“અને મડિયાને તો દુશ્મનોની બીક ન હતી. એ એકે હજારા હતા” : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ , ‘ન્યુઝપ્રેમી ડૉટ કૉમ : શુક્રવાર, ૧૨ ઑગસ્ટ ૨૦૨૩)

આજે એમની ૧૦૧મી જન્મજયંતિ ગુજરાત ઉજવી રહ્યું છે. ૧૨ ઑગસ્ટ ૧૯૨૨ના દિવસે જન્મ્યા અને ૨૮ ડિસેમ્બર ૧૯૬૮ના રોજ ગુજરી ગયા. ચુનીલાલ કાલિદાસ મડિયા. ૪૬ વર્ષના આયુષ્યમાં ગુજરાતી સાહિત્યને ચમકાવતા ગયા. અમદાવાદની એચ. એલ. કૉલેજ ઑફ કૉમર્સ અને મુંબઈની સિડ્નહૅમ કૉલેજમાં ભણ્યા.

પરિચય ટ્રસ્ટ સાથે, વાડીલાલ ડગલી સાથે અને યશવંત દોશી સાથે, મડિયાને ઘરોબો. પરિચય ટ્રસ્ટે મડિયાના અકાળ મૃત્યુ પછી ‘મડિયાનું મનોરાજ્ય’ નામનો સ્મૃતિગ્રંથ છાપ્યો હતો.

પરિચય ટ્રસ્ટમાં મેં ૧૯૭૮માં લાઈફની પહેલી નોકરી કરી ત્યારે એક વખત અમારા પ્યૂન બાબુરાવની જોડે પરિચયની હમામ સ્ટ્રીટની જૂની ઑફિસે પેસ્ટ કન્ટ્રોલવાળાઓ પર સુપરવિઝન માટે ગયો હતો. એલ.આઈ.સી.ના એ બિલ્ડિંગમાં આઈ.એન.ટી.ની પણ ઑફિસ હતી. રવિવારની રજાના દિવસે મોં પર હાથરૂમાલની બુકાની બાંધીને દવા છંટાવતો હતો ત્યારે મડિયાએ શરૂ કરેલા પોતાના માસિક ‘રુચિ’ના જૂના અંકોની ફાઈલ મળી આવી. ‘મડિયાનું મનોરાજ્ય’ વાંચેલું એટલે ખબર હતી કે મડિયા લેખનમાંથી સારું કમાતા, પૉશ ઈલાકામાં રહેતા અને ગાડી પણ રાખતા. પણ ‘રુચિ’ શરૂ કર્યા પછી મડિયાનું અર્થતંત્ર ખોરવાઈ ગયું હતું. ‘રુચિ’ બંધ કરવું પડ્યું હતું. હસમુખ ગાંધી પાસે પણ મડિયા વિશે ઘણી વાતો સાંભળેલી. ગાંધીભાઈ મડિયાની પર્સનાલિટીથી પ્રભાવિત હતા. કદાચ મડિયા અને ગાંધીભાઈ ઘણીબધી બાબતે સરખા હતા.

ચુનીલાલ મડિયાને મુંબઈ બહુ ઓછું યાદ કરે છે પણ કરે છે ત્યારે દિલથી કરે છે. પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાં ભવન્સ, ચોપાટીમાં મડિયાને યાદ કરવામાં આવ્યા હતા. તે પ્રસંગે હસમુખ ગાંધીએ ‘સમકાલીન’માં છેલ્લા પાના પર મડિયાની મોટી તસવીર છાપીને ‘મડિયાનું મનોરાજ્ય’માંથી વાડીલાલ ડગલીનું આ અવતરણ ટાંક્યું હતું:

‘મને એમ લાગે છે કે મડિયા આકર્ષક સાહિત્યિક પત્રકાર થઈ શક્યા તેનું કારણ તેમના ગમા-અણગમા તીવ્ર હતા એ છે. તંત્રી પોતાના તંત્રીલેખો ભલે સમતોલ ભાષામાં લખે પણ (આ વાક્યના આ શરૂના ૮ શબ્દો ‘સમકાલીને’ ઓમિટ કર્યા હતા) કટારલેખક ઠાવકો થવા જાય તો એની કટાર કરમાઈ જાય. વાચકના મનમાં અહોભાવ કે તિરસ્કાર ઊભા ન થાય તો કટારલેખક મોળો પત્રકાર.’

