હિંદુ આતંકવાદની ભ્રમણા કોણે ઊભી કરી, કેવી રીતે કરી

ગુડમોર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : સોમવાર, 25 માર્ચ 2019)

કૉન્ગ્રેસે ભાજપને અને ભાજપના સમર્થક રાષ્ટ્રપ્રેમીઓને બદનામ કરવા ‘હિન્દુ આતંકવાદ’ જેવી અત્યંત નીચ ટર્મ કૉઈન કરી હતી તે હવે પુરવાર થઈ ગયું છે. ગયા અઠવાડિયે સમઝૌતા ટ્રેન બ્લાસ્ટ કેસમાં સ્વામી અસીમાનંદજી નિર્દોષ પુરવાર થયા. નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એન.આઈ.એ.) નામની કેન્દ્રીય તપાસ એજન્સી આતંકવાદને નાથવા માટે બનાવી છે એવું સોનિયા – મનમોહનની સરકારે ૩૧ ડિસેમ્બર, ૨૦૦૮ના રોજ નૅશનલ ‘ઈન્વેસ્ટિગેશન એજન્સી ઍકટ, ૨૦૦૮’ સંસદમાં પસાર કર્યો ત્યારે આપણને લાગતું હતું. પણ છેલ્લાં દસ વર્ષની ગતિવિધિએ પુરવાર કર્યું કે કૉન્ગ્રેસની સરકારે હિન્દુઓની છબી ભારતમાં તેમ જ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખરડાય, હિન્દુઓ પણ ઈસ્લામ ધર્મના નામે થતા આતંકવાદ જેવી ટેરરિસ્ટ ઍક્ટિવિટી કરી શકે છે, એવું પ્રજાના મનમાં ઠસાવી શકાય એવા અશુભ આશયથી જ એન.આઈ.એ.ની સ્થાપના કરવામાં આવેલી.

જેમ સી.બી.આઈ. જેવી તપાસ સંસ્થા દ્વારા હેન્ડલ થયેલા કેસ સી.બી.આઈ.ની કોર્ટમાં ચાલે એમ એન.આઈ.એ. દ્વારા ઈન્વેસ્ટિગેટ થયેલા કેસ માટે એન.આઈ.એ.ની કોર્ટ હોય એ તમને ખબર છે. આવી હૈદરાબાદની એન.આઈ.એ. કોર્ટમાં ૨૦૧૮ના વેલેન્ટાઈન્સ ડેને દિવસે હૈદરાબાદની મક્કા મસ્જિદના બૉમ્બ બ્લાસ્ટ કેસમાં સ્વામી અસીમાનંદજીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા ત્યારે હું ત્યાં હાજર હતો એ પણ તમને ખબર છે. વિગતે બધું અહીં જ લખ્યું છે. સ્વામી અસીમાનંદજીની જેમ જ સાધ્વી પ્રજ્ઞાદેવીને પણ ટાર્ગેટ કરવામાં આવ્યાં હતાં. કૉન્ગ્રેસની સરકારે અને સોનિયા ગાંધીના ઈશારે દિગ્વિજય સિંહ, શિવરાજ પાટીલ તથા પી. ચિદમ્બરમ્ે કેવી રીતે દેશની સિસ્ટમોને તોડીમરોડીને ‘હિંદુ આતંકવાદ’ની હવામાંથી ઉપજાવી કાઢેલી કલ્પનાને સાબિત કરવા માટે પૂરા એક દાયકા સુધી ભારતીય પ્રજાની આંખમાં ધૂળ નાખી અને કૉન્ગ્રેસના આ પ્રયાસોમાં સેક્યુલર મીડિયા તથા લેફ્ટિસ્ટ બદમાશોએ કેવી રીતે કૉન્ગ્રેસને સાથ આપ્યો તે વિગતો પરથી પડદો ઊંચકવાનો આ રાઈટ ટાઈમ છે.

