ગુલઝારે આજે આયુષ્યના નેવુંમા વર્ષમાં પ્રવેશ કર્યો : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ , ‘ન્યુઝપ્રેમી ડૉટ કૉમ’ : શુક્રવાર, ૧૮ ઑગસ્ટ ૨૦૨૩)

ગુલઝાર પોતે લખેલાં ફિલ્મી ગીતોની વાત કરવા માટે એક આખું પુસ્તક ભરાય એટલો લાંબો ઈન્ટરવ્યૂ આપે તો તમારી અપેક્ષા શું હોય? એમાં કમ સે કમ અડધી જગ્યા તો એમણે આર. ડી. બર્મન સાથે કરેલા કામ વિશે હશે. નસરીન મુન્ની કબીર સાથેની વાતચીતના પુસ્તક ‘જિયા જલે: ધ સ્ટોરીઝ ઑફ સૉન્ગ્સ’માં અડધો અડધ જગ્યાની વાત તો જવા દો, એક સ્વતંત્ર પ્રકરણ પણ આર. ડી. બર્મન માટેનું નથી. ‘મેરા કુછ સામાન’ની કેટલીક પ્રચલિત વાતો તથા પંચમ વિશેના થોડા છૂટાછવાયા ઉલ્લેખો સિવાય આ પુસ્તકમાં તમને ગુલઝાર-પંચમની જોડીએ કહેલી અનેક કમાલની ભીતરી વાતો જાણવા ન મળે એટલે પહેલે ધડાકે થોડીક નારાજગી જરૂર થાય. પણ પછી ખ્યાલ આવે કે આ પુસ્તકનું ટાઈટલ છેતરામણું તો નહીં કહીએ પણ અધૂરું જરૂર છે. ‘ધ સ્ટોરીઝ ઑફ કન્ટેમ્પરરી સૉન્ગ્સ’ એવું ટાઈટલ હોત તો ખ્યાલ આવી જાત કે આમાં એવરગ્રીન કે સદાબહાર નહીં, પરંતુ સમકાલીન સમયના, ‘નવા’ સંગીતકારો સાથેના કામની વાત છે. ‘નવા’ એટલે એ. આર. રહેમાન, વિશાલ ભારદ્વાજ, શંકર-અહેસાન-લૉય વગેરે.

નસરીન મુન્ની કબીરે અફકોર્સ, ૨૦૧૨માં ‘ઈન ધ કંપની ઑફ અ પોએટ’ નામની ગુલઝાર સાથેના અતિદીર્ઘ ઈન્ટરવ્યૂની બુક કરેલી જ છે જેમાં ગુલઝારની જિંદગી વિશે, એમની ફ્લ્મિ કારકિર્દી વિશે તથા એમણે લખેલી, દિગ્દર્શન કરેલી ફિલ્મો વિશે તેમ જ ફ્લ્મિો માટે લખેલાં ગીતો વિશે ઘણી વાતો કરી છે. આર. ડી. બર્મન વિશેની કેટલીક વિગતવાર વાતો એમાં છે.

અત્યારના પુસ્તકમાં બીજો એક મહત્ત્વનો અપ્રોચ ગુલઝારનાં ગીતોનું અંગ્રેજી ભાષાંતર છે. અનુવાદની પ્રક્રિયામાં જેમને રસ હોય એવા અભ્યાસુઓ માટે આમાં ખજાનો છે. ગુલઝાર જે રીતે પોતાની ફિલ્મી રચનાઓના ટ્રાન્સલેશનને અપ્રૂવ કરે કે એમાં નાના-મોટા પણ મહત્ત્વના ફેરફારો સૂચવે છે એ વાંચીને તમને ઘણું શીખવા મળે.

ગુલઝારસા’બનો જન્મ ૧૯૩૪માં. ૮૯ના થયા, આજે, ૧૮મી ઑગસ્ટે. આ ઉંમરે પણ ભરપૂર કામ કરે છે, પૂરેપૂરી ડિસિપ્લિનથી કામ કરે છે. નસરીન મુન્ની કબીર પ્રસ્તાવનામાં નોંધે છે કે અઠવાડિયાના છ દિવસ સાહેબ સવારે સાડાદસ વાગ્યે વાંચવા-લખવા માટે પોતાની ડેસ્ક પર ગોઠવાઈ જાય. બપોરે દોઢ વાગ્યા સુધી કામ ચાલે. કલાકના લંચ બ્રેક પછી ફરી કામ શરૂ થાય જે સાંજના છ સુધી ચાલે. એક સાથે અનેક પુસ્તકોનું કામ હાથમાં છે. કેટલીય ફિલ્મો માટે ગીતો લખવાનાં અસાઈન્મેન્ટ લીધેલાં છે. મુલાકાતીઓ આવતા રહે. ફોનની રિંગ વાગતી રહે.

આમ છતાં ગુલઝારસા’બ પાસે નસરીન મુન્ની કબીરની આ બુક માટે ફાળવવા જેટલો સમય છે. નસરીનજી લંડન રહે છે. રૂબરૂ મળ્યા વિના પંદરથી વધુ સેશન્સ ડિજિટલી રેકૉર્ડ થાય છે. દરેક સેશન બેથી અઢી કલાકની. મેનુ સ્ક્રિપ્ટ તૈયાર થયા પછી નિરાંતની રૂબરૂ મુલાકાત દરમ્યાન જરૂરી ફેરફારો-સૂચનોની આપલે થાય છે. ક્યારેક થાય કે આટલા બિઝી માણસ કેવી રીતે આવો સમય ફાળવી શકતા હશે. હકીકત એ છે કે બિઝી માણસો પાસે જ દરેક કામ માટે પૂરતો સમય હોય છે. આળસુ માણસો પાસે ક્યારેય સમય હોતો નથી, એમની પાસે કામ ટાળવાનો એક સ્ટાન્ડર્ડ જવાબ હોય છે:

કાલે કરીશું, નેક્સ્ટ વીક રાખીએ, આ મહિનો જવા દઈએ… બિઝી માણસો બે કામની વચ્ચેના ગાળામાં, ચસોચસ ટાઈટ શેડયુલ વચ્ચે પણ સમય કાઢી જ લેતા હોય છે. નેવ્યાસીમા વર્ષે પણ વ્યસ્ત રહેવું હોય તો આ ગુરુચાવી આપી તમને.

