નિખાલસ હોવાનો દંભ સૌ કોઈ કરે છેઃ સૌરભ શાહ

નિખાલસતાનો ઉપયોગ સૌ કોઈ પોતપોતાની સગવડ મુજબ કરે છે. સો ટકા નિખાલસ વ્યક્તિ મળવી અશક્ય છે. સ્વભાવને નિખાલસતાનો ઢોળ ચઢાવી દીધા પછી માણસો જન્મજાત દંભીએ કરતાં વધુ દંભ ખૂબ સગવડપૂર્વક આચરી શકતા હોય છે. આવી નિખાલસતા વધુ ખતરનાક એટલા માટે કે દેખીતા દંભથી તો બચીને ચાલી શકીએ પણ નિખાલસતા પાછળ છુપાયેલા દંભને ઓળખવો અને એનાથી બચવું વધારે કપરું કામ છે.

આત્મકથા લખતી વખતે માણસ નિખાલસ થવાનો અને દિલ ખોલીને લખવાનો ઇરાદો ધરાવે છે. પરંતુ આખરે તો દરેક આત્મકથા (દરેકે દરેક આત્મકથા) માણસ પોતાની ઇમેજ બિલ્ડિંગની એષણા સાથે લખતો હોય છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદીની આત્મકથામાં ચોંકાવનારી વિગતો વાંચીને લોકોએ એ આત્મકથાને નિખાલસકથા કહી. પરંતુ આપણે એક વાત ભૂલી જઈએ છીએ કે દરેક લેખક આત્મકથામાં જેટલું જરૂરી હોય એટલું જ સત્ય પ્રગટ કરે છે. અને પોતાને જેટલું પ્રગટ કરવું હોય એટલું જ. એમણે ન પ્રગટ કરેલી વાતો આ દેખીતી અને આંજી નાખનારી નિખાલસતાના વજન હેઠળ કાયમ માટે દટાઈ જતી હોય છે.

ગાંધીજી જેવા ગાંધીજીએ પણ સાવચેતી રાખીને આત્મકથાને ‘સત્યના પ્રયોગો’ એવું નામ આપ્યું, ‘સત્યના પુરાવાઓ’ નહીં. ગાંધીજીએ પણ કંઈ કેટલીય ઘટનાઓનું હાર્દ ગોપિત રાખ્યું છે. અનેક વ્યક્તિઓ વિશેના વિચારોને ગાંધીજીએ સાવ સ્પષ્ટ રીતે આત્મકથામાં રજૂ નથી કર્યા. આમ છતાં દુનિયાની અનેક જાણીતી આત્મકથાઓમાં ‘સત્યના પ્રયોગો’નું સ્થાન ઊંચું છે કારણ કે એમાં અન્ય આત્મકથાઓની સરખામણીએ સમાજોપયોગી સત્યનું પ્રમાણ ઘણું વધારે છે. માણસનું મન વાંચવાની વૈજ્ઞાનિક શોધ થઈ હોત તો ગાંધીજીએ આત્મકથામાં ન લખેલા વિચારોને મહાદેવ દેસાઈએ જાણી લીધા હોત અને આત્મકથાના પરિશિષ્ટ રૂપે પ્રગટ થઈ શક્યા હોત. એ પરિશિષ્ટ અત્યંત વિસ્ફોટક સામગ્રીથી ફાટફાટ થતું હોત એમાં બેમત નથી. ગાંધીજીની આત્મકથા વિશે એક આખો લેખ જ નહીં, દળદાર પુસ્તકો લખી શકાય એટલું ઊંચું ગજું એવું છે. એમાં ન કહી શકાઈ હોય એ રાજકીય, સામાજિક અને અંગત સંબંધોની વાતો પણ એટલી જ ઊંચી હોઈ શકે છે.

