કેજરીવાલના તિહારગમન વખતે (કેજરીવાલની કલંકકથા-14): સૌરભ શાહ

( ‘ન્યુઝવ્યુઝ’, Newspremi. com: ગુરુવાર, 6 માર્ચ 2025)

(કેજરીવાલની કલંકકથા આગળ વધે એ પહેલાં આ બંને લેખો એક સાથે વાંચી લેવા. લખ્યા તારીખ લેખના અંતે મૂકી છે.)

કેજરીવાલે કહ્યું છે કે દેશની સેવા કરવા માટે પોતે જેલમાં જાય છે. આપણે શુભેચ્છા આપીએ કે તેઓ આજીવન આ જ રીતે દેશસેવા કરતા રહે. એટલું જ નહીં ગુજરાત સહિત દેશભરના તમામ આપિયાઓને પણ પોતાની પાસે બોલાવી લે અને સૌ કોઈને દેશસેવા કરવાનો ચાન્સ આપે.

અરવિંદભાઈ અને એમની આમ આદમી પાર્ટી ચાર પાયા પર ઊભી થયેલી છે:

૧. બેફામ આક્ષેપો કરવા. રોજેરોજ કરવા. ટ્રક ભરીને પુરાવાઓ છે એવા દાવા કરવા. હજારમાંથી કોઈ એક કેસમાં કોર્ટમાં માફી માગવી પડે તો માગી લેવાની અને ફરીથી મવાલીગીરી શરૂ કરી દેવાની.

૨. પોતાની ચોરી પકડાઈ જાય ત્યારે પોતે ગરીબ, બિચારા, નિઃસહાય છે અને સાચા માણસોનો જમાનો જ નથી રહ્યો એવું કહીને વિક્ટિમ પ્લે કરીને લોકોની સહાનુભૂતિ ઉઘરાવવાની.

૩. નવટાંક પીને પાશેરની ધમાલ કરવાની. દેખાડા માટેનું એક કામ કરીને પ્રચાર એવો કરવાનો કે આવા બીજા એક હજાર કામ કર્યાં છે. એટલું જ નહીં, બીજાઓએ કરેલાં કામનો જશ પોતે ખાટી જવાનો. પોતાની ભૂલ, અણઆવડત, બદમાશીને કારણે સર્જાતી અંધાધૂંધીના દોષનો ટોપલો બીજાઓના માથે સરકાવી દેવાનો.

૪. ઉપરના ત્રણ ઉદ્દેશ સિદ્ધ કરવા માટે પોતાના હાથમાં જેટલા પૈસા આવ્યા હોય તેમાંથી એકબીજામાં વહેંચી લીધા પછી જે કંઈ વધે તે બધા મીડિયામાં વહેંચી દેવાના. ‘આપ’ના ફંડિંગથી ચાલતી ટીવી ચૅનલો, ‘આપ’ની જાહેરખબરોના પૈસા કમાતા બાકીના મીડિયા, યુટ્‌યુબરો, છુટમુટ પત્રકારો ક્યારેય ‘આપ’નાં પાપ વિશે એક શબ્દ ઉચ્ચારતા નથી. બહુ થાય ત્યારે લવિંગ કેરી લાકડીએ મારીને પોતાના દર્શકો/વાચકો આગળ તટસ્થ-નિરપેક્ષ હોવાનો દેખાડો કરી લે.

એક બહુ જાણીતી વાત છે : તમે બધા લોકોને થોડાક સમય માટે ઉલ્લુ બનાવી શકો, થોડાક લોકોને કાયમ માટે ઉલ્લુ બનાવી શકો પણ બધાને બધો વખત મૂરખ ના બનાવી શકો. કેજરીવાલ માને છે કે પોતે બધાને આજીવન ચૂમટિયા બનાવી શકશે.