ગુલઝાર કહે છે કે મણિ રત્નમ્ની ફિલ્મ ‘દિલ સે’ માટે એ. આર. રહેમાને પહેલવહેલી વાર લતા મંગેશકરનો અવાજ વાપર્યો. ‘જિયા જલે જાન જલે, નૈનોં તલે ધુઆં ચલે, ધુઆં ચલે…’ રહેમાનની ખાસિયત છે કે કોઈ પણ ગાયકે ગીત ગાવા માટે ચેન્નઈના એમના સ્ટુડિયોમાં આવવું પડે અને એ પણ મોડી રાત્રે ૧૯૯૭નું વર્ષ. લતાજી રહેમાન માટે રેકૉર્ડિંગ કરવા મુંબઈથી ઊડીને ચેન્નઈ ગયા. અગાઉ તેઓ ક્યારેય રહેમાનને રૂબરૂ મળ્યા નહોતા, રહેમાનના સ્ટુડિયોથી પરિચિત નહોતા. એમની સાથે ગુલઝારસા’બ હતા.

હવે વાત સાંભળજો, દોસ્તો. ખરેખર ક્રિયેટિવ હોય એવા માણસો કામની બાબતમાં ક્યારેય પોતાનો અહમ્ આડે નથી લાવતા એવો આ કિસ્સો છે. લતાજીનો અને ગુલઝાર’સાબનો પણ. લતાજીએ તો પુરવાર કરી દીધું કે પોતાનાથી મચ જુનિયર એવા સંગીતકાર માટે પોતે ગાવા જશે અને તે પણ છેક ચેન્નઈ સુધી, એવા સ્ટુડિયોમાં જેની સિસ્ટમથી તેઓ બિલકુલ પરિચિત નથી. અને તે પણ ક્યારે? જ્યારે એમણે બધું જ અચીવ કરી લીધું છે. ભારતરત્ન સહિતનું બધું. જ.

હવે ગુલઝારસા’બની મહાનતાની વાત આવે છે. રહેમાનના સ્ટુડિયોમાં તમે એન્ટર થાઓ એટલે તરત મોટું મિક્સિગં ડેસ્ક આવે જ્યાં રહેમાન પોતે હોય. અંદરની તરફ માઈક્રોફોન્સ સાથેનું નાનકડું સિંગર્સ બૂથ હોય. મણિ રત્નમ્ પણ આ રેકૉર્ડિંગમાં હાજર હતા. વાદ્યકારોની જરૂર નહોતી. એ ટ્રેક્સ પાછળથી સિંગરના ટ્રેક સાથે જોડાવાના હતા. રહેમાન પાસે ટયુન સમજી લીધા પછી લતાજી સિંગર્સ કૅબિનમાં જાય છે પણ ત્યાં પગ મૂકતાં જ ખબર પડે છે કે આ કૅબિનમાંથી મિક્સિંગ ડેસ્ક નજરે પડતી નથી. વિચ મીન્સ કે એમને રહેમાન દેખાતા નથી. લતાજી માટે આ એક બહુ મોટી સમસ્યા હતી, કારણ કે એમને ગીત રેકૉર્ડ થતું હોય ત્યારે સંગીતકાર એટલે કે કંપોઝર સાથે આઈ કૉન્ટેક્ટ કરવાની ટેવ હતી. (‘ઠીક જા રહા હૈ ના?’). એક રિહર્સલ પછી લતાજીએ ગુલઝારસા’બને સાઈડમાં બોલાવીને કહ્યું કે, ‘ગુલઝારજી, મને કશું દેખાતું નથી. બ્લાઈન્ડ હોઉં એવું લાગે છે.’

લતાજીને કદાચ આજુબાજુ કોઈ જોવા મળતું નહીં હોય એટલે પોતે કોઈ કાળકોઠડીમાં પુરાઈ ગયા હોય એવું પણ લાગતું હશે. હવે કરવું શું? દીવાલ ખસેડી શકાય નહીં, દરવાજો તોડી શકાય નહીં. ગુલઝારસા’બે એનો તોડ કાઢ્યો. સિંગર્સ કૅબિનના કાચના દરવાજા સામે એક નાનકડું સ્ટૂલ લઈને બેસી ગયા જ્યાંથી એક તરફ એમને રહેમાન દેખાય અને સામે લતાજી. રહેમાને ઍમ્બેરેસ થઈને ગુલઝારસા’બને કહ્યું પણ ખરું કે તમે શું કામ આ રીતે બેસો છો. કોઈ આસિસ્ટન્ટને બેસાડી દઈએ. ગુલઝાર કહે: નહીં, આયમ કમ્ફર્ટેબલ! અને આમ ગુલઝારસા’બ એ દિવસે (રાત્રે) લતાજી અને એ. આર. રહેમાન વચ્ચેના બાઉન્સિંગ બોર્ડ બન્યા.

મહાન માણસો, તમને લાગે કે, બહુ ઈગોઈસ્ટ હોય છે. પણ તેઓ જ્યારે ક્રિયેટિવ કામમાં ઈન્વોલ્વ હોય ત્યારે પોતાના ઈગોને નેવે મૂકીને જે સર્જન થઈ રહ્યું છે તેને શ્રેષ્ઠતાની સર્વોચ્ચ કક્ષાએ પહોંચાડવા માટે બધું જ કરી છૂટતા હોય છે. આવા લોકોની આવી નાની નાની વાતોમાંથી ઘણું ઘણું શીખવાનું હોય છે આપણે.

***

ગુલઝારસા’બ કહે છે કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આપણી પાસે એવા ગાયકો છે જેઓનું ગીત રેકૉર્ડિંગમાં પહેલા જ ટેકમાં ઓકે થઈ જતું હોય છે. લતાજી, આશાજી, સુરેશ વાડકર, સોનુ નિગમ અને અનુરાધા પૌડવાલનાં નામ ગુલઝારસા’બ આ યાદીમાં ગણાવે છે. આ બધા ગાયકો ગીતને પોતાના અક્ષરોમાં કાગળ પર લખીને ક્યાં પૉઝ આપવાનો છે, ક્યાં ભાર મૂકવાનો છે, ક્યો શબ્દ કેવી રીતે ગાવાનો છે, એ બધી નોંધ કરી લેતા હોય છે. પછી તેઓ ગીત રેકૉર્ડ કરવાનું શરૂ કકરે અને એક જ ટેકમાં ઓકે થઈ જાય.

