શુકન-અપશુકન અને લતાજી : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ: ગુરુવાર, મહા સુદ નોમ, વિક્રમ સંવત ૨૦૭૮. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૨)

પોતાના આગ્રહો સાચવીને પણ ખૂબ મોટી ઊંચાઈએ પહોંચી શકાતું હોય છે. પણ એ આગ્રહો ઇગોને કારણે કે ઘમંડને કારણે સર્જાયેલા ન હોવા જોઈએ. તમારી કળાના કે પછી કોઈ પણ ક્ષેત્રના તમારા કામ માટે તમે નક્કી કરેલા આદર્શો સાથે તમે બાંધછોડ નથી કરવા માગતા ત્યારે તમારી સાથે કામ કરતા લોકો સાથે તમને સંઘર્ષ થતો હોય છે. થવાનો જ છે. પણ એવા વખતે તમારું બાકીનું કામ અટકી ન જવું જોઈએ – તમે ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ, તમારી ગાડી પાટા પરથી ખડી ન પડે એનું તમારે ધ્યાન રાખવું જોઈએ. બીજું ધ્યાન એ રાખવાનું કે જેની સાથે જે મુદ્દા પર બહસ થઈ હોય એ સિવાયના બીજા કોઈ જ મુદ્દાઓ તમારા ચિત્તમાં ઉભરવા ન જોઈએ. એટલું જ નહીં, તમારા મતભેદની વાતો તમારી ઑફિસમાં કે તમારા ફિલ્ડમાં થતી હશે, લોકો તમારા પર કાદવ ઉછાળવાની કોશિશ કરશે —આવો ડર રાખીને તમે જ્યાં ને ત્યાં ખુલાસાઓ કરીને પેલી વ્યક્તિની બુરાઈ કરવામાં લાગી જશો તો લાંબા ગાળે તમારું જ નુકસાન થવાનું છે. કોઈકની સાથે કોઈક બાબતે અણબનાવ થયો? નથી સૉલ્વ થતો? આગળ વધી જાઓ. દુનિયા ખૂબ મોટી છે. આવાં વિઘ્નોને કારણે કામમાં એક દિવસ પણ ખલેલ પડવી ન જોઈએ.

આ વાત લતા મંગેશકરે કોઈ જગ્યાએ કહી નથી. પણ લતાજી અને એમની કક્ષાના વિવિધ ક્ષેત્રના અન્ય મહાનુભાવોના જીવન પરથી જે શીખ્યો છું તેનો નીચોડ ઉપર લખ્યો છે.

એ એકમાત્ર સંગીતકાર એવા હતા જેમના માટે લતાનો વિકલ્પ પણ લતા મંગેશકર જ હોય

એક ઇન્ટરવ્યુ દરમ્યાન લતાજીને પૂછવામાં આવ્યું : ‘એક જરા તીખો સવાલ છે, પણ તમારી સંગીતયાત્રાના સંદર્ભમાં પૂછવો જરૂરી લાગે છે. સાઇઠ-સિત્તેર વર્ષ સુધી સતત તમે ગાતાં રહ્યાં છો. તમામ સંગીતકારો સાથે પ્રોફેશનલ ધોરણે તમારા સંબંધો ઉત્તમ રહ્યા છે. આમ છતાં કોઈકને કોઈક કારણસર પરિસ્થિતિઓ કંઈક એવી સર્જાતી રહી છે જેને કારણે કેટલાક અગ્રણી સંગીતકારો માટે તમે પાર્શ્વગાયન નથી કર્યું અથવા થોડાક ગાળા માટે સ્થગિત કરી નાખ્યું હતું. જેમ કે સી.રામચન્દ્ર, એસ.ડી. બર્મન, વસંત દેસાઈ, જયદેવ, શંકર-જયકિશન જેવા સંગીતકારો સાથે તમારે મતભેદો થયા, એ દૂર પણ થયા, એ લોકો ફરી તમારી પાસે પાછા ફર્યા નવા છેડાથી તમારી એમની સાથેની સંગીતયાત્રા શરૂ થઈ. આવા સંજોગોમાં કોઈ એક સંગીતકારનું નામ તમે આપી શકો કે જેમણે ક્યારેય તમારો સાથ છોડ્યો નહીં, ગીત ગવડાવવા માટે ક્યારેય તમારા વિકલ્પની શોધ કરી નહીં.’

