મહાભારત, પુરાણો અને શેક્સપિયર : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક : મંગળવાર, ચૈત્ર વદ આઠમ, વિક્રમ સંવત ૨૦૭૭. ૪ મે ૨૦૨૧)

દસમો અને છેલ્લો મુદ્દો રજૂ કરવા માટે મારે શેક્સપિયરનો આશરો લેવો પડે એમ છે. મહાભારત અને પુરાણોમાં શેક્સપિયર ક્યાંથી ઘૂસી ગયો? સમજાવું તમને.

દ્રૌપદીની બાબતમાં તમે જોયું ગઈકાલે. આપણે ત્યાં જ નહીં, બધે આવું થતું હોય છે. એક જણ ગરબો ગવડાવવાનું શરૂ કરે એટલે બધા લોલેલોલ કરવા માંડે. શેક્સપિયરના અતિ વિખ્યાત અને અતિ ચવાઈ ગયેલા અવતરણ ‘વૉટ્સ ઈન અ નેમ’નું આવું જ થયું છે. નામની વાત નીકળે એટલે તરત જ કોઈ બોલી પડવાનું કે શેક્સપિયર તો કહી ગયો છે કે નામમાં તે વળી શું દાટ્યું છે.

આગળપાછળના સંદર્ભ જોયાજાણ્યા વિના આપણે માની લીધું છે કે શેક્સપિયરે નામને બિલકુલ મહત્ત્વ ન આપવાની વાત કરી હતી. બિલકુલ ખોટી વાત છે. સૌપ્રથમ તો શેક્સપિયરે કયા સંદર્ભમાં લખ્યું છે તે જુઓ. ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટકના બીજા અંકનું બીજું દૃશ્ય આ પ્રમાણેનું છે: જુલિયટ કૅપ્યુલેટના બગીચામાં એનો પ્રેમી રોમિયો મોન્ટેગ્યુ પ્રવેશે છે. જુલિયટ ઝરૂખામાં આવે છે અને રોમિયો નીચે ઊભો ઊભો વાત કરે છે. મોન્ટેગ્યુ અને કૅપ્યુલેટ કુટુંબો વચ્ચેના વિખવાદને કારણે બેઉનું મિલન શક્ય નથી એ મતલબના સંવાદો પછી જુલિયટ કહે છે, ‘રોમિયો, તું મોન્ટેગ્યુ કુટુંબનો છે એની જ આ બધી આપત્તિ છે. મોન્ટેગ્યુ એટલે શું? એ કંઈ હાથ, પગ, ચહેરો કે માનવીનું બીજું કોઈ અંગ તો નથી. એને બદલે બીજું કોઈ પણ નામ (અહીં કુટુંબનું નામ અર્થાત્ જાતિ કે અટકનો સંદર્ભ છે) હોઈ શકે…’ અને પછી ઉમેરે છે, ‘નામમાં (એટલે કે અટકમાં કે જાતિમાં) વળી શું છે? ગુલાબને ગમે તે નામ આપો તોય એની સુગંધ તો એની એ જ રહેવાની.’

ભારતીય સંદર્ભમાં આ નાટક લખાયું હોત તો છોકરીએ કહ્યું હોત કે ‘તું રાઠોડ, પરમાર, સોલંકી કે શાહ હોય કે પછી યાજ્ઞિક, જોશી, ત્રિવેદી કે દવે હોય તો પણ હું તને જ પરણવાની.’ માણસની અટક એની જ્ઞાતિની અથવા એના ખાનદાનની પ્રતિનિધિ સમાન છે.

