દિલીપકુમાર – ન ભૂતો, ન ભવિષ્યતિ : સૌરભ શાહ

(ગુડ મૉનિંગ એક્સક્લુઝિવ : ગુરુવાર, વદ ચૌદસ, વિક્રમ સંવત ૨૦૭૭. ૮ જુલાઈ ૨૦૨૧)

દિલીપકુમાર આમ તો મારા પપ્પાના જમાનાના સ્ટાર. પપ્પા કૉલેજમાં હશે ત્યારે એમણે પોતાના દોસ્તારો સાથે વલ્લભ વિદ્યાનગરની હૉસ્ટેલમાં રહીને આણંદની ટૉકીઝમાં ‘આન’, ‘દાગ’ કે ‘દેવદાસ’ જોઈ હશે.

કોઈ વ્યક્તિના જવાથી એક આખો યુગ પૂરો થયો એવું ત્યારે જ કહેવાય જયારે એ વ્યક્તિ એવું કામ કરી ગઈ હોય જેની છાયા એમના પોતાના સમકાલીનો પર તેમ જ એમના પછી આવેલી એક-બે કે ત્રણ જનરેશન્સ પર ઝીલાઈ હોય. 1944માં અમિયા ચક્રવર્તી દિગ્દર્શિત ‘જ્વારભાટા’માં હીરો બન્યા ત્યારે દિલીપકુમારની ઉંમર 22 વર્ષની. છેલ્લી ફિલ્મ સુભાષ ઘાઈની ‘સૌદાગર’ જે 1991માં રિલીઝ થઈ. (આમ તો રેકૉર્ડ ખાતર ઉમેશ મહેરાએ ડિરેક્ટ કરેલી ‘કિલા’ (1998)ને છેલ્લી ફિલ્મ ગણવી જોઇએ ). પાંચ દાયકાની ઝળહળતી કારકિર્દી અને અલમોસ્ટ દસ દાયકા જેટલું હર્યુંભર્યું જીવન – ભગવાનના આશીર્વાદ હોય એમને જ આવું જીવવા મળે જેમના ગયા પછી તમે કહી શકો એ એમના જવાથી એક યુગનો અંત આવ્યો છે.

તપન સિન્હાની હિન્દી ફિલ્મ ‘સગીના’ જુલાઈ 1974માં રિલીઝ થઈ. એ વખતે હું 14 વર્ષનો. નવી એસ.એસ.સી.નું વર્ષ. ઘરેથી બહુ પ્રેશર હોય કે સારા માર્ક્સ લાવવાના છે, ચોટલી બાંધીને ભણવું પડશે વગેરે. પણ પિક્ચરો જોવાનો ગાંડો શોખ. ભણવાનું ભણવાની જગ્યાએ. ક્લાસમાં હું અને કૈલાસ શાહ છેલ્લી બૅન્ચ પર સાથે બેસીએ. ઘણાં પિક્ચરો સાથે જોયાં. ‘હિન્દુસ્તાન કી કસમ’ જેવી ફિલ્મોમાં ફર્સ્ટ વીકમાં ટિકિટ કોઈ કાળે મળે એમ ન હોય તો પણ એ બ્લેક માર્કેટવાળા પાસેથી મૅનેજ કરીને પહેલેથી ટિકિટ મેળવી લે અને મને સાથે લઈ જાય. હું ક્યારેય બ્લેકમાં ટિકિટ ન ખરીદું. કોઈ સિદ્ધાંત કે ઉસૂલ જેવું કંઈ નહીં પણ પોસાય નહીં એટલે. (એટલે જ ‘બૉબી’ અને ‘શોલે’ રિલીઝ થયાના ત્રણ-છ મહિના પછી જોઈ શકેલો.)

