આક્ષેપો અને ખુલાસાઓ

સન્ડે મોર્નિંગ

સૌરભ શાહ

ખુલાસાથી અહીં મતલબ છે સ્પષ્ટતાઓ. બાસ્ટર્ડાઈઝ્ડ થઈ રહેલી પત્રકારત્વની ગુજરાતી ભાષા મુજબ ખુલાસો એટલે ઘટસ્ફોટ પણ શુદ્ધ ગુજરાતી મુજબ ખુલાસાનો અર્થ થાય કલેરિફિકેશન એટલે કે સ્પષ્ટતા. નાક લૂછતાંય જેમને નથી આવડતું એવા લોકો જ્યારે પત્રકારત્વમાં ઘૂસી જાય છે ત્યારે પત્રકારત્વની ભાષા બાસ્ટર્ડાઈઝ્ડ થઈ જતી હોય છે.

ખેર. વાત આક્ષેપોની છે. આજકાલ ટ્રેડિશનલ મીડિયામાં, સોશિયલ મીડિયામાં, અંગત વાતચીતમાં, જાહેર સભાઓમાં ઈવન સંસદમાં છુટ્ટે મોંએ બેબુનિયાદ આક્ષેપો કરવાનો એક ડેન્જરસ ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. હું આને કેજરીવાલગીરી કે રાહુલગીરીનું નામ આપું છું. તમે આને પપ્પુગીરી પણ કહી શકો.

કલ્પનાના તરંગમાંથી ઊપજતા આક્ષેપો કરનારાઓ પોતાના મનની ગંદકીને બહાર કાઢીને ફંગોળતા હોય છે. વાસ્તવમાં તેઓએ આપવી હોય છે માબહેનની ગાળો પણ જાહેરમાં અપશબ્દો બોલવાથી પોતાનું કેવું લાગશે એની એમને ખબર હોય છે એટલે તેઓ આ અપશબ્દોની અવેજીમાં બેબુનિયાદ આક્ષેપો ફંગોળતા રહે છે. હવેથી જ્યારે જ્યારે તમે સંસદમાં, મીડિયામાં, સોશિયલ મીડિયામાં, જાહેર સભામાં કે અંગત વાતચીતમાં કોઈને મોેઢે બેબુનિયાદ આક્ષેપો સાંભળો ત્યારે માની લેજો કે તેઓએ બોલવી છે માબહેનની ગાળો પણ એમના મોઢામાંથી નીકળી રહ્યા છે બેબુનિયાદ આક્ષેપો.

આક્ષેપો કરવાનું કામ સહેલું છે, એ સ્પેશ્યલી ત્યારે જ્યારે એ આક્ષેપોની સાથે તમારે પુરાવાઓ રજૂ કરવાના ન હોય, અને આક્ષેપો ખોટા પુરવાર થાય ત્યારે તમારે કોઈ નુકસાની ન ભરવાની હોય. કાદવ ઉછાળવા સિવાય બીજો કોઈ હેતુ ન હોય ત્યારે કેટલાક લોકો માટે બેબુનિયાદ આક્ષેપોનું હથિયાર હાથવગું હોય છે.

જ્યારે પણ કોઈ આક્ષેપબાજી કરતું જણાય ત્યારે આપણે સૌથી પહેલાં તો એ વ્યક્તિનું બૅકગ્રાઉન્ડ તપાસવું જોઈએ કે એ જેમના પર આક્ષેપ કરે છે એની સરખામણીએ એણે પોતે પોતાના ક્ષેત્રમાં કેટલું કામ કર્યું છે. રાહુલ ગાંધી જ્યારે નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરે ત્યારે તપાસવું જોઈએ કે જાહેર જીવનના ક્ષેત્રમાં મોદીએ કેટલું કામ કર્યું છે, રાહુલે કેટલું કામ કર્યું છે. સોશિયલ મીડિયા પર કોઈ લલ્લુ પંજુ-છગ્ગુ જ્યારે કોઈ ક્ષેત્રના દિગ્ગજ સામે કાદવ ઉછાળે છે ત્યારે તમાશો જોતી વ્યક્તિઓએ આ બેઉ વ્યક્તિઓનાં બૅકગ્રાઉન્ડ તપાસવા જોઈએ. પેલા વાનરવેડા કરનારાએ જેમના વિશે ભદ્દી કમેન્ટ્સ કરવાનું અભિયાન આદર્યું છે એણે પોતાના ક્ષેત્રમાં શું ઉકાળ્યું છે અને જેના વિશે બેફામ આક્ષેપો કરવામાં આવે છે એણે પોતાના ક્ષેત્રમાં કેટલું પ્રચંડ કાર્ય કર્યું છે, બેબુનિયાદ આક્ષેપો કરવાનો એક હેતુ તો પોતાનામાં રહેલું ફ્રસ્ટ્રેશન બહાર કાઢવાનો અને હજુ એક હેતુ એ કે તમે સામેની વ્યક્તિને રૉન્ગ બૉક્સમાં મૂકીને ખુલાસાઓ કરવાની ફરજ પાડો. અહીં એક ટ્રિકી સિચ્યુએશન સર્જાતી હોય છે. તમે પેલાને ગેરવાજબી ઈમ્પોર્ટન્સ ન આપવા માટે એને નિગ્લેક્ટ કરો તો તમારી એ અવગણનાનો અર્થ એવો કાઢવામાં આવશે એવો તમને ડર લાગે કે બીજાઓ તમને એવો ડર દેખાડે કે તમે એ આક્ષેપોને સ્વીકારી લો છો, તમારી પાસે લોકોને ગળે ઊતરે એવો ખુલાસો કરવા જેટલી સચ્ચાઈ નથી. આક્ષેપોમાં ઉછાળવામાં આવેલા કાદવ તમને ચોંટી જશે.