હવે અહીં વાત એકદમ સ્પષ્ટ છે કે શેક્સપિયર ‘નામ’ લખે છે ત્યારે એને વાસ્તવમાં ‘કુટુંબનું નામ’ એટલે કે ‘જાતિ’ કે ‘અટક’ અભિપ્રેત છે. આખા નાટકમાં બે અટકને કારણે, દુશ્મનાવટ ધરાવતાં બે અલગ અલગ ખાનદાનને કારણે, રોમિયો-જુલિયટના મિલન આડેની દીવાલ ચણાય છે. જુલિયટના મોઢે શેક્સપિયર જે કહેવડાવવા માગે છે તેનો ધ્વનિ સ્પષ્ટ છે કે જે કંઈ ઉપાધિ છે તે બે અલગ ખાનદાનની કે જાતિવાદની જ છે. પણ ઈન્ગલેન્ડમાં કોઈએ ચક્કર ચલાવ્યું એટલે આપણે પણ ચગડોળને ધક્કો આપીને કહેવા લાગ્યા: નામમાં તે વળી શું છે?

આટલું વિષયાંતર કરીને સમાપન પર આવીએ. આત્મા અને મોક્ષ આ બેઉ સૌથી વધુ ગેરસમજ પામેલી કનસેપ્ટ્સ છે આપણા ધર્મમાં. દરેક ધર્માચાર્ય/વિચારક/ગુરુ/ચિંતક/પ્રવચનો કરનારા તથા વગેરે વગેરેઓ પોતાને મન ફાવે તેવાં અર્થઘટનો કરીને, શાસ્ત્રોને ટાંકીને આ બે કન્સેપ્ટ્સની જલેબીઓનાં ગૂંચળાં પાડીને એને ચાસણીમાં ઝબોળી ઝબોળીને આપણને પીરસ્યા કરે છે. ધર્મ-અધ્યાત્મના ક્ષેત્રે તમે લોકોને જેટલા વધુ ગૂંચવી શકો એટલી તમારી મહત્તા વધી જાય. ગૂઢ જણાતી વાતોને જો સરળતાથી સમજાવો તો જ્ઞાની ન લાગો.

મોક્ષ વિશે ઘણી અટપટી વાતો કરી લોકોએ. ગાંધીજીએ ભગવદ્ ગીતાનો સરળ ગુજરાતી અનુવાદ કર્યો છે જે ‘અનાસક્તિયોગ’ના નામે પ્રસિદ્ધ છે. એની નાનકડી પણ ઘણી અર્થસભર પ્રસ્તાવનામાં ગાંધીજી લખે છે કે, ‘મારે મન ગીતામાંનો મોક્ષ એટલે પરમ શાંતિ.’

મોક્ષ એટલે મુક્તિ. પરમ શાંતિ માણસને ક્યારે મળે? ચિંતાઓમાંથી એ મુક્ત થાય ત્યારે. ચિંતા જન્માવતી પરિસ્થિતિઓમાંથી આપણે મુક્ત થઈએ કે ના થઈએ પણ એવી કપરી પરિસ્થિતિઓ વખતે પણ સમત્વ રાખીને, શ્રદ્ધા જાળવીને, ચિંતાની લાગણીથી તો મુક્ત થઈ જ શકીએ છીએ. જીવનનો આ જ હેતુ હોઈ શકે. ગમે એવી આકરી, ચિંતા જન્માવનારી પરિસ્થિતિઓમાં પણ ચિંતા કરવાને બદલે શાંતિનો અનુભવ કરી શકીએ એવી સ્વસ્થતા પ્રાપ્ત કરીએ. ધર્મનું ચિંતન આપણને આ શીખવાડે છે. ધર્મનો આ હેતુ છે —આપણને આ રીતે મોક્ષ આપવાનો.

પણ અહીં તો બધા મહાપુરુષોએ આ લોક અને પરલોકના મોક્ષની વાતો કરી કરીને આખું વાતાવરણ જ ડહોળી નાખ્યું છે જેને લીધે જીવનની અત્યંત મહત્ત્વની પણ સાવ સાદીસીધી વાતો ગૂંચવાઈ ગઈ, મોક્ષ એમાંનો એક.

બીજો આત્મા. સ્વામી સચ્ચિદાનંદે ‘મારી બાયપાસ સર્જરી’ પુસ્તિકામાં એક તબક્કે લખ્યું છે કે ઓપન હાર્ટ સર્જરી સમયે એમનું હૃદય બંધ પાડી દેવામાં આવ્યું અને હૃદયનું કામ એ મિનિટો દરમ્યાન મશીનોએ ઉપાડી લીધું. તો પછી એ વખતે આત્મા ક્યાં ગયો! સ્વામીજીને કોઈએ કહ્યું હતું કે બાપજી, આત્મા એટલો સમય તમારા જમણા પગના અંગૂઠામાં વાસ કરતો હતો!

