‘ન્યુઝપ્રેમી’નું રસોડું: સૌરભ શાહ

(ન્યુઝપ્રેમી ડૉટ કૉમઃ બુધવાર, 19 ઑગસ્ટ 2020)

(‘કટિંગ ચાય સિરીઝ’ : પાંચમી પ્યાલી + માવા કેક)

કવિઓ તો એમના અંદાજમાં કહેવાના કે આતે હૈં ગૈબ સે યે મઝામીં ખ્યાલ મેં…આ જે બધા વિષયો પર લખવાનું સૂઝે છે તે આઇડિયા ક્યાંથી આવે છે? ગેબમાંથી.

કવિઓ માટે ઉપરવાળો ગેબી શક્તિથી વિચારો વરસાવતો હશે. પણ અમે કવિ નથી. અમારા માટે વિચારો ઉપરથી ટપકી પડતા નથી. અમે બગાસું ખાઈએ ત્યારે પતાસું મોઢામાં પડતું નથી. ગેબમાંથી ઉપરવાળો વિચારો સૂઝાડે એની રાહ જોયા વગર અમારે ટ્વેન્ટી ફોર બાય સેવન, દિવસ-રાત લખવાનું હોય છે—રવિવારની કે તહેવારોની રજાઓ લીધા ત્રણસોએ પાંસઠ દિવસ લખવાનું હોય છે, માંદગી કે કૌટુંબિક-સામાજિક કાર્યો બાવજૂદ લખવાનું હોય છે.

સાપ્તાહિક કૉલમ લખવાની શરૂઆત મેં 1982માં કરી. હરકિસન મહેતા ‘ચિત્રલેખા’માં લાસ્ટ પેજ માટે કંઈક નવું ફૉર્મેટ વિચારી રહ્યા હતા. એમણે મને બોલાવ્યો. હું ઑલરેડી ‘નિખાલસ’ના સંપાદક તરીકેની જવાબદારીમાંથી મુક્ત થઈ ચૂકેલો. એમના દિશા સૂચન મુજબ મેં એક ફૉર્મેટ બનાવ્યું: લાસ્ટ પેજ પર ત્રણ- ચાર- પાંચ નાની નાની આઇટમ હોવી જોઇએ, પ્રીફરેબલી બધી ફર્સ્ટહૅન્ડ માહિતીવાળી હોવી જોઈએ (અહીંથી-ત્યાંથી તફડાવેલી નહીં) અને શૈલી રમતિયાળ હોવી જોઈએ પરંતુ કન્ટેન્ટ ફ્રિવોલસ-છિછરી નહીં ચાલે. આ ફૉર્મેટથી શરૂ થયેલી લાસ્ટ પેજ કોલમને હરકિસનભાઈએ જબરજસ્ત નામ આપ્યું: ‘મુખવાસ.’

ત્રેવીસ વર્ષની ઉંમરે ‘સમકાલીન’માં આસિસ્ટન્ટ એડિટર તરીકે જોડાયા પછી હરકિસનભાઈનો આગ્રહ હોવા છતાં મેં આ કૉલમ લખવાનું બંધ કર્યું. ‘સમકાલીન’ના તંત્રી હસમુખ ગાંધીએ પણ આગ્રહ કર્યો કે આટલી પૉપ્યુલર બનાવેલી કૉલમ મારે ચાલુ રાખવી જોઈએ. પણ હું એક જગ્યાએ નોકરી કરીને પગાર લઉં અને બીજે કૉલમ લખીને વાઉચર લઉં એ વાત મારી સિસ્ટમમાં ગોઠવાતી નહોતી. એ પછી તારક મહેતાએ અને પછી ભરત ઘેલાણી(‘ઇશિતા’)એ આ કૉલમ આગળ વધારી પણ એનું ઓરિજિનલ ફૉર્મેટ સાવ બદલાઈ ગયું.

