રામ જો અશાંતિથી ભાગે તો રાવણ સાથે યુદ્ધ ન કરી શકે —સ્વામી સચ્ચિદાનંદ (ભાગ ત્રીજો): સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ: મહા અમાવસ્યા, વિક્રમ સંવત ૨૦૭૮. બુધવાર, ૨ માર્ચ ૨૦૨૨)

(આ મુલાકાત E Tv ગુજરાતીના ‘સંવાદ’ કાર્યક્રમ માટે ૨૦૦૪ની સાલમાં લેવાઈ હતી. ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી સેક્યુલરવાદીઓએ તથા વામપંથી મીડિયાએ ફેલાવેલા આતંકના ઘા હિન્દુ પ્રજાના મન-મસ્તિષ્ક પર તાજા હતા. અને નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનવાને હજુ પૂરો એક દસકો લાગવાનો હતો. આ સંદર્ભે આ મુલાકાતનું દસ્તાવેજી મૂલ્ય ઘણું મોટું છે).

સૌરભ શાહઃ આપે ખૂબ વિદેશપ્રવાસ ખેડ્યો છે. ભારતમાં પણ ખૂબ પરિભ્રમણ કર્યું છે. વિદેશ પ્રવાસ પછી એવી કઈ વસ્તુઓ તમારા ખાસ ધ્યાનમાં આવી જે આપણે ભારતીયોએ અપનાવવા જેવી છે?
સ્વામી સચ્ચિદાનંદઃ જોકે, વિદેશપ્રવાસમાં ઘણા લોકો મારી પર આક્ષેપ કરે છે કે તમે વિદેશનાં વખાણ કર્યા કરો છો. બરાબર છે. હું ઘણી વાર કહું કે લો, તમે બતાવો હું તમારાં કયાં વખાણ કરું. આપણી ઓફિસો સારી છે? આપણા અમલદારો સારા છે? આપણા મંત્રીઓ સારા છે? આપણી કઈ વાત- આપણી ચોખ્ખાઈ સારી છે? આપણી કઈ બાબત – આપણું દૂધ ચોખ્ખું મળે છે? કઈ બાબતનાં વખાણ કરું? જે વસ્તુ સારી લાગે એનાં વખાણ કરવાં જ જોઈએ. અને એ વખાણ કરવાં એનો અર્થ એવો નથી કે દેશ ઉપર ઓછો પ્રેમ થઈ ગયો અને વિદેશ ઉપર પ્રેમ વધી ગયો. પણ આપણને પ્રેરણા મળે કે આપણે પરદેશ પાસેથી આ બધું શીખવાનું છે. વિદેશપ્રવાસો પછી એક નશો નીકળી ગયો. ‘હમ મહાન હૈ, હમ…’ ભારતીય સંસ્કૃતિનો મગજમાં જે કૈફ હતો એ નીકળી ગયો, બધું બહાર જઈને જોયું તો. મેં, અમેરિકા-યુરોપની તો વાત જવા દો, આફ્રિકામાં પણ કોઈ માણસને રોડ ઉપર કુદરતી હાજતે જતાં બેઠેલો જોયો નથી. એકી-બેકી કરવી હોય તો એનું પેલું બનાવેલું હોય ઝૂંપડાનું. અહીંયાં તમે જુઓ તો લાઇન લાગી હોય છે. અને તોયે આપણને કોઈ શરમ આવતી જ નથી. તમે આવું કરી શકો? તમને આવું દ્રશ્ય કોઈ જગ્યાએ જોવા નહીં મળે. (થોડી હળવાશથી) હમણાં હમણાં અમદાવાદમાં તમે જુઓ તો છોકરીઓ બધી આમ મોઢું બાંધીને નીકળે છે! કોઈ પરદેશી લોકો આવે તો એમને થાય કે આ કોણ છે, આતંકવાદીઓ છે કે કોણ છે? હવે, આ કેમ આવું બાંધતા હશે? આવું તમને દુનિયામાં કોઈ જગ્યાએ જોવા નહીં મળે. એટલે પરદેશની મારા ઉપર બહુ મોટી અસર પડી અને એની ઘણી સારી બાજુઓ છે એ જોઈને મને થયું કે આ અઢી કરોડની વસ્તીએ આખી દુનિયા ઉપર રાજ કેવી રીતે કર્યું. અંગ્રેજો તો અઢી કરોડ જ છે. જો સ્કોટલૅન્ડ, વેલ્સ અને આયર્લેન્ડને બાદ કરો તો અઢી કરોડ અંગ્રેજોએ આખી દુનિયા પર રાજ કર્યું તો કેવી રીતે કર્યું?

