દુનિયાના સૌથી પ્રાચીન ગણપતિ એક ગુજરાતીના કલેક્શનમાં છે

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સેક્સોલોજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારી પાસે કરોડો રૂપિયાનું મૂલ્ય ધરાવતું સદીઓ જૂની ગણેશ પ્રતિમાઓ-અજાયબીઓનું કલેક્શન છે જેના હજારો લોકોએ તાજેતરમાં મુંબઈની જહાંગીર આર્ટ ગેલેરીમાં દર્શન કર્યાં

ન્યુઝપ્રેમી સ્પેશ્યલ સ્ટૉરી: સૌરભ શાહ
(ગુરુવાર, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૯)

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સૌથી જાણીતા એવા ગુજરાતીઓમાં સૌથી પહેલું નામ તમને કોનું યાદ આવે? અરે ભાઈ, દર વખતે મોદી-મોદીના નારા ન લગાવો. અંબાણી? યસ. પછી?
અમને જે નામ સૌથી પહેલું યાદ આવે એ છે પ્રકાશ કોઠારીનું નામ. ડૉ. પ્રકાશ કોઠારી ‘પ્લેબૉય’ અને એના રાઇવલ મૅગેઝિન ‘પેન્ટહાઉસ’ – બેઉની પૅનલ પર સલાહકાર તરીકે માન પામી ચૂક્યા છે. ક્રેડિટ બૉક્સમાં એમનું નામ પણ આવતું. માસ્ટર્સ ઍન્ડ જ્હૉન્સન પાસે એક જમાનામાં એમણે તાલીમ પણ લીધી અને હવે તો એમના હાથ નીચે શીખીને-ઘડાઈને ડૉ. મુકુલ ચોકસીથી માંડીને ડૉ. પારસ શાહ સહિતના કેટલાય સેક્સોલૉજિસ્ટો તૈયાર થઈ ગયા. સેવન્થ વર્લ્ડ કૉન્ગ્રેસ ઑફ સેક્સોલૉજીમાં ડૉ. પ્રકાશ કોઠારીને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ક્યારની આ વાત? અલમોસ્ટ 35-40 વર્ષ પહેલાંની. 1983-84ની. ડૉ. પ્રકાશ કોઠારી. એમની આગળ લાગતી ડૉક્ટરની પદવી બે વાર લગાડવી પડે. એક તો મેડિકલ ડૉક્ટરની અને બીજી સેક્સોલૉજીના વિષયમાં પીએચ.ડી. માટે કરેલા સંશોધન માટે મળેલી ડૉક્ટરેટની ઉપાધિ પણ એમની પાસે છે.
શ્રી શ્રી રવિશંકરની જેમ તમારે ડૉ. ડૉ. પ્રકાશ કોઠારી એમને કહેવા પડે. મઝાની વાત એ છે કે પોતાના વિઝિટિંગ કાર્ડ પર તેઓ નામની આગળ એક વાર પણ ‘ડૉ.’ લખતા નથી. કે.ઈ.એમ. હૉસ્પિટલની જી. એસ. મેડિકલ કૉલેજમાં હેડ ઑફ ડિપાર્ટમેન્ટ તરીકે ભણાવતા ત્યારે પરદેશીઓને આપવા માટેનાં કાર્ડમાં ‘પ્રો.’ લખતા. કહેતા કે ત્યાં ડૉક્ટર કરતાં પ્રોફેસરનાં માનપાન વધારે હોય છે. પ્રકાશભાઈની વાત સાચી છે. આપણે ત્યાં તો કોઈ પણ ટૉમ, ડિક કે સાહિત્યકાર અહીંથી ત્યાંથી ઉઠાવીને તથાકથિત રિસર્ચ કરીને પીએચ.ડી.ની પદવી હાંસિલ કરી લે અને પછી સાહિત્યના સમારંભોમાં પોતાના નામની આગળ ડૉક્ટર બોલાવડાવીને કૉલર ઊંચો રાખીને ફરતા રહે.