અહીં મને ગુલઝારસા’બનું ગીત યાદ આવે છે જે મદનમોહને સ્વરબદ્ધ કરેલું, લતાજીએ ગાયેલું. ‘મૌસમ’ ફિલ્મમાં એ ગીત રેડિયો પર સંભળાતું હોય એ રીતે શર્મિલા ટાગોર પર ફિલ્માવવામાં આવ્યું છે. રુકે રુકે સે કદમ રુક કે બાર બાર ચલે… તમે ધ્યાનથી આ ગીત સાંભળજો. પહેલી જ પંક્તિમાં ત્રણ વાર રુકે/રુક શબ્દ રિપીટ થાય છે. પગલાંની અવઢવ, કઈ દિશામાં આગળ વધવું, એની વાત કવિએ પોતાના ખૂબસૂરત અને આગવા અંદાજમાં કરી છે. સોનામાં સુગંધ મળે એમ લતાજીએ એક જ પંક્તિમાં આવતા આ ત્રણેય એક સરખા શબ્દોને જે અંદાજથી ઉચ્ચાર્યા છે તે તમે જુઓ: પહેલી વાર ‘રુકે આવે છે ત્યારે ‘ર’નો ધ્વનિ તમને દોઢ ‘ર’ જેવો સંભળાશે, ‘ર્ રુકે’ જેવો. જાણે ચાલતાં ચાલતાં અવઢવ થતી હોય એવો લાગશે. પછીનો ‘રુકે’ શબ્દ (રુકે સે કદમવાળા ‘રુકે’માં) તમને પગલાં અટકી ગયા હોય એવી ફીલિંગ આપશે. અને ત્રીજીવાર રુક આવે છે (રુક કે બાર બાર ચલે) ત્યારે ‘રુક’માંનો ‘ક’ અડધો એટલે કે ‘ક્’ જેવો સંભળાશે જેથી ‘રુક’ પછીના ‘કે’ વચ્ચે નાનકડો, ક્ષણાર્ધ જેટલો પૉઝ આવે, જાણે અટકી પડેલાં પગલાં સહેજ ખમચાઈને ફરી પાછાં ઉપડતાં હોય. લતાજીની ગાયકીની આ કમાલ છે. માત્ર સ્વર દ્વારા તેઓ આખું ચિત્ર ઊભું કરે છે, કવિના દરેક શબ્દને સજાવે અને સંગીતકારની ટ્યુનને પૂરેપૂરો ન્યાય આપે.

લતાજી ‘જિયા જલે’ ગાઈને મુંબઈ પાછા આવી ગયાં પણ એ. આર. રહેમાન માટે હજુ આ ગીત અધૂરું હતું. એમાં બે અંતરા વચ્ચેનું સંગીત (ઈન્ટલ્યુડ મ્યુઝિક) ઉમેરવાનું હતું. રહેમાનનો ફોન આવ્યો: ‘ગુલઝારસા’બ, મેં બે અંતરા વચ્ચે મૂકવા માટે મેલ-ફિમેલના અવાજમાં રેકાર્ડિંગ કરી લીધું છે. શબ્દો મલયાલમમાં છે. તમે એનું હિંદી કરી આપશો?’

ગુલઝારે ફોન પર કહ્યું, ‘સંભળાવો.’ રહેમાને રેકૉર્ડિંગ સંભળાવ્યું: ‘પુચિરી તંજી કોં ચિક્કો (તારું નિર્મળ સ્મિત મને પુલકિત કરે છેે), મુન્તિરી મુતોલિ ચિંતિકકો (દ્રાક્ષ જેવા મીઠાં ચુંબનો) મંજાનિ વર્ના ચુંતારી વાવે (ઓ, મિઠ્ઠી, મિઠ્ઠી નાનકડી છોકરી) તંગિનક્કા તકાદિમિ આદુમ તન્કા નિલવે (સુવર્ણમય ચાંદનીની જેમ નૃત્ય કરતી) તન્કા કોલુસલૈ (શું તું જ મારું સુવર્ણ પાયલ છે?) કુરુકમ કુપિલૈ (શું તું જ ટહુકા કરતી કોયલ છે?) મારાના મયૈલલૈ? ઉમ તંગા નિલવ હોયે (શું તું જ નૃત્ય કરતો મોર છે?)

ગુલઝારને આ મલયાલમ શબ્દોનો જાદુ સ્પર્શી ગયો. એમણે કહ્યું, ‘આ ભાષા નહીં સમજનાર શ્રોતાને પણ આ શબ્દો સ્પર્શી જશે. તમે એને હિંદીમાં ટ્રાન્સલેટ કરાવવાને બદલે ઓરિજિનલ મલયાલમમાં જ વાપરો તો ગીત ઘણું યુનિક બનશે.’ ગુલઝારના આ સૂચનને રહેમાને માન્ય રાખ્યું. ઘણી વખત ગીતમાં ઓવરઑલ ઈમ્પેક્ટનું મહત્ત્વ વધારે હોય છે, શબ્દોનો અર્થ સમજ પડે તો તો સારું જ છે, ન સમજ પડે તો પણ એ શબ્દોના ધ્વનિથી સર્જાતું વાતાવરણ ગીતને યાદગાર બનાવતું હોય છે.

ગુલઝાર પોતે ગીતકાર છે પણ તેઓ દૃઢપણે માને છે કે ફિલ્મમાં ગીતની લોકપ્રિયતામાં સૌથી મોટો ફાળો એની ટ્યુનનો હોય છે

ગુલઝાર યાદ કરે છે કે ‘દિલ સે’ના એક અન્ય ગીત ‘ઐ અજનબી’માં ઉદીત નારાયણે રેકૉર્ડિંગ પૂરુંકરી લીધું એ પછી રહેમાને ફોન કરીને કહ્યું કે આ વખતે બે અંતરાની વચ્ચે કોરસ નહીં પણ સિંગલ ફીમેલ વોઈસમાં થોડાક શબ્દો જોઈએ છે, પણ એ શબ્દોમાં ‘પા’ ધ્વનિ હોવો જોઈએ. ગુલઝારે સજેસ્ટ કર્યું, ‘પાખી પાખી પરદેસી’. રહેમાન પૂછે કે આ શબ્દોનો કોઈ મીનિંગ થાય ખરો કે પછી માત્ર ધ્વનિ માટે જ તમે સજેસ્ટ કરો છો. ગુલઝારે સમજાવ્યું: ‘સંસ્કૃતમાં પાખીનો અર્થ પંખી થાય, બંગાળીમાં પણ પંખીને પાખી કહે છે.’ એની પાછળ પરદેસી શબ્દ મૂકીને કવિએ પરદેસી શબ્દ મૂકીને કવિએ નિર્દેશ કર્યો કે આ પંખી ઋતુ બદલતાં ઉડીને સ્થળાંતર કરતું પંખી છે, માઈગ્રેટરી બર્ડ છે. અર્થાત્ એક દિવસ એવો આવશે જ્યારે એ ઊડીને ફરી પાછું પોતાના વતનભેગું થઈ જશે. રહેમાન મહાલક્ષ્મી ઐય્યરના અવાજમાં આ શબ્દો રેકોર્ડ કર્યા અને તમે ‘દિલ સે’નું આલબમ સાંભળશો તો ‘જિયા જલે’ તથા ‘ઐ અજનબી’ ગીતોમાં આ જાદુગરી સાંભળી શકશો.