પણ કેજરીવાલના અને ‘આપ’ના પાપનો ઘડો ઓવરફ્લો થઈ ગયો છે. મોદી 3.0નાં પાંચ વર્ષ દરમિયાન કેજરીવાલ કાળની ગર્તામાં ધકેલાઈને ભુલાઈ જશે. ‘આપ’ વેરવિખેર થઈને કોઈ નવા સ્વરૂપે દેશમાં અરાજકતા અને અંધાધૂંધી ફેલાવવાનો પોતાનો એજન્ડા ચાલુ રાખશે. એક વાત છે— કેજરીવાલ જેવો એક સર્વોચ્ચ કોક્રોચ મોદીના બેગોન સ્પ્રેથી તરફડીને સ્વધામ પહોંચી જશે એ પછી ‘આપ’ની ગટરમાંથી બીજી દસ વાંદીઓ મૂછો ફરકાવતી બહાર આવશે. સરકારે પેસ્ટ કન્ટ્રોલનો કાર્યક્રમ અવિરત ચાલુ રાખવો પડશે.

કેજરીવાલના કૌભાંડો અને ‘આપ’ના તોફાનો માટે આપિયાઓ જેટલા જ જવાબદાર ‘આપ’ના ગલુડિયા મીડિયા છે. ટાઈમ્સ-નાઉના જાંબાઝ પત્રકાર સુશાંત સિંહાએ ‘પાઠશાલા’માં કેજરીવાલના શીશમહેલને એક્સપોઝ કરીને દિવસો સુધી એક્સક્લુઝિવ સમાચાર આપ્યા— ક્યાં કેટલા કરોડ ખર્ચાયા એના દસ્તાવેજો આપ્યા, કેવી રીતે એક કરતાં વધુ સરકારી બંગલા માટેના પ્લોટ ભેગા કરીને વિશાળ શીશમહેલ બનાવવામાં આવ્યો, સરકારના કેટલા નિયમો તોડવા-મરોડવામાં આવ્યા એ બધી જ વિગતો સુશાંત સિંહા ચોકસાઈપૂર્વક આપતા રહ્યા. પણ ભાગ્યે જ કોઈએ કેજરીવાલના ઊડીને આંખે વળગે એવા આ કરપ્શનને પ્રસિદ્ધિ આપી. કોઈ મીડિયાવાળાએ કેજરીવાલની બોચી ઝાલીને શીશમહેલ વિશે સવાલ નથી કર્યો.

આવું જ સ્વાતિ માલિવાલના કિસ્સામાં બન્યું. સ્ત્રીસશક્તિકરણના બણગાં ફૂંકતાં મીડિયાનાં સલીમ-અનારકલીઓએ ‘આપ’નાં સાંસદ સ્વાતિ માલિવાલની સી.એમ.હાઉસના દીવાનખંડમાં સીએમના પર્સનલ સેક્રેટરી દ્વારા થયેલી મારપીટ વિશે એક હરફ નથી ઉચ્ચાર્યો. કલ્પના કરો કે ભાજપશાસિત રાજ્યના મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનમાં કોઈ સ્ત્રી સંસદસભ્યની આ રીતે પિટાઈ થઈ હોત તો મીડિયાએ એ વાતને કેટલી ચગાવી હોત? દિવસરાત એ જ ઘટનાની રીલ રિપીટ કરી કરીને બતાવવામાં આવતી હોત અને મુખ્યમંત્રી રાજીનામું આપે એવી હેડલાઈનો વાંચીને અને સાંભળીને આપણું માથું પાકી ગયું હોત અને આપણે પણ માનતા થઈ ગયા હોત કે ભલે ભાજપનો મુખ્યમંત્રી હોય, પણ એણે રાજીનામું આપી દેવું જોઈએ— નકામું મોદીનું નામ ખરડાય છે.

