પલાયનવાદી બનાવી દેતી વાતોનો નશો કેવી રીતે ઉતારશો : સૌરભ શાહ

( લાઉડમાઉથ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, ૨ ઑક્ટોબર ૨૦૨૪)

કોઈને પણ તમે પૂછો કે ‘છેવટે શું જોઈએ છે જિંદગીમાં’ તો મોટા ભાગે જવાબ મળશે – આનંદ. બસ, આનંદથી રહેવું છે. આ આનંદ ક્યાંથી આવે છે અને આવ્યા પછી કોણ એને હણી જાય છે એની જ ખબર નથી.

આનંદમાં રહેવા માટેના તમામ પ્રયત્નો કર્યા પછી પણ શા માટે દરેક વખતે જીવનમાં કંઈક ને કંઈક ખૂટતું લાગતું હશે? કોઈક અકથિત ભૂખ શા માટે સતત રહ્યા કરતી હશે? જિંદગીનાં નાનાંમોટાં લક્ષ્યો સિદ્ધ થઈ ગયાં હોય એ પછીનાં વર્ષોમાં શું કરવાનું આ બાકીના જીવનનું?

નાનપણમાં અને કિશોરાવસ્થામાં અભ્યાસ અને રખડપટ્ટી-મસ્તી તોફાન એ જ એક માત્ર હેતુ હતો. જુવાનીમાં પગ માંડ્યા પછી કારકિર્દી, પૈસો, લગ્ન, બાળકો – એક પછી એક હેતુ સિદ્ધ થતા ગયા. અત્યાર સુધીનાં વર્ષોમાં બીજાઓના અભિપ્રાયોને પણ માન આપવું પડતું. હવે એક એવા તબક્કે જીવન આવીને ઊભું છે જ્યારે પોતાનો નિર્ણય પોતે કરી શકાય એમ છે. પણ કઈ બાબતનો નિર્ણય લેવો, શું કરવા માટેનો નિર્ણય લેવો? કે પછી બધું જ જેમ ચાલે છે એમ ચાલવા દેવું? ક્યાં સુધી ચાલવા દેવું?

એક દિવસ અચાનક તમને ખબર પડે છે કે વર્ષોથી તમે જેના પરિચયમાં હતા એ વ્યક્તિ ચાળીસ-પચાસ-સાઠની ઉંમરે મૃત્યુ પામી છે. તમે એના કુટુંબને આશ્વાસન આપવા જાઓ છો. થોડા દિવસ પછી ખબર પડે છે કે જ્યાં એ નોકરી કરતા હતા ત્યાં એમના પદ પર નવો માણસ ગોઠવાઈ ગયો છે. એનાં બાળકો ફરીથી સ્કૂલમાં – કૉલેજમાં જતાં થઈ ગયાં છે. પત્ની, મા-બાપ, દરેકની જિંદગી અગાઉના જેવી જ યંત્રવત્ બની ગઈ છે અને તમે ચોંકી ઊઠો છો: મારા ગયા પછી પણ આ દુનિયામાં કોઈ ફેરફાર નહીં થાય? બધું અત્યારે જેમ ચાલે છે એમ મારી ગેરહયાતીમાં પણ ચાલ્યા જ કરવાનું? આનો ક્રૂર પણ સાચો ઉત્તર તમને ખબર છે: હા, મારા ગયા પછી હું પણ થોડાક દિવસોમાં ભુલાઈ જવાનો, ભૂંસાઈ જવાનો.

Screenshot

જો આવું જ થવાનું હોય તો અત્યારની જિંદગીનો શું અર્થ છે?—એવો સવાલ મનમાં થાય? થવો જ જોઈએ. કારણ કે એનો ઉત્તર જ તમને બાકીની જિંદગીનો મતલબ સમજાવશે.

જંગલમાં એક ઝાડ તૂટી પડે અને તે વેળા કોઈ જ સાંભળનાર ના હોય તો ઝાડના તૂટવાનો અવાજ થયો એવું કહેવાય કે નહીં? કોઈ માણસ જીવે અને મરી જાય અને એના મર્યા પછી દુનિયા એની એ જ રીતે ચાલ્યા કરે તો એ જીવ્યો હતો એવું કહેવાય કે નહીં?