નિખાલસતા કોને કહીશું અને દંભ કોને કહીશું. દંભનું જન્મસ્થાન બીજાઓની આપણા પ્રત્યેની અપેક્ષા છે. આવી અપેક્ષાઓથી મુક્ત થઈ જવાય તો નિખાલસતાની પણ જરૂર નહીં પડે કારણ કે જ્યારે બધા જ બધું પ્રગટ થવા દેતા હોય ત્યારે જે પ્રગટે તે સહજ અને સ્વાભાવિક બની જાય એને નિખાલસતાના વિશેષણથી શણગારવાની જરૂર ન પડે.

માણસ હોય એના કરતાં વધારે સારો દેખાવા આકર્ષક કપડાં પહેરે, આભૂષણ પહેરે, મેકઅપ કરે કે ગ્લેર્સ પહેરે ત્યારે કોઈ એવું નથી કહેતું કે એ દંભી છે. પણ માણસ પોતાના ઓરિજિનલ સ્વભાવને જરાતરા મેકઅપ લગાડીને બીજાઓ સાથે વર્તે કે પોતાના વિચારોને સન ગ્લાસીસ પહેરાવી દે ત્યારે લોકો જરૂર એને દંભી કહેવાના.

વર્તનની બાબતમાં એક બાજુ વિનય, વિવેક અને એટિકેટ-મેનર્સ છે અને પાતળી ભેદરેખાને ઓળંગી જાઓ તો દેખાડો અથવા દંભ છે. કોઈ મુલાકાતી તમારી ઑફિસ-કેબિનમાં પ્રવેશે કે તમારા ઘરે આવે ત્યારે તમે ઊભા થઈને એને આવકારો કે એ જાય ત્યારે ફરી ઊભા થઈને એને વિદાય આપો એ એક સારી રીતભાત છે, મેનર્સ છે, વિવેક છે. તમને ખુરશીમાંથી ઊભા થવાનો કંટાળો આવતો હોય કે આવનાર વ્યક્તિ માટે ચોક્કસ કારણોસર અણગમો હોય તે છતાં તમે આવો વિવેક કરતા હો છો. જે કામ કરવાની ઇચ્છા નથી તે કામ કરવું પડે ત્યારે દર વખતે એ દંભ નથી હોતો. કોઈ પરિચિતને તમે કામ સોંપો અને એ વ્યક્તિ કહે કેઃ ‘થશે તો જરૂર કરીશ’ અને છેવટે કામ ન થાય ત્યારે તમે એ પરિચિતની નિંદા કરતાં કહો છોઃ ‘કામ નહોતું કરવું તો સીધેસીધી ના પાડી દેવી હતીને’. તમે સમજતા નથી કે ‘થશે તો જરૂર કરીશ’ શબ્દો તમને નમ્રતાપૂર્વક ના પાડવા માટે જ બોલાયા હતા. ના પાડવાની એ વિવેકી રીત હતી. પણ ક્યારેક આપણે એમાં વિવેક જોવાનું ચૂકી જઈએ છીએ ત્યારે સામેવાળાએ આપણા તરફ બેરહેમ બનીને નિખાલસ થઈ જવું પડે છે.

ના પાડવા વિશે વાડીલાલ ડગલીએ બે ઉત્તમ નિબંધ લખ્યા છે. ‘હાનો ભય’ અને ‘ના કહેવાની કળા’ વાડીલાલ ડગલીએ લખ્યું છેઃ ‘હમણાં એક ઑસ્ટ્રિયન લેખક માણસના મૂળભૂત અધિકાર વિશે ચર્ચા કરતા હતા ત્યારે એમણે આચારમાં મૂકવા જેવી વાત કરી.’ તેમણે કહ્યું: ‘જે પ્રજા ‘ના’ કહેવાનું ભૂલી જાય તે આખરે ઘેટાનાં ટોળાં જેવી બની જાય.’ તેમની આ વાત એટલા માટે તરત ગળે ઊતરી છે કે, મનુષ્ય-સ્વભાવનું સહજ વલણ ‘હા’ના ઢાળ પર ઢળવાનું છે. સરમુખત્યારો આ વલણને ભયના ચોકઠામાં ગોઠવી દઈ રોકટોક વિના રાજ કરતા હોય છે. ધર્મગુરુઓ પરલોકનો ભય બતાવી આ વલણનો લાભ લઈ પોતાની આપખુદ સત્તા જમાવતા હોય છે. આથી રાજકારણ અને ધર્મમાં જેટલી ‘ના’ની માત્રા વધારે અને ‘હા’ની માત્રા ઓછી તેટલાં તે નરવાં.’