કેજરીવાલના મીડિયા મૅનેજમેન્ટની કેટલી ઊંડી અસર કેવા કેવા લોકો પર પડે છે તેનો એક દાખલો આપું. મારા અંગત મિત્રો-વડીલોમાં મોદીને સમર્થન ન આપતા હોય એવા સ્વજનો પણ છે. એમાંના એક સ્વજન મને પૂછે છે કે શું મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે? ખેર, આવો સવાલ પૂછાય ત્યાં સુધી તો વાંધો નહીં પણ જ્યારે તેઓ કહે છે કે કેજરીવાલે દિલ્હીમાં પ્રાઇવેટ ઇન્ટરનૅશનલ સ્કૂલો જેવી સરકારી શાળાઓ બનાવી છે ત્યારે મને આશ્ચર્ય થાય અને આઘાત પણ લાગે.

કેજરીવાલના ખાડે ગયેલા દિલ્હીશાસનમાં દેખાડાની એક જ એવી સ્કૂલ બની છે. એમની બાકીની તમામ સ્કૂલો કરતાં ગામમાં ગાયો બાંધવાની ગમાણ વધારે રમણીય લાગે. એવી જ હાલત બહુ પ્રચાર પામેલા મહોલ્લા ક્લિનિકની છે. વીજળી મફત છે, બિલ ઝીરો આવશે પણ વીજળી આવે તો ને? વીજળીની અછત છે. બસમાં ટિકિટ લીધા વિના પ્રવાસ કરી શકાય છે પણ બસોની હાલત કેવી છે? જે સારી બસો છે તે તો બધી કેન્દ્ર સરકારે આપેલી છે. આરોગ્યની સારી સેવાઓ આપતી હૉસ્પિટલોમાં ઝીરો બિલની સગવડ છે પણ આ હૉસ્પિટલો કેન્દ્ર સરકારે બાંધેલી છે, કેન્દ્ર સરકાર તે ચલાવે છે અને કેન્દ્ર સરકાર જ તમામ ખર્ચ ભોગવે છે. પાણી મફત છે. પણ આવે છે ક્યાં? ટૅન્કર લૉબીની સાંઠગાંઠથી કમાણી થાય છે અને દિલ્હી જાણે બિહારનો કોઈ પછાત વિસ્તાર હોય એ રીતે પાણી માટે ટળવળતા સ્થાનિક લોકો ટૅન્કરની પાછળ પાછળ ઘડા લઈને દોડે છે. યમુનામાં જળસ્તર નીચે ગયું છે એટલે પાણી ફિલ્ટર થઈ શકતું નથી, આખા દિલ્હીને પહોંચી શકતું નથી. આના માટે જવાબદાર કોણ? તો કહે : હરિયાણા સરકાર. યમુનાનું પ્રદુષણ હજૂય દૂર નથી થયું. આના માટે જવાબદાર કોણ? તો કહે : ઉત્તર પ્રદેશ ઔદ્યોગિક કચરો ઠાલવે છે એટલે. બધી બાબતે હાથ ઊંચા કરી દેવાના.

ફલાણું ખરાબ થયું. જવાબદારી કોની? કેન્દ્ર સરકારના નૉન-કોઓપરેશનની. ઢીકણું સારું થયું. જશ કોનો? કેજરીવાલની ‘આપ’ સરકારની કાર્યક્ષમતાનો. જમવામાં જગલો અને કૂટવામાં ભગલોના સિદ્ધાંતે કેજરીવાલે દિલ્હીની રાજ્યસરકારનું રેઢિયાળ શાસન કર્યું છે.

દેશના લોકોને ગુમરાહ કરવામાં, દેશમાં અરાજકતા ફેલાવવામાં અને એક પછી એક નીતનવા કૌભાંડો કરતાં રહીને દેશની તિજોરીને ખાલી કરી નાખવાના પ્રયાસોમાં કેજરીવાલનો અને ‘આપ’ના નેતાઓ-કાર્યકર્તાઓનો જોટો જડે એમ નથી.