ચુનીલાલ મડિયાના સમકાલીન (એમના કરતાં ઉંમરમાં ૪ જ વર્ષ નાના) એવા વાડીલાલ ડગલીને મડિયા સાથે, આગળ કહ્યું એમ, અંગત નાતો હતો અને ઉપરોક્ત શબ્દોમાં એમણે મડિયાના મિજાજને બરોબર પકડ્યો છે. મડિયાના સમકાલીનોમાંથી કેટલાયને એમના માટે ભારોભાર અહોભાવ હતો (જેમાંના એક ગાંધીભાઈ, જે મડિયા કરતાં ૮ વર્ષ જુનિયર) અને કેટલાય લેખકો-પત્રકારો મડિયા માટે તીવ્ર અગણમો ધરાવતા.

છેંતાળીસ વર્ષ અને ઉપર થોડાંક અઠવાડિયાં… આ ગાળામાં મડિયા ભરપૂર જીવી ગયા. ‘ચહેરાઓના વનમાં’ પુસ્તકમાં સુરેશ દલાલ લખી ગયા કે ભૂતકાળનું – અનુભવની એક એક ક્ષણનું મડિયા સર્જકતામાં રૂપાંતર કરતા.’ સુરેશ દલાલ કહે છે: ‘મડિયા આપણા સાહિત્યજગતમાં સંત્રી જેવા હતા. સાહિત્યની સૃષ્ટિમાં એમની એક નૈતિક ધાક હતી. સાહિત્યની સૃષ્ટિનો કોઈ પણ જીવ મિસબીહેવ કરતાં વિચાર કરતો, કારણ કે એને ખબર હતી કે કોઈની પણ શેહ કે શરમ વિના મડિયા બેધડક લખ્યા વિના નહીં રહે. ખુવારીના ભય વિનાની ખુમારી એટલે મડિયા.’

પત્રકારત્વમાં આવી નૈતિક ધાક, તમે સહમત થાઓ કે ન થાઓ, હસમુખ ગાંધીની હતી. આજે ગુજરાતી પત્રકારત્વમાં કેટલાય ચિરકુટો ગાંધીભાઈ, ગાંધીભાઈ કહીને લાળ પાડે છે પણ ગાંધીભાઈની હયાતિ દરમ્યાન આમાંનું કોઈ કરતાં કોઈ મગતરું ખુલ્લેઆમ ગાંધીભાઈની તરફદારી કરતું નહીં, ગાંધીભાઈનાં જાહેર વખાણ કરવાની વાત તો બાજુએ રહી. ગાંધીભાઈનો પક્ષ લેવા જતાં ગાંધીભાઈએ જેમની સાથે દુશ્મનાવટ વહોરી છે એવા માંધાતા પત્રકારો-તંત્રીઓ તેમ જ વેસ્ટેડ ઈન્ટરેસ્ટ ધરાવતા હલકટ લોકોની નજરમાંથી પોતે ઊતરી જશે એવા ડરને કારણે કોઈ ખુલ્લેઆમ ગાંધીભાઈની પડખે રહેતું નહીં. આ ફકરાનું પહેલું વાક્ય (‘પત્રકારત્વમાં આવી નૈતિક ધાક, તમે સહમત થાઓ કે ન થાઓ…’) મેં ગાંધીભાઈના નામ સાથે એમની હયાતિમાં લખ્યું છે. ગાંધીભાઈના ગયા પછી આ ચિંગુમિંગુ ઈયળો અને બગઈઓ ગાઈબજાવીને કહેવા લાગી કે અરે ભાઈ, અમે તો ગાંધીભાઈના હાથ નીચે તૈયાર થયા છીએ!

ગાંધીભાઈના સ્વર્ગવાસ પછી એમને ‘ગુરુપદે’ સ્થાપવામાં પોતાની મહત્તા વધવાની છે એવી એમને ખબર હોય અને—તું વળી ક્યાં મારો શિષ્ય હતો, લાગ મળ્યે તેં જ તો મારી ઘોર ખોદવા માટે લોકોને ઉશ્કેર્યા હતા એવું કહેવા માટે ગાંધીભાઈ હયાત નથી એની પણ એમને ખબર હોય એટલે આવું ધુપ્પલ તેઓ ચલાવ્યા કરે.

