃષ્ટિ સાથે કેટલી જુદી પડે છે, કેટલી મેળ પામે છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here