જે પ્રેમ પામવા જતાં જિંદગી આખી ખોરવાઈ જાય એ પ્રેમનું આપણને શું કામ : સૌરભ શાહ

(તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૨૨ જાન્યુઆરી ૨૦૨૩)

પ્રેમમાં ખુવાર થઈ જવાની, મરી મિટવાની, ફના થઈ જવાની વાતો કલ્પનાજગત માટે, નવલકથા – ફિલ્મો માટે રોમાંચક છે. રિયલ લાઈફમાં આવી ભાવના ધરાવતા લોકો પોતાની જિંદગી બરબાદ કરી નાખતા હોય છે. પ્રેમ વિશે સુષ્ઠુ સુષ્ઠુ અને વાયડું, બાયલું, ચાંપલું તથા વેવલું લખવાનું અમને ફાવતું નથી.

જે પ્રેમ પામવા જતાં જિંદગી પોતે જ બરબાદ થઈ જવાની હોય તો એ પ્રેમનો શું અર્થ—આવું હું બેત્રણ દાયકા પહેલાં લખી ચૂક્યો છું અને હજુય માનું છું. પ્રેમ વિશેની કેટલીક ભ્રમણાઓ જીવન માટેની પ્રાથમિકતાઓ કઈ કઈ છે તે નક્કી કર્યા પછી સહેલાઈથી તૂટી જતી હોય છે. તમારી ઢંકાયેલી ખૂબીઓને પ્રગટાવવામાં જે ઉદ્દીપક તરીકેની, કૅટલિસ્ટ તરીકેની ફરજ બજાવી શકે તે ખરો પ્રેમ. જે પ્રેમને કારણે તમારું જીવન ખોરવાઈ જતું હોય, તમારી રોજબરોજની જિંદગી, તમારાં અગત્યનાં કાર્યો, પાટા પરથી ઉથલી પડતાં હોય તો એ પ્રેમ વિશે તમારે પુનર્વિચાર કરવો પડે. પ્રેમ કરવાને કારણે કે તમે પ્રેમમાં છો એ હકીકતને કારણે તમે તમારું રોજિંદું કામ વધારે સારી રીતે કરી શકો છો કે નહીં? આ સવાલ સાચા પ્રેમની કસોટી છે. જો હા, તો તમે સાચા માર્ગે છો. તમારો પ્રેમ સાચો છે, જે પ્રેમ તમને જીવનમાં ઉપયોગી નીવડે છે, જીવનમાં આગળ લઈ જાય છે, જીવનનાં અન્ય કાર્યો કરવા માટે જે પ્રોત્સાહન આપે છે, સહાયભૂત થાય છે તે પ્રેમ પુણ્યશાળી છે.

જે પ્રેમ પામવા માટે તમારે જિંદગી નીચોવાઈ જાય એવો સંઘર્ષ કરવાનો હોય, જિંદગી તબાહ થઈ જાય એવાં વિઘ્નોનો સામનો કરવાનો હોય એવા પ્રેમ વિશે નવલકથામાં વાંચીને કે ફિલ્મોમાં જોઈને થ્રિલ મેળવી લેવાની, પણ સમજવાનું કે જેમ ફિલ્મના હીરોની માફક તમે તમારી રિયલ લાઈફમાં એકલે હાથે ચાર ગુંડાઓનો સામનો નથી કરી શકવાના કે ચાલતી ટ્રેને તમે તમારી પ્રેમિકાને બચાવવા ભુસકો મારશો તો એને પામવાને બદલે મરશો નહીં તો છ મહિના ખાટલામાં ગાળશો એવું જ પ્રેમની બડી બડી બાતાંનું હોય છે. જે વ્યક્તિ તમારી જિંદગી સાથે ગોઠવાઈ શકે એમ નથી એ વ્યક્તિને પામવાના સતત સંઘર્ષ અને પરાક્રમોમાં તમારો પ્રેમ ભલે યથાવત્ રહે, પણ તમારું કામ, તમારી કરિયર, તમારા જીવનના હેતુઓ, લક્ષ્યો, આદર્શો, સપનાંઓ – બધું જ ધીમે ધીમે ખોરવાઈ જતું હોય છે અને થોડો વધુ સમય જાય એટલે ખુદ પેલો પ્રેમ પણ ખોરવાઈ જતો હોય છે, ઓગળી જતો હોય છે. જીવનની સાથે વેરવિખેર થઈ જતો હોય છે.

