(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવઃ શનિવાર, 21 નવેમ્બર 2020)
પરમ દિવસે ટીવી ચેનલો તમને જણાવે છે કે ભારતીય સૈન્યે ફરી એકવાર પીઓકેમાં ઘૂસીને હુમલો કર્યો છે અને ભારતીય સેનાએ કહેવું પડે છે કે આવી કોઈ ઘટના બની નથી ત્યારે વાંક કોનો કાઢવાનો? ટીવી ચેનલોનો? ના. ટીવી ચેનલોને આ સમાચાર મોકલનારી ન્યુઝ એજન્સી પીટીઆઇનો.
પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા એક જમાનામાં અત્યંત વિશ્વસનીય અને જવાબદાર સમાચારસંસ્થા ગણાતી. પીટીઆઇના ખબરપત્રીઓ દેશભરમાં ફેલાયેલા છે. અમુક જગ્યાએ ફુલ ટાઇમ પગારદાર અને અમુક જગ્યાએ સ્ટ્રિંગર્સ અર્થાત્ પાર્ટ ટાઇમ કે છુટક તથા ઉધડું કામ કરનારા પત્રકાર. દરેક રાજયના નાના નાના સેન્ટર્સમાંથી આવતા સમાચારો પ્રાદેશિક મુખ્યાલય પર ભેગા થાય. સરખી રીતે લખાય અને પછી દિલ્હીના હેડ કવાર્ટર્સ પર જાય. ત્યાં એનું ચયન થાય, એડિટિંગ થાય, પુનર્લેખન થાય. એ પછી દેશભરમાં જે જે લોકોએ પીટીઆઇની સર્વિસ સબસ્ક્રાઇબ કરી હોય તે સૌને એમની માગણી મુજબ આ સમાચારો મોકલવામાં આવે અગાઉ ટેલીપ્રિન્ટર દ્વારા મોકલાતા, ઇન્ટરનેટ આવ્યા પછી તમારા કોમ્પ્યુટરમાં દેખાય. દેશના લગભગ બધાં જ છાપાંઓ – બધી જ ભાષાના—પીટીઆઇના ગ્રાહક હોવાના. આ ઉપરાંત આકાશવાણી, દૂરદર્શન, શેર બજારો, શેર માર્કેટના બ્રોકર્સ, મોટા-નાના ઉદ્યોગપતિઓ અને ટીવી ચેનલો વગેરે પીટીઆઇની સર્વિસ સબસ્ક્રાઈબ કરે જેની મન્થલી કે વાર્ષિક ફ્રી ભરવાની હોય. પત્રકાર જગતમાં સૌથી આદરણીય નામ ધરાવતા હસમુખ ગાંધીએ સમાચારો મોકલનારી આ ન્યુઝ એજન્સીઓને ‘સમાચારોના જથ્થાબંધ વેપારી’નું નામ આપ્યું હતું.
પી.ટી.આઇ. ચાર ગળણે ગાળીને સમાચાર પ્રસારિત કરે એટલે સૌને એના પર ઘણો ભરોસો હોય. પણ હવે પીટીઆઇનું સ્તર એવું રહ્યું નથી. પીઓકેમાં ઘૂસીને ભારતીય સૈન્યે ફરી એકવાર કેવી કામગીરી કરી એવા ખોટા ઠરેલા સમાચાર દ્વારા આ વાતનો પુરાવો તમને મળી ચૂક્યો છે. ભારતીય સૈન્ય તરફથી આ સમાચાર અંગે સ્પષ્ટતા થઈ ત્યારે જ સૌને ખબર પડી કે પીટીઆઇએ સમાચાર આપવામાં મસમોટો ગોટાળો કર્યો હતો.
શેખર ગુપ્તા જેવા વામપંથી અને હિન્દુદ્રોહી પત્રકારે આવા ખોટા સમાચાર આપવા બદલ ટીવી ચેનલોનો ઉધડો લઈ નાખ્યો. શેખર ગુપ્તાને જોકે, આવી બાબતોમાં કોઈનોય ઉધડો લેવાનો હક્ક નથી. એ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રી હતા ત્યારે એમણે ભારતીય લશ્કરમાં બળવો થયો છે એવા ભડકાઉ અને દેશદ્રોહી સમાચાર ફ્રન્ટ પેજ પર મોટે ઉપાડે છાપ્યા હતા, જે સ્વાભાવિક રીતે તદ્દન જુઠ્ઠા, બેપાયાદાર હતા. શેખર ગુપ્તાની એક પત્રકાર તરીકેની વિશ્વસનીયતા કેટલી છે તે તો સૌ કોઈ જાણે જ છે છતાં ‘એડિટર્સ ગિલ્ડ’ના વર્ષો સુધી તેઓ મુખિયા રહ્યા.