‘સગીના’ જોવા માટે કૈલાસ ખૂબ આતુર. બિનાકા ગીતમાલામાં ‘સાલા, મૈં તો સાહબ બન ગયા’ ધૂમ મચાવે. સાંભળવાની મઝા આવે પણ મને દિલીપકુમારનું જરા સરખું આકર્ષણ નહીં. એ વખતે હું બચ્ચનજીનો જબરજસ્ત ફૅન. અત્યારે પણ. 1971માં મુંબઇના લેમિંગ્ટન રોડ પર સ્વસ્તિક સિનેમામાં બાલકની કરતાં પણ મોંઘી જગ્યા કહેવાય એવા ‘બૉક્સ’માં એક કુટુંબીને ડિસ્ટ્રિબ્યુટરની ઓળખાણથી ટિકિટો મળેલી એટલે રિલીઝ વખતે જ ‘આનંદ’ જોવા મળ્યું. ત્યારથી બચ્ચનજીનો ફૅન બની ગયેલો. રાજેશ ખન્નાના ફૅન તો ઑલરેડી હતા જ— 1969ની ‘આરાધના’થી. 1973માં ‘ઝંજીર’ અને ‘નમકહરામ’ પહેલાંની બચ્ચનજીની ડઝનેક ફલૉપ ફિલ્મો આવી તે બધી જ એ વખતે થિયેટરોમાં જઈ જઇને રિલીઝ વખતે જ જોઈ લીધેલી. (બચ્ચનજીને કિશોર ઉંમરનો આટલો વફાદાર ફૅન બીજો કોઈ નહીં મળ્યો હોય.) ‘પ્યાર કી કહાની’, ‘પરવાના’, ‘બંસીબિરજુ’, ‘રાસ્તે કા પથ્થર’ વગેરે બધી જ. (માત્ર ‘એક નઝર’ નહોતી જોઈ કારણ કે એમાં તેઓ એક વેશ્યાના પ્રેમમાં પડતા હતા એવું તે વખતે સાંભળેલું જે આપણને નહોતું ગમતું! એનાં ગીતો ‘પત્તા પત્તા બૂટા બૂટા’ અને ‘પ્યાર કો ચાહિયે ક્યા એક નઝર એક નઝર’ મોઢે થઈ ગયાં હતાં. છતાં એ પિકચર નહોતું જોયું પછીનાં વર્ષોમાં તો એ પણ વીસીડી પર જોયું.) ખેર, ‘ઝંજીર’ પછી ‘ગહરી ચાલ’, ‘બંધે હાથ’ અને ‘કસૌટી’ જેવી એમની ફલોપ ફિલ્મો રિલીઝ વખતે થિયેટરમાં એન્જોય કરી છે. બચ્ચનજીના ડાઉન પીરિયડમાં આવેલી ‘મૃત્યુદાતા’, ‘મેજર સાબ’ અને ‘બડે મિયાં છોટે મિયાં’ પણ છોડી નથી. બચ્ચનજી એટલે બચ્ચનજી.

આવું જ, કદાચ આનાથી વધુ ઘેલું, એક જમાનાના લોકોને દિલીપકુમારનું હતું. કૉલેજના દિવસોમાં મૉર્નિંગ કે મેટિની શોઝમાં દેવ આનંદની અને ગુરુદત્તની બધી બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મો જોઈ કાઢેલી. દિલીપકુમારની એક પણ નહીં. એમની ‘શક્તિ’, ‘મશાલ’, ‘વિધાતા’, ‘સૌદાગર’ અને ‘ક્રાન્તિ’ કે ‘કર્મા’ જેવી કારકિર્દીના અંતિમ દાયકાના દૌરની ફિલ્મો રિલીઝ વખતે થિયેટરોમાં જોઈ પણ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમનું કેટલું જબરજસ્ત પ્રદાન છે એનો ખ્યાલ એમની જૂની જૂની – ફ્ફિટીઝ અને સિક્સ્ટીઝની – ફિલ્મો જોઇને આવ્યો. સમજ પડવા લાગી કે રાજેન્દ્રકુમાર, મનોજકુમાર અને ધર્મેન્દ્રથી માંડીને અમિતાભ બચ્ચન, નસીરુદ્દીન શાહ અને શાહરૂખ ખાન સુધીના અભિનેતાઓ જાણેઅજાણે ક્યાં અને કયારે ચહેરાના હાવભાવ અને સંવાદ બોલવાની છટામાં દિલીપકુમારની છાયામાંથી બહાર નીકળી શકતા નથી.