આપણી પાસે પેરેલલ બે યુગો ચાલ્યા છે. એક ઋષિયુગ અને બીજો શ્રમણયુગ. ઋષિયુગમાં ઋષિને પત્ની છે, બાળકો છે, ત્યાગી જીવન જીવે છે, વૈરાગ્યવાળું જીવન છે, પણ કર્તવ્યપરાયણ છે, એ બાળકોને ભણાવીને સમાજને પાછા આપે છે: સ્વામી સચ્ચિદાનંદ

સૌરભ શાહઃ ભારતમાં એના અસલ ઝગમગાટનો જમાનો પાછો લાવવો હોય તો કોણે શું કરવું જોઈએ?
સ્વામી સચ્ચિદાનંદઃ હું એમ માનું છું અને મેં ઘણી જગ્યાએ લખ્યું છે કે આપણી પાસે પેરેલલ બે યુગો ચાલ્યા છે. એક ઋષિયુગ અને બીજો શ્રમણયુગ. ઋષિયુગમાં ઋષિને પત્ની છે, બાળકો છે, ત્યાગી જીવન જીવે છે, વૈરાગ્યવાળું જીવન છે, પણ કર્તવ્યપરાયણ છે, એ બાળકોને ભણાવીને સમાજને પાછા આપે છે. એટલે તમે જુઓ તો એ સમયે વાસ્તવિકતા જ વાસ્તવિકતા છે. કોઈ જગ્યાએ સાધુ નથી. સંન્યાસ છે એ પંચોતેર વરસ પછી છે. કોઈ તમને સાધુ જોવા નહિ મળે. જ્યારે આ બાજુ પત્નીનો ત્યાગ કરીને કોઈ સાધુ થઈ જાય એને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે ને એને આદર્શ માનવામાં આવે. ખરેખર તો, ભર જુવાનીમાં પત્નીનો ત્યાગ કરનારને પૂછવું જોઈએ કે પત્નીનો ત્યાગ કેવી રીતે કરી શકાય? આ બાજુ એવું ચાલ્યું અને એ આદર્શ બની ગયો. ‘ત્યાગ કરો, ઘરનો ત્યાગ કરો, પત્નીનો ત્યાગ કરો, છોકરાંઓનો’ ત્યાગ જ ત્યાગ. ત્યાગ કરનારાઓ અંતે તો પરાવલંબી જીવન જીવતા હોય છે. પહેલાં પોતાના રસોડે જમતા હતા, હવે બીજાના રસોડે જમતા થઈ ગયા. અને આ તો લાખોની સંખ્યા થઈ ગઈ। લાખો જ લાખો… ટોળે ટોળાં… હું હમણાં લંકા જઈને આવ્યો. એક ચિત્ર લઈ આવ્યો છું. તમને નવાઈ લાગશે, સાત સાત વરસના છોકરાઓને ભિક્ષુ બનાવી દીધા છે.