મડિયા. મૃત્યુના બાર વર્ષ પહેલાં મડિયાએ એક સોનેટ લખ્યું હતું. જીવવાની ખુમારી તો મડિયાએ પોતાની મેળે જ મેળવી લીધી હતી, પરંતુ મૃત્યુ વેળાની કોઈ લાચારી એમને જોઈતી નહોતી. સોનેટમાંની બે પંક્તિઓ છે:

‘મને ન મરવું ગમે છૂટક ટૂંક હફ્તા વડે… ચહું જ ઉઘરાવવા મરણ એક હફ્તા વડે.’

અને મડિયાનું મૃત્યુ પણ એમની ઈચ્છા મુજબ જ આવ્યું. ઉમાશંકર જોશીના શબ્દોમાં મડિયાની અંતિમ ક્ષણોનું આ વર્ણન:

‘૧૯૬૮ના ડિસેમ્બરની ૨૮મી. (અમદાવાદમાં) ઈન્ડિયન ‘પી.ઈ.એન.’ (‘પેન’ એટલે કે પોએટ્સ-પ્લેરાઇટ્સ, એડિટર્સ-એસેઈસ્ટ્સ ઍન્ડ નોવેલિસ્ટ્સ)ના વાર્ષિક સંમેલનમાં બધા સાથે હૃદય ભરીને એ મળ્યા… સંમેલનના ઉદ્ઘાટક કાકાસાહેબ (કાલેલકર), માસ્તી વ્યંકટેશ આયંગર અને તેમનાં પત્ની, ખુશવંત સિંહ આદિ સાથે ભોજનમાં હતા… (રાત્રે) દસ વાગ્યે મણિનગર સ્ટેશનથી ટેલિફોન આવ્યો. સાડા નવે તો એમના ત્રણ પરમ મિત્રો નિરંજન ભગત, છગનલાલ યાદવ અને ભાનુભાઈએ એમને અમદાવાદ સ્ટેશને ગુજરાત મેલ પર વિદાય આપી હતી —ગાડી ઉપડી, પોતાની જગ્યા પર ગયા, ને….! એ દિવસે અમદાવાદમાં દાક્તરી સંમેલન પણ હતું. ચાલતી ગાડીએ દાક્તરી સારવાર તરત મળી. પણ અમે મણિનગર ગયા ત્યારે… મડિયા દેશભરના સાહિત્યસમાજને મળવા જ જાણે (મુંબઈથી) અમદાવાદ આવ્યા ન હોય. છેલ્લી યાત્રાએ ઉપડ્યા ત્યારે શબ્દના આ બંદાઓની જમાતમાંથી એમણે મુકામ ઉઠાવ્યો.’

મડિયાએ ખૂબ લખ્યું. ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ, હાસ્યલેખો અને હાસ્ય નવલકથાઓ, એકાંકી નાટકો, પ્રવાસવર્ણન અને ખૂબ સાહિત્યિક વિવેચન કર્યું. કૉલમો પણ ખૂબ લખી. પોતાના માસિક ‘રુચિ’નું સંપાદન પણ કર્યું.

અમદાવાદમાં મડિયાની અંતિમવિધિ વખતે રઘુવીર ચૌધરી ચોધાર આંસુએ રડ્યા હતા. એ વખતે રઘુવીરભાઈની ઉંમર ત્રીસ વર્ષની હતી, ‘અમૃતા’ પ્રગટ થઈ ચૂકી હતી. સ્મશાનમાં ચિતા પાસે જ્યંતી દલાલે ઠપકો આપતાં કહેલું: ‘આટલા બધા લાગણીશીલ!’