લતા મંગેશકર હસીને જવાબ આપે છેઃ
‘સારું છે તમે આ સવાલ મને પૂછી લીધો. આમાં મને તો કંઈ તીખાપણું લાગતું નથી. તમારા સવાલના જવાબમાં મને એક માત્ર મદનમોહનજી યાદ આવે છે. એમણે ક્યારેય મારો સાથ છોડ્યો નહીં. ગાયક તરીકે મારો એમની સાથે જે સંબંધ બંધાયો તે એમના જીવનના અંતિમ દિવસ સુધી તૂટ્યો નહીં… એવું નહોતું કે એ માત્ર મારી પાસે જ ગવડાવતા હતા. એમના માટે ગીતા દત્ત અને આશાજીએ પણ કેવું સરસ ગાયું છે. પણ મારી હાજરી એમની સાથેના સંગીતમાં જે પ્રથમ દિવસે હતી એ જીવનના છેલ્લા દિવસ સુધી એવી ને એવી જ રહી. ઘણી વાર મને ખરાબ લાગતું કે કોઈ કારણસર હું એમના માટે રેકૉર્ડિંગ ન કરી શકું એમ હોઉં તો મદનભૈયા ખૂબ ધીરજ રાખીને હું સાજી થઈને ફરી પાછી રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં આવતી થઈ જઉં ત્યાં સુધી રાહ જોતા હતા. એ એકમાત્ર સંગીતકાર એવા હતા જેમના માટે લતાનો વિકલ્પ પણ લતા મંગેશકર જ હોય. આ કારણસર પણ હું એમનો ખૂબ આદર કરું છું અને એમનો આભાર માનવા માટે મારી પાસે શબ્દો ખૂટી પડે છે.’

પ્રશ્નઃ ‘તમે બહુ પ્રામાણિકતાપૂર્વક આ વાતનો સ્વીકાર કર્યો જે એકદમ સાચી વાત છે. શંકર-જયકિશનમાંથી શંકર ગાયિકા શારદાને કારણે તમારાથી દૂર થઈ ગયા તો બર્મનદાદાને પણ કોઈક ગેરસમજ થઈ જેને કારણે વર્ષો સુધી એ તમારાથી નારાજ રહ્યા અને એ ગાળામાં એમણે તમારી પાસે ગવડાવ્યું નહીં. જયદેવજી સાથે પણ કદાચ એસ.ડી. બર્મનની જેમ જ કોઈ ગેરસમજ સર્જાઈ. સી. રામચન્દ્ર પાછલાં વર્ષોમાં તમારાથી એટલા માટે નારાજ રહ્યા કે એમને લાગતું હતું કે તમે નૌશાદસા’બ કે શંકર-જયકિશનને વધારે સમય, વધારે મહત્ત્વ આપો છો અને પોતાની ધૂન માટે એટલું ડેડિકેશન દેખાડતા નથી. આવી બધી વાતો તમારી સર્જનાત્મકતામાં ખલેલ પહોંચાડતી હતી ખરી?’