તમને યાદ હોય તો બે-ત્રણ મહિના પહેલાં આ જ કૉલમમાં એક કરતાં વધારે વાર મેં આ વિશે ઈશારો કર્યો હતો. તે વખતે ઓલરેડી મારા હાથમાં આમાંની મોટાભાગની વિગતો હતી પણ થોડીક વાતો હજુ કોરોબરેટ કરવાની બાકી હતી. વળી, સમઝૌતા ટ્રેન બૉમ્બ બ્લાસ્ટ કેસનો ચુકાદો ગમે તે ઘડીએ આવી જશે એ નક્કી હતું અને હૈદરાબાદની મક્કા મસ્જિદવાળા બનાવટી કેસમાં અસીમાનંદજી જેમ નિર્દોષ છૂટયા એમ આ કેસમાં પણ એમને ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે એ દીવાની જેમ સ્પષ્ટ હતું. ગયા અઠવાડિયે છેવટે આ કેસનો ચુકાદો આવી ગયો તેમ જ જનરલ ઈલેક્શનના પ્રચારમાં રોજેરોજ કૉન્ગ્રેસનાં બાલબચ્ચાઓ ધોતિયું-સાડી પહેરીને, મંદિરે-મંદિરે દર્શન કરીને હિન્દુઓને ઉલ્લુ બનાવી રહ્યા છે કે ભાજપને શું ખબર કે હિન્દુત્વ શું છે, અમને પૂછો કે અસલી હિન્દુત્વ કોને કહેવાય, મોદીને નહીં – આવું જાહેરમાં તેઓ બોલી પણ ગયા છે – ત્યારે ફરજ બને છે કે આ રાક્ષસોએ હિન્દુ સંસ્કૃતિને અભડાવવા માટે હવનમાં કેવાં કેવાં હાડકાં અને આખાં ને આખાં હાડપિંજરો નાખ્યાં છે એનો હિસાબકિતાબ આપણે આજે સમજી લઈએ.

૧૯ ડિસેમ્બર ૨૦૧૮. હૉટેલ તાજના ૨૩મા માળે આવેલા એક બૅન્ક્વે હોલમાં એક મરાઠી પુસ્તકનું લોકાર્પણ થાય છે. (કોઈ ગુજરાતી પુસ્તકનું લોકાર્પણ આવા ફાઈવસ્ટાર વાતાવરણમાં હજુ સુધી થયું નથી. થયું હશે તો તે કોઈ ચિરકુટ પુસ્તક હશે). પુસ્તકનું નામ ‘હિંદુ દહશતવાદ નાવાચે થોતાંડ.’ લેખક: આર.વી.એસ. મણિ અને અનુવાદક: અરુણ કરમકર. પુસ્તકના પ્રકાશક પરમ મિત્ર પબ્લિકેશન્સ જેના માલિક માધવ જોષી મારા વ્યાવસાયિક મિત્ર છે. પુસ્તકના મૂળ લેખક મણિસાહેબ પણ આ ભવ્ય સમારંભમાં હાજર હતા. ૨૦૧૮ના આરંભના મહિનાઓમાં એમણે અંગ્રેજીમાં ‘ધ મિથ ઑફ હિન્દુ ટેરર: ઈનસાઈડર અકાઉન્ટ ઑફ મિનિસ્ટરી ઑફ હોમ અફેર્સ – ૨૦૦૬થી-૨૦૧૦’ નામે જે પુસ્તક લખ્યું તેની પ્રથમ આવૃત્તિ પ્રગટ થતાં જ આખા દેશમાં હલચલ મચી ગઈ. બીજી આવૃત્તિ તરત જ પ્રગટ થઈ. મરાઠીમાં પણ અનુવાદ થયો. આર.વી.એસ. મણિ ગૃહ ખાતામાં અધિકારી હતા અને ૨૦૦૬ની ૨૦૧૦ વચ્ચે એમણે હોમ મિનિસ્ટરીના ઈન્ટરનલ સિક્યુરિટી ડિવિઝનમાં કામગીરી બજાવી હતી. એમણે ખુલ્લેઆમ (અને પુરાવાઓ સહિત) લખ્યું છે કે શિવરાજ પાટીલ, પી. ચિદમ્બરમ્ તથા દિગ્વિજય સિંહ ઉપરાંત અબ્દુર રહેમાન અંતુલે તેમ જ ચિત્કલા ઝુત્શી, ધર્મેન્દ્ર શર્મા, હેમન્ત કરકરે (હા, એ જ) અને આર. વી. રાજુ જેવા લોકો પણ ‘હિન્દુ આતંકવાદ’નો બનાવટી માહોલ ઊભો કરવામાં સક્રિય હતા. કેવી રીતે એની ચોંકાવનારી વિગતો આપણે જોઈશું.