તમે તમારું કામ છોડીને આવી આક્ષેપબાજીઓના ખુલાસાઓ કરતા રહો અને આક્ષેપ કરનારાઓ પોતાનો કૉલર ઊંચો કરીને પોતાના નાનકડા, સંકુચિત વર્તુળમાં ફરતા રહે કે જોયું, હું જે કહું છું એનું કેટલું વજન પડે છે? આવડા મોટા માણસે પણ મારી વાતનો જવાબ આપવો પડ્યોને? બેબુનિયાદ આક્ષેપોના જવાબ આપવા કે નહીં એની કોઈ સ્ટાન્ડર્ડ ફૉર્મ્યુલા નથી. ક્યારેક ચૂપ રહેવામાં અને વહેંતિયાઓને – મિનિયન્સને મહત્ત્વ ન આપવામાં જ શાણપણ હોય છે. ક્યારેક એકાદ છૂટું તીર છોડીને પેલાને મરણતોલ ઘા કરવામાં શાણપણ હોય છે. ક્યારેક પ્રતિ-આક્ષેપ કરવો જરૂરી હોય છે. બેબુનિયાદ આક્ષેપો કરનારાઓને ખબર હોય છે પોતે ગપગોળા ચલાવી રહ્યા છે, હાડોહાડ જુઠ્ઠાણાં ફેલાવી રહ્યા છે. આવા જુઠ્ઠા અને બેશરમ માણસોના આક્ષેપોને જવાબ આપીને પોતાનો કિમતી સમય વેડફવાનું શાણા લોકોને પરવડતું નથી એટલે જ તેઓ ચૂપ રહેતા હોય છે, પોતાનું નક્કર કામ કર્યે જતા હોય છે – મોદીની જેમ. અને જરૂર પડે ત્યારે કે પાણી નાક સુધી આવી જાય ત્યારે સામેવાળા પપ્પુઓને તમ્મર આવી જાય અને ધોળે દહાડે તારા દેખાય એવો જડબાતોડ જવાબ આપી દેતા હોય છે – મોદીની જેમ જ!

કાગળ પરના દીવા

સંસદમા અવિશ્ર્વાસની દરખાસ્ત વિશે પ્રવચન કર્યા પછી રાહુલ ગાંધીએ જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઝૂકીને ઝપ્પી આપી ત્યારે શું કહ્યું? ‘સાહેબ, મને ભાજપમાં લઈ લો ને…’

– વૉટ્સએપ પર વાંચેલું

સન્ડે હ્યુમર

બેકારીના દિવસોમાં એક વખત બકો સિક્યોરિટી ગાર્ડની નોકરી લેવા ગયો ત્યારે ઈન્ટરવ્યુમાં એને પૂછવામાં આવ્યું: ‘અંગ્રેજી આવડે છે?’

બકો: કેમ, ચોર ઈંગ્લેન્ડથી આવશે કે?

8 COMMENTS

  1. સાહેબ ખુબ ખુબ ધન્યવાદ,
    આપના લેખો અને સચોટ ઓબઝર્વેશન દિલો દિમાગ ને ગણુજ સાંત્વન આપે છે કે ના, એક ખોટી જપ્પી થી ખોટા માણસ ની વાત મા ના અવાય, નહીં તો ખાસ કરીને
    શનિવાર અને રવિવાર ના અમુક બીજાના લેખો થી એમ લાગતું હતું કે મુંબઈ સમાચાર વાંચું છું કે ગુજરાત સમાચાર ?

  2. આવી બેબુનિયાદ આક્ષેપબાજી નો આશ્રય લેવા પાછળ એક કારણ એ પણ છે કે પોતે ઘણા મોટા લોક સમુદાયને મૂર્ખ બનાવી શકશે એવો એમને ઓવર કોન્ફિડન્સ હોય છે.

    • આક્ષેપબાજી એ અધમતાની પરાકાષ્ટા છે. તમારો એંઠવાડ, તમારી ગદંકી, સામેવાળા નાં કમ્પાઉન્ડમાં ફેંકી આવવાની નીચતા છે. પછી આક્ષેપ કરનારની સફાઈ ની જવાબદારી રહેતી નથી એ જવાબદારી ત્યારબાદ જેના પર આક્ષેપ થયો છે તેની થઈ જાય છે.
      ……પણ આ બાબતે મોદીજી ની શૈલી યોગ્ય છે. તેઓ ઇગ્નોર કરે છે. મેં ક્યાંક વાંચ્યું છે કે ક્યારેક ક્યારેક અમુક લોકો આગળ પોતાની સર્વોચ્ચતા સાબિત કરવાનો પ્રયત્ન કરવો તે પણ સ્વયંનું અપમાન કર્યા બરોબર છે….આપનાં વોટ્સએપ નમ્બર ઉપર આપની રજા લઈ એક સચોટ ઉદાહરણ મોકલવા માંગુ છું. આપ તેને આપની ધારદાર શૈલીમાં, આપનાં સચોટ શબ્દોમાં તેને વ્યક્ત કરશો.

Leave a Reply to કમલ ઝવેરી Cancel reply

Please enter your comment!
Please enter your name here