પીટીઆઇને કારણે ટીવી ચેનલો વગર વાંકે દંડાઈ ગઈ. પીટીઆઈ ઉપરાંત એક સમાચાર સંસ્થા હતી – યુએનઆઈ – યુનાઇટેડ ન્યુઝ ઑફ ઇન્ડિયા જેનું હવે સ્વતંત્ર અસ્તિત્વ નથી. હવે તો જોકે, એપી – એએફપી – રોઇટર્સ જેવી વિદેશી ન્યુઝ એજન્સીઓ પણ ભારતના સમાચાર ભારતીય અખબારોને પહોંચાડતી થઈ ગઈ છે. પીટીઆઈ સહિતની આ બધી જ સમાચાર સંસ્થાઓ ટિપિકલ લેફટિસ્ટ વિચારસરણી ધરાવે છે. વામપંથી રંગે રંગાયેલી એમની ન્યુઝ સર્વિસ ભારતીય જનતાનું – આપણા જેવા વાચકો તથા ટીવી દર્શકોનું – ભારે અહિત કરતી રહે છે.
બે-ત્રણ તાજેતરના દાખલા લઇએ. એ પહેલાં એક સ્પષ્ટતા. આ સમાચારોને કઈ ન્યુઝ એજન્સીએ ભારત વિરુદ્ધનો લેફટિસ્ટ ઝોક આપ્યો તે કહેવું આસાન નથી પણ કોઇને કોઇ એજન્સી આ માટે કારણભૂત હોવાની જ. મોટેભાગે તો પીટીઆઈ જ આવા કાંડ કરવા માટે મશહૂર છે. પણ આજકાલ મોટાભાગનાં છાપાઓ જે ન્યુઝ છાપે છે તેનો સોર્સ કયો છે એવું કહેવાને બદલે કૌંસમાં (એજન્સીઝ દ્વારા) એટલું જ લખે છે. અગાઉ કૌંસમાં સ્પષ્ટ લખાતું કે (પી.ટી.આઈ.) અથવા (યુ.એન.આઈ.) અને જો પોતાના ખબરપત્રી દ્વારા આવેલા સમાચારમાં પીટીઆઇએ એ જ ન્યુઝ વિશે મોકલેલો કોઈ નવો મુદ્દો ઉમેરાય તો લખવામાં આવે કે, ‘દરમ્યાન, પીટીઆઈ જણાવે છે કે…’ આમ જે ન્યુઝ આવે છે તેના માટે કોણ જવાબદાર છે તે વાચકોના મનમાં સ્પષ્ટ થઈ જતું. પ્રિન્ટ મિડિયાની ઘટતી જતી વિશ્વસનીયતામાં ઔર ઘટાડો કરનારી આ પણ એક બાબત છે કે તેઓ ચોક્કસ માહિતીનો સ્ત્રોત કયાં છે એની જાણ વાચકોને કરતા નથી.
ન્યુઝ એજન્સીઓ દ્વારા કે પછી સ્વયં છાપાના પત્રકારો દ્વારા સમાચારોને વામપંથી વિચારચાસણીમાં ઝબોળીને વાચકો સમક્ષ પેશ કરવાની નિંદનીય રસમ ભારતમાં જ નહીં, યુકે-યુએસએમાં પણ, વર્ષોથી ચાલતી આવે છે. નિર્દોષ વાચકોને ગળચટ્ટી ભાષામાં લખાયેલા આ સમાચારોની સચ્ચાઈ પ્રત્યે સહેજ પણ શંકા ન જાય એવી (કુ)તાર્કિક રીતે આ સમાચારો લખવામાં આવે છે.