દિલીપકુમારનું આ મહત્ત્વ છે. ઑડિયન્સ જ નહીં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેમની ફિલ્મો સેંકડો કરોડ રૂપિયાનો વકરો કરી આપે છે એવા અભિનેતાઓના દિલોદિમાગ પર પણ દિલીપકુમાર છવાઈ ગયા હતા.

અહીં સહેજ ફંટાઇને પાછા મૂળ વિષય પર આવી જઇએ. જરૂરી છે ફંટાવું. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બનેલી ઘણી ફિલ્મોએ ભારતને અને ખાસ કરીને હિન્દુ સંસ્કૃતિને તથા સનાતન પરંપરાને અવગણવાથી માંડીને આ બધાનું અપમાન કરવામાં કોઈ કસર નથી છોડી. લેફટિસ્ટ વિચારધારાવાળા હિન્દુઓથી માંડીને કેટલાક મુસ્લિમ સર્જર્કોએ કરેલા આ પાપને ડામવા માટે તમારા પ્રયત્નો થવા જોઇએ. 2014 પછી કાર્યરત થયેલા હિન્દુવાદીઓએ આ સરાહનીય કામ શરૂ કર્યું પણ છે અને એનું સારું પરિણામ આવવાનું જ છે. રાહ જોવી પડશે. 70 વર્ષથી જામી ગયેલો કચરો દૂર કરવા માટે વાર લાગવાની જ છે. રાતોરાત આ કામ થાય એ શકય નથી. પણ કેટલાક હાઇપર – જડ હિન્દુવાદીઓ અધીરા થઈ જાય છે તે યોગ્ય નથી.

લગે હાથ એક બીજી પણ વાત આ સંદર્ભમાં ઉમેરી દઉં. હિન્દુત્વ જેમની ‘જીવનશૈલી’ છે અને હિન્દુત્વ જેમનો ‘એજન્ડા’ છે એ બંને લોકો વચ્ચેનો તફાવત તમારે સમજવો જોઇએ. નહીં તો થશે શું કે એજન્ડાવાળાઓ તમારી સાહજિક અને સ્વાભાવિક જીવનશૈલી પર પ્રભાવ પાડતા થઈ જશે. નરેન્દ્ર મોદી, ભાજપ, મોહનજી ભાગવત, આર.એસ.એસ વગેરે વ્યક્તિઓ અને સંસ્થાઓના પાયામાં હિન્દુત્વની જીવનશૈલી છે. ક્યારેક ભાજપ-સંઘમાં કોઈ એજન્ડાવાદી ઘૂસી જાય ત્યારે ધ્યાન રાખવું પડે કે શા માટે આ એજન્ડાવાદીઓ આટલો શોરબકોર કરે છે, આવી જડતા દાખવે છે, આટલા હાઇપર થાય છે. ભાજપ-સંઘ સાથે સંકળાયેલા ન હોય એવા, પોતાને તટસ્થ ગણાવતા, પોતાને હોલિઅર ધૅન ધાઉ માનતા, પોતાને મોદી-મોહનજી કરતાં વધારે શુદ્ધ હિન્દુવાદી માનતા લોકો વાસ્તવમાં હિન્દુત્વના એજન્ડાવાદીઓ છે, તેઓ હિન્દુત્વના નામે પોતાનો પર્સનલ એજન્ડા આગળ વધારવા માગતા હોય છે. આ એજન્ડામાં કંઈ પણ હોઈ શકેઃ પૈસા, પ્રસિદ્ધિ, વગ, કંઈ પણ.
માટે સાવધાન.