માણસનું કામ – એ જે ક્ષેત્રમાં કાર્યરત છે તે ક્ષેત્રને લગતું કામ – માત્ર એની ભૌતિક ઈચ્છાઓ સંતોષવા નથી થતું. પોતાનામાં પડી રહેલી શક્યતાઓને ઉઘાડવા માટે પણ માણસ નવાં નવાં કામ હાથમાં લઈને નવા પડકારો ઉપાડી લેવાનું પસંદ કરતો હોય છે. પ્રેમ કરવા રોકાઈ જશો તો આ પડકારોને પહોંચી વળવાની ગતિ થંભી જવાની. ખરેખર તો પ્રેમ કરવા રોકાવાનું જ ન હોય. પ્રેમ જિંદગીની પ્રગતિનો એક અનિવાર્ય હિસ્સો બની જાય એ પછી એ તમને રોકી રાખવાને બદલે વધુ ને વધુ આગળ જવા પ્રોત્સાહન આપતો રહે છે, જે પ્રેમ એ પ્રેમ કરવા સિવાયની ક્ષણોને પણ સમૃદ્ધ બનાવે એ ખરો પ્રેમ.

પ્રેમની પ્રત્યક્ષ ક્ષણો કેટલી જીવનમાં? પ્રિય પાત્રની સાથે સતત રૂબરૂ સંપર્કની કે વૉટ્સઍપ પરના ચૅટિંગની કે સ્કાઈપ કે ફેસટાઈમ પરની કુચીકુચીકુ વાતોની ક્ષણો કેટલી જીવનમાં? આ પ્રત્યક્ષ ક્ષણોમાં મળેલી સમૃદ્ધિ જીવનના બાકીના સમયમાં છલકાવી જોઈએ. રોજ તમે એને આ રીતે કલાક બે કલાક મળ્યા તો બાકીના બાવીસ કલાકમાં એ બે કલાક દરમિયાન પ્રાપ્ત થયેલી સુગંધ પ્રસરી જવી જોઈએ. અઠવાડિયે એક જ વખત મળ્યા તો બાકીના છ દિવસમાં અને મહિને, કે પછી ‘સેમ ટાઈમ નેક્સ્ટ યર’ નાટકની જેમ વર્ષે એક મળ્યા તો બાકીના ૨૯ દિવસ દરમિયાન કે બાકીના ૩૬૪ દિવસ દરમિયાન એ મહેક પ્રસરતી રહેવી જોઈએ. કારણ? કારણ કે પ્રેમ માટે જિંદગી નથી, જિંદગી માટે પ્રેમ છે. જીવનને વધુ સમૃદ્ધ બનાવવા માણસના મનમાં, હૃદયમાં પ્રેમની લાગણી જન્મે છે, એ લાગણીને સંતોષવાની ઈચ્છા જન્મે છે. જિંદગીના મેઈન્ટેનન્સ માટે, એની જાળવણી માટે પ્રેમ અનિવાર્ય છે.

આ અનિવાર્યતા પર વધુ પડતો ભાર મૂકી દે છે લોકો, કારણ કે પ્રેમ વિષેની આપણી સમજ ભૂલભરેલી થઈ ગઈ છે. પ્રેમના મહત્ત્વ વિશે આપણે ગરબડ કરી નાખીએ છીએ. પ્રેમ ખાતર આખી જિંદગી દાવ પર લગાડી દઈએ છીએ. પ્રેમની ક્ધસેપ્ટને વધુ પડતી રોમેન્ટિક સાઈઝ્ડ કરી નાખવાથી આવા વિચારો જન્મે છે, જેમ ખોરાકનું મહત્ત્વ જિંદગીમાં છે એ જ રીતે પ્રેમનું મહત્ત્વ જિંદગીમાં છે. જીવવા માટે ખાઈએ છીએ આપણે. ખાવા માટે નથી જીવતા. મરેલા માણસના ઘરમાં અન્નના કોઠાર પણ ભરેલા હોય તો તે એના માટે શું કામના. પ્રેમ પામવા જતાં જિંદગીથી હાથ ધોઈ બેસવાના હો તો એ પ્રેમ પામીને શું ફાયદો?