સૌરભ શાહઃ આપની દ્રષ્ટિએ ત્યાગની સાચી વ્યાખ્યા કઈ?
સ્વામી સચ્ચિદાનંદઃ ત્યાગની સાચી વ્યાખ્યા એ છે કે તમે તમારું કર્તવ્ય બજાવતી વખતે કોઈ લોભ, લાલચ કે આકર્ષણમાં આવીને કર્તવ્યને મંદ ન પાડો, કર્તવ્યવિમુખ ન થઈ જાવ. એ ખરો ત્યાગ છે. માનો કે એક પોલીસ ઑફિસર છે એ કર્તવ્ય બજાવે છે અને એને એવું ન કરવા માટે એક માણસ લાખ રૂપિયા લઈને આપવા આવે છે. એ ઠોકર મારી દે તો આ ત્યાગ છે, આ ખરો ત્યાગ છે. અમે લઈને ગજવામાં મૂકીએ કે ‘હારું હારું’ (હસે છે)!

હું એમ માનું છું કે દુનિયામાં કોઈ પણ જૂના ધર્મગ્રંથો વર્તમાનની બધી સમસ્યાઓ ઉકેલી શકે એમ નથી…જે જે સમયમાં જે બધું લખાયું એ ઠીક છે પણ અત્યારે કોઈ ગ્રંથને તમે સંપૂર્ણ ફિટ ન કરી શકો: સ્વામી સચ્ચિદાનંદ

સૌરભ શાહઃ આપે અઢળક ગ્રંથો વાંચ્યા છે. આ બધા જ ગ્રંથોમાંથી આપનો સૌથી પ્રિય ગ્રંથ કયો એ વિશે અમારે જાણવું છે.
સ્વામી સચ્ચિદાનંદઃ નવાઈ લાગશે તમને કે મારું વાંચન બહુ ઓછું છે. હું બહુ વાંચી શકતો નથી. મને વાંચવાનું ગમે ઇતિહાસનાં પુસ્તકો અને વિજ્ઞાનનાં પુસ્તકો. બાકી બીજા બધાં પુસ્તકોમાં મને બહુ રસ પડતો નથી. બીજું કે હું ઉજાગરા કરી નથી શકતો. રાત્રે આઠ વાગે તો હું મોટા ભાગે સૂઈ જ જાઉં છું એટલે મોડી રાત સુધી જાગીને વાંચું એવું બનતું નથી. પેપરોમાં કે કોઈ મૅગેઝિનમાં કે આમાં તેમાં જે થોડું ઘણું વાંચવાનું મળે એ જ મારું વાંચન છે.

સૌરભ શાહઃ આપે ઉપનિષદો વિશે લખ્યું છે, ભગવદ્‌ ગીતા વિશે લખ્યું છે…
સ્વામી સચ્ચિદાનંદઃ ઉપનિષદો અને ભગવદ્ ‌ગીતા તો અમારાં પાઠ્ય-પુસ્તકો હતા. એટલે પછી એના ઉપર થોડાં પ્રવચનો પણ થયા.

સૌરભ શાહઃ આપને ખૂબ પ્રિય હોય એવો કોઈ ધર્મગ્રંથ ખરો?
સ્વામી સચ્ચિદાનંદઃ એમ કહેવું જોઈએ કે એકેય નહીં. હું એમ માનું છું કે દુનિયામાં કોઈ પણ જૂના ધર્મગ્રંથો વર્તમાનની બધી સમસ્યાઓ ઉકેલી શકે એમ નથી. આપણે એનાં વ્યાખ્યાન કરીને, ભાષ્ય કરીને, એની ભાષા સરળ કરીને લોકોને કંઈક સમજાવીએ તો વાત જુદી છે. પણ જે જે સમયમાં જે બધું લખાયું એ ઠીક છે પણ અત્યારે કોઈ ગ્રંથને તમે સંપૂર્ણ ફિટ ન કરી શકો.