આત્મા વિશેની ભરમાવનારી વાતોનો સ્વામી સચ્ચિદાનંદે સાવ છેદ ઉડાડી દીધો છે – આ ઑપરેશનની પુસ્તિકા દ્વારા.

તો ભગવદ્ ગીતામાં આત્મા અમર છે, પાણીથી પલળતો નથી, શસ્ત્રો એને છેદી શકતા નથી એવી વાતો જે લખી છે તેનું શું?

એનું અર્થઘટન હું મારી રીતે કરું છું. આત્મા કંઈ હાથથી અડી શકાય કે જોઈ શકાય એવી કોઈ ચીજ નથી. એ એક કન્સેપ્ટ છે. માણસનું મગજ-હૃદય જોઈ-અનુભવી-સ્પર્શી શકાય એવી ચીજ છે. પણ મન-લાગણી-બુદ્ધિ-વિચાર એ બધું કંઈ જોઈ-સ્પર્શી શકાય નહીં, માત્ર અનુભવી શકાય.

આત્મા એટલે આપણા મન, લાગણી, બુદ્ધિ, વિચારો વગેરેનો સમૂહ. આપણે મરી જઈએ છીએ એ પછી આપણા વિચારો, આપણી લાગણીઓ વગેરે આપણે જે જે લોકોની સાથે જીવ્યા એમને યાદ રહે છે. આપણો થોડોક-થોડોક અંશ હવે આ રીતે આપણાં સંતાનો, સ્વજનો, મિત્રો, વાચકો વગેરેમાં જીવે છે. એ લોકો મૃત્યુ પામશે ત્યારે એમના વિચારો-એમની લાગણીઓ પણ એમનાં સ્વજનો વગેરેમાં ઉમેરાયેલા હશે અને સદગતના એ વિચારો-લાગણીઓના એક અંશમાં આપણાં વિચારો-લાગણીઓ ઉમેરાઈ જ ચૂક્યા છે જે હવે આ લોકો થકી જીવંત રહેશે. આમ આત્મા ક્યારેય મરતો નથી. આપણા પૂર્વજોના વિચારો-એમની લાગણીઓ અત્યારે આપણામાં જીવે છે, આપણા પિતાની વાતો, આપણી દાદીના વિચારો વગેરે અત્યારે આપણા અસ્તિત્વનું અવિભાજ્ય અંગ છે. આપણા મર્યા પછી આ બધું જ એ લોકો થકી જીવંત રહેશે જે જે લોકો એક યા બીજા તબક્કે સીધી યા આડકતરી રીતે આપણા સંપર્કમાં હતા અથવા છે.

આત્માને કે મોક્ષને આવી સાદી-સરળ રીતે સમજાવવાને બદલે ગૂઢ, અટપટી ભાષામાં રજૂઆત કરતાં આવડતું હોત તો આજે અમારી પાસે પણ લાખો ભક્તો, હજારો શિષ્યાઓ અને અબજોની સંપત્તિ ધરાવતાં ટ્રસ્ટો હોત!

આજનો વિચાર

મુઝે હરદમ હરાયા ના કર, અય ઝિન્દગી.
મૈં આદમી હૂં, કૉન્ગ્રેસ નહીં!

– વૉટ્સએપ પર વાંચેલું

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

7 COMMENTS

  1. જય દ્વારકાધીશ
    આપના 13 લેખો નું વાંચન કરવાથી, મન ના ઘણા બધા ગૂંચવાડા દૂર થયા , ઘણી નવી બાબતો પણ જાણવા મળી.
    દ્રષ્ટાંત દ્વારા આપેલી સમજ, ગળે થી ઉતરવી સહેલી લાગી.
    આભાર.