એ પછી અનેકછાપાં-મેગેઝિનોમાં સાપ્તાહિક કૉલમો લખી. ‘ગુજરાત સમાચાર’માં અને ‘દિવ્ય ભાસ્કર’માં લખી. ‘સાધના’ અને ‘અભિયાન’માં લખી. અત્યારે ‘સંદેશ’માં બે સાપ્તાહિક કૉલમો નિયમિત લખું છું- લગભગ પાંચ-છ વર્ષથી.

ડેઇલી કૉલમ મેં પહેલવહેલી વાર સુરતના ‘ગુજરાતમિત્ર’ માટે લખી. 1985માં હું મુંબઈ છોડીને સુરત રહેવા ગયો- થોડાં વર્ષ રહીને પાછો આવી ગયો. 1985ની લાભપાંચમથી મેં નોકરી શરૂ કરી અને થોડા જ દિવસોમાં એડિટ પેજ પર ‘તારીખ અને તવારીખ’ નામની ડેઈલી કોલમ શરૂ કરી જે ખૂબ ગમી વાચકોને. એ પછી 1992માં મેં ‘સમકાલીન’ માટે કટારલેખન શરૂ કર્યું ત્યારબાદ પહેલા એકાદ વર્ષ દરમ્યાન અઠવાડિયાની ત્રણ સાપ્તાહિક કૉલમો લખી પછી આ કૉલમો ઉપરાંત એક ડેઈલી કૉલમ શરૂ કરી જેનું નામ એ જ રાખ્યું: ‘તારીખ અને તવારીખ’.

1995માં ગાંધીભાઈ સમકાલીનમાં નિવૃત્ત થયા ત્યાં સુધી એ કૉલમ લખી.

તે વખતે હું વિક્રમ વકીલના તંત્રીપદે ચાલતા મુંબઈના સાંધ્ય દૈનિક ‘સમાંતર’માં પણ ખૂબ લખતો. એક હળવી ડેઇલી કૉલમ લખતો જે લાસ્ટ પેજ પર છપાતીઃ ‘સારે ગાંવ કી ફિકર’. ઘણા ઘણાની ફિરકી લેવાતી એમાં.

આ જ ગાળામાં, 1995માં, ગિરીશ ત્રિવેદીએ ‘મુંબઈ સમાચાર’ના તંત્રી ખાતાનો કારભાર સંભાળ્યો અને એમણે લાસ્ટ પેજ પર મારી દૈનિક કૉલમ ‘ગુડ મૉર્નિંગ શરૂ કરી જે મેં 1999માં ‘મિડ-ડે’નું તંત્રીપદ સંભાળ્યું ત્યાં સુધી લખી. 2012માં ‘મુંબઈ સમાચાર’ના નવા તંત્રી નીલેશ દવેએ મારી પાસે ‘ગુડ મૉર્નિંગ’ની નવી સીઝન શરૂ કરાવી જે મેં ખાસ્સા છએક વર્ષ સુધી લખી.

અત્યારે રોજેરોજ લખવાનું કામ માત્ર ‘ન્યુઝપ્રેમી’ માટે કરું છું. હવે મારી ઘરની ખેતી છે.

હજારો લેખો અને બીજું ઘણું બધું લખ્યું- બેહિસાબ લખ્યું. આ બધું કેવી રીતે લખાય છે? એક લેખ લખતાં કેટલી વાર લાગે? તમારી પાસે આટલાં બધાં પુસ્તકો છે એમાંથી જોઈ જોઈને તમે રોજ લખો છો? કૉલમો તો જાણે સમજ્યા પણ તમે કામ શું કરો છો? તમારું ઘર કેવી રીતે ચાલે છે? બાપદાદાના વારસામાંથી ગુજરાન ચલાવો છો?

