‘ગાઈડ’નાં ગીતો

સન્ડે મોર્નિંગસૌરભ શાહ

‘ગાઈડ’ ફિલ્મ વિશેની કોઈ પણ વાત એનાં ગીતો વિના અધૂરી રહે. દેવ આનંદની પ્રોડક્શન કંપની ‘નવકેતન’ની આ નિ:શંક સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે. સચિન દેવ બર્મને સંગીતબદ્ધ કરેલી ફિલ્મોમાં પણ ટૉપ થ્રીમાં તમારે ‘ગાઈડ’નું નામ મૂકવું પડે. શૈલેન્દ્રે લખેલાં ટૉપ ટેન ગીતોમાં એક ગીત તો ગાઈડનું આવે જ અને સચિનદા, લતા મંગેશકર, મોહમ્મદ રફી તથા કિશોરકુમારે ગાયેલાં ગીતોની તમારી પર્સનલ યાદીમાં પણ તમારે ‘ગાઈડ’માં ગાયેલું એમનું કોઈ એક ગીત તો મૂકવું જ પડે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં ૫૦ આઈકોનિક/ક્લાસિક ગીતોના પુસ્તકમાં ‘ગાઈડ’ના ‘મોસે છલ કિયે જા’ ગીત વિશેનું પ્રકરણ છે. આમ તો એ બે ગીત ગણાય. બેઉના રાગ ભલે સરખા હોય પણ તાલ જુદા છે: ક્યા સે ક્યા હો ગયા ગીત જેવું મોસે છલ પૂરું થાય છે કે બીજી જ સેક્ધડે શરૂ થઈ જાય છે. હિંદીમાં બૅક ટુ બૅક બે ગીતો હોય એવી ફિલ્મો કેટલી? રાહુલ દેવ બર્મને ‘યાદોં કી બારાત’થી શરૂ કરેલી એકસાથે એકથી વધુ ગીતોની લડી ધરાવતી મેડલીની વાત અલગ છે. મોસે છલ કિયે જા ‘ગાઈડ’નું પ્રથમ સૉન્ગ નથી પણ વાત નીકળી છે તો બે વાત એના વિશે જાણી લઈએ. ‘દિલ તો પાગલ હૈ’ના સંગીતકાર, ઉત્કૃષ્ટ વાયોલિનવાદક તથા ઉત્તમ અરેન્જર ઉત્તમસિંહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે રૂપક સાત માત્રામાં કમ્પોઝ કર્યું હોય એવું આ પહેલું નૃત્યગીત છે અને હજુ સુધી બીજા કોઈ સંગીતકારે નૃત્યગીતને ૭ માત્રામાં કમ્પોઝ કરવાની હિંમત નથી કરી. સંતુરવાદક પંડિત શિવકુમાર શર્મા એક જમાનામાં તબલાં પણ વગાડતા અને પછી એમણે સંતુર પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું, તબલાંવાદન ત્યજી દીધું. મોતી લલવાનીને આપેલા યુ ટ્યુબ પરના ઈન્ટરવ્યૂના બીજા હિસ્સામાં શિવજી કહે છે કે ૧૯૬૧થી ૧૯૭૫ સુધીનાં એસ. ડી. બર્મનનાં જે જે ગીતોમાં સંતૂર છે તે બધા જ પીસ મેં વગાડ્યા છે. (‘તેરે મેરે સપને’ ફિલ્મમાં જીવન કી બગિયા મહકેગીવાળા ગીતમાં એમના સંતુરવાદન તથા પંડિત હરિપ્રસાદ ચૌરસિયાના બાંસુરીવાદનની જુગલબંદી ના માણી હોય તો આજે જ યુ ટ્યુબ પર જોઈ લેજો). શિવકુમાર શર્મા પેલા ઈન્ટરવ્યૂમાં કહે છે કે મેં તબલાં વગાડવાનું છોડી દીધેલું. ‘ગાઈડ’નું એક ગીત બની રહ્યું હતું ત્યારે એક દિવસ હું રિહર્સલ રૂમમાં તબલાંની જોડ લઈને ઠેકો આપતો હતો. આમ તો રમત-રોળાં જ કરતો હતો, કારણ કે સચિનદા માટે મારુતિ કીટ રેગ્યુલર તબલાં વગાડતા અને દાદાનાં (પાછળથી પંચમનાં) ગીતોમાં રિધમ કે પરકશનનો વિભાગ મારુતિજી જ સંભાળતા. મને જે રીતે ઠેકો વગાડતાં દાદાએ સાંભળ્યો તે પછી એમણે જીદ કરી: શિવ, આ ગીતમાં તારે જ તબલાં વગાડવાનાં છે, મેં ક્હ્યું દાદા, મેં તબલાંવાદન છોડી દીધુ છે. પ્રેક્ટિસ પણ નથી. છતાં દાદાએ મોસે છલ કિયે જાના રેકૉર્ડિંગ વખતે ધરાર મારી પાસે જ તબલાં વગાડ્યાં. હિંદી ફિલ્મના સંગીતકારોમાં મેં સંતૂર નૌશાદથી લઈને પંચમ સુધીના અનેક સંગીતકારો માટે વગાડ્યું, પણ તબલાં એક જ સંગીતકાર માટે વગાડ્યાં અને તે પણ આ એક જ ગીત માટે.