પ્રકાશભાઈ બહુ મોટા કલેક્ટર છે – સંગ્રાહક. ઇરોટિક આર્ટનો ઘણો મોટો ખજાનો એમણે છેલ્લા ચાર-પાંચ દાયકા દરમ્યાન કલેક્ટ કર્યો છે. ક્યાં ક્યાંથી દુર્લભ શિલ્પો, પુસ્તકની હસ્તપ્રત, સ્ટૅમ્પ્સ વગેરે એમણે જમા કર્યાં છે. પણ અત્યારે વાત એમના બીજા જ કલેક્શનની કરવાની છે.

ગણેશ ચતુર્થીના દિવસે મુંબઈની વિખ્યાત જહાંગીર આર્ટ ગૅલેરીમાં ડૉ. પ્રકાશ કોઠારીના ગણેશ કલેક્શનના એક્ઝિબિશનનો અંતિમ દિવસ હતો. આગલા સાત દિવસ દરમ્યાન હજારો મુંબઈગરાઓએ આ પ્રદર્શનનાં દર્શન કર્યાં, એને માણ્યું અને ગણેશજીની સાથે સંકળાયેલી પ્રથમ સદીથી લઈને એકવીસમી સદી સુધીની અતિ દુર્લભ મૂર્તિઓ વગેરેનો કલાકો સુધી અભ્યાસ પણ કર્યો.

અત્યાર સુધી મનાતું આવ્યું છે કે ગણેશજીની સૌથી જૂની પ્રતિમા ચીનમાં છે, જે છઠ્ઠી સદીની છે. પ્રકાશ કોઠારી આ દાવાને પડકારે છે અને એમની પાસે ચાર અલગ-અલગ ઑથોરિટીઝનાં લેખિત પ્રમાણપત્રો છે કે એમના સંગ્રહમાંની એક નહીં બબ્બે ગણેશ-આઇટમનો રચનાકાળ પ્રથમ સદીથી લઈને ચોથી સદીની વચ્ચે હોઈ શકે છે. ટેરાકોટા પર ઉપસાવેલી ગણપતિની ઇમેજની પાછળની બાજુએ ખીલેલા કમળની છાપ છે. 34.9 ગ્રામ વજનનું આ પેન્ડન્ટ મહારાષ્ટ્રમાં ગોદાવરી નદીના કાંઠે પૈઠણ વિસ્તારમાંથી મળી આવ્યું હતું. એ જ અરસાના બીજા એક ટેરાકોટાના સિક્કાની આગલી બાજુ ગણપતિની મુદ્રા છે અને પાછલી બાજુએ એ જમાનાની પ્રચલિત એવી બ્રાહ્મી લિપિમાં લખ્યું છેઃ જગ-ઈશ્વર અર્થાત્ જગેશ્વર.

આજથી લગભગ બે હજાર વર્ષ જૂની આ બે દુર્લભ ગણેશ આઇટમો માટે જો પ્રાચીન વસ્તુઓના ચાહકો માટે લંડનના લિલામઘરમાં બોલી લગાવવામાં આવે તો કરોડો રૂપિયામાં વેચી શકાય, પણ પ્રકાશ કોઠારી એવી કોઈ પેરવી કરવાને બદલે પોતાના ખજાનામાં નવી નવી આઇટમો ઉમેરતા રહે છે. ચારેક વર્ષ પહેલાં ‘ધ ઇકૉનૉમિક ટાઇમ્સ’માં સમાચાર છપાયેલા કે ડૉ. પ્રકાશ કોઠારીએ એક જાહેર ઑક્શનમાં રૂપિયા સવા ચાર લાખ આપીને 18મી સદીમાં ‘ગણપતિ-પંતપ્રધાન’ તરીકે જાણીતો એવો 11.4 ગ્રામ વજનનો 2.3 સે.મી.નો વ્યાસ ધરાવતો ચાંદીનો પેશવાઈ સિક્કો પોતાના કલેક્શન માટે ખરીદી લીધો હતો. મહારાષ્ટ્રના મીરજ ઇલાકાના પટવર્ધન શાસકોએ ઈ.સ. 1792માં બહાર પાડેલા આ સિક્કાની કિંમત આજની તારીખે લાખોમાં થતી હોય તો બેને બદલે વીસ સદી પહેલાંની ગણેશ-રિલેટેડ ચીજવસ્તુઓની કિંમત કરોડો રૂપિયામાં અંકાય એમાં કોઈ નવાઈ નથી.