લતાજીએ વિગતે આ સવાલનો જવાબ આપ્યો છેઃ

‘કેમ નહીં? હું પણ મનુષ્ય છું. તમે જે કંઈ પ્રસંગો ગણાવ્યા એમાં મોટેભાગે મારા તરફથી એમની અવગણના થઈ હોય એવું નહોતું. આમ છતાં કેટલાક સંજોગો એવા સર્જાયા જેને કારણે આવું બધું બન્યું. મને લાગે છે કે જીવનમાં ઘણી બધી બાબતો તમારા કાબૂમાં નથી હોતી. તમારા કામને લઈને થતાં વિવાદો અને ગેરસમજો આનો જ એક ભાગ હોય છે જેના માટે તમે એ વખતે કશું જ કરી શકતા નથી. હું બસ માત્ર એટલું જ કહીશ કે પછીથી બર્મનદાદા અને જયદેવજી સાથેની તમામ ગેરસમજણો દૂર થઈ ગઈ હતી કારણ કે બેમાંથી એકેય પક્ષે એકબીજા માટે ન તો કોઈને દુર્ભાવના હતી, ન કોઈએ એકબીજા માટે ખરાબ વાત ક્યારેય કહી હતી. પછી તો એ બંને માટે મેં સતત ગીતો ગાયાં છે… શંકર જયકિશનવાળા પ્રકરણમાં કમનસીબી એ વાતે હતી કે જયકિશન આ બધી વાતોથી નારાજ થતા હતા અને શંકરજીને કહેતા પણ ખરા કે જે ગીતો માટે લતાની જરૂર છે એ ગીતો માટે આપણે બીજા કોઈ નામ વિશે વિચારવું પણ ન જોઈએ… પણ શું હતું કે જયકિશન હતા ત્યાં સુધી તો આવી પરિસ્થિતિઓ એ બંને મળીને સંભાળી લેતા. એમના ગયા પછી તો જોડી તૂટી ગઈ અને શંકરજીની સંગીત અને સિનેમા પરની પક્કડ ધીમે ધીમે ઓછી થતી ગઈ. એક જમાનામાં ‘એસ.જે.’ એટલે ‘સિલ્વર જ્યુબિલી’ એવું હું કહ્યા કરતી હતી- એમના સંગીતવાળી ફિલ્મો સિલ્વર જ્યુબિલી મનાવ્યા વિના થિયેટરમાંથી ઊતરતી નહીં. એ પછી આર.ડી. બર્મન, કલ્યાણજી-આણંદજી અને લક્ષ્મીકાન્ત-પ્યારેલાલે એમનું સ્થાન લઈ લીધું. શંકર-જયકિશનનો જમાનો જ પૂરો થઈ ગયો. એમના પછીનાં જે સંગીતકારોનાં મેં નામ લીધાં એ સૌની સાથે હું હંમેશાં ગાતી રહી અને ઈશ્વરની કૃપા હતી કે અહીં સંબંધો ખરાબ થવાની કે ખોટું લાગી જાય એવી કોઈ વાત સર્જાઈ નહીં. હું સતત એ લોકો માટે ગાતી રહી અને મારા તરફથી એમને પૂરેપૂરો સહકાર મળતો રહ્યો.’

આંખમાં આંસુ સાથે લતાજી રેડિયો ઉપાડીને એ જ દુકાનમાં પાછા ગયાં અને સાવ સસ્તામાં વેચી દીધો

શુકન-અપશુકનમાં માનવાથી વ્યક્તિ અંધશ્રદ્ધાળુ કે જૂનવાણી થઈ જતી નથી અને ન માનવાથી મૉડર્ન બની જતી નથી. દરેકની પોતપોતાની માન્યતા હોવાની. ક્યારેક એવું પણ બને કે અમુક બાબતમાં તેઓ આવી માન્યતા રાખે, અમુકમાં ન રાખે. સચિન તેંડુલકર સહિતના અનેક ક્રિકેટરો પહેલાં કયા પગ પર પૅડ બાંધવું એની રસમને અનુસરતા હોય છે.

લતાજીએ બે સામસામા છેડાના કિસ્સા આ વિશે કહ્યા છે. એક વખત અમેરિકાની ટુર હતી. કુલ ૯ કન્સર્ટ કરવાની હતી. પહેલે દિવસે જે સાડી પહેરીને ગાયું એ શો સુપર હિટ થયો. એ પછીના આઠેય શોઝમાં લતાજીએ ડ્રાયક્લીન કરાવી કરાવીને એ જ સાડી પહેરીને ગાયું. બાકીની જેટલી સાડી લઈને અહીંથી ગયા હતા તે બધી ગડી ખોલ્યા વિના અકબંધ પાછી આવી. બે-ત્રણ કાર્યક્રમ પછી આયોજકોએ પૂછ્યું પણ ખરું કે તમે દર વખતે એકની એક સાડી કેમ પહેરો છો?

લતાજી કહેતાઃ ‘એનાથી પ્રોગ્રામ સારો થાય છે!’

આવું ઘણા લોકો કરતા હોય છે. લતાજી કહે છેઃ ‘હું પણ આમાંથી બાકાત નહોતી.’

પણ આના કરતાં એક તદ્દન સામા છેડાનો કિસ્સો જુઓ, જે લતાજીએ જ કહ્યો છે.

