આમને બદલે તેમ થયું હોત તો હું ક્યાંથી કયાં પહોંચી જાત : સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 7 મે 2025 )

આપણા સૌમાં એક કુટેવ પેસી ગઈ છે. વિદ્યાર્થી અવસ્થાથી વૃદ્ધવસ્થા દરમિયાન હંમેશાં એક જપ ચાલુ હોય છેઃ મારા તો સંજોગો સારા નહોતા, જો મારી લાઈફમાં આમને બદલે તેમ થયું હોત તો હું ક્યાંથી ક્યાં પહોંચી જાત, મારી જિંદગીમાં આટલી સગવડ મળી હોત તો વાત બની જાત, જિંદગીમાં આ એક અડચણ આવી જે બહુ ભારે પડી…

પગે દોડીને જવાને બદલે બાઈકની સુવિધા મળી જાય તો સારું જ છે કે જ્યાં જવું છે ત્યાં જલદી પહોંચી જઈશું અને થાક પણ નહીં લાગે. પણ જે લોકોએ ત્યાં પહોંચવું જ છે તે સૌ બાઈકની રાહ જોઈને બેસી નથી રહ્યા. તેઓ દોડવા માંડયા છે. રસ્તામાં જે કોઈ વાહન મળશે તેની લિફટ લઈ લેશે. જયાં છે ત્યાં બેસી નહીં રહે. આગળ વધતા રહેશે.

પણ આપણે રોદણાં રડતા રહીએ છીએ કે રસ્તા આડે આવતો પથ્થર ભારે છે, ઊંચકી શકાતો નથી, આગળ વધી શકાતું નથી અને પેલી બાજુ કોઈ માણસ પોતાની સૂઝ વાપરીને પથ્થર પર ચડીને ઓળંગી જવાની કોશિશ કરે છે તો કોઈ એ પથ્થરની ડાબે-જમણેથી રસ્તો કાઢીને ડી-ટૂર લઈને આગળ વધી જાય છે. આપણે પથ્થરને કોસતા રહીએ છીએ.

જેમને પુરુષાર્થ કરવો નથી એના માટે કેટલાંય બહાનાં હાથવગાં હોય છે. ઘરમાં લાઈટ નહોતી તે ફૂટપાથ પરની મ્યુનિસિપાલિટીની બત્તીના અજવાળે વાંચી લેવાનું હોય. ધંધો કરવા માટે મૂડી ન હોય તો પ્રતિભા અને મહેનતના જોરે કોઈને રિઝવીને બે આની ર્વિંકગ પાર્ટનરશિપ મેળવવા માટે જાતને તૈયાર કરવાની હોય.

માન્યું કે તમારી પાસે આંખોની જયોતિ નથી એટલે તમે પાયલટ બનવાનું તમારું સપનું સાકાર નહીં કરી શકો અથવા શરીર માયકાંગલું છે એટલે કુશ્તી નહીં ખેલી શકો અથવા ગળું બેસૂરુ છે એટલે લતા મંગેશકર નહીં બની શકો. પણ જે તમારી જન્મજાત નબળાઈ છે તે સિવાયની બીજી ઘણી શક્તિઓ કુદરતે તમને આપી જ છે. વળી આપણે ત્યાં તો ઋષિમુનિઓ કહી ગયા કે પંગુમ લંઘયતે ગિરિમ્. દુનિયા આખીમાં એવા હજારો કિસ્સાઓ છે જે તમને ખબર છે કે શારીરિક ત્રુટિઓને ઓવરકમ કરીને માણસ કેવાં કેવાં પરાક્રમો કર્યાં હોય.

જેવું શારીરિક ત્રુટિઓનું એવું જ પરિસ્થિતિઓની ત્રુટિઓનું, સંજોગોની ત્રુટિઓનું. ૧૦૦ ટકા અનુકૂળ સંજોગો બિલ ગેટ્સનેય નહોતા મળ્યા કે ધીરુભાઈ અંબાણીનેય નહોતા મળ્યા. ટોચ પર પહોંચનારા દરેકે દરેક મહાનુભાવોએ જીવનના તમામ તબક્કે પ્રતિકૂળ સંજોગોનો સામનો કર્યો જ છે.