ગણપતિ પંતપ્રધાનઃ ‘ધ ઇકૉનૉમિક ટાઇમ્સ’માં ચાર વર્ષ પહેલાં સમાચાર છપાયા કે ડૉ. પ્રકાશ કોઠારીએ બસો વર્ષ જૂનો આ સિક્કો સવા ચાર લાખ રૂપિયા આપીને એક જાહેર લિલામમાં ખરીદ્યો. આ અને આવી બીજી અનેક દુર્લભ આઇટમોની સુરક્ષા માટે જહાંગીર આર્ટ ગૅલેરીમાં 24×7 પ્રાઇવેટ સિક્યૉરિટીનો બંદોબસ્ત કરવામાં આવ્યો.

અને એટલે જ પ્રકાશભાઈએ જહાંગીર આર્ટ ગૅલેરીના આ એક્ઝિબિશન દરમ્યાન સાતેસાત દિવસ ચોવીસે કલાક પોતાના ખર્ચે પ્રાઇવેટ સિક્યૉરિટીનો કડક બંદોબસ્ત કર્યો હતો. એટલું જ નહીં આટઆટલી તકેદારી લીધા પછી પણ આ સંગ્રહમાંની રૅરેસ્ટ ઑફ રૅર જેવી કેટલીક કળાકૃતિઓને રોજ રાત્રે તેઓ પોતાની મર્સિડીસમાં ઘરે લઈ જઈને સેફમાં મૂકી દેતા અને બીજે દિવસે સવારે દસ વાગ્યે મુલાકાતીઓ માટે પ્રદર્શનના દરવાજા ખૂલે એ પહેલાં ફરી એને યથાસ્થાને મૂકી દેતા. આ માહિતી અમને પ્રકાશભાઈનાં પત્ની વેણુબહેને આપી. એક્ઝિબિશનના સાતેય દિવસ દરમ્યાન પ્રકાશભાઈની જોડે વેણુબહેન પણ પ્રદર્શનમાં હાજર રહેતાં. પ્રકાશભાઈ સતત ચાલુ રહેતા લોકલ, નૅશનલ અને ઇન્ટરનૅશનલ પ્રિન્ટ તથા ઇલેક્ટ્રૉનિક મીડિયાના પત્રકારોના ધસારાને સંતોષજનક જવાબો આપવામાં વ્યસ્ત હોય ત્યારે વેણુબહેન ખાસ મુલાકાતીઓને આખું એક્ઝિબિશન સાથે ફરીને બતાવતાં અને એમના પુત્ર ડૉ. રવિ કોઠારી જાતે પોતે વિશેષ આમંત્રિતોને પોતાના ઘરમાં આવકારતા હોય એમ ચા-પાણીનો બંદોબસ્ત કરવામાં વ્યસ્ત રહેતા.

કોઠારી કુટુંબઃ વેણુબહેન પ્રકાશ કોઠારીએ કહ્યું કે સિક્યૉરિટી હોવા છતાં કેટલીક અતિ દુર્લભ વસ્તુઓ રોજ રાત્રે ઘરના સેફમાં મૂકી સવારે દસ વાગ્યે પાછી પ્રદર્શન માટે મૂકવામાં આવતી. રવિ પ્રકાશ કોઠારીએ કહ્યું કે તસવીરમાં મંદિરનો જે ઘંટ દેખાય છે તેનું વજન સાત કિલો કરતાં વધુ છે.

