સર્વે અને સર્વેક્ષણનું સટરપટર : સૌરભ શાહ

(તડકભડક, ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, 9 જુલાઈ 2023)

છીંક ખાવામાં ભારતનો ક્રમ વિશ્વમાં 86મો છે. 2030ની સાલ સુધીમાં 50 ટકા ભારતીયોને ડાયાબિટીસ હશે. રોજની 10 ગ્રામ ચૉકલેટ ખાવાથી બાળકોની બુદ્ધિશક્તિ ખીલે છે. રોજનો એક ગ્લાસ વાઈન પીવાથી સેહત સારી રહે છે. 10માંથી 7 મતદારો ઈચ્છે છે કે આગામી ચૂંટણીમાં કોઈ નવો ચહેરો વડા પ્રધાન બને.

રોજ આ પ્રકારના સર્વેક્ષણના આંકડા તમે વાંચતા હશો. આમાંના અનેક સર્વે તમારા સબ-કોન્શિયસમાં ઘર કરી જતા હોય છે. કોઈ ક્રુશ્યલ ઘડીએ નિર્ણય લેવાનો આવે ત્યારે આ સર્વેનાં તારણો તમારા અર્ધજાગ્રત માનસમાંથી કૂદકો મારીને બહાર આવી તમારી પાસે પોતાનો ધાર્યો નિર્ણય કરાવતાં હોય છે.

સર્વેક્ષણ કે સર્વેનું નામ પડતાં જ આપણી બુદ્ધિ બહેર મારી જતી હોય છે. આવા સર્વેની મજાક ઉડાવતી એક કાર્ટૂન પટ્ટી યાદ આવે છે. કાર્ટૂનમાંનું તોફાની બાળક હાથમાં કાગળ લઈને પોતાના પિતાની આગળ ધસી જાય છે અને કહે છે ‘ડેડી, આ દુનિયાના સૌથી જુલમી પિતાઓમાં તમારું નામ પહેલા નંબર પર છે એવું એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે.’

‘અચ્છા, કયા સર્વેમાં એ બહાર આવ્યું?’

‘આપણા ઘરના સર્વેમાં.’

‘ઘરમાં તેં કોને કોને પૂછ્યું ?’

‘મમ્મીને, મારી બહેનને અને મારી બિલાડીને.’

પિતા હસી પડ્યા પણ આપણા માટે આ હસવા જેવી વાત નથી.

આવા સર્વે કરાવનારાઓમાં ચૉકલેટ બનાવનારી કમ્પની, વાઈન મેન્યુફેક્ચર્સ એસોસિયેશન, ફાર્માસ્યુટિકલ લૉબી, ડૉક્ટરોની ટોળકી કે વિપક્ષી એકતા જૂથ હોય છે એની આપણને ખબર જ નથી હોતી. આપણે જાણવાની દરકાર પણ નથી કરતા. ધારો કે કોઈએ પૂછપરછ કરી તો કહેવામાં આવે કે અમુકતમુક સંસ્થાએ આ સર્વે કર્યો. (આ સંસ્થાનું કામ જ સર્વે કરવાનું હોય છે, પણ એણે કોના વતી આ સર્વે કર્યો, કેટલા પૈસા લઈને કર્યો, એ વિશે તો સર્વેના આંકડા છાપનારું મીડિયા પણ બેખબર હોય છે).

ધારો કે કોઈ જેન્યુઈન સર્વે કરવાવાળો માઈનો લાલ નીકળ્યો તો એણે કયા લોકોમાં સર્વે કર્યો કે એના સર્વેની સેમ્પલ સાઈઝ કઈ હતી તેની વાત તમારાથી ખાનગી રાખવામાં આવે છે. મોટેભાગે તો પેલી કાર્ટૂન પટ્ટી જેવું જ ભોપાળું બહાર નીકળે- જો એમાં ઊંડા ઊતરો તો.
ઈન,મીન ને સાડે તીન લોકોમાં થયેલા સર્વેની છાપ આપણા મનમાં ઊંડે સુધી ઘર કરી જાય છે. અનેક વખત દોડવું’તું ને ઢાળ મળી જાય એવી પરિસ્થિતિ સર્જાય છે. છ મહિના પહેલાં તમે દારૂ છોડ્યો હોય અને મિત્રોની મહેફિલમાં બેઠા હોય ત્યારે સવારે જ વાંચેલો સર્વે તમારા સંકલ્પબળ પર પાણી ફેરવી દે : ‘રોજનો એક પેગ પીવાથી હૃદયની કામ કરવાની ક્ષમતામાં 78 ટકાનો વધારો થાય છે.’

આ સર્વે વ્હિસ્કીના નિર્માતાઓના કોઈ ફેડરેશન દ્વારા ચાલતા કોઈ ફાઉન્ડેશન હેઠળના ટ્રસ્ટ તરફથી કરાવવામાં આવ્યો છે એની જાણ તમને નથી હોતી. 10માંથી 7 જણ આવું કહે છે એવો કોઈ સર્વે શાસક પક્ષની સામેના ખેમામાં હોય એવા પાંચ-પચાસ-પાંચસો લોકોમાં થયો હોય છે. એ સર્વે કરાવવામાં નાણાં પણ કોઈ વિપક્ષી રાજકીય પાર્ટીએ જ ખર્ચ્યા હોય છે.