મન હોય તો માળવે જવાય. પણ માત્ર કલ્પનાઓ કરવાથી માળવે ન પહોંચી જવાય. રસ્તામાં નાનાં કે મોટાં કોઈપણ વિઘ્નો આવે તેને લીધે હારીને પાછા વળી જવાનું ન હોય કે ત્યાંને ત્યાં બેસી પડવાનું પણ ન હોય.

પવન અનુકૂળ હોય ત્યારે તેનો લાભ લઈને વહાણ જ્યાં સુધી હંકારી જવાય ત્યાં સુધી પહોંચી જવાનું. માની જ લેવાનું છે કે આ અનુકૂળ પરિસ્થિતિ કાયમની રહેવાની નથી. સંજોગો પલટાશે. આંધી-તોફાનનો સામનો કરવાનો જ છે. નવી નક્કોર તૈયાર થયેલી ફેકટરીમાં અતિવૃષ્ટિને કારણે તમામ મશીનરીઓમાં કાદવ પેસી જવાનો છે. શું કરીશું. બે ચાર છ મહિના દિવસ-રાત કામ કરીને ફેકટરી નવેસરથી ધમધમતી કરી લઈશું.

ઢોળાયેલા દૂધ પર આંસુ સારીને બેસી રહેવાનું ન હોય. કેટકેટલાં અરમાનો સાથે શરૂ કરેલું કામ અપાર વિઘ્નોમાં અટવાઈ જાય તો એ વિઘ્નોને એક પછી એક ઉકેલવાનાં અને જો તમારી કોઠાસૂઝ એમ કહે કે આ ગૂંચો ઉકેલાવાની જ નથી તો એ કામ પડતું મૂકીને તરત નવું કામ હાથમાં લઈને એમાં ખંતપૂર્વક ખૂંપી જવાનું.

સડસડાટ દોડી શકાય એવું વાતાવરણ મળે ત્યારે પણ સ્ટેમિના તો જોઈએ જ. વિઘ્નદોડ માટે એની આગવી સ્કિલ જોઈએ. હર્ડલ રેસમાં ભાગ લેનારાઓને ક્યારેય ૧૦૦-૧૨૦ મીટર સીધે સીધું દોડનારાઓની કે મેરેથોન રનર્સની ઈર્ષ્યા નથી થતી. એમને ખબર છે કે જેમ અમારી રેસમાં હર્ડલ્સ આવે છે એમ એ લોકોની રેસમાં વિઘ્નો ભલે ન આવતા હોય પણ એમને અલગ પ્રકારની કુશળતાની જરૂર તો પડે જ છે.

પરિસ્થિતિઓ દરેકની કસોટી કરતી હોય છે.

હવે આ વાતને એક નવો વળાંક આપીને આપણે આગળ વધીએ. આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબને યાદ કરીએ. ગુરુદેવ કહે છે કે તમે તમારા મનને પૂછો કે તમને જીવનમાં ફરીવાર શું જોઈએ છે. ઓછામાં ઓછા અને સરળતમ શબ્દોમાં જીવનની સૌથી ગહન વાતોને કેવી રીતે સમજાવવી એ કળાના આશીર્વાદ આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબને મા સરસ્વતી પાસેથી પ્રાપ્ત થયા છે. ‘શૂન્યનું રૂપાંતરણ પૂર્ણમાં’ નામના પુસ્તકમાં ગુરુદેવ કહે છે કે, ‘આમ જોવા જાઓ તો મનની એક આગવી ઓળખ છે- ‘પ્રશ્નો પૂછવાનું યંત્ર’ અને એમાં મોટા ભાગના પ્રશ્નો તો નકામા, નિરર્થક, નુકસાનકારી અને જીવનને નમાલા તેમ જ નિઃસત્ત્વ બનાવે તેવા હોય છે: આ દેશનું શું થશે, મોંઘવારી ક્યારે ઘટશે, યુવાપેઢી ક્યારે સુધરશે, પૈસાનો બેફામ વેડફાટ ક્યારે ઘટશે?’