જ્યારે મારું પહેલું પુસ્તક છપાયું તો મેં કહ્યું લખી દો ‘સર્વ હક સર્વને સ્વાધીન’ એવું લખી દો. પણ કુમારપાળ દેસાઈએ મને સલાહ આપી કે એવું ન લખાય. લોકો દુરુપયોગ કરશે: સ્વામી સચ્ચિદાનંદ

સૌરભ શાહઃ આપ જ્યારે બધું જ ત્યાગી ચૂક્યા છો તો આપે આપનાં પુસ્તકોના કૉપીરાઇટ્સનો ત્યાગ કેમ કર્યો નથી. એ રૉયલ્ટી આપ સ્વીકારો છો. એનું શું કારણ?
સ્વામી સચ્ચિદાનંદઃ એ પણ એક ઘટના સમજવા જેવી છે. જ્યારે મારું પહેલું પુસ્તક છપાયું તો મેં કહ્યું લખી દો ‘સર્વ હક સર્વને સ્વાધીન’ એવું લખી દો. પણ કુમારપાળ દેસાઈએ મને સલાહ આપી કે એવું ન લખાય. લોકો દુરુપયોગ કરશે. માટે તમે કૉપીરાઇટ રાખો, નહીં તો આનો ઘણો દુરુપયોગ થશે. અને મને એમ લાગ્યું કે એમની સલાહ માનવા જેવી છે. પછી એમાંથી મને બે પૈસાની આવક થઈ અને એનો પહેલો લાભ મને એ મળ્યો કે જ્યારે મારે બાયપાસ સર્જરી કરવાની થઈ ત્યારે મારે કોઈની પાસે લાંબો હાથ ન કરવો પડ્યો. મારી પાસે મારા પોતાના પૈસા હતા. એટલે મેં બાયપાસ વખતે કે કોઈ વખતે કદી મારા અંગત જીવનમાં કોઈની પાસે માગવા હાથ લાંબો ન કર્યો. અને એટલે મને થયું કે આ કૉપીરાઇટ બરાબર છે. અને તે છતાં આજે ઘણાં છાપાં-મેગેઝિનોમાં લેખ છપાય છે પણ કોઈની પાસેથી હું કશું લેતો નથી. બધાને છૂટ છે કે તમે છાપો, મારે એનું કોઈ જ વળતર જોઈતું નથી.

સાધુ ન થયો હોત તો આખી દુનિયા ન જોઈ શક્યો હોત. અને આજે આ થોડું ઘણું કંઈક કામ થયું છે એ આના માધ્યમથી જ થયું છે નહીં તો ન થઈ શકે: સ્વામી સચ્ચિદાનંદ

સૌરભ શાહઃ જીવનમાં આપને કોઈ અસંતોષ અથવા તો કોઈ બાબતનો પસ્તાવો કે અફસોસ હોય એવી બાબત કઈ?
સ્વામી સચ્ચિદાનંદઃ આમ જુઓ તો અસંતોષ ઘણો છે અને પસ્તાવો પણ છે. અને નથી પણ ખરો. અસંતોષ એ બાબતનો છે કે જે મારી પાસે લક્ષ્ય છે એ હું કરી નથી શકતો. મારું લક્ષ્ય છે કે મારે મોક્ષ નહીં પણ જે પ્રજાએ મને અનાજ આપ્યું છે કે વસ્ત્ર આપ્યાં છે એના માટે મારે કંઈક કરવું. હું થોડું ઘણું કરું છું પણ મને એમાં સંતોષ નથી. કારણ કે અત્યારે પ્રચારની દુનિયા છે અને પ્રચારમાં તમે જેટલું વધારે કરો એટલું કરી શકો. અને મારી પાસે એ પ્રચારની દુનિયા નથી. જે કંઈ થયું છે એ સ્વયંભૂ થયું છે, પોતાની મેળે થયું છે. એટલે એ થોડો અસંતોષ છે. અને પસ્તાવો તો… ઘણી વાર એવું થાય કે સાધુ ન થયો હોત તો સારું હતું પણ પછી એમ થાય કે સાધુ ન થયો હોત તો આખી દુનિયા ન જોઈ શક્યો હોત. અને આજે આ થોડું ઘણું કંઈક કામ થયું છે એ આના માધ્યમથી જ થયું છે નહીં તો ન થઈ શકે.