બાપદાદાઓના સંસ્કારવારસા સિવાય કશું નથી મારી પાસે. મારું ઘર માત્ર મારાં લખાણોમાંથી મળતા મહેનતાણામાંથી ચાલે છે. અને તમારી જાણકારી માટે હું માત્ર પ્યોર જર્નાલિસ્ટીક કે પ્યોર સાહિત્યિક લખાણો લખનારો લેખક છું. હું શેઠિયાઓની જીવનકથાનાં પુસ્તકો નથી લખતો, કંકોત્રીઓ નથી લખતો કે ઑન ડિમાન્ડ યાને કિ ફરમાઇશી પ્રવચનો નથી આપતો (મારી માતાની પુણ્યતિથિ છે તો તમે માતૃશક્તિ વિશે એક લેક્ચર આપવા આવશો? ફી તમે કહેશો તે અને આવવા-જવાની રિટર્ન ફ્લાઇટ… ના. ના. ના.)

મારાં લખાણો વિશે મેં ક્યારેય એનેલિસિસ નથી કર્યું પણ ‘કટિંગ ચાય સિરીઝ’માં ‘ન્યુઝપ્રેમી’ના વાચકોને અહીં મૂકાતાં લખાણોના મૂલ્ય વિશે સમજાવવાનું નક્કી કર્યું (જેથી વાચકોને કૉન્ટ્રિબ્યુશન મોકલવાનું મન થાય) ત્યારે મને જે સમજાયું એ તમારી સાથે શેર કરું છું.

મને મોટિવેશન કે પ્રેરણાત્મક સાહિત્ય જેવા જુઠ્ઠા અને ચાંપલા-વાયડા-વેવલા શબ્દો સામે સખત ચીડ છે.

મને લાગે છે કે મારાં લખાણોને હું ચાર કેટેગરીમાં વહેંચી શકું:
એકઃ કૉલમો માટેના લેખ.
બેઃ નવલકથા
ત્રણઃ અનુવાદો અને
ચારઃ નવલકથા સિવાયનાં મૌલિક રિસર્ચવાળાં પુસ્તકોના પ્રોજેક્ટ.

1.કૉલમો માટેના લેખો મારી દ્રષ્ટિએ બ્રૉડલી પાંચ વિભાગમાં વહેંચી શકાય.

કઃ કરન્ટ અફેર્સ કે વર્તમાન ઘટનાઓનું એનેલિસિસ કરતા તથા એનું બૅકગ્રાઉન્ડ આપતા, એની દૂરગામી અસરો સમજાવતા લેખો. આ લેખોનું એક દસ્તાવેજી મૂલ્ય હોય છે. અમુક સમય પછી આ લેખોનું મૂલ્ય ઔર વધી જતું હોય છે. જેમ કે છઠ્ઠી ડિસેમ્બરના બાબરી ઢાંચાના વિધ્વંસથી લઈને 27મી ફેબ્રુઆરીના ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી બનેલી ઘટનાઓ પર તે વખતે લખાયેલા મારા લેખોનું સંપાદન કરીને જે પુસ્તક બન્યું ‘અયોધ્યાથી ગોધરા’ તે આજે બજારમાં નથી મળતું પણ જેમણે વાંચ્યું છે તેઓ હજુ પણ વખાણે છે અને પબ્લિશર પણ એની નવી એડિશન કરવા માટે સતત આગ્રહ કર્યા કરે છે. સમય ફાળવીને એ પણ કરીશું. દરેક સિરિયસ પત્રકારે સમકાલીન ઘટનાઓ વિશે જે લખ્યું હોય તેને સંપાદિત કરીને, જરૂર હોય ત્યાં યોગ્ય સંદર્ભની વિગતવાર નોંધ ઉમેરીને પુસ્તકરૂપે પ્રગટ કરવાનો આગ્રહ રાખવો જ જોઇએ. આવું થશે તો ભવિષ્યની પેઢીઓ માટે અત્યારના સમયનો ઇતિહાસ સમજવા માટેના રસ્તાઓ ખુલશે. મોદી, મોદીના વિરોધીઓ, નોટબંધી અને જીએસટી વિશે મેં જે તે વખતે લખેલી કૉલમોના લેખોનું સંપાદન કરીને એને પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવ્યા છે. તો એક થયા કરન્ટ ટૉપિક્સ વિશેના લેખો જેનું દસ્તાવેજી/ઐતિહાસિક મૂલ્ય સમય જતાં પરખાય છે.