આટલું એટલા માટે લખવું પડ્યું કે ગઈ કાલે, 7મી જુલાઇએ સવારે સાડા સાત વાગ્યે અવસાન પામેલા દિલીપાસા’બના સમાચાર મારા સુધી પહોંચે એ પહેલાં તો કેટલાક જડ-હાઇપર હિન્દુવાદી વાચકોએ મને ફૉરવર્ડિયા મોકલવાનું શરૂ કરી દીધું: દિલીપકુમાર તો તો આવા હતા ને દિલીપકુમાર તો તેવા હતા. બૉલિવુડના હીરો કંઈ રિયલ હીરો નથી, ખરા હીરો તો દેશ માટે બલિદાન આપનારા આપણા સંરક્ષણ દળના જવાનો – અફસરો હોય છે વગેરે.

મને થયું કે સવારસવારમાં અચાનક આવા ફૉરવર્ડિયાઓ કેમ આવવા લાગ્યા? વાત તો બરાબર છે કે દેશ માટે જેઓ જાન પાથરી દે છે તેઓ આપણા હીરો છે. આપણે સૌ એમનું યોગ્ય સન્માન કરીએ જ છીએ અને સરકાર એ સૌને, એમનાં કુટુંબીઓને પૂરેપૂરા આદર સન્માન સાથે જે કંઈ કરવાનું હોય તે નિષ્ઠાપૂર્વક કરે જ છે. દેશ માટે લડતા અને બલિદાન આપતા એકેએક જવાન માટે સામાન્ય નાગરિકોએ પણ જે કંઈ કરવાનું હોય તે કરવું જ જોઇએ.
પણ એ બહાદુર જવાનોની સરખામણી બૉલિવુડના સ્ટાર્સ સાથે શું કામ કરવાની? બેઉ જુદાં ક્ષેત્રો છે. ફિલ્મ ઇન્ડિસ્ટ્રીના અભિનેતાઓ વગેરેમાં જે જે લોકોએ તમારું નિર્દોષ મનોરંજન કર્યું હોય તે તમામ માટે તમને આદર હોય તો એમાં ખોટું શું છે? દરેક ક્ષેત્રને પોતપોતાના હીરો હોય છે. ક્રિકેટમાં ગાવસકર, સચિન, વિરાટ લાખો લોકોના હીરો છે. સાહિત્ય અને પત્રકારત્વમાં નર્મદ, કરસનદાસ મૂળજી, મુનશી, મેઘાણી, હસમુખ ગાંધી કે અશ્વિની ભટ્ટ ગુજરાતીઓના હીરો છે.

દિલીપકુમારને યાદ કરીને એમને અંજલિ આપવા માગતા મારા જેવા કરોડો લોકોને સંકોચ થાય એટલે કેટલાક હાઇપરોએ આ જવાનોના બલિદાન વર્સીસ બૉલિવુડિયાઓવાળું ગતકડું સવારથી જ શરૂ કરી દીધેલું જે છેક સાંજ સુધી ચાલ્યું.
કેટલાક ઝનૂની ફૉરવર્ડિયાઓ જણાવતા કે દિલીપકુમાર તો પાકિસ્તાનના જાસૂસ હતા અને એમને તો પાકિસ્તાન સરકારે નિશાન–એ–ઇમ્તિયાઝનો ખિતાબ આપ્યો હતો જે એમણે સ્વીકાર્યો પણ હતો.

ભાઈ મારા, મોરારજી ભાઈ દેસાઇને પણ નિશાન-એ-પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિકી અવૉર્ડ પાકિસ્તાનની સરકારે આપ્યો હતો. મોરારજીભાઈ પર પણ સિમોર હર્ષ નામના અમેરિકી પત્રકારે આક્ષેપ લગાવ્યો હતો કે તેઓ સી.આઇ.એ.ના એજન્ટ છે અને ‘ટાઈમ’ મેગેઝિને એની કવર સ્ટોરી બનાવી હતી. એ હરામખોર પત્રકારના પુસ્તકમાં પણ આ વાત છપાઈ છે. મોદીએ રાફેલમાં ગોટાળા કર્યા છે એવો આક્ષેપ રાહુલ ગાંધીએ લગાવ્યો જ છે અને હવે તો આ બાબતે ફ્રાન્સમાં કોઈક નાનીમોટી જાંચતપાસ પણ થઈ રહી છે. તો શું તમારે માની લેવાનું કે મોદી ભષ્ટ છે?