આપણે સૌ જાણીએ છીએ કે ભારત હજારો વર્ષથી હિન્દુ પરંપરામાં ઊછરેલી પ્રજાઓની બહુમતી ધરાવતો દેશ છે. આમ છતાં અત્યાર સુધી કોઈ સરકારે હિન્દુ દેવી-દેવતાઓને ચલણી નોટોમાં સ્થાન નથી આપ્યું, જ્યારે ઇન્ડોનેશિયા જેવા 87 ટકા મુસ્લિમ અને માત્ર પોણા બે ટકા હિન્દુ વસ્તી ધરાવતા રાષ્ટ્રમાં આજની તારીખે પણ ત્યાંની ચલણી નોટોમાં ગણપતિની છબી છપાય છે. પ્રદર્શનમાં, સ્વાભાવિક રીતે જ આ નોટ પણ હોય જ.

ઇન્ડોનેશિયાની 2,000 રૂપૈયાની ચલણી નોટ પર ગણપતિઃ ભારતમાં આઝાદી પછી પણ ગણપતિદાદા ક્યારેય કરન્સી નોટ પર દેખાયા નથી.

ભારતમાં ગણેશજીની મૂર્તિમાં એમની સૂંઢ વાંકી જ હોય (વક્રતુંડ), પણ ઇન્ડોનેશિયામાં સીધી સૂંઢવાળા ગણપતિની મૂર્તિ જોવા મળતી. કલેક્શનમાં આવી સાડા ચાર સે.મી. ઊંચી 26.8 ગ્રામ વજન ધરાવતી પથ્થરની ગણેશમૂર્તિ છે જે સંભવતઃ ઇન્ડોનેશિયામાં બનેલી હોઈ શકે છે. એનો રચનાકાળ છઠ્ઠી સદીનો છે.

સાતમી સદીમાં કસોટીના પથ્થર (સોનાની કસોટી કરવા માટે જે પથ્થર વપરાય એ સ્ટોન)માંથી બનેલી એક ગણેશમૂર્તિ પણ છે. તમિળનાડુમાંથી મળી આવેલો ધાતુનો એક ઘંટ પ્રકાશભાઈના કલેક્શનમાં છે. સોળમી સદીનો. એના પર ચારે દિશામાં એક-એક ગણપતિ ઉપસાવેલા છે. સાત કિલો એકસો ગ્રામ વજન ધરાવતા આ ઘંટને પ્રદર્શનમાં તો હાથ પણ ના લગાડી શકીએ, પણ પ્રકાશભાઈના ક્વીન્સ નેકલેસ પર આવેલા સમુદ્રદર્શન કરાવતા વિશાળ ઘરના ડ્રૉઇંગરૂમમાં શોભતા આ ભારેખમ ઘંટને એક હાથે ઊંચકવાની કોશિશ કરીને એનો કર્ણમંજુલ સ્વર સાંભળીને એમના મિત્રો સમાધિમય થઈ જતા હોય છે.

કસોટીનો પથ્થરઃ સોનાની પરખ કરવા જે ટચ સ્ટોન વપરાય એમાંથી બનેલી આ ગણેશમૂર્તિ સાતમી સદીની છે.