મડિયાની વિનોદવૃત્તિ વિશે એક પ્રસંગ રઘુવીર ચૌધરીએ સાહિત્યિક રેખાચિત્રોના સંગ્રહ ‘સહરાની ભવ્યતા’માં ટાંક્યો છે: ‘છેક છેલ્લા દિવસની વાત છે. સવારે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હૉલમાં પી.ઈ.એન.ની બેઠક ચાલે. ગુલાબદાસ (બ્રોકર) એમનો પોતાનો લેખ વાંચે. કાગળની એક બાજુ સાઈક્લોસ્ટાઈલ કરેલો લેખ શ્રોતાઓને વહેંચવામાં આવેલો. હું એમાં પણ ધ્યાન આપું. થોડી વારમાં મડિયા આવ્યા. બેઠા. પાંચેક મિનિટ પછી મને કાગળની પાછલી કોરી બાજુ ચીંધીને કહે: સી હિઝ બ્રાઈટ સાઈડ!’

મડિયાના જીવનની કદાચ છેલંછેલ્લી ધારદાર રમૂજ.

રઘુવીર ચૌધરી નોંધે છે: ‘લેખકો વિશે મડિયા બોલતા, ક્યારેક સત્ય, ક્યારેક સવાઈ સત્ય. દરેક વિશે એમના આગવા અભિપ્રાયો. આપણે સહમત થઈએ એવી અપેક્ષા પણ નહીં. રમૂજ માણી લઈએ કે એ આગળ ચાલે. ઘણાને એમના અવસાન પછી થયું હશે કે આપણે મડિયાની વિનોદવૃત્તિને એનાં વિવિધ પરિમાણોમાં જોઈ શક્યા હોત તો એમને દુશ્મન માની ન બેસત. અને મડિયાને તો દુશ્મનોની બીક ન હતી. એ એકે હજારા હતા.’

ચુનીલાલ મડિયાની અનેક મનગમતી ટૂંકી વાર્તાઓમાંથી માત્ર કોઈ એક પર જ આંગળી મૂકવાનું કહેવામાં આવે તો પર્સનલ ફેવરિટ તરીકે ‘વાની મારી કોયલ’ પર આંગળી મૂકી શકાય. વાર્તાના રવા પટેલના એ મશહૂર શબ્દો હજુય કાનમાં ગુંજે છે:

‘સંતી મારી દીકરી નથી, ઈ તો વાની મારી કોયલ છે, કોઈ પૂરવભવની લેણાદેવી રહી ગઈ હશે તે મારે ઘેર ઊડી આવે છે. આ કમુરત ઊતરશે ને આણું વાળવા આવશે, એટલે મારી કોયલ ઊડી જાશે…’

‘ઘૂઘવતાં પૂર’ વાર્તાસંગ્રહમાંની આ વાર્તા સમગ્ર ગુજરાતી સાહિત્યની ચિરંજીવ વાર્તાઓમાંની એક છે. નૅશનલ બુક ટ્રસ્ટે પ્રગટ કરેલા ‘ગુજરાતી વાર્તાઓ’ સંગ્રહના સંપાદકો યશવંત શુકલ અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ સંગ્રહની ભૂમિકામાં લખે છે: ‘વ્યવહાર-જીવનની ધીંગી વાસ્તવિકતા, માનવજીવનના તાણાવાણા રચતાં પ્રકૃતિગત આદિમ બળો, એ બળોમાં પ્રવર્તનને લીધે જીવનમાં ઊભી થતી કરુણ વક્ર પરિસ્થિતિ- ચુનીલાલ મડિયાની વાર્તાઓની આ નક્કર વાસ્તવભૂમિ છે. ‘કમાઉ દીકરો’ અને ‘વાની મારી કોયલ’ મડિયાની જ નહિ, ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર ટૂંકી વાર્તાઓ છે. ભાવજગતની ઝીણી ભાતીગળ શબલતા (સબળતા નહીં, શબલતા એટલે કાબરચીતરાપણું) જ નહીં, પણ ધસમસતા આવેગોના નિરૂપણમાં પણ મડિયાને નોંધપાત્ર સિદ્ધિ મળી છે. વજનદાર ઘટનાઓની ગૂંથણી દ્વારા મડિયા એ કરી શક્યા છે અને કદાચ તેથી જ એમની વાર્તાઓમાં વાર્તાતત્ત્વ, સ્ટોરી એલીમેન્ટ, ઘણું હોય છે.’