ખઃ હિન્દુત્વ, ભારતની પરંપરા, ભારતીય સંસ્કારો વિશેના લેખો. ક્યારેક કરન્ટ અફેર્સને કારણે આ વિશે લખવાની પ્રેરણા મળે તો ક્યારેક સ્વતંત્રપણે, મારા અભ્યાસનો આ એક વિષય હોવાથી, એમાં ડૂબકી મારવાનું મન થાય.

ગઃ તમામ પ્રકારની, જૂની-નવી હિન્દી-અંગ્રેજી ફિલ્મો, ફિલ્મસંગીત, ભારતીય શાસ્ત્રીય સંગીતના સમારંભો, વિદેશથી આવતી ક્લાસિકલ મ્યુઝિકની સિમ્ફની ઓરકેસ્ટ્રાના લાઇવ શોઝ,ગુજરાતી-મરાઠી-હિન્દી-અંગ્રેજી નાટકો, સાહિત્યનાં તેમજ સાહિત્યેતર ફંક્શનો તથા વિવિધ વિષયોને આવરી લેતા પુસ્તકો વિશેના લેખો. આ એક અલગ જ કેટેગરી છે. આ બધા મારા રસના વિષયો છે એટલે અવારનવાર એના વિશે લખતો રહું છું. ક્રિકેટમાં મને 1983નો વર્લ્ડ કપ આપણે જીત્યા ત્યાં સુધી ઊંડો રસ હતો. સ્કૂલમાં હતો ત્યારથી ક્રિકેટરોના ફોટા ભેગા કરતો. ટેસ્ટ મેચો જોતો-બ્રેબોર્ન સ્ટેડિયમમાં અને તે પછી વાનખેડેમાં. રેડિયો પરની કૉમેન્ટ્રી અને પછીથી ટીવી પરનાં લાઇવ પ્રસારણો જોતો. પણ પચ્ચીસેક વર્ષની ઉંમર પછી કોણ જાણે કેમ સાવ છૂટી ગયું આ બધું. આજની તારીખે મિત્રો-કુટુંબીઓ સાથે બેઠા હોઈએ તો વન-ડે, ટ્વેન્ટી-ટ્વેન્ટી કે આઈપીએલ જોઈ કાઢીએ પણ પૅશન બિલકુલ નહીં. એટલે જ ક્રિકેટ એક એવો વિષય છે જેના પર હું ક્યારેય લખતો નથી. બીજો એક વિષય છે સાયન્સ, જેમાં અમુક બાબતોમાં રસ પડે પણ ચાંચ ન ડૂબે. (પત્રકાર શિરોમણી નગેન્દ્ર વિજય જેટલું સમજાવે એટલી જ જાણકારી આપણી. એમાંય બ્લેક હોલ અને બર્મ્યુડા ટ્રાયંગલ તો એમણે આટઆટલી વાર સમજાવ્યા છતાં આપણે પલ્લે નથી પડ્યા. આ બધા વિષયો પર લેખ તો શું બે ફકરા લખવાની આપણી હેસિયત નથી).

હું મારા અનુભવોમાંથી, મારી જાત સાથેની વાતચીતમાંથી, જે કંઈ શીખ્યો છું તેને શબ્દસ્થઃ કરવાની મને મઝા આવતી હોય છે.