સીધા લોકો ક્યારેય આવા આડાઅવળા સર્વેનો સહારો નથી લેતા, લેવાની જરૂર પણ નથી હોતી એમને. આડા લોકો તમને ઉલ્લુ બનાવવાની રાહ જોઈને જ ઊભા હોય છે. તમને ઊંધા રવાડે ચડાવવા તેઓ ખોટા આંકડાઓ તમારા માથા પર મારતા જ રહે છે, મારતા જ રહે છે- દિવસ-રાત.

તેઓ તમારાં સત્યો-તથ્યોને તોડવા ભૂગર્ભમાંથી આવા આંકડાઓ લઈ આવશે, હવામાંથી આવા અદ્ધર આંકડાઓ શોધી કાઢશે તો શું તમારે પણ તમારી વાત સાચી ઠેરવવા જુઠ્ઠા સર્વેના જુઠ્ઠા આંકડાઓ તેમના માથે મારવા? ના, એમણે પોતાની વિશ્વસનીયતા ઓછી કરી એનો મતલબ એ નથી કે આપણે એમની દેખાદેખી કરીને આપણી ક્રેડિબિલિટી ઘટાડવી.

આપણે એમના આંકડાઓને ચેલેન્જ કરી શકીએ. એ આંકડાઓની આધારભૂતતાને પડકારી શકીએ.

કોઈ તમને એમ કહે કે ભારતમાં દર વર્ષે અમુક હજાર દલિતો પર અત્યાચાર થાય છે ત્યારે તમે એને અધવચ્ચે જ પડકારીને પૂછો કે આ આ આંકડો તમે ક્યાંથી લાવ્યા? જ્યાંથી લાવ્યા તે આ આંકડો કયા આધારે લાવ્યા? જેમના પર અત્યાચાર થયો હોવાનું કહેવાય છે એ બધા જ દલિતો હતા એવું કેવી રીતે નક્કી થયું, કોણે નક્કી કર્યું? અને અત્યાચાર એટલે શું? મારપીટ, હત્યા, બળાત્કાર, મંદિર પ્રવેશબંધી, આભડછેટ કે પછી સાદો લડાઈઝઘડો, ગાળાગાળી કે ધક્કામુક્કી? આ દરેક બતાવવા કોઈ પુરાવા છે? પોલીસ ફરિયાદ છે? આ ‘અત્યાચાર’ કરનારા કોણ હતા? કોઈ દલિતે જ આપસી ટંટામાં બીજા દલિતને ધોલધપાટ કરી હોય એવા કેટલા કિસ્સા, કોઈકે પાકીટ માર્યું અને પ્રજાએ એને રસ્તા વચ્ચે પકડીને ગડદાપાટુ કરી તો એને અત્યાચાર કહેવાય? કોઈએ કોઈની માબહેન સાથે અનિચ્છનીય વ્યવહાર કર્યો અને પકડાઈ ગયો ત્યારે લોકોએ એને ધોપટ્યો તો એ અત્યાચાર કહેવાય?

સર્વેક્ષણો થતાં રહેવાનાં. એને ચેલેન્જ કરવાનું કામ તમારું છે. કોઈપણ સર્વેક્ષણમાં સૌથી પાયાનું કામ જે જણાવાયું હોય તે એની મેથડોલોજી હોય. સર્વે ક્યારે થયો, સેમ્પલની સાઈઝ શું હતી? એટલે કે કેટલા લોકોમાં થયો એની માહિતી. કયા પ્રદેશમાં થયો? કયા એજ ગ્રૂપમાં થયો? સર્વે કરાવનારાઓને પૈસા કોણે આપ્યા. આ સ્પોન્સરની કુંડળી શું કહે છે? આવાં તો બીજાં અનેક પેરામીટર્સ હોય છે જેના આધારે તમે સર્વેની જેન્યુઇનનેસ નક્કી કરી શકો.

સર્વેમાં ઘણીય વખત સફરજનની તુલના સંતરા સાથે થઈ જતી હોય છે. અમેરિકા-યુરોપનાં બધાં જ સામાજિક ધોરણોને તમે ભારતમાં લાગુ ન પાડી શકો. ડિવોર્સ, આડા સંબંધો, માતા-પિતાની સાથે રહેવું, એકલતા અનુભવવી વગેરે અનેક બાબતોમાં આપણો સમાજ એ લોકો કરતાં જુદો છે. એ લોકોના દેશમાં સરકાર ત્યાંના નાગરિકો પાછળ આટલો તબીબી ખર્ચ કરે છે અને ભારતમાં આટલો જ એવું જાણીને ભારતને કોસવાની પણ જરૂર નથી. ત્યાંના નાગરિકે મેડિકલ ઇન્સ્યોરન્સનું તગડું પ્રીમિયમ ભરેલું હોય છે. સરકાર આ પૈસામાંથી સારવાર કરે છે. આપણે ત્યાં એવું કરવું નાગરિકો માટે ફરજિયાત નથી અને એને કારણે આધુનિક સારવારનો ખર્ચ પણ ત્યાંના કરતાં ઘણો ઓછો છે.