ગુલઝાર પોતે ગીતકાર છે પણ તેઓ દૃઢપણે માને છે કે ફિલ્મમાં ગીતની લોકપ્રિયતામાં સૌથી મોટો ફાળો એની ટ્યુનનો હોય છે. નૉર્મલ શ્રોતા પણ ગણગણી શકે એવી ધૂન પૉપ્યુલર થાય અને એ પછી ધ્યાન એના શબ્દો પર જાય. શબ્દો જાણવા મળે એટલે તમારા મનમાં એ ધૂન પાકેપાયે બેસી જાય. અને એક વખત શબ્દો હોઠે ચડી જાય એટલે તમને એ શબ્દોનો અર્થ જાણવાનું કુતૂહલ થાય. આમ એક પછી એક પગથિયાં પરથી તમે આગળ વધતા જાઓ.

‘દિલ સે’ના આઈકોનિક સૉન્ગ ‘ચલ છૈયા, છૈયા, છૈયા’ વિશે વાત કરતા ગુલઝાર કહે છે કે પ્રેમના છાંયે છાંયે આગળ વધવાની વાત આ ગીતમાં છે.

દુનિયાદારીના આકરા તાપથી બચવું હોય તો પ્રેમની શીળી છાયા નીચે ચાલતાં ચાલતાં આગળ વધવું પડે એવી સમજ ગુલઝારસા’બે આપી ત્યારે આપણામાં આવી. બાકી, અત્યાર સુધી તો આપણેે મલાઈકા અરોરાની લચકાતી કમર પર એટલું ધ્યાન આપતા હતા કે ગીતના શબ્દો શું કહેવા માગે છે તેની પરવા પણ નહોતા કરતા!

***

નસરીન મુન્ની કબીર પૂછે છે: ઘણા લોકો નેટ પર, ફેસબુક પર પોતાની કવિતાને તમારા નામે ચડાવીને વાયરલ કરતા હોય છે, ખરું ને?

ગુલઝારસા’બનાં ગીતોના નસરીન મુન્ની કબીર દ્વારા થઈ રહેલા અનુવાદની વાત કરતાં કરતાં નસરીન એમને પૂછે છે: નેટ પર, ખાસ કરીને યુ ટ્યુબ પર તમારાં ગીતોના ભળતા ભળતા અનુવાદો જોવા મળે છે. એ વાંચીને તમને ત્રાસ નથી થતો?

ગુલઝારસા’બ ઉદારતાથી કહે છે: કરવા દો ને. આપણું શું જાય છે એમાં? મારી પાસે એવો ફાજલ સમય નથી કે હું મારાં ગીતોના અનુવાદ કરવા બેસું. તો દરેક જણ પોતપોતાની સમજ પ્રમાણે અનુવાદ કરે તો ભલે કરે.

અને હવે નસરીન એક એવો મુદ્દો ઉખેળે છે જેનાથી આ લખનાર પોતે પણ વ્યથિત છે અને પર્સનલ વૉટ્સઍપ ગ્રુપમાં જ્યારે જ્યારે એ વાત આવી છે ત્યારે ગુલઝારસા’બના પગાર વિનાના ચોકીદાર તરીકે એમની ક્રિએટિવિટીનું રક્ષણ કરવાની યથાશક્તિ ફરજ બજાવી છે.

નસરીન મુન્ની કબીર પૂછે છે: ઘણા લોકો નેટ પર, ફેસબુક પર પોતાની કવિતાને તમારા નામે ચડાવીને વાયરલ કરતા હોય છે, ખરું ને?

ગુલઝાર: ફેસબુક પર જ નહીં, વૉટ્સઍપ પર પણ. ચિક્કાર ફેક કવિતા તમને જોવા મળશે. ઘણી વખત તો આવી ફેક કવિતા લોકો મને ફૉરવર્ડ કરતા હોય છે. એક મિત્ર તો જ્યારે જ્યારે આવી ફેક કવિતા ક્યાંક વાંચે કે તરત મને ફૉરવર્ડ કરીને અભિનંદન આપતા હોય છે. કેટલાક મિત્રોને નેટ પર બ્રાઉઝિંગ કરતી વખતે આવાં ફેક કાવ્યો દેખાય તો તરત મને ઈમેલ કરતા હોય છે. આવી 90 ટકા કવિતા મારી હોતી જ નથી. મને બહુ દુ:ખ થતું હોય છે લોકો આવું કરે છે ત્યારે. મારી કવિતામાંથી થોડાક શબ્દો ઉઠાવીને એની આસપાસ પોતાની કવિતા વણી લે જેને હું કવિતા કહેવાને લાયક પણ ગણતો નથી એટલી ખરાબ રીતે એ લખાયેલી હોય છે. મારી માત્ર એટલી જ વિનંતી છે કે પ્લીઝ એ કવિતાની નીચે તમે તમારું પોતાનું નામ લખો અને મારા પર તફડંચીકારનું લેબલ ન લાગવા દો! મારો મિત્ર સલિમ અરીફ, મારા નામનું ફેસબુક પેજ ચલાવે છે જેમાં મારી ઓરિજિનલ કવિતા પોસ્ટ થાય છે, રોજની એક એક. એ પેજ માટે એ કહે છે: ડોન્ટ ગો બાય ધ લુક, ગો બાય ધ બુક! સલીમ માને છે કે મારા નામે ફેક કવિતા લખતા લોકોએ મારી કવિતા વિશે માત્ર સાંભળ્યું હોય છે, ક્યારેય વાંચી નથી હોતી. પણ જો એમણે મારી કવિતા વાંચી જ ન હોય તો એ કવિતાના શબ્દો કે કોઈ પંક્તિ એમને ક્યાંથી મળ્યાં? એ લોકોએ કહેવું જોઈએ કે આ પર્ટિક્યુલર પંક્તિ (કે શબ્દ સમૂહ) એમને કોની કવિતામાંથી મળ્યાં છે. એને બદલે તેઓ આખીને આખી કચરો કવિતાને મારા નામે ઠઠાડી દેતા હોય છે. એક દિવસ બે છોકરીઓ મારા બંગલાના ઝાંપે આવીને એક કવિતા અને કેક ચોકીદારને આપતી ગયેલી. કેક એટલા માટે કે મારી એક કવિતાએ વૉટ્સઍપ પર વાઈરલ થઈને એક વર્ષ પૂરું કર્યું પણ એ કવિતા મારી હતી જ નહીં! મેં એ કવિતા પવન ઝાને મોકલી. પવન પણ મારા એક ફેસબુક પેજના તથા મારી વેબસાઈટ ગુલઝારઑનલાઈન ડૉટ કૉમના ઍડમિન છે. હવે જ્યારે આવી કોઈ ફેક કવિતા એના હાથમાં આવે છે ત્યારે એ નીચે ઉમેરે છે: ‘એનબીજી’, નૉટ બાય ગુલઝાર. બાય ધ વે, પવને પેલી બે છોકરીઓ જે કવિતા મૂકી ગયેલી એને ફેસબુક પર (‘એનબીજી’ કરીને) પોસ્ટ કરી ત્યારે એક લેડીએ મારો સંપર્ક કરીને મને કહ્યું કે ‘આ કવિતા તો મેં લખેલી છે પણ ગુલઝારના નામે પ્રચલિત થઈ છે. આને કારણે લોકો માનવા તૈયાર નથી કે એ સર્જન મારું છે.’ પવને એને પૂછ્યું કે: તો પછી તમે ખોંખારો ખાઈને જાહેરમાં કહેતા કેમ નથી?