આવા કેજરીવાલ ગઈકાલે શીશમહેલમાંથી નીકળીને કોર્ટના આદેશથી તિહારમાં જમા થવા જતી વખતે પિતાને પગે લાગતા હતા ત્યારે મારામાં રહેલો સુષુપ્ત કવિ જાગૃત થયો અને દિલમાંથી આ હૃદયદ્રાવક પંક્તિ ફૂટી:

બાબુલ કી દુઆએં લેતા જા,
ના તુજકો તિહાડ મેં માર પડે.
નોટોં કા કભી ના પહાડ મિલે,
ના તુજ તક કોઈ સુરાગ મિલે.

કેજરીવાલને તિહારમાં રૂબરૂ મળીને શુભેચ્છાઓ આપવી હતી પણ એટલો સમય નથી મળવાનો એટલે અહીં જ એ શુભેચ્છા આપી દઈએ :

મૈયકે કી કભી ના યાદ આયે,
સસુરાલ મેં ઈતના પ્યાર મિલે.

(સોમવાર, 3 જૂન 2024)

***

મોદીને મત નથી આપવો? વાંધો નહીં —વિકલ્પ નંબર બે છે-કેજરીવાલ : સૌરભ શાહ

તમે જો મોદીને વોટ ન આપવા માગતા હો તો વાંધો નહી, તમારી પાસે બીજા વિકલ્પો છે.

તમે અરવિંદ કેજરીવાલને જીતાડી શકો છો. કેજરીવાલ વડાપ્રધાન બનશે એટલે આખા દેશને મફત વીજળી, મફત પાણી, મફત રાશન, મફત શિક્ષણ, મફત શરાબ, મફત બધું જ આપશે. દેશના એક પણ નાગરિકે કમાવવાની ચિંતા નહીં રહે. દરેકને ઘેરબેઠાં બધું જ મફતમાં મળી જશે. અને કેજરીવાલની ટર્મ ૨૦૨૯માં પૂરી થશે ત્યાં સુધીમાં દેશની આર્થિક હાલત વેનેઝુએલા જેવી થઈ ગઈ હશે .

યાદ છે, વેનેઝુએલામાં શું થયું છે? ૨૦૧૬માં એ દેશમાં ૨૭૪% જેટલો ફુગાવો હતો. ત્યાંનો શાસક કેજરીવાલનો કઝિન છે. એણે સત્તા મેળવવા અને ટકાવવા ફ્રી-ફ્રી-ફ્રીની સ્કીમો શરૂ કરી. ૨૦૧૭માં ફુગાવો વધીને ૮૬૩% થયો અને ૨૦૧૮માં ૧.૩૦ લાખ ટકા. ૨૦૧૯માં વેનેઝુએલામાં ફુગાવાનો દર ૧ કરોડ % જેટલો હતો.

ભારતમાં કેજરીવાલની આર્થિક નીતિઓનાં પરિણામ આના કરતાંય વધારે ભયંકર આવશે. કેજરીવાલ ભારતને બરબાદ કરવા માગતી જ્યોર્જ સોરોઝ જેવી અનેક વિદેશી તાકાતોનું મોહરું છે. પ્રામાણિકતાના અવતારનો દેખાડો કરીને આવેલા કેજરીવાલે વીતેલા દાયકામાં પુરવાર કર્યું છે કે એમના જેટલો જુઠ્ઠો અને ભ્રષ્ટાચારી રાજકારણી ભારતે હજુ સુધી જોયો નથી. કેજરીવાલની જૂઠ-ભ્રષ્ટ નીતિઓના પાયા પર ઉભી થયેલી એમની પાર્ટીના નેતાઓ અને કાર્યકરો કેજરીવાલને પોતાનો આદર્શ નેતા માને છે . એમાં એમના ગુજરાતી જમુરાઓ પણ આવી ગયા.