મડિયા ઘટના પ્રચુર વાર્તા લખતા એમ છતાં, ‘આધુનિક નવલિકા’ પુસ્તકમાંના એક લેખમાં પ્રાધ્યાપક પ્રમોદકુમાર પટેલ નોંધે છે એમ, ઘટનાવિહોણી વાર્તાઓના પ્રખર સમર્થક સુરેશ જોષીના વાર્તાસંગ્રહો ‘ગૃહપ્રવેશ’ તથા ‘બીજી થોડીક’ને મડિયાએ આવકાર્યા એટલું જ નહીં એને આવશ્યક પણ ગણ્યા.

જયંત કોઠારીએ સંપાદન કરેલા વિવેચનસંગ્રહ ‘ગુજરાતી ટૂંકી વાર્તા’માં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે મડિયાની ભાષા વિશે કરેલું આ નિરીક્ષણ વાંચવાથી ખ્યાલ આવશે કે મડિયા બીજી કોઈ રીતે એમના સમકાલીન સાહિત્યકારોથી નોખા તરી આવતા: ‘મડિયાની વાર્તાકાર તરીકેની લોકપ્રિયતાનાં બે કારણ તરત જ દેખાઈ આવે છે- વાર્તાતત્ત્વની બહુલતા અને સચોટતા. મડિયા એક અચ્છા ખેલાડીની જેમ ભાષાના વિવિધ પ્રદેશોમાં સફળતાથી ઘૂમી વળે છે, પણ એમનું વિશિષ્ટ ક્ષેત્ર તો લોકબોલીનું છે. મેઘાણી પછી સોરઠી લોકબોલીનો સાહિત્યિક સ્તરે ઉપયોગ કરનારાઓમાં મડિયાનું સ્થાન આગલી હરોળનું છે. આ ભાષાનો ઉત્તમ વિનિયોગ મડિયાની નવલકથાઓ કરતાંય વિશેષ તો નવલિકાઓમાં થયો છે.’

મડિયાના હાસ્યનિબંધોના સંગ્રહ ‘ચોપાટીને બાંકડેથી’ વિશે યશવંત દોશીએ ‘મડિયાનું મનોરાજ્ય’માં લખ્યું છે, જરા વિસ્તારથી યશવંતભાઈને ટાંકું છું, આફ્ટર ઑલ આ ફિલ્ડમાં એ મારા સૌથી પહેલા સાહેબ હતા:

‘મડિયા હાસ્ય ખાતર હાસ્યમાં માનનારા લેખક નથી… જેને આપણે નિર્દોષ, કેવળ મનોરંજનના હેતુવાળું, કોઈ પ્રત્યે કોપ કે ડંખ વિનાનું હાસ્યલેખન કહીએ તેવું મડિયાના આ નિબંધોમાં બહુ ઓછું મળે… મોટા ભાગના હાસ્યનિબંધોમાં એમણે એકસાથે બે પંખી મારવાનો- હાસ્ય ઊપજાવવાનો અને કોઈક વિચાર દર્શાવવાનો, કોઈક મંતવ્ય કરવાનો, કંઈક ટીકાટિપ્પણી કરવાનો- આશય રાખ્યો હોય એમ જણાય છે. પણ… એમ કહીએ કે હાસ્યના માધ્યમ વડે એમણે પોતાનું ચિંતન પ્રગટ કરવાની પ્રવૃત્તિ કરી છે… ‘ચોપાટીને બાંકડેથી’ વાંચતાં એ પુસ્તકમાંથી જે મડિયા ઊભા થાય છે તે સો ટકા સાહિત્યનો જીવ છે… એમનો સૌથી વધુ રસ, એમની સૌથી મોટી ચિંતા સાહિત્ય માટે… મડિયાને એવી ટેવ કે એમના લક્ષ્યને તો મારે, પણ એમ કરતાં કરતાં રસ્તામાં જે હડફેટે ચડ્યું તેને પણ એકાદ ઠોંસો લગાવતા જાય… ખરાબ અર્થમાં નહિ પણ સારા અર્થમાં મડિયાને સબ બંદર કા વેપારી, જૅક ઓફ ઑલ ટ્રેડ્ઝ કહી શકાય… (મડિયાની) તીવ્રતાનો ભોગ સકારણ-અકારણ અનેક લોકો બન્યા હશે એમ પણ ‘ચોપાટીને બાંકડેથી’ના નિબંધો જોતાં લાગે છે, પણ એ સર્વનો પાયો મૂલ્યસ્થાપનની ચિંતા છે.’