સૌરભ શાહઃ જિંદગીમાં કંઈ બાબતનો સૌથી મોટો સંતોષ છે.
સ્વામી સચ્ચિદાનંદઃ મને કહેતાં જરા સંકોચ થાય છે પણ હું તમને ખરેખર વાસ્તવિકતા કહું છું કે મને કદી પણ પૈસાની તૃષ્ણા થઈ નથી અને પૈસાની જ નહીં, માનની પણ નથી થઈ અને એટલા કારણે જ હું થોડો નિર્ભય થઈને બોલી શકું છું. પરમેશ્વરે મારા ઉપર બહુ દયા કરી કે હું અહીં જઉં તો પૈસો મળે – અહીં જઉં તો આટલો પૈસો મળે એવી મને કદી ઇચ્છા થઈ નથી કે અત્યારે પણ થતી નથી. એમ મને આ માન મળે કે કોઈ પદવી મળે કે ફલાણી ઊંચી ગાદી મળે એવી કોઈ ઇચ્છા નથી થતી. એ અર્થમાં મને ભગવાને બહુ મોટો સંતોષ આપ્યો છે.

સૌરભ શાહઃ આગામી વર્ષોમાં આપ ભારતને ક્યાં પહોંચેલું જોવા માગશો?
સ્વામી સચ્ચિદાનંદઃ ભારતને હું તો સારામાં સારી જગ્યાએ પહોંચેલું જોવા માગું. પહેલી મારી દૃષ્ટિ છે અર્થતંત્ર ઉપર અને બીજી મારી દૃષ્ટિ છે રક્ષાતંત્ર ઉપર. ભારત અર્થતંત્રની દૃષ્ટિએ દુનિયાનું સમૃદ્ધ રાષ્ટ્ર બને અને રક્ષાની દૃષ્ટિએ બળવાન રાષ્ટ્ર બને. બસ, એ મારી દ્રષ્ટિ છે. પણ અર્થતંત્રની દૃષ્ટિએ જો તમારે સમૃદ્ધ બનવું હોય તો તમારે ઘણાં પરિવર્તન કરવાં પડે. આ જે બધાં સરકારીકરણો છે એ સરકારીકરણોમાંથી છૂટવું જોઈએ. એસટી છે કે વીજળી છે કે ફલાણું છે-જેટલું તમે સરકારીકરણ કરો એ પ્રજાના પૈસાને ચૂસવાનું જ કામ છે. તમે બને એટલું એનું ખાનગીકરણ કરો અને ખાનગીકરણ એવું હોય કે જેમાં કોઈનું શોષણ ન થાય. આ જેમ ગાડીઓ આવી, એ ગાડીઓ ઘણી બધી સ્પર્ધામાં આવી તો તમારે જેટલી જોઈએ એટલી ગાડીઓ મળે છે. પહેલાં બે વરસે ગાડી મળતી. એટલે એવી રીતે દેશનું અર્થતંત્ર સમૃદ્ધ થવું જોઈએ. બહુ બધું મૂડીરોકાણ થવું જોઈએ, ઘણા બંધ બનાવવા જોઈએ, ઘણાં કારખાનાં થવાં જોઈએ અને માણસોને રોજીરોટી મળવી જોઈએ. અને પ્રજા સારી સુખી થવી જોઈએ.

