લેખનને જિંદગી બનાવવા માટે નોકરી, સલામતી, પારિવારિક જીવન-બધું જ છોડી દીધું : સૌરભ શાહ

(લાઉડમાઉથઃ ‘સંદેશ’ , અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 18 મે 2022)

ભારતમાં જન્મેલા અને ભારતમાં જ ઉછરેલા એવા કેટલા રાઇટરો છે જે અંગ્રેજીમાં લખતા હોય, સારું લખતા હોય?

લખનારા ઘણા છે, સારું લખનારા પણ છે. પરંતુ આમાંના દરેક રાઇટર જનસામાન્ય સુધી પહોંચતા નથી – પહોંચી શકે એવા હોતા પણ નથી. કારણ કે એમનું લખાણ અમુક પર્ટિક્યુલર વર્ગના વાચકોને જ ગમે તે પ્રકારનું હોય છે. વિક્રમ સેઠ અને અરુંધતી રૉય જેવા બીજા અનેક છે જેમને આ કૅટેગરીમાં તમે મૂકી શકો.

અમિષ ત્રિપાઠી કે ચેતન ભગત ઇત્યાદિ લોકો સુધી પહોંચેલા બેસ્ટસેલર રાઇટર છે. પણ અહીં એવા લેખકોની વાત નથી કરવી જેઓ આજે છે ને કાલે નથી.

એવા લેખકો વિશે વાત કરવી છે જેમનું સાહિત્ય લાંબા કાળથી વંચાતું આવ્યું હોય, હજુ પણ વંચાઈ રહ્યું હોય અને ભવિષ્યમાં દાયકાઓ સુધી વંચાતું રહેશે એવી તમને ખાતરી હોય.

આંગળીના વેઢે ગણાય એવા આ કેટેગરીના લેખકોમાં આર. કે. નારાયણ અને રસ્કિન બૉન્ડનાં નામ મોખરે છે. વિખ્યાત કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણના મોટાભાઈ આર. કે. નારાયણના જીવન વિશે, એમનાં પુસ્તકો વિશે, એમની લેખનકળા વિશે તેમ જ એમની નવલકથા ‘ધ ગાઇડ’ પરથી બનેલી દેવ આનંદ-વહીદા રહેમાનવાળી એ જ નામની ફિલ્મ વિશે ખૂબ એટલે ખૂબ લખ્યું છે.

આજે મારે ગુજરાતી વાચકોને રસ્કિન બૉન્ડનો પરિચય કરાવવો છે.આવતી કાલે,19 મેના રોજ, તેઓ 88 વર્ષ પૂર્ણ કરીને 89મા વર્ષમાં પ્રવેશ કરશે. છ વર્ષની ઉંમર સુધી રસ્કિન જામનગરમાં રહ્યા હતા. એમના બ્રિટિશ પિતાને જામનગરના હિઝ હાઇનેસે પોતાનાં સંતાનોને અંગ્રેજી ભણાવવા માટે રાખેલા. એ પછી રસ્કિનના પિતા, બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ એટલે બ્રિટિશ ઍર ફોર્સમાં જોડાઈ ગયા.

રસ્કિનનો જન્મ કસૌલીમાં થયો હતો – સિમલાથી 65 કિલોમીટર દૂર.

1942માં રસ્કિન 8 વર્ષના હતા ત્યારે એમની બ્રિટિશ માતાએ છૂટાછેડા લઈને એક પંજાબી હિન્દુ સજ્જન સાથે લગ્ન કર્યા. રસ્કિનના પિતા બે વર્ષ પછી બીમારીને કારણે કલકત્તામાં ગુજરી ગયા. રસ્કિનની ઉંમર એ વખતે માત્ર દસ વર્ષની. રસ્કિન મસૂરીની બૉર્ડિંગ સ્કૂલમાં રહીને ભણતા. પિતાના મૃત્યુ બાદ માતા અને સાવકા પિતા સાથે દહેરાદૂનમાં રહેવા લાગ્યા.

88 વર્ષના રસ્કિન અત્યારે દહેરાદૂનના ઉપનગર જેવા લેન્ડોરમાં રહે છે. એમની લોકપ્રિયતા એટલી બધી છે કે ભારતના ખૂણે-ખૂણેથી મસુરી-દહેરાદૂન ફરવા આવતા પર્યટકો એમને મળવા માટે ખાસ મસૂરીની કૅમ્બ્રિજ બુક ડેપો નામની પુસ્તકોની દુકાનની મુલાકાત લેવાનું ચૂકતા નથી. રસ્કિન બૉન્ડ પોતાના વાચકોને મળવા ખાસ દર અઠવાડિયે લૅન્ડોરથી આઠેક કિલોમીટરના અંતરે આવેલા મસૂરીની આ બુકશૉપમાં આવતા હોય છે.