‘ચલી ચલી રે પતંગ’થી લઈને ‘તુમ્હી હો માતા, પિતા તુમ્હી હો’ સુધીનાં અનેક હિટ ગીતો લતાજીએ જેમના માટે ગાયાં તે સંગીતકાર ચિત્રગુપ્ત સાથેનો આ કિસ્સો છે. (ચિત્રગુપ્તનાં સંતાનો આનંદ-મિલિન્દે ‘કયામત સે કયામત તક’ (પાપા કહતે હૈ બડા નામ કરેગા), ‘દિલ’ (મુઝે નીંદ ન આયે) અને ‘બેટા’ (ધક ધક કરને લગા) જેવું હિટ સંગીત સર્જ્યું હતું).

લતાજી એક વખત ચિત્રગુપ્ત માટે રેકૉર્ડિંગ કરવા ગયાં. જોયું કે ચિત્રગુપ્ત લંગડાઈને ચાલી રહ્યા હતા.

લતાજીએ પૂછ્યું કે, ‘શું થયું? કંઈ વાગ્યું?’

ચિત્રગુપ્તે કહ્યું, ‘કંઈ નથી થયું, લતા. મારી ચંપલની પટ્ટી તૂટી ગઈ છે અને હું ઘરેથી એ જ પહેરીને આવ્યો છું.’

આ સાંભળીને લતાજી કહે, ‘અરે, તમે તૂટેલી ચંપલ પહેરીને કેમ આવ્યા. ચાલો, પહેલાં નવાં ચંપલ ખરીદી લાવીએ.’

ચિત્રગુપ્ત જરા ઝંખવાણા પડી ગયા. બોલ્યા, ‘ એમાં એવું છે ને કે આ ચંપલ કોઈ મામૂલી નથી. એકદમ સ્પેશ્યલ ચંપલ છે. બહુ સંભાળીને હું રાખું છું. જે દિવસે પહેરું છું ત્યારે રેકૉર્ડિંગ સરસ થઈ જાય છે.’

હવે વારો લતાજીનો હતો! અમેરિકામાં નવે નવ કન્સર્ટમાં એક જ સાડી પહેરી હતી એ ભૂલી જઈને લતાજી કહેઃ ‘તમને ચંપલ પર આટલો વિશ્વાસ છે, મારા ગાવા પર નથી!’

અને બેઉ જણા હસી પડ્યા.

1947ના જાન્યુઆરી મહિનાની વાત. લતાજીએ માંડ માંડ પૈસા જમા કરીને મોંઘો રેડિયો ખરીદ્યો. દુકાનેથી નવો નક્કોર રેડિયો લઈને ઘરે આવીને ચટાઈ પાથરીને માથે ઓશિકું મૂકીને આડા પડ્યાં અને ત્યાં જ રેડિયો પર સમાચાર આવ્યા કે કુન્દનલાલ સહગલનું 43 વર્ષની ઉંમરે અવસાન થયું છે. લતાજીના એ સૌથી પ્રિય ગાયક. લતાજીને એમના માટે ખૂબ આદર. લતાજીને મોટો આઘાત લાગ્યો. આંખમાં આંસુ સાથે રેડિયો ઉપાડીને એ જ દુકાનમાં પાછા ગયાં અને સાવ સસ્તામાં વેચી દીધો. આવો અપશુકનિયાળ રેડિયો ઘરમાં નથી જોઈતો.

લતાજી કહે છે કે આમ તો પોતે શુકન-અપશુકનમાં માને નહીં પણ જો કોઈ દિવસ પહેલી જ વાર નવી સાડી પહેરીને કે નવું પર્સ લઈને કે નવું ઘરેણું પહેરીને રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં ગયાં હોય અને જો કામ બરાબર ન થયું હોય તો મનમાં વહેમ ભરાઈ જાય અને ફરી ક્યારેય એ સાડી, પર્સ કે ઘરેણું વપરાય નહીં!