દિનકર જોષીએ ‘અક્ષરની આકાશગંગા’ પુસ્તકમાં ચુનીલાલ મડિયા વિશે એક દીર્ઘ લેખ લખ્યો છે. મડિયા સાથે એમને પર્સનલ સંબંધ હતો. દિનકરભાઈ લખે છે: ‘શૈક્ષણિક લાયકાત કહો તો આંકડા સાથે-અર્થશાસ્ત્ર અને એકાઉન્ટિંગ જેવા વિષયો સાથે બી.કોમ. થયા પણ માત્ર ૨૨ વર્ષની ઉંમરે ૧૯૪૫ની સાલમાં એકસાથે ચાર પુસ્તકોનું પ્રકાશન લઈને સાહિત્ય જગતમાં પ્રવેશ્યા અને આમાંનો (એક વાર્તાસંગ્રહ) ‘ઘૂઘવતાં પૂર’ તો એમની સાહિત્યિક સિદ્ધિઓની બાંગ પોકારે એવો જ નીવડયો હતો.’

દિનકર જોષી પણ ભારપૂર્વક કહે છે કે: ‘મેઘાણી અને પન્નાલાલ પછી તળપદું ગ્રામ્યજીવન જેમના સાહિત્ય સર્જનમાંથી અક્ષરેઅક્ષરે ટપકતું હોય એવા એકમાત્ર મડિયા હતા.’

વાસ્તવિક જીવનમાં મડિયાએ બહુ ઓછો સમય ગ્રામીણ જનજીવનનો અનુભવ લીધો છે. બાળપણ અને કિશોરાવસ્થાને બાદ કરો તો વધુ ભણવા માટે અમદાવાદની કૉલેજમાં અને પછી મુંબઈની કૉલેજમાં ઍડમિશન લીધું અને સ્નાતક થયા પછી અંતકાળ સુધી મુંબઈમાં જ રહ્યા આમ છતાં ગ્રામ્યજીવન એમણે નસેનસમાં આત્મસાત્ કરેલું એવું નોંધીને દિનકરભાઈ લખે છે: ‘અમારો પરિચય ગાઢ બન્યા પછી એક વાર મેં એમને આનું રહસ્ય પૂછેલું: ‘તમે ગામડામાં ઝાઝું રહ્યા નથી અને છતાં આટલું બધું ગ્રામ્યજીવન તમે શી રીતે આત્મસાત્ કર્યું?’ જવાબમાં મડિયાએ કહેલું: ‘નાનપણમાં અજાણતાં જ જે ગ્રામ્યજીવન હૈયામાં ખૂંચી (ખૂંપીના અર્થમાં) ગયું છે એ જ હું જીવું છું. શહેરી જીવન તો ઉપરછલ્લું છે. ગામડું જ મારા ચિત્તમાં ધરબાયેલું છે.’

મડિયા સાથેની સ્મરણયાત્રામાં આપણને આંગળીએ વળગાડીને દિનકર જોષી છ દાયકા અગાઉના કાળમાં ખેંચી જાય છે.

૧૯૫૫ના અરસામાં ગુજરાતમાં એસ.એસ.સી.ની પરીક્ષા વખતે જે ગુજરાતી પાઠ્યપુસ્તક હતું તેમાં દિનકર જોષીએ મડિયાની વાર્તા વાંચી હતી. એ વાર્તા વાંચતી કે ભણતી વખતે એમને સપનેય ખ્યાલ નહોતો કે ચાર જ વર્ષમાં આ લેખકનો પરિચય થશે જે મૈત્રીમાં પરિણમશે.