છેલ્લા બેત્રણ દિવસમાં છપાયેલા સમાચારો તપાસીએ. લદાખમાં ચૂંટણી થશે ત્યારે ભાજપ ફારૂખ અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ પાર્ટીનો સાથ લેશે એવા સમાચાર આવ્યા. તમને આઘાત લાગે કે ભાજપે શું કામ ફારૂખ અબ્દુલ્લાની દાઢીમાં હાથ નાખવો પડે? સહેજ ખોતરતાં તમને ખબર પડે છે કે ભાજપે કંઈ નિવેદન નથી આપ્યું પણ ફારૂખ અબ્દુલ્લાએ જાહેરાત કરી છે કે કાશ્મીરમાં ભલે અમે ભાજપની ખિલાફ હોઇએ પણ લદાખમાં અમે ભાજપનો વિરોધ નહીં કરીએ. આવું જાહેર કરવાનાં બે કારણો હોઈ શકેઃ એક તો ફારૂખ અબ્દુલ્લાને ખબર છે કે લદાખમાં ભાજપની સામે એમનો કોઈ ગજ વાગે એમ નથી. અને બે, કાશ્મીરી સહિતની ભારતીય પ્રજામાં અબદુલ્લા ફેમિલી દેશદ્રોહી તરીકે ઓળખાય છે તે કલંક ધોઈ શકાય.
મોદીવિરુદ્ધની મિડિયા લૉબીએ ફારૂખ અબ્દુલ્લાની આ જાહેરાતને ટ્વિસ્ટ આપ્યોઃ ભાજપ લદ્દાખની ચૂંટણીમાં ફારૂખ અબ્દુલ્લાનો સાથ લેશે.
મોદીપ્રેમી, ભાજપપ્રેમી લોકોને ઉશ્કેરવાની મિડિયાની આ ચાલ તમે સમજી શકો છો?
ત્રણ દિવસ પહેલાં સમાચાર આવ્યા કે ભાજપનાં સાંસદ રિટા બહુગુણાના પુત્ર મયંકની છ વર્ષની દીકરી દિવાળીમાં ફટાકડાથી દાઝીને બળી જવાથી મૃત્યુ પામી. રિટા બહુગુણાના પિતા હેમવંતીનંદન બહુગુણા એક જમાનામાં યુ.પી.ના ચીફ મિનિસ્ટર હતા અને ચરણ સિંહ વડા પ્રધાન હતા ત્યારે કેબિનેટમાં નાણામંત્રી હતા. રિટા બહુગુણા ચાર વર્ષ પહેલાં કૉન્ગ્રેસમાંથી ભાજપમાં આવ્યાં અને 2019માં અલાહાબાદથી લોકસભામાં ચૂંટાયાં.
દિવાળીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાવવા માટે સેક્યુલર લૉબી દર વર્ષે ધમપછાડા કરતી હોય છે. પ્રદૂષણનો મુદ્દો આગળ ધરીને સફળ પણ થતી હોય છે. રિટા બહુગુણાની પૌત્રીનું દાઝી જવાથી અવસાન થયું એ કરૂણ બિનાને વામપંથી મિડિયાએ ફટાકડા અને દિવાળી સાથે જોડી દીધી. હકીકત શું હતી? નાનકડી દીકરીએ ઉત્સવ પ્રસંગે પહેરેલાં કપડાંને દિવાની જયોત અડી ગઈ અને જોતજોતામાં એનું કૂમળું શરીર 60 ટકા કરતાં વધારે દાઝી ગયું. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ભગવાનને પ્યારી થઈ ગઈ. આવી દુખદ ઘટનાને પણ ‘ફટાકડાથી મૃત્યુ થયું’ એવો વિકૃત ઓપ આપતાં વામપંથી મિડિયાવાળાઓ અચકાતા નથી.
પંડિત બિરજુ મહારાજ કથ્થક નૃત્યના એક મહાન કલાકાર છે. ભાજપની સરકારે એમને બેઘર કરી નાખ્યા એવા સમાચાર વાંચીને તમને આઘાત લાગે કે ન લાગે? જરૂર લાગે. એક આદરણીય કલાકાર જેમણે આખી જિંદગી કળાની સાધના કરી જેમની પાસેથી પાછલી ઉંમરે માથેથી છાપરું છિનવી લેવાયું કામ શૈતાન જ કરે.