લતાજીની જેમ આપણે પણ ઘણીવાર આવું બધું કરતાં હોઈશું. પણ એને કારણે આપણે લતાજી બની શકવાના નથી. છેવટે તો માણસમાં રહેલી પ્રતિભા, એનો રિયાઝ, એની એકાગ્રતા તથા તે વખતે ઊભા થયેલા સંજોગો જ સારું કે ખરાબ પરિણામ લાવતાં હોય છે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!

—સૌ.શા.

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

47 COMMENTS

  1. ખુબ સરસ લેખ મજા પડી વાંચવાની અને વાગોળવાની … વાહ કલમ …

  2. તમો વિષયની માવજત ખૂબ જ સારી રીતે કરી જાણો છો. લતાજી મારા આરાધ્યદેવી છે. ”તુઝમે મેરા રબ દિખતા હૈ” એવા સ્વીકારભાવ સાથે હું એમને સાંભળતો રહું છું અને સાચેજ એમને સાંભળતા એમનાં અવાજની દિવ્યતાની અનૂભૂતિ થતી રહે છે. ચિલાચાલુ કહી શકાય એવું લતાજી માટે કશાં સંદર્ભ વિનાનું સોશ્યલ મીડિયામાં કોપી પેસ્ટ ફોરવર્ડ થતું જ રહે છે. તમારૂં લતાજી વિશેનું લખાણ ઓથેન્ટિક છે. અભ્યાસુ નજરે લખાયાની એ પ્રતિતી કરાવે છે. તમારાં સ્વામી સચ્ચિદાનંદજી વિશેનાં લેખો અને ખાસકરીને જીવનને સ્પર્શતા તમારાં લેખો મારાં માટે બ્રેઈન સ્ટ્રોમ જેવાં હોય છે. તમારો મિજાજ કોઈની સાડાબારી રાખ્યાં વગર યથાથૅને પોન્ખતો રહે છે. ગાળાગાળી કરતાં લેખકોને એ ચોપડે મહાન હતાં એટલે એની વિરુદ્ધ કશું લખવૂ નહિ એ તમારી નીતિ નથી. નકરા આદર્શોને તમે પૂજનારા પણ નથી. તમારૂં ફોકસ વિષય પર અને વ્યક્તિત્વ પર કેન્દ્રિત હોય છે , સારા સાથે નરસું અને ભલે કોઈને અપ્રિય લાગે એવું લખવામાં તમારી કલમ ખોટકાતી નથી. તમારાં પ્રત્યે આદરની ભાવના તો ઘણા સમયથી જન્મેલી છે. આજે લતાજીના તમારા લેખે અનાયાસે એને મેં વાચા આપી છે. લખતા રહો. ઘણાં બધાં મારા જેવાં એવા હશે કે જે તમોને અહોભાવથી વાંચતા હશે માણતાં હશે પણ અભિવ્યક્ત નહિ કરતાં હોય. તમને આભાર નહિ પણ અહોભાવ પ્રગટ કરૂં છું.

    • આ બધો પ્રતાપ મારા પૂર્વસૂરિઓનો છે.’મારા તંત્રીઓ’ લેખમાં એમના વિશે બહુ લખ્યું છે મેં. સદ્દભાગ્યે મારી કારકિર્દી યશવંત દોશીના હાથ નીચે શરૂ થઈ. ગુજરાતી ભાષાની સ્વચ્છતા અને સજ્જતાની તાલીમ મને એમના પરિચય ટ્રસ્ટમાં મળી જે પુસ્તક સમીક્ષાનું માસિક ‘ગ્રંથ’ અને જનરલ નૉલેજ તથા કરન્ટ ટૉપિક્સ પરની પખવાડિક ‘પરિચય પુસ્તિકા ‘ પ્રગટ કરતું. યશવંત દોશીના ગયા પછી સુરેશ દલાલે ‘ઇમેજ’ વતી પરિચય પુસ્તિકાનું પ્રકાશન ચાલુ રાખ્યું અને સુરેશ દલાલના ગયા પછી ગાંધીજીએ સ્થાપેલી પ્રકાશન સંસ્થા ‘નવજીવન’ આ જવાબદારી નિભાવી રહી છે.

      યશવંતભાઈ પછી મેં હસમુખ ગાંધીના હાથ નીચે ‘સમકાલીન’માં કામ કર્યું. વિચારોની સ્પષ્ટ અભિવ્યક્તિ ઉમેરાઈ.