ઘઃ લોકો એને મોટિવેશનલ લેખો કહેતા હોય છે અને પબ્લિશર્સને પણ એવા જ લેબલો હેઠળ મારા એ પ્રકારના લેખોના સંગ્રહો વેચવા હોય છે જેની સામે હું વાંધો લેતો નથી- માર્કેટિંગ એમનો વિષય છે, એમના બિઝનેસનો એક પાર્ટ છે. પણ મને મોટિવેશન કે પ્રેરણાત્મક સાહિત્ય જેવા જુઠ્ઠા અને ચાંપલા-વાયડા-વેવલા શબ્દો સામે સખત ચીડ છે. સ્વભાવ, લાગણી, સંબંધો, પ્રેમ વગેરે વિશે મેં ખૂબ લખ્યું છે- તદ્દન નવા અભિગમથી, નવા દ્રષ્ટિકોણથી લખ્યું છે. મારા મૌલિક વિચારોને પોતાના વિચારો ગણાવીને લખનારાઓનો ગુજરાતી ભાષામાં એક આખો કુટિર ઉદ્યોગ શરૂ થઈ ગયો છે. ઠીક છે.

હું પોતે એક ખુશમિજાજ માણસ છું, પ્રસન્નતા મારામાં ઠાંસી ઠાંસીને ભરી છે. જીવનના કપરામાં કપરા કાળને મેં કોઈ સાઇકીએટ્રિસ્ટની મદદ વિના સમજદારીપૂર્વક પસાર કર્યો છે. હું મારા અનુભવોમાંથી, મારી જાત સાથેની વાતચીતમાંથી, જે કંઈ શીખ્યો છું તેને શબ્દસ્થઃ કરવાની મને મઝા આવતી હોય છે. મારા માટે આવાં લખાણો લખવાનો એક બહુ મોટો લહાવો હોય છે. વર્ષો પહેલાં નવસારીમાં એક માસિક પ્રવચનમાળાનું સૌપ્રથમ પ્રવચન આપવા મને બોલાવવામાં આવ્યો ત્યારે આયોજક ડૉ. બિપિન દેસાઈએ મારા પ્રવચન પછી આભારવિધિ કરતાં માઈક પરથી કહ્યું કે લિસનિંગ ટુ સૌરભ શાહ ઈઝ એન એન્ટી-ડોટ ટુ અવર ડિપ્રેશન, સૌરભ શાહને સાંભળીને આપણું ડિપ્રેશન દૂર થઈ જતું હોય છે. મેં એમને જમતી વખતે કહ્યું કે હકીકત એ છે કે આવા વિષયો પર પ્રવચનો કરીને / લેખો લખીને મારું પોતાનું ડિપ્રેશન હું દૂર કરતો હોઉં છું!

ચઃ પાંચમા પ્રકારના લેખો ભલે કૉલમોમાં લખાતા હોય પણ એની કક્ષા વાડીલાલ ડગલી, કાકાસાહેબ કાલેલકર, સ્વામી આનંદ કે ઉમાશંકર જોશીના નિબંધો જેવી હોય છે. ક્યારેક જયોતીન્દ્ર દવેની કક્ષાએ પહોંચે એવું હાસ્ય પણ નીપજે છે. ક્યારેક જ. માટલાનું ઊંધિયુંથી માંડીને જીવનના છેલ્લા ત્રીસ દિવસ બાકી હોય ત્યારે—આવા સેંકડો નિબંધો ડેઈલી કૉલમમાં જ લખાયા છે. બ્રાહ્મમૂહૂર્તના મહત્વ વિશે રોબિન શર્માએ એક આખું ‘મોટિવેશનલ’ પુસ્તક ‘ફાઈવ મિનિટ્સ ક્લબ’ લખ્યું તેના વીસ-પચીસ વર્ષ પહેલાં ‘ગુડ મૉર્નિંગ’ કૉલમમાં લખાઈ ચૂક્યું હતું. આવા તો અનેક વિષયો છે. આત્મા વિશેની તદ્દન મૌલિક વિચારણા, સ્વેચ્છા મૃત્યુ કે પછી હિંસા કે પછી વરસાદ, પક્ષીઓ, આકાશ, એકાંત સંકલ્પો, રીતભાત, પ્રવાસો, લેખન-વાંચન, સત્ય, પત્રલેખન વગેરે અઢળક વિષયો પર ખૂબ લખ્યું, નિરંતર લખ્યું અને હજુય લખતો રહું છું. પુસ્તકોય થયાં એનાં. મહારાષ્ટ્રમાં એસ.એસ.સી.ના ગુજરાતીના પાઠ્યપુસ્તકોમાં મારા આ નિબંધોનો સમાવેશ થયો ત્યારે મારા માટે એ સુખદ આશ્ચર્ય હતું. (આ વાત મેં હજુ સુધી પબ્લિકમાં ક્યારેય કોઈને કહી નથી કે એસ.એસ.સી.ની ટેક્સ્ટ બુકમાં ગુજરાતી વિદ્યાર્થીઓને મારા નિબંધો ભણાવવામાં આવે છે! કેમ કહી નહીં હોય? ખબર નથી, મારા ધ્યાન બહાર નીકળી ગઈ હશે આ વાત.)