એક મરાઠી ફિલ્મ આવા હતી —‘સૈરાટ’. એમાં બે અમીર-ગરીબ પ્રેમીઓ કુટુંબ સામે બંડ પોકારીને નાના ગામમાંથી ભાગી જાય છે. ગરીબ અને દલિત છોકરાને સવર્ણ અને અમીર છોકરીનો પાવરફુલ પિતા ઢોર માર મરાવે છે. પિસ્તોલ ધરાવતા મારાઓ પણ મોકલે છે. ખોટા રેપ કેસમાં ફસાવવાની પણ કોશિશ કરે છે. છેવટે બેઉ, ભારે સંઘર્ષ પછી હૈદરાબાદ નાસી જાય છે. બદબૂદાર ઝૂંપડપટ્ટીમાં નવું જીવન શરૂ કરે છે, ઝઘડા પણ કરે છે. પછી કોર્ટમાં પરણી જાય છે. પેલો ડોસા-ઈડલીની લારીએ કાંદા સમારીને તો પેલી ફ્રુટી-બિસ્લેરીના પ્લાન્ટમાં મજૂરણ તરીકે નોકરીઓ કરે છે. વખત જતાં પેલી સુપરવાઈઝર બને છે, પેલો સ્કૂટરના શો રૂમના સર્વિસ સ્ટેશનમાં નોકરી લે છે. બેઉની સંયુક્ત આવક રૂપિયા ચાળીસ હજાર થાય છે. બાળક જન્મે છે. છોકરીને ઘરવાળા બહુ યાદ આવે છે, ગામની બહેનપણીઓ અને ભાઈ, મા, બાપ. પણ પોલિટિશિયન બાપ પોતાનું નાક કાપનારી છોકરીને ધિક્કારે છે. પંથકમાં આબરૂ ગયા પછી નેકસ્ટ વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયો છે. ફ્રસ્ટ્રેટેડ બાપને જ્યારે ખબર પડે છે કે દીકરી-જમાઈ ક્યાં રહે છે ત્યારે એ પોતાના દીકરાને મીઠાઈ, દાગીના, કપડાં વગેરે લઈને છોકરીને ત્યાં મોકલે છે. સાથે બીજા ત્રણ ઘરના કહેવાય એવા વિશ્ર્વાસુ માણસો પણ છે જેને છોકરી ઓળખે છે. છોકરી બધાને આવકારે છે. છોકરો નોકરી પરથી આવે છે. બધાને ચા પીવડાવે છે. નાનું બાળક બાજુમાં રમવા ગયું છે. છોકરીના પિતાએ મોકલેલા ચાર જણ આ નવદંપતીની હત્યા કરીને રફુચક્કર થઈ જાય છે. નાનું બાળક રમીને પાછું આવે છે. લોહીના ખાબોચિયામાં એનાં પગલાં પડે છે. એ નાની નાની લાલ પગલીઓ સ્ક્રીન પર દેખાય છે અને ફિલ્મનો અંત આવે છે.

અગાઉની હિન્દી ફિલ્મોમાં હીરો-હીરોઈન આપઘાત કરતાં, તો ક્યારેક હીરોને હીરોઈનનો બાપ ઠાર કરતો ને હીરોઈનની હત્યા હીરોનો બાપ કરતો. ઘણી વાર તમે જોયું છે આવું.