ગુરુદેવની વાતમાં સો ટકા સત્ય છે. નવરા લોકો ગામ આખાની ફિકર કરતા હોય એમ એકબીજાને પૂછતા રહે છેઃ આ સરકારનું તમને કેમનું લાગે છે – નેક્સ્ટ ઇલેક્શનમાં ફરી ચૂંટાશે? પેટ્રોલના ભાવ ક્યારે ઘટશે? આજની શિક્ષણપ્રથા ક્યારે સુધરશે? મોબાઇલ જેવાં સાધનોનો દુરુપયોગ બંધ કરવા શું થવું જોઈએ?

જે પરિસ્થિતિ પોતાના કાબુમાં છે જ નહીં અને જેના વિશે કંઈક કામ કરવાનું આવે તો તરત જ છટકી જઈએ છીએ એ પરિસ્થિતિ વિશે ગંભીર મોઢે પ્રશ્નો કરીને આપણે માનતા થઈ જઈએ છીએ કે આપણે બહુ મોટા ડહાપણના ભંડાર એવા સમજદાર અને પંડિત થઈ ગયા. જે પ્રશ્નો ખરેખર પૂછાવા જોઈએ એ વિશે તો કોઈ વિચાર કરવા પણ તૈયાર નથી. ગુરુદેવ લખે છે: ‘જો સાચે જ આપણે જીવનને નિખાર આપવા માગતા હોઈએ તો આ પાંચ પ્રશ્નો જાતને પૂછવાનું શરૂ કરવા જેવું છે? ૧.મને જે મળ્યું છે એને શું હું લાયક છું? ૨. અન્યના સત્કાર્યોની શું હું કદર કરું છું? ૩. શું હું સમ્યક્‌ને (જે સાચું છે અને જે યોગ્ય છે તેને) પસંદ કરું છું? ૪. મને મળેલાં પરિબળોનો શું હું સદુપયોગ કરું છું? અને ૫. મને ફરી વાર જે જોઈએ છે એ શું છે?’

આ પાંચ પ્રશ્નો વિશેની સમજૂતી આપતાં ગુરુદેવ સૌથી પહેલાં પ્રથમ પ્રશ્ન હાથમાં લઈને કહે છેઃ

‘દૂધપાક મળી જવો એ કદાચ ભાગ્ય હશે પણ દૂધપાક પચી જવો એ તો સદ્‌ભાગ્ય છે. શક્તિ અને સંપત્તિ મળી જવી એ કદાચ ભાગ્ય છે પણ એનો સદુપયોગ એ તો સદ્‌ભાગ્ય છે.’ આટલી સમજ કેળવીને જાતને પૂછવું જોઈએ કેઃ ‘મને જે મળ્યું છે એને શું હું લાયક છું?’

બીજો સવાલ પણ એટલો જ મહત્ત્વનો છે કે બીજાનાં સત્કાર્યોની હું કદર કરું છું? ગુરુદેવ કહે છેઃ ‘મનને ફરિયાદો કરવામાં જેટલો રસ છે એનો લાખમા ભાગનો રસ પણ ધન્યવાદ આપવામાં નથી. એને આક્ષેપો કરવામાં જેટલો રસ છે એનો લાખમા ભાગનો રસ પણ કદર કરવામાં નથી.’

ગુરુદેવ આગળ લખે છેઃ ‘આપણને જે સુખો મળ્યાં છે એ આપણી લાયકાત કરતાં ઘણાં વધારે છે અને આપણા પર જે કંઈ દુઃખો આવ્યાં છે એ આપણી નાલાયકતા કરતાં ઘણાં ઓછાં છે. હવે ફરિયાદ શું કામ? આક્રોશ, ઉદ્વેગ અને ઉકળાટ શું કામ?’

ત્રીજો સવાલ હતોઃ મને શું પસંદ છે? ગુરુદેવ લખે છેઃ ‘મને શું મળ્યું?- એના આધારે મારું જીવન બનવાનું નથી. ‘મેં શું કર્યું?- એના આધારે પણ મારું જીવન બનવાનું નથી. પણ મને શું ગમ્યું અથવા મેં શેની પસંદગી કરી એના આધારે જ મારું જીવન બનવાનું છે… આપણે આજે જે છીએ તે આપણી ભૂતકાળની પસંદગીનું પરિણામ છે. આવતી કાલે આપણે એ હશું જે આપણે આજે પસંદ કરી રહ્યા છીએ.’