તો ડેઈલી કૉલમમાં બ્રૉડલી આ પાંચ પ્રકારના વિષયોની કેટેગરી થઈ.

મને લાગે છે કે કોઈપણ સિરિયસ લેખકે પોતાના રાઇટિંગ સમયમાંથી દસ-વીસ ટકા સમય ફાળવીને સારા અનુવાદો કરવા જ જોઈએ.

મારાં લખાણોનો બીજો પ્રકાર મારી નવલકથાઓ. પુસ્તકરૂપે બે જ પ્રગટ થઈ છે,બાકી ધારાવાહિકરૂપે અડધો ડઝનથી વધુ પ્રગટ થઈ છે. પણ પુસ્તકાકારે નથી મૂકી- જાણી જોઈને. ‘મહારાજ’ મારી યશોદાયી કૃતિ છે. એક મેજર ફિલ્મ પ્રોડક્શન હાઉસે ગયા વર્ષે એના રાઇટ્સ ખરીદી લીધા છે. બીજી બે નવી નવલકથાઓ પર મેં કામ શરૂ કર્યું છે. ધીમે ધીમે આગળ વધશે. નવલકથાઓ ઉપરાંત અઢી નાટકો લખ્યાં. બે મૌલિક જેમાંનું એક ‘મહારાજ’ નવલકથા પરથી જ લખાયું. અઢીમું નાટક તે મકરંદ દેશપાંડેએ લખેલા નાટકનો ગુજરાતી અનુવાદ. સરસ કામ થયું. પણ નાટ્યલેખનમાં મને મૉડરેટ સક્સેસ મળ્યો છે. પૈસા તો ખૂબ મળે પણ બૉક્સ ઑફિસ પર આ નાટકો ટંકશાળ પાડે એવું બધું હજુ સુધી જોવા નથી મળ્યું. આજકાલ એક વેબસિરીઝની વાત ચાલે છે. જોઈએ ક્યાં સુધી પહોંચે છે.

ત્રીજા પ્રકારનાં મારાં લખાણો પ્યોર અનુવાદનાં. ‘ગૉડફાધર’ નવલકથાનો અનુવાદ બહુ વખણાયો, કરવાની પણ ખૂબ મજા આવી. આ ઉપરાંત અગાઉ મેં ‘જિના ઈસી કા નામ હૈ’ અને ‘થિન્ક એવરેસ્ટ’ નામનાં બે પુસ્તકોના અનુવાદો કર્યા હતાં જે પણ બજારમાં ખૂબ ચાલ્યાં. ચેતન ભગતની એક નવલકથાનો અનુવાદ કર્યો જેને વાંચનારાઓ કહે છે કે મૂળ નવલકથા કરતાં વાંચવાની વધારે મઝા આવે એવો હતો. પણ બજારમાં બહુ ન ચાલ્યો. આજકાલ ચેતન ભગત પોતે જ બજારમાં નથી ચાલતા. એમનાં ડબલઢોલકી જેવાં કર્મોનું ફળ એમને મળી રહ્યું છે.