દવાઓના તેમજ નવી શોધાયેલી ટ્રિટમેન્ટોના પ્રવાહ માટે આવાં સર્વેક્ષણોના ખભા પર ફાર્મા લૉબીની બંધૂક મૂકીને આપણા પર નિશાન તાકવામાં આવતું હોય છે. કોરોના વખતે રસીની બાબતમાં વિદેશી બ્રાન્ડવાળાઓએ આખી દુનિયાને કેવી રીતે મૂર્ખ બનાવી તેનું ભોપાળું ખુલ્લું પડી ગયું છે.

ચૂંટણી વખતનાં ઓપિનિયન પોલ એક આખી જુદી જ બોલગેમ છે. એમાં તો થોડાક જ દવિસમાં ખુલ્લા પડી જવાતું હોય છે. આમ છતાં અનેક વાર એમાં પણ ઘાલમેલ થતી હોય છે.

રોજ આ દુનિયામાં 2,431 સર્વે થતા હોય છે એવું મારું સર્વેક્ષણ છે. આમાંના 2,430 સર્વે તમને ગેરમાર્ગે દોરનારા હોય છે. એવું આ સર્વેનું તારણ છે. તમારે માનવું હોય તો માનો!

પાન બનારસવાળા

એક સર્વે એમ કહે છે કે સર્વેક્ષણો ક્યારેય ખોટાં નથી હોતાં!

– અજ્ઞાત

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

7 COMMENTS

  1. સર્વે ના ખેલ મોટા ભાગના નફા નુકસાન ની ગણતરીથી જ થતા હોય છે,તેમના લાભાર્થી દ્વારા જ ફંડ મેનેજ થતું હોય છે,જ્યારે કોરોના આવ્યો ત્યારે યુરોપ અમેરિકન એજન્સીઓ ભારતમાં આમ થશે ને તેમ થશે તેવા મનઘડંત રિપોર્ટ આપતા હતા,જ્યારેબીજાના રિપોર્ટ આપનારા દેશોની હાલત દુનિયાએ જોઈ લીધી છે એમાં કોવિડ વેક્સિન માં ભારત જેવી સફળતા કોઈને નથી મળી.
    આપણે ન્યૂઝ માં વર્ષોથી જોઈએ છીએ કે આ તેલ ના ખવાય પછી એના એ જ પાછા ખાવાની સલાહ આપે,પહેલા કહેતા ઘાણીનું તેલ ના ખવાય,રિફાઈન્ડ તેલ જ ખવાય,હવે ઈના ઈજ ઘાણીના તેલ ખાવાની સલાહ આપે છે,એક દિવસ એમ કહે કે ચા સારી પછી કે ના પીવાય,એવી જ રીતે દરેક બાબતમાં આ લોકોના વેપાર વ્યવસાય માં અનુકુળ આવે તેવા સર્વે ના રિપોર્ટ આપે અને આપણે બધુ માની લઈએ,બની બેઠેલા અર્થશાસ્ત્રીઓ(અનર્થશાસ્ત્રી)ભારતના અર્થતંત્ર પર વર્ષોથી રિપોર્ટ આપે છે જેઓ આજે ઊંધા પડી રહ્યા છે.

  2. એક સર્વે પ્રમાણે સૌરભ શાહ ગુજરાતી લેખકોમાં સહુથી વધારે લોકપ્રિય છે.

    • તદ્દન બોગસ સર્વે છે.
      તપાસ કરશો તો ખબર પડશે કે આ સર્વે લેખકના પ્રકાશકે કરાવ્યો છે🤪🤣

  3. 100 % agree…survey thayo hoy koi pan vastu mate..tyare aamne koi puchva aavyu hoy ..ewu aaj sudhi thayu j nathi..bjp hoy ke cong…badha potana swarth mujab j report banav ta hoy che

  4. સર્વે બર્વે આર્ટિકલ best છે. મૂર્ખ બનાવવાની કલામાં પાવધરા લોકો બિઝનેસ ફિલ્ડમાં असङ्ख्य કહી શકાય. લોકોને નિર્ણય લેવા પોતાના આત્મ બુદ્ધિ નૉ જ સહકાર લેવાય આજગૃત મનમાં વણેલાં બીજ અંકુરિત થાય પણ સ્પિરિટ નાખી બળવો રહ્યો.
    મઝા આ ગયા લગે રહો સૌરભ મુન્ના ભાઈ 😊👌🙏🌹

  5. A very small section of society/ people go into detail. Out of which also few understand. Most of the people DONOT want to go into deep/ dip, donot have time. Life goes on. Large part get Fooled. I wish I am wrong.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here