      હરકિસન મહેતા માટે ‘ચિત્રલેખા’માં કૉલમ લખી, રિપોર્ટિંગ કર્યું અને નવલકથાઓ લખી. એમની પાસેથી વિચારોની સરળ રજુઆત કરવાની કળા શીખવા મળી.

      મારા માટે આ ત્રણેય પત્રકારો-લેખકો-તંત્રીઓ તીર્થ સ્વરૂપ છે. એમણે આપેલું હજુ સુધી ચાલે છે અને મા સરસ્વતી સગા દીકરા જેટલું ધ્યાન રાખે છે એટલે મઝાથી આપણું ગાડું ગબડ્યે રાખે છે.

      • તમે સુરેશ દલાલ અને ઈમેજ પ્રકાશન નો ઉલ્લેખ કર્યો એટલે ઉમેરવાનું કે અહીં ભરૂચ માં દરવર્ષે યોજાતાં નવાં પુસ્તક વિવેચનના કાર્યક્રમોમાં અનેક નામી કલાકારોને નજરે નિહાળ્યા અને સુરેશ દલાલ સાહેબને લાઈવ સાંભળવાનો જલ્સો જ કોઈ ઓર હતો. ક્યારેક તમને પણ રૂબરૂ લાઈવ સાંભળવાનું મારાં વેઈટીન્ગ લિસ્ટમાં શામેલ છે. તમારાં પ્રતિભાવ માટે આભાર. પેલો આદરનો ઈન્ડેક્સ ગ્રાફ વધુ ઉંચકાયો. બાધા રાખી કોઈ ઉપવાસ કરવામાં માનતો નથી એટલે તમ તમારે વાંચન સામગ્રી પિરસતા જ રહો.

        • સુરેશ દલાલને સાંભળવા ખરેખર એક લહાવો હતો. મારા કૉલેજકાળથી એમણે મારો હાથ ઝાલીને એમના જીવનના અંત સુધી મને ખૂબ પ્રેમ અને જતનથી સાચવીને ઉછેર્યો છે. એમની હૂંફાળી સ્મૃતિ મને હંમેશાં સમૃદ્ધ કરતી રહે છે.

  3. ખુબ સુંદર અને ઓતપ્રોત થઈ જવાય એવી લાગણીશીલ અને પ્રવાહિત શૈલી ગમે છે.

    બસ આમ જ લખતા રહેશો એ ગમશે.

  4. કોઈ વ્યક્તિ વિશેષ વિશે અભ્યાસપૂર્ણ લેખ હોય તો વાંચવા ચોક્કસ ગમે,એમાં પણ તમારા જેવા લેખક દ્વારા લખેલ હોય તો વાંચવાની વધારે મજા આવે.

  5. લતાજી, આશાજી, પ્રદીપ જી અને સી. રામચંદ્ર વચ્ચે કંઈક વિવાદ કે વિખવાદ થયો હતો, એ મેરે વતન કે લોગો ગીત બાબતમાં?

    • ઊડતી વાત ઘણી હશે. પણ હું ગોસિપ કૉલમનિસ્ટ નથી. કોઈ આધારભૂત માહિતી મળશે જે મારા ગળણામાંથી પસાર થશે તો જરૂર શેર કરીશ.

  6. સૌરભભાઈ,
    શુકન-અપશુકનમાં માનવું અને અંધશ્રદ્ધા માં માનવું બંને ભિન્ન બાબતો છે, શુકન-અપશુકન એક પ્રકારની માનસિક ટસલ છે, જે દરેક વ્યક્તિ ક્યારેક તો અજમાવે જ છે, જ્યારે અંધશ્રદ્ધા તો આંધળું અનુકરણ છે, જોયા જાણ્યા વગર કોઈ વાત કે વ્યક્તિ વિષે પૂર્વાનુમાન ન બાંધવું જોઈએ.

    • એકદમ સાચી વાત છે. શ્રદ્ધાની સીમા ક્યાં પૂરી થાય છે અને અંધશ્રદ્ધાનું જગત ક્યાંથી શરૂ થાય છે એ બહુ નાજુક અને વ્યક્તિગત વિષય છે.

  7. saurabh bhai by writing comments or not writing is not make any difference . your article is always good and inspiring .