અત્યારે તમે જાણો છો એમ કૂમી કપૂરના ઇમરજન્સી વિશેના પુસ્તકના અનુવાદકાર્યમાં ખાસ્સો એવો સમય વપરાય છે, ખૂબ મઝા આવે છે આ કામ કરવાની. મને લાગે છે કે કોઈપણ સિરિયસ લેખકે પોતાના રાઇટિંગ સમયમાંથી દસ-વીસ ટકા સમય ફાળવીને સારા અનુવાદો કરવા જ જોઈએ. ભાષા બહુ મંજાતી હોય છે, ધાર નીકળતી હોય છે. જોકે, પૈસાની દૃષ્ટિએ અનુવાદકાર્ય એક થેન્કલેસ જૉબ હોય છે. ગુજરાતીમાં એની માત્ર વન ટાઇમ રૉયલ્ટી ચૂકવીને પ્રકાશક અનુવાદના કૉપીરાઇટ્સ તમારી પાસેથી લઈ લે છે પછી તમારા મર્યા બાદ પણ એમાંથી કમાણી કરતા રહે. બદલામાં મહેનતાણું ચણા-મમરા ખરીદી શકો એટલું જ હોય છે. તમે કામ બદામ-પિસ્તા-જરદાલુ-અખરોટ અને કિસમિસથી ઠાંસીઠાંસીને કરી આપ્યું હોય તો પણ તમારા ભાગે સિંગદાણા જ ફાકવાના આવે. ઠીક છે. કામ કરવાની મઝા આવી ને? એ જ તમારી ખરી રૉયલ્ટી જેને કોઈ છીનવી શકવાનું નથી.

કૉલમ રાઇટિંગ, નવલકથા લેખન અને અનુવાદકાર્ય પછી ચોથા પ્રકારનાં લખાણોમાં કોઈ એક સબ્જેક્ટ લઈને એમાં ઊંડા ઉતરીને, રિસર્ચ કરીને તેમ જ એમાં તમારું પોતાનું મૌલિક ચિંતન-મનન ઉમેરીને સ્વતંત્ર પુસ્તક લખવાના બે પ્રોજેક્ટ બનાવ્યા છે. આમાંનાં લખાણો કૉલમો વગેરેમાં કે ધારાવાહિક સ્વરૂપે ક્યારેય પ્રગટ ન થાય. મારી પૅશન જેમાં છે એવા બે ભિન્ન વિષયોના પ્રોજેક્ટ મેં શરૂ કર્યા છે, જોઇએ ક્યારે પૂરા થાય છે.

તો આમ વાત છે.

પણ આ બધું લખાય છે કેવી રીતે? એનો જવાબ તો હજુ બાકી જ છે. આવતીકાલે એ બધી વાતો કરીએ એ પહેલાં કહી દઉં કે આ બધું હું શું કામ તમારી આગળ કહી રહ્યો છું. તમને ખ્યાલ આવે કે ‘ન્યુઝપ્રેમી’માં જે કંઈ લખાય છે તે લખાણોની કક્ષા શું હોય છે, એની પાછળ કેટલી મહેનત, કેટલી સર્જનશીલતા કામે લાગતી હોય છે. આ બધું જાણ્યા પછી ‘ન્યુઝપ્રેમી’ને નિયમિત કૉન્ટ્રિબ્યુશન આપવાનું તમને મન થાય એ હેતુ છે મારો. છાશ લેવાજવું અને દોણી શું કામ સંતાડવી.