સેક્યુલર મીડિયાએ આ વિગતોને સાવ ઈગ્નોર કરી છે, સ્વાભાવિક છે. પણ તમે જુઓ કે જે જે વ્યક્તિઓનાં નામ લખ્યાં છે તેમાંની એક પણ વ્યક્તિએ આર.વી.એસ. મણિના આક્ષેપો ખોટા છે એવું કહ્યું નથી, પોતાનો બચાવ નથી કર્યો, મણિ પર હજુ સુધી આમાંના કોઈ કૉન્ગ્રેસી નેતા કે એમના પિઠ્ઠુઓએ બદનક્ષીનો દાવો નથી માંડ્યો, સાદીસીધી ફરિયાદ પણ નથી કરી.

પણ મણિસર જ્યારે હોમ મિનિસ્ટરીના આંતરિક સુરક્ષા વિભાગમાં ફરજ નિભાવતા હતા ત્યારે એમને હેરાન કરવામાં કૉન્ગ્રેસે તેમ જ કૉન્ગ્રેસી નેતાઓની ચમચાગીરી કરીને પોતાની કરિયર બનાવનારા બ્યુરોક્રેટ્સે કંઈ બાકી નથી રાખ્યું. અજમલ કસાબ પકડાયો ત્યારે આતંકવાદીઓના ‘ભારતીય’ મિત્રોએ મણિસરનું અપહરણ કરીને એમને બંધક બનાવીને બદલામાં કસાબને છોડાવી લેવો (એ પોતાનું મોઢું ખોલે એ પહેલાં) એવો પ્લાન ઘડાયેલો અને અમલમાં પણ મુકાયેલો, પણ મણિસરની સાવધાનીને કારણે તેઓ બાલબાલ બચી ગયા. ગુજરાતના સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ડી. જી. વણઝારાને ફસાવવામાં આવ્યા એ પછી ઈશરત જહાન કેસમાં વણઝારાને નાખવામાં આવ્યા ત્યારે પી. ચિદમ્બરમ્ે મણિસર પાસે ગૃહ ખાતા વતી કોર્ટમાં ખોટી ઍફિડેવિટ રજૂ કરાવી હતી. વણઝારા અને એમના તમામ પોલીસ સાથીઓ આ બેઉ કેસમાં નિર્દોષ પુરવાર થયા પણ વરસો સુધી તેઓએ જેલની યાતના સહન કરવી પડી તે કૉન્ગ્રેસની હિન્દુઓ માટેની ક્ધિનાખોરીને કારણે. સોહરાબુદ્દીન કેસમાં તો તે વખતના ગૃહમંત્રી અને આજના ભાજપ પ્રમુખ અમિત શાહને પણ કૉન્ગ્રેસે સીબીઆઈનો ખોટો કેસ ઊભો કરીને સાબરમતી જેલમાં નાખેલા. અમિત શાહ ગૃહમંત્રી ઉપરાંત જેલમંત્રી પણ હતા. એમણે મહિનાઓ સુધી પોતે જે જેલ ખાતાના મંત્રી હતા તે જેલમાં રહેવાની, યાતના સહન કરવી પડેલી. કૉન્ગ્રેસે પોતાની મુસ્લિમ વોટ બૅન્કને રાજી કરવાના આશયથી હિન્દુઓને ટેરરિસ્ટ તરીકે સ્થાપવાનું જે ષડ્યંત્ર રચ્યું તેનો ફુલપ્રૂફ અકાઉન્ટ હવે આપણી પાસે છે. આ જ સમય છે કૉન્ગ્રેસના કૉફિન પર છેલ્લો ખીલો ઠોકવાનો.