  2. એક જ બેઠકે તેરે તેર લેખો વાંચી જવા પડ્યા. ઘણાં ખુલાસા ઓ મળી ગયા. ક્યાંક ક્યાંક ગૂંચવણ પણ થઈ. પણ તે તો મારી નાસમજ…. દ્રૌપદી વિશે હજી સરળતાથી સમજાવી શકાયું હોત. નાનપણ પછી સમજ આવી ત્યાર થી પ્રસ્થાપિત વિષમતાઓ વિશે ખુલાસો વિચારતો રહ્યો હતો પણ મધ્ય યુગનાં ધર્મ પ્રવર્તકો એ જ હેતુપૂર્વક ગૂંચવાડાઓ ઉભા કર્યા હોય તેમ માની શકાય છે.
    તમારી આ વાત સાથે સંપૂર્ણ સહમત છું કે સરળ વિચારો વાળા મગજો ને ગૂંચવી નાખવા ભારે અને અલંકૃત શબ્દોથી અભિભૂત કરી શકાય છે. હું આર્ટ અને એન્ટિક માં ડીલ કરું છું અને મુખ્યત્વે ઓથેન્ટીકેશન નું મારુ કામ છે અને આર્ટ એક્ઝીબિશનોમાં કલાકારો અને ક્રિટિક્સ ને ….
    “આમાં માનવ મન ની ગુહ્ય ગહેરાઈ ઓનું નિરુપણ કરવામાં આવેલું છે…” એવું બધું બોલતા સાંભળું છું ત્યારે મનોમન હસી પડું છું કેમકે હું જાણું છું કે તેઓ માત્ર ને માત્ર ઇમ્પ્રેશન પાડવા પ્રયત્ન કરતા હોયછે.

    • મેં નોંધ્યું છે એમ દ્રૌપદી વિશે અગાઉ વિસ્તારપૂર્વક લખી ગયો છું એટલે અહીં એ વિશે ચાલતી કલમે વાત કરી જેને કારણે પૂરતો ખુલાસો ન થયો હોય તો વાંક મારો.
      બાકી, આવતા રવિવારની સંદેશની કૉલમ હમણાં જ લખી જેના ટેઇલ પીસમાં ક્વોટ કરેલા રજનીશજીના આ શબ્દો તમામ સવાલના જવાબ આપે છે. ઓશો કહેતા: ‘તમારા મનમાં થતા તમામ સવાલોને જવાબની શોધ નથી હોતી. એવા સવાલો તમને મહતકલીફમાં મૂકી શકે છે.’

      બરાબર !

  3. Good and simple explanation of Moksha. This word has been made complicated by more peoples. Sri Kirshna charitra is great and inspriational. Good series with explanation about how things and interpretation changed Ramayan and Mahbharat.

  4. આ છેલ્લા ચાર લેખ જેમાં કૃષ્ણ વિશે વાત કરી, સ્વામી સચ્ચિદાનંદ સાથે વાતચીત, મહાભારત, દ્રૌપદી વગેરે વાંચીને ઘણાં વર્ષોથી મારાં મનમાં જે વિચાર હતા એને સમર્થન મળ્યું છે. હું પણ આ બધું કાંઈ માનતો નથી, અને બાળલીલા તથા રાસલીલા તો કંટાળાજનક લાગે છે.
    બધાં રાધે- રાધે બોલ્યે રાખે છે, તો રાધાએ એવું તો શું કરી નાખ્યું. એણે પોતાનું ઘર અને પતિની સંભાળ લીધાં વગર બરસાના થી ગોકુળના આંટાફેરા જ કર્યા છે. રોજ રાત્રે ઘરની બહાર હોય તો ધર વાળા કાંઈક કહે તો ખરાં કે નહીં ?

  5. કોરોના- કોવિડ વિદાય થયા પછી વિચાર્યું છે કે વડીલ પૂ. સચ્ચીનાનંદજી ના દાંતલી આશ્રમની મુલાકાત લેવી. એમના જેવા સન્માનીય મહાપુરુષો ને મળી ને એમના આર્શીવાદ લઈ શકાય એનાથી વધારે શું જોઈએ !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here