બ્રિટિશ માબાપને ત્યાં જન્મેલા રસ્કિન બૉન્ડને ટીનએજ પછી બ્રિટનમાં સ્થાયી થવાની તક હતી, ત્યાં જઈને ત્રણેક વર્ષ રહી પણ આવ્યા, પરંતુ પાછા ભારત આવી ગયા.

સમજણા થયા ત્યારથી લખવા-વાંચવાનો આવેગભર્યો શોખ.

લગભગ દોઢસો પુસ્તકો લખી ચૂકેલા રસ્કિન બૉન્ડની એક નવલકથા ‘અ ફ્લાઇટ ઑફ પીજન્સ’ પરથી દિગ્દર્શક શ્યામ બૅનેગલે શશી કપૂરના પ્રોડક્શનમાં (અને શશીજીને જ હીરો તરીકે લઈને) 1978માં ‘જુનૂન’ નામની એક ફિલ્મ બનાવેલી જે 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પર આધારિત હતી. 2005માં વિશાલ ભારદ્વાજે રસ્કિનની બાળસાહિત્યની અમર કૃતિ ‘ધ બ્લ્યુ અમ્બ્રેલા’ પરથી એ જ નામની ફિલ્મ બનાવી હતી. એ પછી વિશાલ ભારદ્વાજે એમની ટૂંકી વાર્તા પરથી પ્રિયંકા ચોપડાને લઈને ‘સાત ખૂન માફ’ ફિલ્મ બનાવેલી.

દિલ્હી સાહિત્ય અકાદમીનો અવૉર્ડ એમને મળ્યો છે. 1999માં પદ્મશ્રી અને 2014માં પદ્મભુષણથી એમનું સન્માન કરવામાં આવ્યું છે. 88 વર્ષની ઉંમરે લૅન્ડોરના પોતાના ઘરમાં અપરિણિત રસ્કિન બૉન્ડ નિયમિત લેખનકાર્ય કરી રહ્યા છે. એમની સાથે એમણે દત્તક લીધેલું એમના ઘરનું કામકાજ સંભાળતા સેવકનું સંયુક્ત કુટુંબ દાયકાઓથી રહે છે.

રસ્કિન બૉન્ડ કહે છે કે સર્જનાત્મક લેખક માટે એકાંતમાં રહેવું બહુ જરૂરી છે. એનો અર્થ એ નથી કે એકલપેટા બનીને બહારની દુનિયા સાથેનો સંપર્ક છોડી દેવાનો પણ લેખકને પોતાના વિચારો સાથે રહેવા માટેનું એકાંત મળવું જોઈએ, તો જ એની સર્જનાત્મકતા ખીલી ઊઠે. જાત સાથે નિરાંતે વાત કરવાની તક મળે એ માટે આ એકાંત જરૂરી બની જતું હોય છે.

ભૂતકાળમાં કરેલી ભૂલોને યાદ કરીને હસી નાખવી, ભવિષ્ય વિશે વિચાર કરતાં રહેવું એવું રસ્કિન કહે છે અને ઉમેરે છે કે, ‘લેખનને જ મારે મારા જીવનનું કેન્દ્ર બનાવવું હતું. પણ એ માટે તમારે ઘણું બધું છોડી દેવું પડે – નોકરી, સલામતી, સગવડો, પરિવારિક જિંદગી. જો હું પચ્ચીસ વર્ષની ઉંમરે પરણીને ‘ઠરીઠામ’ થઈ ગયો હોત તો હું તે વખતની મારી નોકરીને ઠોકર ન મારી શક્યો હોત. અત્યારે કદાચ હું નોકરીમાંથી રિટાયર થઈને પેન્શન પર જીવતો હોત! મારી આજીવિકા માત્ર લેખનમાંથી જ આવે છે. આ મારી સ્વતંત્રતા છે. કુદરતનો ખૂબ મોટો ઉપકાર છે મારા પર. કળાકારે જિંદગી પરનો કાબૂ ન ગુમાવવો જોઈએ. વૃદ્ધાવસ્થાની સલામતીને ધ્યાનમાં રાખીને જિંદગીમાં સમાધાનો કરીએ છીએ ત્યારે આપણે આપણી જિંદગી પરથી કાબૂ ગુમાવી દેતા હોઈએ છીએ.’