કાલથી, હથોડા મારવાનું શરૂ.

આજનો વિચાર

ના મૈં કેરલ આયા હૂં, ના મુઝે

કેરલને બુલાયા હૈ… અમેઠી સે

સ્મૃતિ ઈરાનીને મુઝે ભગાયા હૈ!

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

બકો: પકા, તને યાદ છે, કૉન્ગ્રેસની જ્યારે ૨૧૬ સીટ હતી ત્યારે એ લોકો કહેતા હતા કે રામસેતુ કાલ્પનિક છે.

પકો: હા, અને ૪૪ પર આવી ગયા તો મંદિરે મંદિરે જઈને પૂજા કરવા લાગ્યા છે.

બકો: તું લખીને રાખજે, જે ઘડીએ ભારતના મતદારો એ લોકોને ૪ સીટ પર લઈ આવશે ત્યારે તેઓ ચિલ્લાઈ ચિલ્લાઈને કહેશે: મંદિર વહીં બનાયેંગે!

12 COMMENTS

  1. Thank you for enlightening me with true facts.
    It is not appropriate to name any diseased person but feel late Mr. Ahmadbhai Patel’s silent performance in this and similar matters can not be ruled out.

  2. Sir we miss your column Good Morning in Mumbai Samachar. Without reading it, the day gets spoiled. Request you to please include me in your group and oblige. Thanks . Regards.

  3. કોમ્યુનલ વાયોલન્સ બિલ લાવવાની પૂર્વભૂમિકાના ભાગ રૂપે હિંદુઓને આતંકવાદી અને હિંદુ ધર્મને આતંકી ધર્મ તરીકે આંતરરાષ્ટ્રીય લેવલે સ્થાપિત કરવા માટે આ બધું વેટિકન(સોનિયા)ના ઈશારે કરવામાં આવતું હતું.
    જેથી અપરાધભાવથી ગ્રસ્ત હિંદુઓ તે કોમ્યુનલ વાયોલન્સ બીલનો વિરોધ ના કરે.

    • જજ લોહીયાને પત્રકાર લંકેશીને મુસ્લિમ આંતકવાદીઓએ મારી નાંખ્યા છે?

      • Judge nu ke Patrakar nu Sachu Naam to tamne khabar nathi Shri Ravan. Patrakar Gauri Lankesh ni Sopari Aapnar ne Congresse Ticket aapi Chhe. To He Jehadio Na Samrthak , Sachu Nam to Lakhva ni Himmat Rakho.

  4. બહુ માહિતી સભર અને દ્રષ્ટિ ઉઘાડનાર લેખ શ્રેણી આભાર સૌરભભાઇ

  5. ગણા લાંબા સમયથી, કૉંગ્રેસનાં જન્મજાત હિંદુ વિરોધી માનસ અને પ્રવુત્તિને સબળ રીતે ગુજરાતી, હિંદી અને અંગ્રીજી ભાષામાં નિયમિત લખતા રહી અને બહોળા ભારતીય વર્ગ સામે ખુલ્લું પાડવા બદલ સૌરભભાઈને અભિનંદન સ: કડક સલામ !

    આગળની સરકારે તદ્દ્ન જૂઠ્ઠી વાતો ઉપજાવી કાઢી અને હિંદુઓને બદનામ કરવા બદલ શું એના પર કેસ ના ચલાવી શકાય ?

    શ્રી મણિ સાહેબના એ પુસ્તકને ભારતની દરેકે દરેક ભાષામાં છાપીને વેબસાઈટ પર મુકવું જોઇએ. ખર્ચા માટે ત્યાં જ લિંક મુકવાની જેથી વાચક પોતાની ઈચ્છા અને શક્તિમુજ્બ જે પણ સહયોગ આપવો હોય તે આપી શકે. પુસ્તક્ની ઉંચી કિંમત હોવાથી આમ નાગરિક ખરીદીને વાંચી શકતો નથી. અને આમેય આજ કાલ પુસ્તક વાળા કરતા ઓનલાઈન વાળો વાચકવર્ગ બહોળો નીકળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here