ડર મૃત્યુનો નથી હોતો, જિંદગી સમાપ્ત થઈ જશે એવો ભય નથી હોતો. ચિંતા એ વાતે હોય છે કે મૃત્યુ પછી તાળો એવો નીકળશે કે જિવાઈ ગયેલી જિંદગીનો કશો જ અર્થ નહોતો તો? મારા ગયા પછી આ જગતને રતીભાર ફરક પડવાનો ન હોય તો જિંદગી દરમિયાન કરેલી મારી તનતોડ મહેનત, મારા દિવસરાતના ઉજાગરા, મેં સતત કરેલા ધમપછાડા – બધું જ વ્યર્થ? બધું જ નિરર્થક? બધું જ અર્થ વિનાનું?

જીવતી વખતે બધું જ હોય ત્યારે પણ જે કંઈ ખૂટતું હોય એવું લાગે તે આ અર્થ છે. જિંદગીને એક અર્થ આપવાના પ્રયત્નોમાં અને જિંદગીનો અર્થ શોધવાના પ્રયાસોમાં ખૂબ ભટકી જવાય છે. અત્યાર સુધી જેમને પૂછયું એ બધાએ જે થોડી હવાઈ, થોડી ન સમજાય એવી, થોડી અટપટી પણ આકર્ષક લાગતી અને થોડી એવી વાતો કરી જેમાં આવતા ભારેખમ શબ્દો ન સમજાતા હોવા છતાં એનાથી પ્રભાવિત થવાનું ગમ્યું.

પણ એ તમામ વાતોમાંથી એક પણ વાત વ્યવહારમાં ઉપયોગી ન બની. બની શકે એવું ગજુ જ નહોતું એ વાતોમાં. જિંદગીને પલાયનવાદી બનાવી દેતી એ વાતોનો નશો ઘડી-બે ઘડી રહેતો અને ઊતરી ગયા પછી જીવન વધુ વિકરાળ વધુ આકરું અને વધુ ખાલીખમ લાગતું.

તો પાયાનો સવાલ. જીવનનો અર્થ શું છે? એને સાર્થક કેવી રીતે બનાવી શકાય?

આ સવાલ પૂછતાં પહેલાં ત્રણ મૂળભૂત બાબતોને લગતી ભૂમિ તૈયાર થઈ છે કે નહિ તે તપાસી લેવું જોઈએ. એ ભૂમિ નક્કર હશે તો જ પાયાનો એ સવાલ એના પર ટકશે. એ ભૂમિના ત્રણ સ્તર છે.

સૌથી નીચેનું એકદમ નક્કર, જેની આરપાર કશું જ જઈ ન શકે એવું, જેને કશું જ ભેદી ન શકે એવું સ્તર છે: આર્થિક નિશ્ચિંતતા. સો વાતની એક વાત. જીવન વિશેની બડી બડી વાતો કરતાં કે સાંભળતાં પહેલાં પોતાની અને પોતાના પર અવલંબિત વ્યક્તિઓની બે ટંકની દાળરોટી માટે નિશ્ચિંત બની જવું પડે. આર્થિક સપનાંની વાત જુદી છે. એ હોય, ન પણ હોય, અને જો હોય તો એ સિદ્ધ થાય, ન પણ થાય. અહીં એ સપનાંની વાત નથી. રોજબરોજની સાદી જરૂરિયાતો પૂરી થઈ શકે એવી જોગવાઈ કરવાની વાત છે. એ પછી જ આગળ જે કંઈ વિચારવાનું હોય તે વિચારી શકાય. આર્થિક પાસું ડામાડોળ હોય ત્યારે ‘આ જીવનનો શું અર્થ?’ કે ‘હું તો મોક્ષ પામવા ચાહું છું.’ જેવા વિચારો પલાયનવૃત્તિ બની જાય. છેક તળની આ ભૂમિ નક્કર બની ગઈ હોય એ પછી જ એના પર બીજો થર આવે.

બીજું સ્તર પોતાની પ્રવૃત્તિઓમાંથી મળતા સંતોષનું. આર્થિક નિશ્ર્ચિંતતા સિદ્ધ થઈ ગયા પછી જ વિચારી શકાય કે જે પ્રવૃત્તિમાં મારો મોટા ભાગનો સમય જાય છે તેમાંથી મને સંતોષ મળે છે કે કેમ? એ કરવાની મને મજા આવે છે કે નહીં? મારો મોટાભાગનો સમય રસોઈકામ અને ઘરકામમાં જતો હોય તો તેમાંથી કે પછી ફૅક્ટરીમાં જે પ્રવૃત્તિ હું કરું છું તેમાંથી મને આનંદ મળે છે કેમ? ન મળતો હોય તો એવી કોઈ શક્યતા ખરી કે ભવિષ્યમાં મળશે? પ્રયત્ન કરીએ તો કદાચ મજા આવતી થઈ જાય એવું બનશે એમ લાગે છે?