    • મેં ગામના ચોરે ઝાડ નીચે ટોળે વળેલાઓ સાથે બેસીને ફાનસના અજવાળામાં વાત માંડી હોય ને કોઈ હોંકોરો ભણનાર ન હોય તો મઝા આવે?

  8. લતા મંગેશકર હોય કે અન્ય કોઈ વ્યક્તિ વિશેષ હોય, દરેક મહાન હસ્તી કે સામાન્ય અદના માનવીનાં કામ કે આચાર વિચાર વિશેનું તમારું જ્ઞાન અદભૂત છે જે તમારા લેખોમાં જણાઈ આવે છે.
    હંમેશા વોટસઅપ કે ટેલીગ્રામ પર આવતા તમારા લેખો વાંચવાનો પ્રબળ ઇન્તજાર રહેતો હોય છે. રાજકારણ વિશેના લેખો પણ ખૂબ જ રસપ્રદ હોય છે, જે લખવા માટેની તમારી મહેનત, ધગશ, સચોટ રેફરનસસિસ સાથેની રજુઆત કાબિલેદાદ હોય છે.
    પ્રભુ તમને તમારા કામમાં વિશેષ સહાયરૂપ બની રહે એવી શુભેચ્છાઓ.

    • તમને વાંચવાની જેટલી મઝા આવે છે એટલી મને લખવાની મઝા આવે છે. સવારે સ્ટડીમાં આવીને મારા પરદાદાના વારસામાં મળેલા એક સદી જૂના ટેબલ ઉપર કાગળ પેન ગોઠવું, ઇન્ક ભરું ત્યારે હવનકુંડ ગોઠવીને હોમ કરતા હોઈએ એવું માનસિક વાતાવરણ સર્જાય છે.

  9. આ પ્રકાર નાં લેખો માં તમારી માસ્ટરી છે. સરસ બહુજ સરસ.👌

    • આવા લેખો ભેગા કરીને ‘પોતપોતાના ધ્રુવના તારા ‘ નામનું પુસ્તક બનાવવાની ખ્વાહિશ વીસ વર્ષ પહેલાં પ્રગટ કરી હતી. પુસ્તક તો હજુ નથી કર્યું પણ આવા લેખો એ પછી એટલા લખાયા કે બે પુસ્તક કરવાં પડશે. બીજાનું નામ હશે: ‘ ગમતા માણસોની ગમતી વાતો’. આવતાં વીસ વર્ષ પહેલાં પ્રગટ કરી શકું તો ગંગા નાહ્યા!

  10. વાહ સૌરભભાઈ, આ વાંચીને આ ઉમરે પણ પ્રેરિત થવાય છે,ખુબ સરસ લેખ….👌👌👌👌

  11. તમારા વિશ્લેષણ ખૂબ જ સુંદર અને સચોટ હોય છે

  12. આખી શ્રેણીની કાગાડોળે રાહ જોઉં છું..રોજેરોજ

    • મને પણ ચટપટી હોય છે કે ક્યારે આ સિરીઝનો નવો લેખ લખું. લતાજી મને બહુ ગમે, એમના વિશે લખવાની બહુ મઝા આવે. કામ કરું છું એવું ન લાગે,
      કોઈ હિલ સ્ટેશન પર જઈને વેકેશન લેતો હોઉં એવું ફીલ થાય.

      • आपके आर्टिकल्ज़ एक रेफ़्रेन्स की तरह है , सदा नए और ताज़ा लगते है, लताजी के लिए शायद 1000 साल के पश्चात् भी कुछ नयी बात आ सकती है आयेंगी , इसको कोंग्रेससी अन्ध भक्ति कहेंगे , आँख खोल के दर्शन और बंद आँखो से भक्ति यही सनातन धर्म की परम्परा है , हम इन्तज़ार करते हैं कि शायद कुछ अनजानी बात आप कर दो दीदी के लिए! में कई बार आपके R D Burman के आर्टिकल्ज़ पढ़ता हूँ , मेरे प्रिय है वो सभी ! लता दीदी एक मिसटिक (mystic) तत्व हैं। आप से अनुरोध है की कृपया आप जो कुछ जानते हो समझते हो हमको बताए🙏

  13. કોમેન્ટ ન લખવા નું કારણ મોડરેટર છે પહેલા ની કોમેન્ટ ને મંજૂરી નથી આપી. થોડી પણ જો તમારી કે વિષય વસ્તુ ની વિરુદ્ધ હોય તો કોમેન્ટ લાઇવ વેબસાઇટ પર આવતી નથી.