ઘણા મીડિયાએ એકપક્ષી એની એ જ વાત રિપીટ કર્યા કરી, એની એ જ વાત રિપીટ, રિપીટ, રિપીટ… અને હું માનું છું એણે બહુ નુકસાન કર્યું. ગુજરાતને, દેશને, ગુજરાતની છબીને બહુ નુકસાન કર્યું છે: સ્વામી સચ્ચિદાનંદ

સૌરભ શાહઃ અને રક્ષાતંત્ર…
સ્વામી સચ્ચિદાનંદઃ રક્ષાતંત્રની દૃષ્ટિએ ભારત પાસે આધુનિકમાં આધુનિક શસ્ત્રો હોય, આધુનિક સેનાપતિઓ હોય, સૈનિકો હોય અને આપણે કોઈની સામે લડવું નથી પણ કોઈ આપણને લડાવવા માગે કે આપણું પડાવી લેવા માગે તો ચૂપચાપ બેસી પણ નથી રહેવું. હું તો એમ માનું છું કે કમજોરી જ યુદ્ધનું આમંત્રણ છે. તમે કમજોર હો એટલે યુદ્ધ થવાનું. પણ તમે બળવાન હશો તો કોઈ દિવસ તમારી ધરતી પર યુદ્ધ નહીં થાય.

સૌરભ શાહઃ આપ માનવતાવાદી છો. ગોધરાના હત્યાકાંડ પછી ગુજરાતમાં રમખાણો થયા. હ્યુમન રાઇટ્સ કમિશન – માનવ અધિકાર પંચે ઘણી બધી ટીકાઓ કરી ગુજરાતની, તો આપ સ્વાભાવિક રીતે એ માનવઅધિકાર પંચની ટીકાઓ સાથે સંમત થતા જ હશો…
સ્વામી સચ્ચિદાનંદઃ (તરત જ) ના. માનવ અધિકાર પંચ હોવું જોઈએ. પણ માનવ અધિકાર પંચ જો ગુંડાઓ માટે કહે કે એને એન્કાઉન્ટર કેમ કર્યો? પણ એણે કેટલાંને એન્કાઉન્ટર કર્યાં! એ માણેસે જીવતેજીવત કેટલા માણસોને મારી નાખ્યા, કેટલી સ્ત્રીઓને… એમાં કોઈ માનવ પંચ આવતું નથી. એને કંઈ થાય તો માનવ પંચ આવી જાય. એ બરાબર નથી. એકપક્ષીય છે. એ બરાબર નથી. ગોધરાકાંડ થયું અને એના પછી જે થયું એ બંને બરાબર નથી પણ જો ગોધરાકાંડ થયું તો એમાં પણ માનવ પંચે આવીને કંઈક કહેવું જોઈએ. એના પછી જે થયું એ જ વાત લઈ લઈને બેસી રહે અને એકપક્ષી ચિત્ર ઊભું કરે એ વાત બરાબર નથી.

સૌરહ શાહઃ બાપજી એ દરમ્યાન, ગુજરાતનાં રમખાણો દરમ્યાન, કેટલીક ટીવી ચેનલોએ કેટલાંક અંગ્રેજી છાપાંઓએ જે ભૂમિકા ભજવી એ વિશે તમારા શા વિચારો છે.
સ્વામી સચ્ચિદાનંદઃ ઘણા મીડિયાએ એકપક્ષી એની એ જ વાત રિપીટ કર્યા કરી, એની એ જ વાત રિપીટ, રિપીટ, રિપીટ… અને હું માનું છું એણે બહુ નુકસાન કર્યું. ગુજરાતને, દેશને, ગુજરાતની છબીને બહુ નુકસાન કર્યું છે. જાણે કે પાછળ જ પડી ગયા. એ બરાબર નથી.

સૌરભ શાહઃ એનો કોઈ ઇલાજ ખરો?
સ્વામી સચ્ચિદાનંદઃ એનો ઇલાજ એ છે કે એની સામે આવી જ બીજી એક ચેનલ ઊભી કરો. કોઈ માણસ ખોટી વાતો ઊભી કરે છે તો સામે સાચી વાત મુકનારી ચેનલ ઊભી થવી જોઈએ. એવી સાચી ચેનલો મળતી નથી એટલે હું ઘણી વાર કહું કે આપણે એવી ચેનલો ઊભી કરવી જોઈએ કે વાસ્તવિક વાત રજૂ કરે, ખોટી વાતો નહીં, લોકોને હિતકારી હોય એવી વાતો.