ચુનીલાલ મડિયા તે વખતે વાલ્કેશ્ર્વરના ‘ચન્દ્રલોક’ મકાનમાં રહેતા. એમની પાસે જૂના મૉડેલની એક ગાડી હતી એવી વાત કન્ફર્મ કરતાં દિનકરભાઈ લખે છે કે, ‘એક દિવસ હું એમની ‘યુસિસ’ની ઓફિસે (યુનાઈટેડ સ્ટેટ્સ ઈન્ફર્મેશન સર્વિસીઝની કચેરી જે ભારતમાં અમેરિકન સરકારના પ્રચારનું તેમ જ અન્ય સાંસ્કૃતિક કામ કરતી. મરાઠી કવિ મંગેશ પાડગાંવકર પણ ત્યાં કામ કરતા.) ઑફિસે મળવા ગયેલો. તે વખતે ચર્ચગેટ સ્ટેશન સામેના ‘એડલ્ફી’ બિલ્ડિંગમાં ઑફિસ હતી. મડિયા ત્યારે ‘એડલ્ફી’ બિલ્ડિંગની બહાર ફૂટપાથ પર ઊભા રહીને કોઈ લારીવાળા પાસેથી ખરીદીને કેળાં ખાતા હતા! એમને આ રીતે કેળાં ખાતાં જોઈને મને ભારે આશ્ર્ચર્ય થયેલું! આવડો મોટો સાહિત્યકાર આમ સાવ સામાન્ય માણસની જેમ ફૂટપાથ પર ઊભા રહીને કેળાં ખાય એ દૃશ્ય ત્યારે મારા માટે અકલ્પ્ય હતું! મડિયાએ રસ્તા ઉપર ઊભા રહીને જ બે કેળાં મને પણ ખવડાવીને સ્વાગત કરેલું અને કેળાંનો એ સ્વાદ બીજા સામાન્ય કેળાં જેવો જ હોવા છતાં ત્યારે મને એ ભારે સ્વાદિષ્ટ લાગેલાં.’

મડિયા ફાઉન્ટનની એક ઇરાની કાફેમાં એમના સાહિત્યિક મિત્રોને નિયમિત મળતા. એ વખતે ‘જન્મભૂમિ પ્રવાસી’માં એમની ધારાવાહિક નવલકથા ચાલતી. એક દિવસ બાજુની ઘોઘા સ્ટ્રીટથી પટાવાળો નવલકથાનું આગામી પ્રકરણ લેવા આવ્યો. મડિયા સરતચૂકથી પ્રકરણ લખવાનું ભૂલી ગયા હતા. મિત્રોની મહેફિલમાંથી સરકીને બીજા ટેબલ પર બેસીને મડિયાએ ચેપ્ટર લખ્યું અને પટાવાળાને ચા પીવડાવીને સોંપી દીધું

મડિયાની કુલ બાર નવલકથાઓમાંની છેલ્લી નવલકથા ‘આલા ધાધલનું ઝીંઝાવદર’ વિશે ‘વિવેચનની ક્ષણે’ પુસ્તકમાં હરીન્દ્ર દવેએ નોંધેલા એક વાક્ય સાથે મડિયાની સ્મૃતિયાત્રાનો પડાવ આણીએ. મડિયાના મુંબઈના ગાઢ સાહિત્ય મિત્રોમાંના એક હરીન્દ્ર દવે લખે છે: ‘(આ) નવલકથામાં શૈલીનો હૃદયને તર કરી દે એવો છાક વરતાય છે.’

ચુનીલાલ કાળિદાસ મડિયાની શૈલીનો આ છાક એમના વાચકોને વરસો સુધી વરતાતો રહેશે અને વરસો સુધી એમના વાચકોનાં હૃદય તર રહ્યાં કરશે. એ કમનસીબ રાત્રિએ અમદાવાદ સ્ટેશને ઉમાશંકર જોશી, નિરંજન ભગત અને મિત્રો મડિયાને ‘ગુજરાત મેલ’ પર વળાવવા આવ્યા ત્યારે પોતાની બર્થ પર સામાન મૂકીને મડિયા પ્લેટફોર્મ પર ઉમાશંકર સાથે વાતો કરતા રહ્યા. આખો દિવસ ચાલેલી લેખકોની આંતરભારતીય બેઠક સાંજે પૂરી થઈ કે તરત મડિયાએ ‘સંદેશ’ની ઑફિસે જઈને આ બેઠક વિશેનો એક લેખ પોતાની કૉલમ માટે લખી આપ્યો. ઘીકાંટાની અખબારી કચેરીથી મીઠાખળી છ રસ્તા પાસેના ઉમાશંકર જોશીના ઘરે જઈ જમ્યા. ત્યાંથી અમદાવાદના રેલવે સ્ટેશને. ગાડી ચાલુ થઈ એટલે ‘આવજો’ કહીને ડબ્બામાં ચડ્યા. દાખલ તો થયા પણ પોતાની બર્થ સુધી પહોંચી ન શક્યા. ડબ્બાનો દરવાજો બંધ કરીને એને અઢેલીને ત્યાં જ ઊભા રહી ગયા. જોરજોરથી શ્વાસ લેવા માંડ્યા. એક અજાણ્યા પેસેન્જરે પૂછયું, ‘શું થાય છે?’ મડિયા માંડ બોલી શક્યા: ‘આ ગાડી જુઓને…’