પેલાં બહેન કહે: ‘ઈન્ટરનેટ પર લોકો બહુ એગ્રેસિવ બનીને રિએક્ટ કરતા હોય છે. ઉપરાંત, આ કવિતા નહીં નહીં તોય સો વખત એક જણે બીજાને ફૉરવર્ડ કરી હશે. હું શું કરી શકું?’

નસરીન: કમ્યુનિકેશનના આ નવા માધ્યમને કારણે ઘણી બધી ઈન્ટલેક્ચ્યુઅલ ડિસઑનેસ્ટી પણ ઘૂસી ગઈ છે. તમારા મૌલિક સર્જનનું એમાં અપમાન થતું હોય એવું લાગે.

તેઓ મારા નામે ફરતી ફેક કવિતા વાંચીને વિચારે કે એ ખરેખર મારી છે તો એનો અર્થ એ થયો કે એમને ખબર જ નથી કે હું શું લખી ગયો છું, કેવું લખી ગયો છું

ગુલઝાર: કોઈ શરમ જેવું રહ્યું જ નથી. કોઈકને જો કવિ બનવું જ હોય તો એણે એકડે એકથી શરૂઆત કરીને પોતાની કવિતા લખવાની હોય, ભલે ને એ ગમે એટલી ખરાબ હોય, પણ એ પોતાની હોવી જોઈએ. બીજાની કૉપી શું કામ કરો છો? બીજાને ડિસ્ક્રેડિટ શું કામ કરો છો? કવિતામાં હું જે સાદી સરળ ભાષા વાપરું છું એટલે લોકોને લાગે છે કે આવું તો કોઈ પણ લખી શકે. તો લખો ને. કોણ રોકે છે તમને. પણ તમારું પોતાનું લખો, તમારા નામે લખો.

નસરીન: તમારી સિમ્પલ લૅન્ગવેજ હકીકતમાં સિમ્પલ નથી હોતી (એમાં ઘણી બધી અર્થછટાઓ છુપાયેલી હોય છે) અને એ વાત મને ટ્રાન્સલેશન કરતી વખતે સમજાઈ. મુદ્દો એ છે કે તમારા સર્જનમાં તમારો એક આગવો અવાજ, તમારો અનોખો મિજાજ જે પ્રગટ થાય છે એ નથી જોતા આવા લોકો. કોઈ પોતાની રીતે તુકબંદી કરીને ગઝલ લખી નાખે અને નીચે ગાલિબનું નામ મૂકી દે એવું ઘણા લોકો કરતા હોય છે. તમારા જેવી વ્યક્તિ આવું સ્વપ્નેય ન વિચારે.

ગુલઝાર: હું કોઈ ભંગાર ગઝલ લખીને નીચે ગાલિબનું નામ લખી દઉં અને લોકો જો એનાં વખાણ કરે તો એનો મતલબ એ થયો કે એમણે ગાલિબને વાંચ્યા જ નથી. એ જ રીતે તેઓ મારા નામે ફરતી ફેક કવિતા વાંચીને વિચારે કે એ ખરેખર મારી છે તો એનો અર્થ એ થયો કે એમને ખબર જ નથી કે હું શું લખી ગયો છું, કેવું લખી ગયો છું. મેં એક વખત કવિતામાં એક પંક્તિ લખી હતી: ‘આદતેં ભી અજીબ હોતી હૈં’ અને કોઈકે એના પરથી ઉઠાંતરી કરીને પોતાની કવિતા બનાવી: ‘ઔરતેં ભી અજીબ હોતી હૈં.’

નસરીન: ભયંકર.

ગુલઝાર: બિલકુલ.

નસરીન: આ પરિસ્થિતિ ઈરિટેટિંગ છે અને કેટલેક અંશે અન્ક્ધટ્રોલેબલ છે. આપણે નવો મુદ્દો લઈએ. તમે માનો છો કે દરેક કવિતાનું અર્થઘટન કોઈપણ વ્યક્તિ પોતાની રીતે કરી શકે, ખરું.

ગુલઝાર: એમ જ હોવું જોઈએ ને. નહીં તો પછી કવિતા લાંબા સમય સુધી જીવશે કેવી રીતે, તાજી કેવી રીતે રહેશે? ગાલિબની ગઝલોનો જો એક જ અર્થ નીકળતો હોત તો વિદ્વાનો અને પંડિતો આજે દોઢસો વર્ષ પછી પણ ગાલિબ વિશે નવી નવી રિસર્ચ ક્યાંથી લાવતા હોત? શેક્સપિયરનો દાખલો લો. એનાં નાટકો, સૉનેટ આજે 400 વર્ષ પછી પણ વિશ્ર્વભરના હજારો સ્કૉલર્સને આકર્ષે છે. કવિતા પાસાદાર હીરા જેવી છે. અલગ અલગ ઍન્ગલથી એને જુઓ, દરેક વખતે તમને અલગ રંગ, અલગ આકાર નજરે પડશે. એક મઝાની વાત કરું. ડૉ. બશીર બદ્ર ઉર્દૂના માસ્ટર શાયર. એમણે પોતે એક વખત આ વાત કહેલી. કૉલેજમાં ભણતા હતા ત્યારે પરીક્ષામાં એક પેપરમાં એમની પોતાની જ કવિતાનું અર્થઘટન પૂછાયું. પેપર તપાસનાર અધ્યાપકે એમને બોલાવીને કહ્યું: ‘આ પંક્તિનો આવો અર્થ નથી થતો, તમારું અર્થઘટન ગલત છે.’ બશીર બદ્ર કહે: ‘સર, મેં જ એ પંક્તિઓ લખી છે.’ પરીક્ષક: ‘ના, પણ એનો અર્થ આવો ન થાય, આવો થાય…’ બદ્રસા’બે પોતે લખેલા શેરનું એમનું પોતાનું અર્થઘટન સ્વીકારવા પરીક્ષક તૈયાર નહોતા. શું થાય આવું?