મોરારજીભાઈ જેવા ગુજરાતીઓના જ નહીં, ભારતના ગૌરવસમા રાજપુરુષોને લાંછન લગાડવા જાતજાતની વાતો થતી રહે. દરેકના માટે થતી રહેવાની. મોટા માણસો પર કાદવ ઉછાળવાની પ્રવૃત્તિ આ દેશમાં નહીં આખી દુનિયામાં થતી રહી છે, થતી રહેવાની છે. તમે આવી વાતોથી બહેકી જાઓ તો એમાં તમે તમારી માનસિકતા છતી કરી રહ્યા છો. જેમના માટે આવી વાતો થાય છે એમને તો કોઈ ફરક પડવાનો નથી. એ પોતાનું કામ કરીને આગળ વધ્યા કરશે અને તમે પેલા કાદવના ખાબોચિયામાં સુવ્વરની જેમ આળોટ્યા કરશો – જિંદગી આખી.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંના કેટલાક લોકોની બદમાશીને કારણે આખા ઉદ્યોગની બદનામી ન થાય. ગયા વરસે તમારા શહેરમાં કે જિલ્લામાં બળાત્કાર, ખૂન, લૂંટફાટના કેટલા કિસ્સા નોંધાયા છે તે પોલીસ સ્ટેશને જઇને જાણી આવો. આને કારણે કંઈ તમારું શહેર, તમારો જિલ્લો, તમારું રાજય કે તમારો દેશ ખૂનીઓ, બળાત્કારીઓ, ગુંડાઓ કે ભ્રષ્ટાચારીઓનો દેશ નથી બની જતો.

ગામ હોય ત્યાં ઉકરડો હોવાનો જ. એને કારણે આખેઆખા ગામને બદનામ ન કરાય એટલી અક્કલ તો હોવી જોઇએ તમારામાં. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લતા મંગેશકર, નૌશાદ, શંકર જયકિશન, એસ.ડી. અને આર.ડી બર્મન, મજરૂહ, સાહિર, આનંદ બક્ષીથી લઇને મોહમ્મદ રફી, કિશોરકુમાર તેમજ અનેક અભિનેતાઓ, દિગ્દર્શકો, પ્રોડ્યુસરો વગેરેએ તમારી કલ્પનામાં ન આવે એવું ગંજાવર કામ કર્યું છે. અંગ્રેજીમાં એક કહેવત છે ડુ નોટ થ્રો ધ બેબી વિથ ધ બાથ વૉટર જેનો ગુજરાતીમાં ભાવાનુવાદ થાય કે પાપડી ભેગી ઇયળ બફાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઇયળોને જુદી તારવીને જે મસ્તમજાની પાપડીઓ છે તેનું શાક બનાવીને કે તેને ઉંધિયામાં નાખીને જે લોકો એનો સ્વાદ માણી શકે એવા તમામ સ્વસ્થ લોકો મારા માનના અધિકારી છે. જેઓ બાથવૉટર સાથે બેબીનો પણ ઉલાળિયો કરી દેવા માગે છે એમને હું મારા પરિચયમાં રાખતો નથી – આઘા ખસો.

દિલીપકુમારના ગુજરી ગયા પછી એક વાતની પ્રતીતિ તમને સતત થતી રહે છે કે ભલે તમને એમના સુવર્ણકાળના સાક્ષી બનવાનું સદ્‌ભાગ્ય નથી સાંપડ્યું પણ એ જે જમાનામાં પોતાની પાછલી અડધી જિંદગી જીવ્યા એ જમાનો તમે પોતે પણ જોયો છે, માણ્યો છે. તમે સદ્‌ભાગી છો કે લતાજી, બચ્ચનજી, ગુલઝાર સા’બ અત્યારે જે હવામાં શ્વાસ લઈ રહ્યા છે તે જ હવામાં તમે પણ શ્વાસ લઈ રહ્યા છો.