સૌરભ શાહઃ નવી પેઢીના યુવાનોને તમારા પુસ્તકો વાંચીને, પ્રવચનો સાંભળીને ખૂબ પ્રેરણા મળે છે. આ યુવાનો શું કરી શકે ભારત માટે? ભારતની બહાર રહેતા ગુજરાતીઓ શું કરી શકે ભારત માટે? એમના માટે શું સંદેશો આપશો?
સ્વામી સચ્ચિદાનંદઃ એમના માટે મારી પાસે ત્રણ વસ્તુઓ છે. પહેલાં તો વાડાબંધીથી મુક્ત થાવ. આ વાડાઓ છે એ વિભાજન કરે છે અને વિભાજન કદી પણ તમને બળવાન નહીં થવા દે એટલે વાડામુક્ત થાવ, સંપ્રદાયમુક્ત ધાર્મિકતા. બીજું છે કે કાયર ન બનો, વીર બનો, બહાદુર બનો, બાહોશ બનો. તમને કરાટે આવડવું જોઈએ, કોઈ વાર જરૂર પડે તો તમે બે માણસો સામે ટક્કર લઈ શકો એવા બળવાન થાવ, તમારું શરીર મજબૂત હોવું જોઈએ. અને ત્રીજી વાત એ છે કે પલાયનવાદી ન બનો. છોકરા-છોકરીઓને સાધુ ન બનાવો. એને સજ્જન બનાવો. એને ઍરફોર્સમાં મોકલો, એને મિલિટરીમાં મોકલો જેથી તેઓ દેશનું રક્ષણ કરે. પરાવલંબી થઈને ભીખ માંગીને ખાવાનું ન શીખવાડો.

સૌરભ શાહઃ બાપજી, આપના સમૃદ્ધ જીવનના નીચોડસમા ઉમદા વિચારો અમારી સાથે વહેંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વંદન.
સ્વામી સચ્ચિદાનંદઃ ધન્યવાદ!

(સંપૂર્ણ)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. Saurabhbhai Swami Sachhinanandji is not only way much ahead then any other contemporary Saints but also that teacher who ropes seeds of patriotism, duties towrds nation, society and family in one’s conscious mind. Rarely we find such an Ideal. The depth in your questions is also remarkable as the answers although all knows in their subconscious mind but rarely people get conscious and practice it. You posting these intervies click conscious minds of a conscious person in today’s society not only in india but all over the world who follows you on social media. Keep it up Sir l. 👍👌🙏

  2. પૂજ્ય સ્વામીજી જેવા દીર્ઘદૃષ્ટિ, સ્વદેશપ્રેમી, સ્પષ્ટ અને નિર્ભય વક્તા બહુ જૂજ મળશે અને એમની નિષ્પક્ષ વાતોને આપણી સમક્ષ ગાગરમાં સાગરની જેમ રજૂ કરનાર સૌરભભાઈ જેવા સમીક્ષકો પણ દુર્લભ છે.

    સાથે સાથે આવી ઉત્તમ વાતો વાંચીને મોળા લોઢા જેવા પાણીના ચઢે એમ બેસી ના રહીએ તો જ એ બંનેની મહેનત ફળે.

    વર્તમાન વડા પ્રધાન શ્રી. નરેન્દ્રભાઈ મોદી જેવા દેશપ્રેમી નેતા મળ્યા છે જાગૃત બની એમના પગ ખેંચનારાઓને સપોર્ટ ના કરીએ અને દેશને આગળ વધારવામાં જાગૃત બનીએ તો જ એમની મહેનત સાર્થક બને !
    હવે તો જાગીએ ! 👏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here