આજની વાતને વિરામ આપતાં પહેલાં નસરીન મુન્ની કબીરે પૂછેલા સવાલનો ગુલઝારે આપેલો (લા)જવાબ જોઈએ. પૂછે છે: ‘હિંદી ફિલ્મ મ્યુઝિકના ખજાનામાંથી કોઈ એક મોતી તમારે ઉપાડવાનું હોય તો તમે કયું ગીત પસંદ કરો?’

તરત જ ગુલઝારસા’બ કહે છે: સાહિર લુધિયાનવીએ લખેલું: ‘મન રે તૂ કાહે ના ધીર ધરે…’ કેદાર શર્માએ 1964માં બનાવેલી ફિલ્મ ‘ચિત્રલેખા’માં આ ગીત હતું. કેદાર શર્માએ આ જ નામની ફિલ્મ 1941માં મહેતાબ અને નંદ્રેકરને લઈને બનાવેલી અને એમણે પોતાની જ ફિલ્મની રિમેક કરી હતી. રોશને કંપોઝ કરેલું, મોહમદ રફીએ બ્રિલિયન્ટલી ગાયેલું આ પરફેક્ટ ગીતનું પરફેક્ટ એકઝામ્પલ છે. આ ગીતને હું બહુ જ ઊંચા આસને બિરાજમાન કરું છું. એના શબ્દો સાહજિક રીતે વહ્યા કરે છે, ક્યાંય ઉપદેશ આપવાની કે શિખામણ આપવાની વાત નથી.

ગુલઝારસા’બને કદાચ ખબર નહીં હોય પણ જાવેદ અખ્તરે એક વખત આ જ ગીતને પોતાનું ફેવરિટ ગીત ગણાવ્યું હતું. ગ્રેટ માઈન્ડ્સ થિન્ક અલાઈક (હવે કહેતા નહીં કે મારું પણ આ ફેવરિટ ગીત છે. બાય ધ વે, મારું તો છે જ!).

મન રે તૂ કાહે ના ધીર ધરે
વો નિર્મોહી મોહ ન જાને, જિનકા મોહ કરે
ઈસ જીવન કી ચઢતીઢલતી ધૂપ કો કિસ ને બાંધા
રંગ પે કિસ ને પહરે ડાલે, રૂપ કો કિસ ને બાંધા
કાહે યે જતન કરે, મન રે…
ઉતના હી ઉપકાર સમઝ કોઈ જિતના સાથ નિભા દે
જનમ-મરન કા મેલ હૈ સપના, યે સપના બિસરા દે
કોઈ ન સંગ મરે,
મન રે તૂ કાહે ના ધીર ધરે,
વો નિર્મોહી મોહ ન જાને, જિનકા મોહ કરે,
મન રે તૂ કાહે ના ધીર ધીરે…

***

વાત એ. આર. રહેમાનને મળેલા ઑસ્કાર અવૉર્ડની નીકળે છે. ‘સ્લમડૉગ મિલિયોનેર’ નામની ભારતની બદબોઇ કરતી બ્રિટિશ ડિરેક્ટરની આ ફિલ્મને ઑસ્કારવાળાએ એક જમાનામાં ટોપલો ભરીને અવૉર્ડ્ઝ આપ્યા હતા. જોકે, હવે ડિફરન્ટ સમય છે. ઑસ્કારવાળા તો શું એમના બાપ પણ ભારતની બદબોઈ કરતી ફિલ્મને અવૉર્ડ આપવાની હિંમત ન કરે. દેશી બ્રાઉનસાહેબોની વાત અલગ છે. તેઓ તો પચાસ વર્ષ પછી પણ કમ્યુનિસ્ટોએ બનાવેલી ફિલ્મોને, એમના સાહિત્યને નવાજતા રહેવાના છે. પણ આવા લોકોની તાદાત હવે એટલી ઘટી જવાની કે ભવિષ્યમાં ડાયનોસોરનાં અશ્મિની જેમ આ લેફ્ટિસ્ટોનાં હાડપિંજરો માત્ર મ્યુઝિયમના કાચના કબાટોમાં લટકતા દેખાશે.

ગુલઝારસા’બને પણ ‘જય હો’ ગીત લખવા માટે ઑસ્કાર મળ્યો પણ એ લેવા નહોતા ગયા. તે વખતે એમણે બહાનું કાઢ્યું હતું કે ટેનિસ એલ્બોને કારણે સખત દર્દ થતું હતું એટલે ન જવાયું. નસરીન મુન્ની કબીર કહે છે, ‘તમે તે વખતે મને એવું કહ્યું હતું કે તમારી પાસે અવૉર્ડ સેરિમનીમાં પહેરવા માટેનું બ્લેક જેકેટ નથી એટલે તમે નહોતા ગયા.’ આ સાંભળીને ગુલઝાર હસી પડે છે, નસરીન પણ.