પેલા નાનપણમાં જ અનાથ થઈ ગયેલા બાળક ઉપરાંત છોકરા-છોકરીનાં માબાપોએ પોતપોતાનાં વહાલસોયાં સંતાનો ગુમાવ્યાં, મિત્રોએ-બહેનપણીઓએ ઉમદા દોસ્તાર તથા પ્રેમાળ સખી ગુમાવી અને હીરો-હીરોઈને તો પોતાની જિદમાં, હઠમાં ખૂબ સ્ટ્રગલ કર્યા પછી પણ જાન તો ગુમાવ્યો જ.

આવી સ્ટ્રગલ કોઈ ઉમદા કૉઝ માટે કરી હોય તો લેખે લાગે. જિંદગીમાં કંઈક બનવા માટે, કોઈ ઉચ્ચ ધ્યેય પામવા માટે ભણવામાં હોંશિયાર અને ક્રિકેટમાં પંથકનો બેસ્ટ ક્રિકેટર કાંદા સમારીને રોજી કમાય તો કંઈ ખોટું નથી. મહેલ જેવા ઘરમાં રાજકુમારીની જેમ ઉછરતી છોકરી પણ લાઈફમાં કંઈક અચીવ કરવા માટે ફેકટરીમાં મજૂરણની નોકરી કરીને રોજી મેળવે એમાં પણ કંઈ શરમ નથી.

પણ અહીં શું કામ તેઓ સ્ટ્રગલ કરે છે? એકબીજાનો પ્રેમ મેળવવા. શું કામ પરિવાર અને સમાજ સામે બગાવત કરે છે? એકબીજાનો પ્રેમ મેળવવા અને મળ્યું શું છેવટે? એમને જેની ખબર હતી તે જ. મોત. આવું જ થશે એનો અંદેશો તો એમને (તે સાથે ઑડિયન્સને પણ) ઈન્ટરવલ પહેલાં જ આવી ગયો હતો.

પ્રેમમાં ખુવાર થઈ જવાવાળી વાતો ફિલ્મો-નાટકો-નવલકથાઓ-કવિતાઓમાં શોભે. વાસ્તવિક જીવનમાં નહીં.

પ્રેમનું સ્થાન જીવનમાં કેટલામું છે?

પહેલું તો નહીં જ.

પાન બનારસવાલા

આ દુનિયા તમને એટલું નથી ધિક્કારતી જેટલું તમે ધારો છો.

– કોજિ સુઝુકી

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. એકદમ સાચી વાત છે પ્રેમ આપણો જીદગી મા આગળ વધવાનો + પોઈનટ હોવો જોઈ યે ના કે વીક બનાવે ને વેવલાા વેલા મા ધકેલે

  2. પ્રેમ ફક્ત સ્ત્રી – પુરુષ વચ્ચે જાતીય આકર્ષણથી જ થાય , તેવું નથી. તેના ઘણા સ્વરૂપો છે.
    મોદીજીના ભારતમાતા પ્રત્યેના પ્રેમે તેમને સર્વોચ્ચ પદે પહોંચાડ્યા છે.
    તો કટ્ટર સ્વરૂપના ધર્મપ્રેમે કેટલાયને આત્મઘાતી થઈ નિર્દોષોની હત્યા કરવાની કમત સુઝાડી છે.

  3. ખરી વાત છે.પ્રેમનું સ્થાન જીવનમાં પહેલું તૉ નથી જ.જીવનના ચાર પુરુષાર્થ શાસ્ત્ર માં કહ્યાં છે.ધર્મ,અર્થ,કામ અને મોક્ષ.
    આમા કામ એટલે સંસારનાં માણસો પર રખાતો પ્રેમ.આ પ્રેમ ફકત પ્રેમી માટે જ સમર્પિત નથી.તે માં બાપ , ભાઈ બહેન,મિત્ર તથાં પ્રેમી બધાંને સમર્પિત છે.
    જીંદગી જીવવા માટે પ્રેમ છે નહી કે પ્રેમ માટે જિંદગી છે.
    લેખ પ્રેમ લગ્ન કરનારાઓ માટે સમજવા લાયક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here