હવે પછી તમે મોસે છલ સાંભળો ત્યારે તબલાં વગાડતા શિવકુમારની કલ્પના કરજો, મઝા આવશે.

નૉર્મલી બેવફાઈના કે પછી એવા કોઈ મૂડનાં ગીતોનો ટેમ્પો સ્લો હોય. બર્મનદાદાએ ચીલો ચાતરીને મોસે છલ ફાસ્ટ બનાવ્યું છે (એ પછી જો કે, બીજા લોકોએ પણ એમને ફૉલો કર્યા. તૂ ક્યા જાને વફા, ઓ બેવફા: ‘હાથ કી સફાઈ’, કલ્યાણજી આણંદજી).

અનિરુદ્ધ ભટ્ટાચાર્ય અને બાલાજી વિઠ્ઠલ લિખિત ‘ગાતા રહે મેરા દિલ: ફિફ્ટી ક્લાસિક હિન્દી ફિલ્મ સૉન્ગ્સ’ નામના પુસ્તકનું શીર્ષક જેના પરથી લેવામાં આવ્યું છે તે ગીતને ૫૦માંના એક ગીત તરીકે લેવામાં નથી આવ્યું (મોસે છલ/ક્યા સે ક્યા લેવામાં આવ્યું છે), પણ એક ઈન્ટરેસ્ટિંગ વાત આ લેખકોએ પુસ્તકના ૧૩૮મા પાના પર નોંધી છે કે ‘ગાઈડ’ માટે ઓરિજિનલી શૈલેન્દ્રને નહીં પણ હસરત જયપુરીને ગીતો લખવા માટે કરારબદ્ધ કરવામાં આવ્યા હતા. દિનેશ શંકર (બબલુ) શૈલેન્દ્રે આ લેખકોને આપેલી મુલાકાતના શબ્દોને ટાંકવામાં આવ્યા છે: ‘એક સાંજે મારા પિતાને બર્મનદાદાનો ફોન આવ્યો. કહે કે ગોલ્ડી (વિજય આનંદ) અને દેવ આનંદ મળવા માગે છે. મારા પિતાએ અગાઉ એમની સાથે ‘કાલા બાઝાર’માં કામ કર્યું હતું (અપની તો હર આહ, ખોયા ખોયા ચાંદ, ના મૈં ધન ચાહૂં વગેરે). પિતાએ લોકોને મળ્યા ત્યારે એમને કહેવામાં આવ્યું કે: હમને દો ગાને રેકોર્ડ કર લિયે હૈ. અમને એના શબ્દોમાં મઝા નથી આવતી’. મારા પિતાએ કહ્યું, ‘ભલે, તમે હસરતને કેટલા પૈસામાં નક્કી કર્યા હતા?’ રકમ કહેવામાં આવી. શૈલેન્દ્રે કહ્યું, ‘હું એના કરતાં એક લાખ વધારે લઈશ.’

એ જમાનામાં ગીતકાર માટે આ રકમ તોતિંગ કહેવાય જે દેવ આનંદે કબૂલ કરી અને શૈલેન્દ્રે પોતે લીધેલી તોતિંગ રકમના બદલામાં તોતિંગ ગીતો લખી આપ્યાં.

આમાંનું એક ગીત: ગાતા રહે મેરા દિલ, તૂ હી મેરી મંઝિલ. ગીત રેકોર્ડ થઈ ગયું હતું. હિલ સ્ટેશન પર શૂટિંગ કરવા જવાનું હતું. આ કિસ્સો કરણ જોહરે એની આત્મકથામાં કદાચ લખ્યો છે કે મેં બીજે ક્યાંક વાંચ્યો છે, પણ આ કિસ્સાનો ઉલ્લેખ હું મારા અગાઉના કોઈ એક લેખમાં કરી ગયો છું. કરણના પિતા પ્રોડ્યુસર બન્યા તે પહેલાં દેવ આનંંદને ત્યાં નોકરી કરતા હતા. ‘નવકેતન’ના પ્રોડ્કશન ક્ધટ્રોલર હતા. નોર્થના કોઈ હિલ સટેશન પર દેવ આનંદ અને એમની ટીમ આ ગીતના શૂટિંગ માટેનું યોગ્ય સ્થળ શોધવા નીકળી પડી. યશ જોહર સાથે હતા. પર્વત પર ખૂબ ઊંચાઈએ પહોંચી ગયા પછી યશ જોહરે કહ્યું કે દેવસા’બ આ જગ્યા ઠીક રહેશે. દેવસા’બ કહે નહીં, હજુ ઉપર જઈએ. આખી ટીમને લઈને હજુ બે એક કિલોમીટર ઉપર ચડ્યા. ત્યાં જઈને દેવસા’બ કહે: આ નઝારો ઠીક છે. શૂટિંગ અહીં કરીએ. યશ જોહર કહે: આવો જ નઝારો ત્યાં પણ છે. અહીં સુધી લાઈટ્સ, કૅમેરા, બધા સામાન લાવવાની તકલીફ થવાની અને ખર્ચો પણ વધી જશે, ટાઈમ વેસ્ટ થશે, શૂટિંગના દિવસો વધી જશે.