હકીકત એ છે કે ગુલઝારમાં ભારોભાર વિવેક છે. એ. આર. રહેમાનને આ ફિલ્મના બૅકગ્રાઉન્ડ મ્યુઝિક માટે એક ઑસ્કાર મળ્યો હતો અને ઑસ્કારવાળા ફિલ્મના ગીતની ધૂન માટેની અલગ કૅટેગરી ધરાવે છે એટલે ‘જય હો’ ગીત માટે બીજો અવૉર્ડ મળ્યો. ઑસ્કારમાં નૉર્મલી ગીત જે કંપોઝ કરે તે જ તે ગીતનો રાઈટર હોય અને ન હોય તો ગીતના કંપોઝિશન માટે અવૉર્ડ અપાય તો સાથે ગીતકારને પણ આપવો પડે. બેસ્ટ લિરિસ્ટ કે શ્રેષ્ઠ ગીતકારનો કોઈ અવૉર્ડ ઑસ્કારમાં નથી હોતો. અને આમે ય ‘જય હો’ ગીત ન તો હિન્દી ફિલ્મ સંગીત જગતમાં એના શબ્દોને કારણે ફેમસ થયું છે, ન ગુલઝારના શ્રેષ્ઠ સો ગીતોમાં એનું સ્થાન આવે. ગુલઝારે લખ્યું છે એટલે આપણે જરા સૌમ્ય રીતે એની ટીકા કરીએ અને કહીએ કે એવરેજ ગીત છે એ. (બીજા કોઈનું હોત તો કીધું હોત કે ફડતૂસ ગીત છે!) ગુલઝારને પોતાને પણ ખબર હોવાની જ કે એમણે આ ગીત લખીને કોઈ એવું મોટું તીર નથી માર્યું અને ઑસ્કાર તો બાય ડિફૉલ્ટ મળી ગયો. ગીતના સંગીતકારને નવાજવાના હતા એટલે ગીતકારને પણ પોંખવા પડ્યા. (બાકી, મા કસમ એ વર્ષે ‘લગાન’ આવી હોત અને એ મૂળ અંગ્રેજીમાં બની હોત અને એમાં ‘જય હો’ ગીત હોત તો આ કંપોઝિશન માટે રહેમાનને સો ટકા, એકસો દસ ટકા, કોઈ ઑસ્કાર-ફોસ્કાર ન મળ્યો હોત).

ગુલઝારે અવૉર્ડ વાપસી ન કરી અને એ આ અવૉર્ડ લેવા પણ ન ગયા. ગુલઝારની આ અદબ, એમની આ સેલ્ફ રિસ્પેક્ટ જાળવવાની અદા અને એમની તહઝીબ પર તો આપણે સૌ આફરીન છીએ

આ તરફ ગુલઝારની ખાનદાની જુઓ, સાહેબ. પોતાને ખબર છે કે પોતે આ અવૉર્ડ માટે ડિઝર્વિંગ વ્યક્તિ નથી, રહેમાનને કારણે નિયમાનુસાર આપવો પડે એટલે અપાયો છે. બીજું, આ ગીતની કક્ષા પણ એવી કંઈ ઊંચી નથી. ગુલઝારે બહુ શેખી મારવી હોત તો આ અવૉર્ડ માટે માત્ર રહેમાન જ લાયક છે એવું કહીને પોતે એનો અસ્વીકાર કરે છે એવી જાહેરાત કરી દીધી હોત. (આમે ય, ઈનામો સ્વીકારો તો લાખનાં અને ન સ્વીકારો તો સવા લાખનાં હોય છે એવું ત્રણ ગુજરાતી કવિઓએ પુરવાર કરીને બમણી પબ્લિસિટી લૂંટેલી જ છે. એમાંના બે દિવંગત થઈ ગયા જે ખરેખર સારું લખતા પણ એક હજુ વિદ્યમાન છે અને એમનો કકળાટ હજુ ચાલુ છે).

ગુલઝારે અવૉર્ડ વાપસી ન કરી અને એ આ અવૉર્ડ લેવા પણ ન ગયા. ગુલઝારની આ અદબ, એમની આ સેલ્ફ રિસ્પેક્ટ જાળવવાની અદા અને એમની તહઝીબ પર તો આપણે સૌ આફરીન છીએ. આની સામે જેને અડધો તો શું પા અવૉર્ડ પણ નથી મળ્યો તે વન ટુ કા ફોર એક્ટર ઑસ્કાર સમારંભની રેડ કાર્પેટ પર માય નેમ ઈઝ લખન, માય નેમ ઈઝ લખન કરીને નાચતો કૂદતો રહેમાનની રિફ્લેક્ટેડ ગ્લોરીમાં મહાલી આવ્યો.

ગુલઝાર ઊંચા ગજાના કવિ, ગીતકાર અને ફિલ્મકાર તો છે જ છે, એમને ચાહવાનું બીજું એક મોટું કારણ આ પણ છે. એમની ખાનદાની. છેલ્લાં 25 વર્ષમાં મેં ગુલઝારના અનેક પુસ્તકો (કાવ્યસંગ્રહો, આત્મકથાના ટુકડા જેમાં હોય એવાં પુસ્તકો તેમ જ એમના વિશે એમની દીકરી સહિતના લોકોએ લખેલાં પુસ્તકો) વિશે લખ્યું છે. ‘ફુર્સત કે રાતદિન’ જેવા એમના સદાબહાર આલબમ વિશે, આર. ડી. બર્મનને આપેલી સ્મરણાંજલિ વિશે, ટાગોરનાં કાવ્યોના અનુવાદ વિશે, એ અનુવાદનું એમણે મુંબઈના તાતા થિયેટરમાં જયા ભાદુરી સાથે પઠન કર્યું તે વિશે, કઈ રીતે એ કાર્યક્રમમાં હું એકલો એમના હસ્તાક્ષર લેવાને સદ્ભાગી થયો એ વિશે- આવું ઘણું બધું એટલે ઘણું જ બધું મુગ્ધ કલમે લખ્યું છે અને હજુય ખૂબ લખવું છે.

આજે વાત પૂરી કરતાં પહેલાં એમની તહઝીબ વિશે એક વાત કહી દઉં. મેં ઘણા મિત્રોને કહી છે. કદાચ ક્યાંક લખી પણ હશે.

આ એ દિવસોની વાત છે જ્યારે અમદાવાદમાં થોડાંક વર્ષ રહીને હું પાછો મુંબઈ આવી ગયેલો. જુહુનું પૃથ્વી થિયેટર, પૃથ્વીની કાફે, પૃથ્વીનું સમગ્ર વાતાવરણ બહુ મિસ થાય. એટલે જ્યારે ચાન્સ મળે ત્યારે પવઈથી છેક જુહુ પહોંચી જઈએ. જે નાટક ચાલતું હોય તેની ટિકિટ અગાઉથી જ બુક કરાવી લીધી હોય જેથી છેલ્લી ઘડીએ નિરાશ ન થવું પડે. પૃથ્વીની કૅપેસિટી 220ની છે અને એમાં સીટ નંબર નથી આપવામાં આવતા. કલાક પહેલાં લાઈન શરૂ થઈ જાય. અમે મોટેભાગે શોના દોઢ કલાક પહેલાં પહોંચીને પૃથ્વીની ફેમસ આઈરિશ કૉફી કે સુલેમાની ચા સાથે નાસ્તો કરીને ત્યાંની નાનકડી પણ સમૃદ્ધ બુક શૉપમાંથી કંઈક લઈને લાઈનમાં ઊભા રહી જઈએ. મોટેભાગે અમારો પહેલો-બીજો નંબર જ હોય.