આ વર્ષની 11મી ડિસેમ્બરે દિલીપસા’બ 99 પૂરાં કરીને સોમા વર્ષમાં પ્રવેશ્યા હોત. (રજનીશજીની વર્ષગાંઠ પણ આ જ દિવસે—11 ડિસેમ્બર. જોકે વર્ષ 1931). છેલ્લા થોડાક અઠવાડિયાઓથી ન્યુઝમાં આવતું કે દિલીપસા’બની તબિયત વધારે કથળી, એમને હોસ્પિટલ લઈ ગયા, સહેજ સુધારો થયો, ફરી પાછા હોસ્પિટલ લઈ ગયા. એ વખતે મનોમન પ્રાર્થના કરતો કે તેઓ શતાયુ થાય એવા આશીર્વાદ એમને ભગવાન આપે. પણ એવું ન થયું. ભગવાનને જે ગમ્યું તે ખરું.

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક આખો યુગ જેમના જવાથી આથમી રહ્યો હોય એમને યાદ કરવા માત્ર એક લેખ પૂરતો નથી એવું મને લાગી રહ્યું છે. મારી લાયબ્રેરીમાં દિલીપકુમારની આત્મકથા ‘ધ સબસ્ટન્સ ઍન્ડ ધ શેડો’ ઉપરાંત બની રૂબેન નામના પ્રસિદ્ધ ફિલ્મ પત્રકાર (અને પી.આર.) દ્વારા લખાયેલી ‘દિલીપકુમાર સ્ટાર લેજન્ડ ઑફ ઇન્ડિયન સિનેમાં, ધ ડેફિનેટિવ બાયોગ્રાફી’ પણ છે. આ બંને દળદાર પુસ્તકો ઉપરાંત હજુ વધુ દળદાર અને મોટી સાઇઝનું – કૉફી ટેબલ બુક જેવું ગજબનું પુસ્તક ‘દિલીપકુમાર: પિયરલેસ આયકન ઈન્સ્પાયરિંગ જનરેશન્સ’ પણ છે જે ત્રિનેત્ર બાજપાઈ અને અંશુલા બાજપાઈ એ લખ્યું છે અને બ્લુમ્સ્બરીએ પ્રગટ કર્યું છે. આ ઉપરાંત ઉર્મિલા લાંબા લિખિત ‘ધ થેસ્પિયનઃ લાઇફ એન્ડ ટાઇમ્સ ઑફ દિલીપકુમાર’ અને સંજિત નાર્વેકર લિખિત ‘દિલીપકુમાર : ધ લાસ્ટ એમ્પરર’ નામનાં બીજાં બે પુસ્તકો પણ છે. અન્ય અનેક અભિનેતાઓ તથા ફિલ્મી પર્સનાલિટીઝ વિશેનાં પુસ્તકોમાં પણ ઘણે ઠેકાણે દિલીપકુમારના ઉલ્લેખો હોવાના જ. આ પાંચેય પુસ્તકો વાંચવાની ખરીદવાની તમને અનુકૂળતા કે ઇચ્છા હોય તો જરૂર તેવું કરશો. અન્યથા, તમે કહેતા હો તો કાલથી દિલીપસા’બ વિશેની એક સિરીઝ લખવાનું શરૂ કરું. તમે કહો એમ.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

24 COMMENTS

  1. As you said Saurabh Bhai, favourite films of Dilip sab, Naya daur, Andaj, Ram aur Shyam, Gopi, Aazad, Vidhata, sakti, Mashal, Saudagar, Karma.