કોરોના વખતે કેજરીવાલે મોદી સરકારને બદનામ કરવા ઑક્સિજનની તંગીનું જુઠ્ઠાણું ચલાવ્યું. કેજરીવાલે ઑક્સિજનની ટાંકીઓ કાળા બજારમાં વેચી. કેજરીવાલે પોતાના બાળકોના માથા પર હાથ રાખીને સોગંદ લીધા હતા કે એ ક્યારેય રાજકારણમાં નહીં આવે. રાજકારણમાં આવ્યા પછી એમણે સોગંદ લીધા હતા કે ક્યારેય મોટા ગાડી-બંગલા કે લાલ બત્તીવાળી વીઆઈપી સગવડો અને સિક્યુરિટી નહીં વાપરે – વેગન આર જેવી સાદી ગાડી અને બે-ત્રણ બેડરૂમનો ફ્લેટ વાપરશે. કેજરીવાલે આઠ લાખનું કમોડ ધરાવતો ૪૫ કરોડનો શીશમહેલ સરકારી ખર્ચે પોતાના માટે બનાવ્યો. કેજરીવાલ જ નહીં એમનાં પત્ની સુનીતા પણ લાલ બત્તીવાળી પંદર ગાડીઓના કાફલા સાથે રૂવાબથી ફરે છે. કેજરીવાલ પોતાની નાનીને ક્વોટ કરીને કહે છે કે અયોધ્યાનું રામ મંદિર અપવિત્ર જગ્યા છે. પછી પવન પલટાતો જોઈને જાહેર કરે છે કે દિલ્હીવાસીઓને સરકારી ખર્ચે અયોધ્યાની જાત્રા કરાવવા લઈ જશે. સરકારી તિજોરી ખાલી કરીને કેજરીવાલ કેન્દ્ર સરકારનો વાંક કાઢે છે કે મોદી અમને પાઈપાઈ માટે તડપાવે છે.

કરપ્ટ અને રાજ કરવામાં અસમર્થ એવા તિહારવાસી કેજરીવાલને શાસનમાં નહીં અરાજકતા ફેલાવવામાં રસ છે. એ જ એમનો, એમની પાર્ટીનો અને આપિયાઓનો એજન્ડા છે. વ્યવસ્થાતંત્રમાં તોડફોડ કરો. લોકોનું ધ્યાન બીજે દોરો અને પોતાનાં ગજવાં ભરો.

સતત ફેક ન્યુઝ દ્વારા લોકોના મગજને ભરમાવાની નીતિરીતિ આપની ફિલોસોફી છે. રોજ તથાકથિત પ્રેસ કૉન્ફરન્સો કરીને, છાપા-ટીવીમાં કરોડો રૂપિયાની જાહેરખબરો આપીને અને તદ્દન બેશરમ બનીને સતત મસમોટાં જુઠ્ઠાણાં ફેલાવીને કેજરીવાલ અને એમના પિઠ્ઠુઓ ભારતમાં સિવિલ વૉર સર્જવાના એજન્ડાને છુપી રીતે આગળ વધારી રહ્યા છે. શાહીનબાગ, દિલ્હી ૨૦૨૦ રાયટ્સ અને ફાર્મર્સ આંદોલનને કેજરીવાલનો અને એમના પિઠ્ઠુઓનો સક્રિય ટેકો હતો.

શીશ મહેલ અને શરાબ કૌભાંડ તો પાશેરામાં પહેલી પૂણી છે. ૨૦૨૪માં કેજરીવાલની પાર્ટી ભારતની સત્તા સંભાળશે એ પછી હિમશિલાનો બાકીનો ૯૦ ટકા હિસ્સો તમને જોવા મળશે. ઝાડુના નિશાનવાળા બટનને દબાવીને ભારતનો વિનાશ થતો જોવાનું તમારું સપનું હોય તો જરૂર એમ જ કરજો—કેજરીવાલ જેની કઠપૂતળી છે એ વિદેશી તાકાતો તમારી સદાય ઋણી રહેશે .

***
(સોમવાર, 6 મે 2024)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here