આર્થિક નિશ્ર્ચિંતતા મેળવવા માટે શક્ય છે કે જેમાંથી પૂરેપૂરો સંતોષ ન મળતો હોય એવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું પડતું હોય. શક્ય છે, પણ જરૂરી નથી કે આર્થિક વળતર આપતી પ્રવૃત્તિઓમાંથી સંતોષ શોધી ન શકાય. કોઈ અભિનેતા માટે પોતાની અભિનયશક્તિ માત્ર પૈસા કમાવવાનું સાધન હોઈ શકે જ્યારે કોઈ ફરસાણની દુકાનના માલિક માટે એના ધંધામાંથી પૈસા ઉપરાંત એને મજા પણ મળતી હોય એવું શક્ય છે. આપણી પ્રવૃત્તિને આપણે કઈ દૃષ્ટિએ જોઈએ છીએ, કઈ હદ સુધી એમાં એકાગ્ર થઈને ઓતપ્રોત થઈ જઈએ છીએ અને એમાં કેટલા પ્રકારની નવીનતા લાવી શકીએ છીએ એ જોઈ લેવું જોઈએ.

નેક્સ્ટ.

છેલ્લે સૌથી ઉપરની ભૂમિનું અને સૌથી ફળદ્રુપ સ્તર આવે છે. આ ત્રીજા અને સૌથી ઉપલા સ્તરનું ધોવાણ ના થઈ જાય તે માટે નીચેના બે સ્તર હોવા જરૂરી છે. આ ત્રીજા સ્તરની ફળદ્રુપતાને કારણે જ જીવનમાં જે કંઈ વાવીશું તે ખૂબસૂરત રીતે ઊગી નીકળશે. વર્ષોવર્ષ આવો ફાલ લેતાં રહેવાથી જીવન વધુ ને વધુ સમૃદ્ધ બનતું જાય. આ ત્રીજું સ્તર છે. કોઈ પણ એક આત્મીય સંબંધ દ્વારા સર્જાતી ભૂમિનું સ્તર.

જીવનમાં કોઈ એક એવો અંગત સંબંધ હોવો જોઈએ જેમાં માણસ પોતે હર્યોભર્યો છે એવું મહેસૂસ કરી શકે. દરેક શુષ્કતાને ઓગાળી નાખવાની ક્ષમતા ધરાવતો આવો સંબંધ સહેલાઈથી નથી મળતો. પણ એ મળે તો જ ફળદ્રુપ ભૂમિનું સૌથી ઉપલું સ્તર તૈયાર થાય. એ પછી જ આ સવાલનું બીજ વાવવાનું કે – આ જીવનનો અર્થ શું છે? આ સવાલ પુછાય તે પહેલાં ત્રણેત્રણ સ્તરની ભૂમિ તૈયાર કરવામાં જીવનની તમામ શક્તિ કામે લગાડી દેવી પડે.

આ ત્રણ સ્તર તૈયાર નથી થયા ત્યાં સુધી જીવનનો શું અર્થ છે એવો પ્રશ્ર્ન થાય ત્યારે મનને આ જવાબ આપી શકાય—વારાફરતી આ ત્રણેય સ્તરની ભૂમિનું સર્જન કરવું.

અને આ ત્રણેય સ્તરની ભૂમિના સર્જન પછી જો એવો સવાલ થાય ત્યારે તમને આપોઆપ એનો જવાબ મળી જવાનો, તમારે કોઈનેય પૂછવા નહીં જવું પડે!

સાયલન્સ પ્લીઝ

શહેરોમાં રહે છે, જંગલોમાં જાય છે રસ્તો,
કહીં સંસાર માંડે , ક્યાંક સાધુ થાય છે રસ્તો.

નહિતર ખીણમાં એ સોંસરો આવી નહીં પડતે,
મુસાફરને શું દેવો દોષ, ઠોકર ખાય છે રસ્તો!

હું ઈશ્વરની કને તો ક્યારનો પ્હોંચી ગયો હોતે,
અરે, આ મારાં ચરણોમાં બહુ અટવાય છે રસ્તો !

લખે છે વીજળીનો હાથ કંઈ આકાશમાં જ્યારે,
ઘણીએ તેજરેખામાં ક્ષણિક દેખાય છે રસ્તો !

-રતિલાલ ‘અનિલ’

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here