ચોથો પ્રશ્ન હતોઃ મને જે કંઈ મળ્યું છે એનો શું હું સદુપયોગ કરું છું? ગુરુદેવ સમજાવે છેઃ ‘પથ્થરને બહુ ફરક પડી જાય છે જ્યારે એ ગુંડાને બદલે કો’ક શિલ્પીના હાથમાં આવી જાય છે. જીવનને બહુ ફરક પડી જાય છે જ્યારે એ સજ્જનને બદલે દુર્જનના હાથમાં હોય છે… દીવાસળી તો એની એ જ હોય છે પણ નાલાયક એનાથી સળગાવી જાય છે જ્યારે લાયક એનાથી પ્રગટાવી જાય છે… ફરક જે પણ પડે છે એમાં મહત્ત્વનો ફાળો વિવેકનો હોય છે, વિશ્વાસનો હોય છે, વિનાશનો હોય છે અને વાત્સલ્યનો હોય છે જ્યાં આ મંગળ ચતુષ્ક હાજર હોય છે ત્યાં વસ્તુનો, વ્યક્તિનો અને પરિસ્થિતિનો સદુપયોગ જ થતો હોય છે.’

પાંચમો સવાલ વાંચીને તમને વિચાર કરતા થઈ જાઓ છો. જબરદસ્ત પ્રશ્ન છે. ‘મને ફરીવાર જે જોઈએ છે એ શું છે?’

અહીં જરા વાર રોકાઈને તમે વિચારો કે જીવનમાં ઑલરેડી તમને જે જે કંઈ મળી ચૂક્યું છે એમાંથી શું શું ફરી વાર જોઈએ છે? ઘણું બધું યાદ આવશે. મળ્યું તે વખતે જે ગમ્યું તે અત્યારે ક્ષુલ્લક લાગતું હશે, કદાચ નહીં ગમતું હોય. કેટલુંક એવું હશે જે એક વાર મળી ગયું છે અને ગમી ગયું છે છતાં બીજી વાર મળે એવી ઇચ્છા કે ઉત્સુકતા નથી. અમુક એવું હશે જીવનમાં, જે મળ્યું ખરું પણ એ મેળવવા પાછળની કડાકૂટ , એટલા ધમપછાડા કે એટલી મહેનત હવે ફરી નથી કરવાં. તમારે જ નક્કી કરવાનું છે (અને નક્કી કરીને એની જાહેરાત નથી કરવાની કે કુટુંબમાં પણ એનાઉન્સ નથી કરવાનું) કે તમને જીવનમાં ફરી વાર શું જોઈએ છે? આ પ્રશ્નનો જવાબ ખાનગી જ રહેવાનો છે એવી ખાતરી રાખ્યા પછી, જાત આગળ સંપૂર્ણપણે નિખાલસ થઈને તમારે યાદી બનાવવાની છે કે તમારે ફરી વાર શું શું પ્રાપ્ત કરવું છે?

ગુરુદેવ કહે છેઃ ‘એમ કહેવાય છે કે માણસ જે કંઈ કરે છે (કૃતિ), જે કંઈ સાંભળે છે (શ્રુતિ), જે કંઈ યાદ રાખે છે (સ્મૃતિ) અને જે કંઈ પસંદ કરે છે (રુચિ) એના પરથી એની સાચી ઓળખ પ્રસ્થાપિત થતી નથી પણ એ ફરી ફરી જે કરવા, સાંભળવા, યાદ રાખવા અને પસંદ કરવા માગે છે એ જ એની સાચી ઓળખ છે.’

આ છેલ્લી વાત, પાંચમા પ્રશ્ન વિશેની વાત, વાગોળવા જેવી છે. આજે આખો દિવસ જ્યારે સમય મળે ત્યારે આના વિશે વિચાર કરીશું તો ચોક્કસ જીવનમાં એક નવો વળાંક આવશે.

સાયલન્સ પ્લીઝ!

જિંદગી જો અકળ ન હોત, ધાર્યા પ્રમાણે જ જીવાતી જતી હોત, તો જીવવાની મઝા ક્યાંથી આવતી હોત.

– અજ્ઞાાત

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here