બસ. આ છેલ્લા શબ્દો મડિયાના. ત્યાં જ ઢગલો થઈ ગયા. ડબ્બામાં પ્રવાસ કરતા કોઈ ડૉક્ટરે એમને તપાસીને કહ્યું: ‘હી ઈઝ ડેડ.’

‘આ ગાડી જુઓને…’ બોલતી વખતે મડિયાને અંદાજ આવી ગયો હોવો જોઈએ કે એમના પ્રવાસની દિશા મુંબઈને બદલે કોઈક જુદી જ જગ્યાએ ફંટાઈ જઈ રહી છે.

આજનો વિચાર

જે લખાણની પ્રેરણા નર્યા આવેશમાં જન્મી હોય અને લખતી વખતે જે ભરપૂર તર્કબદ્ધતાથી લખાયું હોય તે જ લખાણ સુંદર બને છે.

-આન્દ્રે જિદ (નોબેલ પ્રાઈઝ વિજેતા ફ્રેન્ચ નવલકથાકાર, નિબંધકાર, નાટ્યકાર)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

12 COMMENTS

    • વાહ બોસ શું મસ્તાન રીતે મડિયારાજાને યાદ કરીને અંજલિ આપી છે. સાથોસાથ ગાંધીભાઈ ને ણ યોગ્ય રીતે યાદ કર્યા અને હરીન્દ્રભાઈની લેટકટ છાક તો અદ્દભુત.દિલ દિમાગ ઉપર આખો આર્ટિકલ છવાઈ ગયો છપાઈ ગયો. ખૂબ આભાર સૌરભભાઈ🙏🙏

  1. Sanshipt Jeevan vrutant – Saras lekh. Some genius are short lived. Like Chunilala Madia ( Vela vela ni chhayandi- Kilo kaansgiwalo – one of the character), Manilal Desai ( Umbre ubhi saambhlu re bol vaalamnaa), Music Maestro R D Burman, Great Actor Director Guru Dutt.

  2. સ્કુલના પાઠ્યપુસ્તકમાં ચુનીલાલ મડિયાની એકાદ વાર્તા વાંચી / ભણી હતી તેવું આછું – આછું યાદ છે. તે સિવાય મડિયાનું કોઇ સાહિત્ય વાંચ્યું નથી. તમારો આ લેખ વાંચ્યા પછી લાગે છે કે ન વાંચીને ઘણું ગુમાવ્યું છે.

    કયા પુસ્તકથી શરુઆત કરવી તે સજેસ્ટ કરી શકો તો આભારી રહીશ.

  3. ચુનીલાલ મડીયાને તેમની જન્મરાતાબ્દી એ યાદ કરીને આ લેખ બદલ સૌરવભાઈ ખૂબ ખૂબ આભાર. હું મડીયાનો ખૂબ ચાહક છું. લીલુડી ધરતી અને વ્યાજનો વારસ આજેય મારી પ્રીય નવલકથાઓ છે. મડીયા જો વધારે લાબું જીવ્યા હોત તો બીજી આવી કેટલીય સુંદર વાર્તાઓ આપી હોત. તેમનો સૌપ્રથમ પરીચય ૯માં ધોરણમાં ઇચ્છાકાકાના પાઠથી થયો હતો.તેમની ૧૦૧મી જયંતીએ ભાવભરી શ્રદ્ધાજલી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here