એ દિવસે અમે ગુલઝારે લખેલું અને સલીમ આરિફે ડિરેક્ટ કરેલું નાટક ‘અઠ્ઠનિયાં’ જોવા ગયેલા. હિંદી ફિલ્મોમાં જેણે સરસ સરસ પાત્રો ભજવ્યાં છે એ યશપાલ શર્મા પણ એમાં હતો. (‘અબ તક છપ્પન’નો ઈર્ષ્યાળુ સબ-ઈન્સ્પેક્ટર અને ‘ગૅન્ગ્સ ઓફ વાસેપુર’માં માઠા પ્રસંગે બૅન્ડ વાજાવાળા સાથે માઈક લઈને ‘તેડી મહેડ બાનિમાં…’ ગાતો ગાયક).

નાટકનો બીજો જ શો હતો એટલે ભીડ ઘણી હતી. નાટક શરૂ થયાને હજુ અડધોએક કલાકની વાર હતી ત્યાં અમે ગુલઝારસા’બને જોયા. અમને એમ કે એ સીધા પાછલા દરવાજેથી સ્ટેજ વટાવીને ઑડિટોરિયમમાં બેસી જશે. એમને પૂરો હક્ક હતો એવું કરવાનો. એમનું નાટક હતું. એમનું ના હોય તો એ ગુલઝાર હતા. કોણ રોકવાનું હતું એમને. ઊલટાનું બીજા લોકો એમને આગ્રહ કરીને વહેલા અંદર લઈ જાય. જેથી એ પોતાની મનપસંદ જગ્યાએ બેસીને પોતાનું નાટક માણી શકે.

એક બે જણને હાયહેલો કરીને ગુલઝાર લાઈનમાં ગોઠવાઈ ગયા. અમારાથી છેક વીસ કે પચ્ચીસમા નંબરે. અમને શરમ આવે. પણ પૃથ્વીની આ તહઝીબ છે જેનું ગુલઝાર બાઅદબ પાલન કરી રહ્યા હતા. એટલું જ નહીં લાઈનમાં ઊભાં ઊભાં એમણે એમના મિત્ર જાવેદ સિદ્ીકીને જોયા (જેમણે ‘તુમ્હારી અમૃતા’વાળું નાટક આગવા અંદાજમાં અંગ્રેજીમાંથી રૂપાંતર કરેલું અને જેમને ‘બાઝીગર’ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો ફિલ્મફેર તથા ‘ડીડીએલજે’ માટે બેસ્ટ ડાયલોગનો ફિલ્મફેર મળ્યો હતો અને જેમણે સત્યજિત રાય તથા શ્યામ બેનેગલ સાથે પણ કામ કર્યું છે તે જાવેદ સિદ્ીકી). અને લાઈનમાં ઊભાં ઊભાં જ, આપણે જૂના કોઈ દોસ્તને હાક મારીએ એમ, બોલાવ્યા: ‘અરે, સિદ્ીકીસા’બ!’ બેઉ મળ્યા. થોડી વાતો કરી. જાવેદ સિદ્ીકી પણ ગુલઝાર સાથે લાઈનમાં ઘૂસવાનો ચાન્સ મળ્યો છે તો લઈ લઉં એવું વિચાર્યા વિના પોતાની રીતે છેક છેવાડે જઈને ઊભા રહી ગયા.

અહીં પૃથ્વીની શાન તો ખરી જ, વર્ષોથી આયોજકો અને પ્રેક્ષકોએ જે શિસ્તનું વાતાવરણ ઊભું કર્યું છે તેનો ફાળો પણ ખરો જ. પણ ગુલઝારસા’બની આ તહઝીબ, એમના આ વિવેકનો કિસ્સો બયાન કરતાં હું ક્યારેય ધરાતો નથી. મોટા માણસો પાસેથી આપણે કેટલું બધું શીખવાનું હોય છે. અને એ છોડીને આપણામાંના કેટલાક અનિલ કપૂર જેવાને પોતાનો ગુરુ માનીને ચાલતા હોય છે. હવે શું કહેવું એમને.

આજનો વિચાર

એ પુસ્તક લઈને બેસે માત્ર ભૂલો શોધવા માટે,
ઉમળકાભેર મેં આપ્યું’તું એને વાંચવા માટે.

ઘણા યત્નો કરે છે એ મને હંફાવવા માટે,
પ્રયત્નો મેં કર્યા’તા જેને આગળ લાવવા માટે.

– કિરણસિંહ ચૌહાણ

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

12 COMMENTS

  1. ગુલઝાર સાહેબ વિષેની ધણી વાતો જાણવા મળી અને લતાજીનુ ચેનનઇ જંવુ સુંદર લેખ

  2. ધન્યવાદ સૌરભભાઇ….. ધન્યવાદ ગુલઝાર સાહેબ………

  3. સિમ્પલી સુપર્બ આર્ટિકલ સૌરભભાઈ. સડસડાટ વંચાઈ ગયો.ખૂબ ખૂબ આભાર અને અભિનંદન બોસ♥️🌹♥️👌😊🙏

  4. ગુલઝાર સાહેબે જેટલા ઉમદા ગીતો આપ્યા છે , એટલા જ ઉત્તમ સીનેસર્જક છે. માનવીય સંબંધને રૂપેરી પરદે રૂપાંતરીત કરતી તેમની ફીલ્મો – કોશીશ, ખુશ્બુ, મેરે અપને, પરિચય, આંધી, ઈજાજત, મૌસમ, કીનારા. આ બધી અમર કલાકૃતિઓ છે. આનંદ, ગોલમાલ , ચૂપકે ચૂપકે ના સંવાદ લેખક. ગુલઝારજી ધનયવાદ આપનો આ જે ખજાનો આપ્યો છે.

  5. રાહ પે રહતે હૈ , યાદો પે બસર કરતે હૈ , ખુશ રહો અહલે વતન , હમ તો સફર કરતે હૈ …….

  6. “આજનો વિચાર” જોરદાર!! ગુલઝારજી માટે મને ખૂબ સન્માન છે. એમની કવિતાઓ…… એમનું કામ મને ખૂબ આકર્ષે છે. આપનો આ લેખ વાંચવાનો આનંદ આજનો એટલે જ “ખાસ” છે. એમની રચનામાં લાગણીઓ જે ઘુંટાઈ ઘુંટાઈને આવે છે એનો રસ જ અદ્ભૂત, સ્વાદિષ્ટ મન માટે, છે.

  7. ખુબ સરસ રસપ્રદ માહિતી સહીત…આભાર સૌરભ ભાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here