  2. ઘણાં મુસ્લિમ વિરોધી ઓ હજું પણ દિલીપ કુમાર નાં બદલે યુસુફ ખાન લખે છે દરેક વાત માં હિન્દુ મુસ્લિમ જ ઘૂસાડી દે છે આં દેશ માં ગાંધી ને ગાળો આપવાની અને ગોડસે ને મહાન ચિતરવાની ફેશન ચાલે છે દિલીપ સાબ ની સ્ટોરી continue રાખો …

  3. હિન્દી ફિલ્મો ના ચાહકો ને ગમશે. પણ કોઈ જરૂર નથી લાગતી. મારું અંગત મંતવ્ય છે કે આજની પેઢી ઘણો સારો અભિનય કરી રહી છે, જુના 50 વરસ પહેલાં ના કલાકારો ઓવર એક્ટિંગ કરતા હતા.

    આગળ વધીએ…

  4. સૌરભભાઇ , દિલીપસાબ વિશે સીરીઝ થઈ જવા દો.

  5. Without talent and hard work for Film industry no one gets a title of super hero. People’s views can be their own mind. Elephant walks in his own mood when dogs are barking. Create your own opinion, don’t follow like a herd
    Thats my opinion.

  6. દિલીપ કુમાર વિષે બહુ સરસ article આપવા બદલ ખુબ ખુબ આભાર 🙏
    સાથે સાથે તમારા સ્કુલ / કોલેજ કાળ ની very interesting વાતો પીરસવા બદલ આપનો આભાર.

  7. મારી વય અત્યારે 77 છે. સ્કૂલ લાઈફથી જ મને દિલીપ કુમારની ફિલ્મોનો ક્રેઝ. જ્વારભાટા જોવા મળી નથી. એ સિવાયની બધી ફિલ્મો મેં જોઈ છે. ઘણી તો દસ દસ વાર. એમના અભિનયની બારીકીઓ સમજી શકે તેઓ જ એમને મૂલવી શકે.
    નાસમજ લોકોનો લવારો દિ. કુ. ની એમના અભિનયની મહત્તાને નહીં ઓઝપાવી શકે.

  8. બીજા ઘણા વિષયો છે, લેખ લખવા માટે.
    મહેરબાની કરી મહમદ યુસુફ ખાન માથે ના મારતા

  9. Great tragedy king દિલીપ કુમાર ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. Exactly He is ન ભૂતો, ન ભવિષ્યતી. BTW હું પણ teen age થી બચ્ચન જી ની ફૅન હતી છું અને રહીશ.

  10. સુંદર લેખ હંમેશાની જેમ.આદરસભર શ્રધ્ધાંજલિ 🙏🏼🌹

    • શ્રી. દિલીપકુમાર વિશે લખો. એમના પર થયેલા આક્ષેપો સાચા હોય તો પણ એમણે પોતાના વ્યવસાયમાં આપેલું યોગદાન ઘણું વધુ અને અજોડ છે.
      એમ પણ આપણે માફ કરવાની સંસ્કૃતિ ધરાવીએ છીએ.
      સાચા અભિનેતા કરતાં વધુ નુકસાન અને ગદ્દારી આપણાં ખોટા અભિનયી રાજકારિણિયોએ કરી છે અને સાક્ષાત કરી રહ્યા છે.
      સ્વર્ગસ્થ અભિનેતાની સારી બાજુ, આપણાં પ્રિય સૌરભ શાહની લેખનમાળાથી માણિયે. . અસ્તુ.

  11. Brilliant way to pay tribute by attentive way to take Morden situation in account yet not making Dilipkumar Yusufkhan
    Yes today’s Bollywood is in too much money and most are tainted by Mafia as industry is run by them Talent and art died with Morden heroes only money talks and bullshit walks
    Bollywood is no more Indian culture apart from few small budget artists who can use platforms like Netflix to show real art and culture of Indian origins
    Gone are the days of larger than life Heroes

  12. Most Welcome, eagerly waiting for knowing about great Dilip Kumar, in Saurabhbhai ‘s great style of writing n presentation of facts analysis history n views and comments.

  13. હંમેશની જેમ સુંદર લેખ… દિલીપકુમારને શ્રદ્ધાંજલિ… જી હા આ મહાન કલાકાર વિશે ખૂબ ઓછું લખાયું છે તો એમના વિશે હજુ વધારે લખો એવી પ્રાર્થના….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here