રસ્કિન બૉન્ડ કહે છે કે લેખકો બહુ વાતોડિયા ન હોવા જોઈએ – એમણે પોતાની વાતોને, પોતે જે કંઈ કહેવા માગે છે, વ્યક્ત કરવા માગે છે, પ્રગટ કરવા માગે છે, તે બધું જ પોતાનાં પુસ્તકોના વાચકો માટે બચાવી રાખવાનું હોય છે. વાચકો સાથે થતા અદૃશ્ય સંવાદમાંથી જ તમારું સાહિત્ય સર્જાતું હોય છે. હા, મિત્રો સાથે મન મૂકીને વાતો કરવાની હોય પણ જેમને તમે બહુ સારી રીતે ન ઓળખતા હો એમની સાથે વાતોનાં વડાં કરવા ન બેસી જવાય.

રસ્કિન બૉન્ડ પોતાની વાત કરે છે જે ઘણા લેખકોને લાગુ પડતી હશેઃ ‘હું જો મારી લખવા ધારેલી વાર્તા કે નવલકથા વિશે બહુ બધી વાતો કર્યા કરું તો બને એવું કે એ વાર્તા-નવલકથા ક્યારેય લખાય જ નહીં. એના વિશે વાતો કરી કરીને મારો ઉત્સાહ જ ઠંડો પડી ગયો હોય. લખવા બેસું તો એ પ્લૉટમાં મને જરાય નવીનતા ન લાગે. આ રીતે મેં જ મારી કેટલીય વાર્તા-નવલકથાઓના પ્લૉટનાં બાળમરણ કરી નાખ્યાં છે.’

રસ્કિન બૉન્ડ સ્વભાવે બહુ ભડભડિયા કે બડબોલા નથી. ઇન્ટ્રોવર્ટ હોવા છતાં લોકોને મળવાનું એમને ગમતું હોય છે, ક્યારેક અજાણ્યાઓ સાથે પણ એમની દોસ્તી થઈ જતી હોય છે. આમ છતાં તેઓ એકાંતપ્રિય વ્યક્ત છે. એકાંતમાં હોય ત્યારે માણસ વધારે ચિંતનશીલ બને. રસ્કિન બૉન્ડને પોતાના ઘરની નજીકના જંગલ રસ્તે ચાલતાં ચાલતાં વિચારો કરતાં રહેવાનું પસંદ છે. એકલા ચાલવાનું. કોઈની સાથે નહીં.

ભારતમાં રહેવાનું એમને કેમ ગમે છે? એ કહે છે કે અહીં જીવવાની જે સ્વતંત્રતા મળે છે તે બીજે ક્યાંય ન મળી હોત. જ્યારે જોઈએ ત્યારે મિત્રો હાજર હોય. જ્યારે જોઈએ ત્યારે એકાંત પણ મળી જાય, પ્રેમ અને હૂંફ મળી જાય. ‘અહીંના લોકોએ હું જેવો છું એવો મને સ્વીકારી લીધો છે— મારી બધી જ આડાઈ. અવળચંડાઈ સાથે. અને મને મારી મરજી મુજબ કામ કરવા દીધું છે. ભારતમાં લોકો તમને નડતા નથી, સિવાય કે તમે એમના માટે ઉપદ્રવી બની જાઓ. બાકી, કોઈ તમારી ટીકા ન કરે, આડે ન આવે, તમને ઠપકો ન આપે. દરેક સમાજને એના નીતિનિયમો હોવાના, પોતાની પરંપરા-રિવાજો હોવાનાં- આ બધાંને તમે તોડીફોડીને નવરા ન કરી નાખો ત્યાં સુધી લોકો તમને તમારું કામ કરવા દેતા હોય છે, તમને તમારી રીતે જીવવા દે છે.’

રસ્કિન બૉન્ડને જીવનની તડકી-છાંયડીનો અનુભવ છે. એમણે સુખનાં ઉત્તુંગ શિખરો જોયાં છે અને હતાશાની ઊંડી ખીણોમાં પણ તેઓ પટકાયા છે. તેઓ પોતાને નસીબદાર માને છે. સાઠ કરતાં વધુ વર્ષોથી પોતાને જે સૌથી વધુ ગમે છે એવી પ્રવૃત્તિમાંથી આજીવિકા કમાઈને જીવી રહ્યા છે— લેખનની પ્રવૃત્તિ. પોતાને નાઈઇન ટુ ફાઇવની જૉબ નથી કરવી પડતી. બીજા કોઈ રૂટિન કામો કરીને પૈસા કમાવવા નથી પડતા. રોજ કલાક-બે કલાકથી વધુ નથી લખતા. લખવા માગતા પણ નથી. એથી વધુ સમય લખીએ તો લખાણ મોનોટોનસ બની જાય, એમાંથી તાજગી નીકળી જાય – એવું તેઓ માને છે. કાગળ પર પેનથી પોતાના હસ્તાક્ષરમાં લખે છે. બીજો ડ્રાફ્ટ લખવા માટે આ હસ્તપ્રતને જૂના ( 1956ના ઓલિવિયા બ્રાન્ડના) ટાઇપરાઇટર પર ટાઇપ કરી નાખે છે. કૉમ્પ્યુટર નહીં વાપરવાનું. વિચારોમાં સ્પષ્ટતા હોય, શું લખવાનું છે તે નક્કી હોય અને સમૃદ્ધ ભાષા ભંડોળ હોય ત્યારે લખવાનો પાનો ચડે.