દેવસા’બ કહે: નથિંગ ડૂઈંગ. શૂટિંગ અહીં જ થશે.

નિર્માતાનો હુકમ માનવો જ પડે, પણ પછી બજેટ વધી જાય ત્યારે ચોટલી તો પ્રોડ્કશન ક્ધટ્રોલરની જ પકડાય. યુનિટના બીજા સભ્યોએ યશ જોહરને ટેકો આપ્યો કે વાત તો સાચી છે. બેઉ જગ્યાએ નઝારો તો એક સરખો જ દેખાય છે.

શૂટિંગના દિવસે વ્યવસ્થા કરવાના બહાને યશજી આર્ટ ડિરેક્ટરના માણસોને લઈને હૉટેલથી વહેલા નીકળી ગયા. આગલે દિવસે દેવસા’બે જે માઈલ સ્ટોન પાસે ઊભા રહીને કહેલું કે ગીતનું શૂટિંગ અહીં જ કરીશું એવો જ માઈલ સ્ટોન યશ જોહરે બે કિલોમીટર પહેલાંની જગ્યાએ ચીતરાવી દીધો. યુનિટના બાકીના માણસો સાથે દેવસા’બ તથા વહીદાજી પધાર્યાં અને માઈલ સ્ટોન જોઈને એ જ જગ્યાની પહાડી પર ખીણના બૅકગ્રાઉન્ડમાં શૂટિંગ શરૂ કરી દીધું:

ગાતા રહે મેરા દિલ તૂ હી મેરી મંઝિલ
કહીં બીંતે ના એ રાતેં કહીં બીતે ના એ દિન

પ્યાર કરને વાલે અરે પ્યાર હી કરેંગે
જલનેવાલે ચાહે જલ જલ મરેંગે
મિલ કે જો ધડકે હૈં દો દિલ
હરદમ યે કહેંગે
કહીં બીતે ના યે રાતેં, કહીં બીતે ના એ દિન

ઓ મેરે હમરાહી મેરી બાંહ થામે ચલના
બદલે દુનિયા સારી તુમ ના બદલના
પ્યાર હમેં ભી સિખલા દેગા ગર્દિશ મેં સંભલના
કહીં બીતે ના યે રાતેં…

દૂરિયાં અબ કૈસી અરે શામ જા રહી હૈ
હમ કો ઢલતે ઢલતે સમઝા રહી હૈ
આતી જાતી સાંસ જાને કબ સે ગા રહી હૈ
કહીં બીતે ના યે રાતેં…

‘ગાઈડ’નાં ગીતો વિશેની વાતની હજુ તો આ શરૂઆત છે. વધુ નેકસ્ટ સન્ડેએ.

કાગળ પરના દીવા

કૉન્ગ્રેસ કલ તક કહ રહી થી કિ સી.બી.આઈ. તો મોદી કા તોતા હૈ… આજ જબ ઉસ તોતેકી ગર્દન મરોડી તો જાન કૉન્ગ્રેસ કી નિકલ રહી હૈ.

– વૉટ્સઍપ પર વાંચેલું

સન્ડે હ્યુમર

બકો: અલ્યા પકા, તારી પાસે રાહુલ ગાંધીનો નંબર છે?

પકો: કેમ, શું કામ પડ્યું?

બકો: આ તો ખાલી પૂછ્યું હતું કે ૩ તોલાની સોનાની ચેન બનાવવા કેટલા બટાકા જોઈશે. ધનતેરસ પર લેવી હતી.

( મુંબઇ સમાચાર : રવિવાર, 28 ઓક્ટોબર 2018)

1 COMMENT

  1. મ્યુઝિકલ આર્ટીકલ….. પંડિત શિવ કુમાર શર્મા અને પંડિત હરીપ્રસાદ ચોરસિયા ની જુગલબંધીની ગીતમા પણ છે એ વાત પહેલી વાર ખબર પડી અને જીવન કી બગિયા ગીત સાંભળીને મન પ્રફુલ્લિત થઈ ગયું.

    આવતા લેખનો બેસબરી થી ઈંતેજાર…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here