વાડીલાલ ડગલીએ રાજકારણ અને ધર્મ ગણાવ્યાં. એમાં પત્રકારત્વ પણ ઉમેરીએ. પત્રકારત્વમાં પણ જેટલા વધુ પત્રકારો ‘ના’ પાડતાં શીખશે અને વલ્ગર વેસ્ટેડ ઇન્ટરેસ્ટ્સની ‘હા’માં હા પુરાવતાં અટકશે એટલું આ ક્ષેત્ર વધુ નરવું બનશે.

આ જ રીતે ‘ના’ પાડવાની બાબતો વાડીલાલ ડગલી કહે છેઃ ‘આપણે સ્વર્ગ, મોક્ષ, વૈકુંઢ વગેરે વિશે વાત સાંભળી હોય છે. એ ક્યાં છે તેની મને ખબર નથી. પણ મને એટલી ખબર છે કે જેનામાં ‘ના’ કહેવાની તૈયારી છે એના ચિત્તમાં વૈકુંઠની ઝાલર રણઝણતી હોય છે.’
વિવેક અથવા રીતભાત કઈ ઘડીએ દંભમાં પલટાઈ જશે એનો ભરોસો નહીં. પ્રગટપણે જેમના વિચારોના તમે વિરોધી હો એવી વ્યક્તિ કોઈક સમારંભમાં તમને મળી જાય અને તમે ઔપચારિકતાની આપલે કરો ત્યાં સુધી ઠીક છે, પરંતુ એ પછી અહો રૂપમ્ અહો ધ્વનિ ચલાવો ત્યારે તમે બેઉ પરસ્પર દંભ કરતા કહો છો.

સાયલન્સ પ્લીઝ

અનુભવ એટલે તમારી સાથે જે ઘટના બની તે નહીં પણ એ ઘટનાનું તમે શું કરો છો તે અનુભવ છે.

-અજ્ઞાત

(લાઉડમાઉથઃ સંદેશ, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, 7 જુલાઈ 2022)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. સચ્ચાઈ મોટેભાગે કડવી હોયછે આથી સાચુ બોલી ઉભયપક્ષે અપમાનજનક પરિસ્થિતિને ઉભી કરવી ને સામાજિક સંબંધો બગાડીને દુશ્મનાવટ ઉભી કરવા કરતા મીઠુ બોલી પોતાના અર્ધસત્યને રજુઆત કરવાવાળા સામાજીક અને વ્યહવારીક રીતે ટકી રહેવા આવુ કરતા હોયછે કદાચ આ એમની મજબુરી હોય શકે કદાચ આવી રીસ્ક ન લેવા માગતા પોતાને સામાન્ય ગણાવતા લોકો માટે આ ખોટું પણ ન હોય પણ લોકો જ્યારે પોતાને સત્યવાદી મહાન ગણાવવાનો અભરખો રાખી લ્હાવો લેવા આવો દંભ કરેછે ત્યારે પાછલે બારણે લોકોની નજરમાં ઉઘાડાજ પડી જતા હોયછે કારણકે એમણે રજુ કરેલા અર્ધસત્યનુ બાકી રહેલું અર્ધસત્ય ગમેત્યારે બહાર આવવાનુજ એટલે એમનો પોતાને ખોટી રીતેમહાન ગણાવવાનો દંભ ઉઘાડો પડવાનોજ.

Leave a Reply to Devesh shah Cancel reply

Please enter your comment!
Please enter your name here