    મોડરેટર ને પ્રણામ.

    લેખો તો સરસ હોય છે.

    • એવું નથી. મારા અભિપ્રાયો સાથે અસંમત થતા વાચકોને મેં હંમેશાં માન આપ્યું છે. ન્યુઝપ્રેમી પર, એફબી પર, વૉટ્સઍપ ગ્રુપોમાં—બધે જ. અને આ આજનું નથી. ૧૯૮૧માં એકવીસ વરસની ઉંમરે ‘નિખાલસ’નું સંપાદન શરૂ કરીને છ જ મહિનામાં એને પંચાવન હજારના ફેલાવા સુધી પહોંચાડી દીધું ત્યારથી શરૂ કરીને ૧૯૯૯માં ‘મિડ ડે’ના તંત્રી તરીકેની જવાબદારી સંભાળી ત્યાં સુધીનાં મારાં દરેક પ્રકાશનમાં ભિન્નમત ( dissent) નું મહત્ત્વ મેં જેટલું સ્વીકાર્યું છે એટલું મારા કોઈ કન્ટેમ્પરરીઓએ કે અનુગામીઓએ અમલમાં મૂકવાની કોશિશ પણ નથી કરી. મને આ સંસ્કાર મારા મહાન પૂર્વસૂરિઓ ( તીર્થરૂપ હસમુખ ગાંધીથી લઈને ખુશવંત સિંહ) તરફથી મળ્યા છે. મારા લેખો પર મૂકાતી દરેક કમેન્ટ હું વાંચું છું અને હું જ મોડરેટ કરું છું. જો કોઈ કમેન્ટ અપ્રુવ ન થઈ હોય તો એનું કારણ વિરોધ નહીં પણ એની ભાષા, રજુઆત મારા માટેનો ડંખીલો પૂર્વગ્રહ કે અપ્રસ્તુતા હોય. આ સિવાય અન્ય કોઈ પણ કારણથી મેં મારી ટીકા કરતી, મારો કાન આમળતી કે મારી સાથે પોલાઇટલી કે પછી ઉગ્રતાપૂર્વક અસહમત થતી કમેન્ટ મંજૂર ન કરી હોય એવું બન્યું નથી.

      • નિખાલસ અને અભિયાન મારા પ્રિય હતા. આજે અભિયાન માટીપગું લાગે છે, મારો અંગત મત છે.

        હવે થી દરેક લેખ પર પ્રતિભાવ નક્કી.

  14. लता दीदी कभी अमावस्या को रिकॉर्डिंग नही करती थी ! उनके बारे में जितना खोजा जाए उतना कम है , वो एक व्यक्ति से परे है , मुझे लगता है की संगीत में उनपे रीसर्च होना चाहिए और बक़ायदा थीसिस भी सबमिट होनी चाहिए ! सौरभ भाई में लता भक्त होने के नाते एक बात कहना चाहता हूँ की दीदी जिस तरह से साँस लेती थी गाने गाते वक़्त वो भी मेरे लिए एक पीस ओफ़ म्यूज़िक है …आप उनके एक गाने में वो कभी कभी सुन सकते है… वो गाना लेकिन का एक क्लासिकल गाना है , केसरिया बालमा..इस गाने में आख़िर में वो थोड़ा हाँफ जा रही है वो ,एक अप्रितम हिस्सा है, गाते गाते जब दीदी की सांस भर जाती है तो वो आवाज़ किसी भी सूर से कम नही ! सुनते समय सीधा परमात्मा से सम्बंध हो जाता है! दीदी का वो सूर आँठवा है 🙏

  15. આપના બધા જ લેખ સુંદર અને સ્વસ્થ હોય છે.શુકન-અપશુકન માં મજા આવી

      • ખુબ સરસ લેખ મજા પડી વાંચવાની અને વાગોળવાની … વાહ કલમ …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here