ભાજપે આવું શૈતાનિયત ભર્યું કૃત્ય કર્યું? ના. કૉન્ગ્રેસના જમાનામાં કૉન્ગ્રેસની ખુશામત કરનારા કલાકારો તથા કેટલાક તથાકથિત બૌદ્ધિકોને ત્રણ-ત્રણ વર્ષની મુદત માટે ઘર એલોટ કરવામાં આવ્યા હતા જેથી એક હજાર દિવસના ગાળામાં તેઓ નિશ્ચિંત બનીને કામ કરી ઠરીઠામ થાય અને પછી પોતાનું ઘર લઈ શકે કે પછી ભાડા પૂરતી જોગવાઈ કરી શકે. પણ મોટાભાગના કલાકારોએ આ ઘરો પચાવી પાડયાં અને દસ – વીસ – ત્રીસ વર્ષ સુધી આ ઘરો ખાલી કર્યાં નહીં.
પં. બિરજુ મહારાજ પોતાની મહેનત અને પ્રતિભા થકી કરોડો રૂપિયા કમાયા છે અને દિલ્હીમાં જ એમનાં એક કરતાં વધારે ઘર છે. ભાજપ સરકારે એમની પાસેથી સરકારી આવાસ પાછું લઈ લીધું એમાં ખોટું શું થયું?
ભાજપના નેતાઓ પોતે જે નિયમોને ચુસ્તપણે વળગી રહે છે તેનું જ અહીં અમલીકરણ હતું. તાજેતરમાં બિહારની ચૂંટણી પછી ભાજપના સુશીલકુમાર મોદીને ફરી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવવામાં નથી આવવાના એવી જાહેરાત થઈ કે તરત, ગણતરીના કલાકોમાં, એમણે સરકારી નિવાસસ્થાન પાછું આપી દીધું. આની સામે ચારાગોટાળો કરીને અત્યારે જેલમાં ચક્કી પીસી રહેલા ભ્રષ્ટાચારશિરોમણિ ચાલુ યાદવના( આ જોડણીભૂલ ટાઇપસેટરે કરી છે અને એને સુધારવાનું મન નથી થતું) વંઠેલા રાજકારણી દીકરા તેજસ્વી યાદવે પોતાનું સરકારી નિવાસસ્થાન બે વર્ષ સુધી ખાલી કર્યું નહીં ત્યારે સુપ્રીય કોર્ટે ઑર્ડર કરવો પડયો હતો. સ્વ. અરુણ જેટલીએ તબિયતના કારણોસર કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું એ પછી થોડા જ દિવસોમાં ભવ્ય સરકારી બંગલો ખાલી કરીને સત્તાવાળાઓને પાછો સોંપી દીધો હતો.
મિડિયા કઈ રીતે તમને ગુમરાહ કરે છે, હિન્દુતરફી નેતાઓ-રાજકીય પક્ષ-સંસ્થાઓ તમારી નજરમાંથી ઉતરી જાય એ માટે કેવી રીતે સમાચારોને ટ્વિસ્ટ આપે છે એ તમે જોઈ લીધું. ભવિષ્યમાં તમે તમારા આદરને પાત્ર હોય એવી વ્યક્તિઓ પરનો ભરોસો તૂટી જાય એવું કંઈ વાંચો, સાંભળો કે જુઓ ત્યારે આ લેખને યાદ રાખજો.
••• ••• •••
આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.
‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ
પ્રિય વાચક,
તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.
‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.
વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.
કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.
તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.
દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.
‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.
‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.
‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/
દરેક દેશપ્રેમી એ બે વખત વાંચવા જેવો લેખ.
ધન્યવાદ સૌરભભાઇ.
દેશદ્રોહી મીડિયા ( રાજદીપયો ,એનડીટીવી ના પ્રણવ રોય ના પાલતુ શ્રીનિવાસન,વિષ્ણુ સોમ,સોનિયા સિંહ) રાષ્ટ્રવાદી નેતાઓ ને ફક્ત નીચા જ નથી દેખાડતા, દેશવિરોધી નેતા જેવાકે અબ્દુલ્લાસ, મહેબૂબા,લોન ને દેશવિરોધી વાત કહેવા પ્લેટફોર્મ પણ પૂરું પાડીને friendly ઇન્ટરવ્યુ માં બાલિશ સવાલો પૂછીને ઉત્તેજન પૂરું પાડવાની ગુસ્તાખી કરે છે.