આપણે લોકો ભવિષ્ય વિશે બહુ વિચારતા રહીએ છીએ, રસ્કિન બૉન્ડ કહે છે. જિંદગીની સમસ્યા અને જીવનના પ્રશ્નો વિશે વિચારીને ભયભીત થઈ જઈએ છીએ. પણ એ ભૂલી જઈએ છીએ કે ક્યારેક કાંટાળા તો ક્યારેક ફૂલો બીછાવેલા માર્ગ પસાર કરીને આપણે જીવનમાં ક્યાંથી ક્યાં આવી ગયા છીએ, કેટકેટલું મેળવ્યું છે આપણે.

એમનું એક ઔર પુસ્તક એમની આ વર્ષગાઠે પ્રગટ થઈ રહ્યું છે. રસ્કિન બૉન્ડ સો વર્ષ સુધી જીવે અને એમનાં તાજગીભર્યા લખાણોથી આપણા જેવા લાખો વાચકોને – ચાહકોને સમૃદ્ધ કરતા રહે એવી પ્રાર્થના.

સાયલન્સ પ્લીઝ

જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી, પણ જેને માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ.

—કનૈયાલાલ મુનશી

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

10 COMMENTS

  1. લગભગ એક મહિનો થવા આવ્યો, નવો લેખ કોઈ આવેલ નથી. શું પરિસ્થિતિ છે. આપ ની તબિયત તો બરાબર છે ને.

  2. નમસ્તે. ૧૪ મે ના રોજ ૨૬ માં દિવસ પછી આગળ આશ્રમ ના લેખ મળેલ નથી. કૃપયા નિયમિત રજૂ કરશોજી. પ્રતિક્ષા છે. હાર્દિક શુભ કામનાઓ.

  3. વાહ સાચું કહું તો મને ખબર જ ન હતી કે રસ્કિન બોન્ડ ભારતીય છે. મારુ GK ઓછું કહેવાય. મને બહુ મજા આવી એમના વિશે જાણીને.

  4. રસ્કિન બૉન્ડ નિઃશંકપણે સારા લેખક છે; પરંતુ, એમને મોટા દેખાડવા અન્ય લેખકોને નાના ચિતરવાનું કેમ જરૂરી લાગ્યું ?

    • જે નાના જ છે એમને જાહેરમાં વિવેક ગુમાવ્યા વિના નાના કહ્યા છે. આવું કહેવું એ હિંમતભરી પ્રામાણિકતાનું પ્રમાણ છે. આ ગુણ આજકાલ બહુ દેખાતો નથી. તમને આનંદ થવો જોઈએ કે મારા લખાણમાં તમને એ ઊડીને આંખે વળગે એ રીતે દેખાય છે!

  5. રસ્કિન બોન્ડ વિષે n જાણેલી એવી વાતો જાણવા મળી. તેઓ ભારત માં જ રહે છે અને વિદ્યમાન છે તે જાણીને આશ્ચર્ય સહિત આનંદ થયો.

  6. અદભૂત, એક લેખક બીજા લેખક વિશે, તેની લાઈફ સ્ટાઈલ વિશે આટલું સરસ લખી શકે, સમાજ માટે લેખક શું હોય શકે, શું કરી શકે, શું યોગદાન આપી શકે, એની કાબિલેદાદ છણાવટ સાથે લેખ રૂપી રજૂઆત……..રિયલી અદભૂત, અપ્રતિમ, અવર્ણનીય…….!

  7. Enjoyed your article on Raskin Bond. Since I am educated in Gujarati had never complete idea about Raskin Bond. But knew his name. But few months back on all india radio there was a program where writers were reading their own stories and poems. There was a week for Raskin Bond , he came on all india radio every day and read his different stories. After reading he used to narrate about story and reply to phone call of listeners. I thoroughly enjoyed that program and searched about him. Came to know he is a living legend. I became his fan. Thank you Saurabh bhai to bring more information on him

  8. Wonderful article about Shri Raskin bond. A British yet completely Indian.
    Thank you Saurabh bhai

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here