ફરી એકવાર કહું છું: રોજની માત્ર એક ચા, આખી નહીં, કટિંગ ચા, કેટલામાં આવે? પાંચ-સાત રૂપિયા તો ખરા જ. મહિને દોઢસોથી બસો જેવી રકમ થાય. હું તો માત્ર એનાથીય અડધી રકમ માટે અપીલ કરું છું: માત્ર મહિને સો રૂપિયાનો સ્વૈચ્છિક ફાળો મોકલો, નિયમિત મોકલો અને ‘ન્યુઝપ્રેમી’નું આ રસોડું અર્થાત્ આ સ્ટડી રૂમ ધમધમ્યા કરે એવો સદભાવ રાખો. જેમની પાત્રતા વધારે છે, ભગવાનની કૃપાથી અને પોતાની મહેનત-ટેલેન્ટથી જેઓ સ્થિતિપાત્ર છે તે વાચકો 100ની પાછળ એકબે મીડાં ઉમેરીને દર મહિને કૉન્ટ્રિબ્યુશન કરતા રહે એવી પણ અપીલ કરું છું. 100થી માંડીને કોઈપણ શુભ રકમનો આંકડો તમે નક્કી કરો. અને નિયમિત, દર મહિને, ચીવટ રાખીને કૉન્ટ્રિબ્યુશન કરતા રહો. આ સાથે લેખના આરંભે/અંતે જે લિન્ક છે તેમાં છેલ્લે તમને બેન્ક ટ્રાન્સફર કે પેટીએમ, ગૂગલ પે માટે શું કરવું, કેવી રીતે કરવું તેની માહિતી મળી જશે. આજે ને અત્યારે જ તમારું કૉન્ટ્રિબ્યુશન મોકલી આપો એવું નથી કહેતો. નિરાંતે, તમતમારે વિચારીને, વિમર્શ કરીને નક્કી કરજો.

પણ છૂટા પડતાં પહેલાં એટલું કહી દઉં કે આજે મહાવીર જન્મવાચનનો અતિ શુભ દિવસ છે.

આજનો વિચાર

આનંદી અને પ્રસન્ન વ્યક્તિત્વ હશે તો દવાઓની કોઈ જરૂર રહેવાની નથી.

—અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

5 COMMENTS

  1. સૌરભભાઈ, તમારા લેખની હું કાયમ આતુરતાથી રાહ જોતી હોઉં છું. તમારા હરદ્વારના અનુભવો વાંચવાની મજા આવી હતી પણ તમારા થોડા અનુભવો કદાચ અમારી સાથે વહેંચવાના બાકી છે. 🙏

  2. મૌલિક મંથન નું પંચામૃત પીરસનાર ને નર્મદનો જોસ્સો

  3. ગુરુજી, આપ નાં રસોડાનો અસબાબ અમો મહેમાનો પાસે રજુ કરી જે નિખાલ્સ્તા થી વાત કરી તે સદાય યાદ રહેશે. આપની સ્વતંત્રતા માં અમારો સ્વાર્થ છે. એટલે અમારે પૂરતા પ્રયત્નો કરીને પણ આપની સ્વતંત્રતા ને સાચવવા જોઈએ. અને અમે સાચવીશું તે નક્કી. બીજાની છોડો, મારાં તરફથી હું ખાતરી આપું છું. ધન્યવાદ.

  4. વાહ સૌરભ ભાઈ …સ્પ્સ્ઠ ને સીધી વાત.. કોઇ પણ પ્રકારની છૂપી વાત નથી… ખુબ ખુબ અભિનંદ સાહેબ… બસ આમ તમે લખતા રહેજો… અમને વાચકો ને આપના લેખ વિશ્વ્શિનિય ને આધારભૂત માહિતી આપતા રહેશો… મારી ખાતરી છે કે આપને ખુબ સુંદર પ્રતિભાવ મળશે.. હું વાચક મિત્ર ખાતરી આપુ છું. વંદન સૌરાભ ભાઈ ?એક વાચક મિત્ર.

    • I like this piece very much
      Continue
      We appreciate your efforts
      I am sending my contribution today or tomorrow

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here