ટેરાકોટા, પથ્થર, લાકડું, તાંબું, પિત્તળ, કાંસું – દરેક મીડિયમમાંથી બનેલી અને ભારતના વિવિધ પ્રદેશોમાંથી મળી આવેલી ગણેશમૂર્તિઓના આ અચંબાજનક પ્રદર્શનનું એક આગવું પાસું ગણેશજીની છબી ધરાવતાં પોસ્ટકાર્ડ, પોસ્ટલ સ્ટૅમ્પ્સ, સ્ટૅમ્પ પેપર્સ તથા કોર્ટ ફી માટેની સ્ટૅમ્પ્સનું કલેક્શન છે. ગણેશજીની છાપ ધરાવતાં મૅચબૉક્સિસ પણ છે. સિંગાપોર, શ્રીલંકા, થાઇલૅન્ડ, ઇન્ડોનેશિયા અને ઇવન અમેરિકાની સરકારોએ ટપાલપત્રોમાં ગણેશજીને સ્થાન આપ્યું છે. આઇવરી કોસ્ટે ગણેશપ્રતિમા ધરાવતા સિક્કાઓ બે વાર બહાર પાડ્યા છે, જેમાંના એક પર અર્ધગોળાકારમાં આખો સંસ્કૃત શ્લોક કોતર્યો છેઃ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ, નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા.

કાયદેસર વિઘ્નહર્તાઃ કોર્ટના સ્ટૅમ્પ પેપર પર એક જમાનામાં ગણપતિની છબિ દેખાતી.
પરદેશમાં દુંદાળા દેવઃ રિપબ્લિક ઑફ આઇવરી કોસ્ટે 2013માં બહાર પાડેલા ચલણી સિક્કાની પાછલી બાજુએ ફ્રેન્ચ ભાષામાં વિગતો લખી છે પણ છતી બાજુએ સંસ્કૃતમાં આખો શ્લોક લખ્યો છેઃ
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભં,
નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા

18મી સદીની એક હસ્તપ્રત આ કલેક્શનમાં છે, જેમાં કુલ 59 પાનાં છે. આ ગ્રંથ કોકશાસ્ત્રનો છે (11મી સદીમાં કોકા પંડિતે લખેલા આ ગ્રંથનું મૂળ 4થી સદીમાં વાત્સ્યાયને લખેલો કામસૂત્રનો ગ્રંથ છે). રાજસ્થાનથી પ્રાપ્ત થયેલી આ હસ્તપ્રતના પ્રથમ પાને ગણેશજીનું સુંદર રંગીન ચિત્ર બનાવેલું છે.

કોકશાસ્ત્રના પહેલા પાનેઃ અઢારમી સદીની હસ્તપ્રતના પહેલા પાને ગણેશના ચિત્ર સાથે વંદના. કોકશાસ્ત્રનો મૂળ ગ્રંથ 11મી સદીમાં લખાયો જે વાત્સ્યાયને 4થી સદીમાં લખેલા ‘કામસૂત્ર’ ગ્રંથ પર આધારિત છે. ગ્રંથરચિયતા વાત્સ્યાયન ઋષિ ભરૂચના વતની હતા એવું સંશોધન ડૉ. પ્રકાશ કોઠારીએ કર્યું છે.

આખા કલેક્શનમાં પર્સનલ ફેવરિટ આઇટમ કઈ? 18મી સદીમાં લાકડા પર બનાવેલું રાજસ્થાની શૈલીનું એક રંગીન ચિત્ર છે, જેમાં દાઢીવાળા ગણેશજી છે. એમના ચાર હાથમાંના બેમાં ત્રિશૂળ અને પરશુ (કુહાડી) છે, બીજા બે હાથમાંથી એક હાથે હસ્તપ્રત પકડી છે અને એક હાથમાં લાડુનો મોટો વાટકો છે, જેમાંથી સૂંઢ વડે લાડુ લઈ રહ્યા છે. ગણપતિદાદાની આવી કલ્પના જ કેટલી ભવ્ય છે. આટલું ઓછું હોય એમ એમની સામે હંસ (જે લાગે છે કૂકડા જેવો) પર બિરાજમાન મા સરસ્વતી છે, જેમના એક હાથમાં વીણા અને બીજા હાથમાં હસ્તપ્રત છે. હંસના મોઢામાં મોતીની લાંબી માળા છે.

દાઢીવાળા ગણપતિદાદાઃ અઢારમી સદીના આ ચિત્રમાં સરસ્વતીદેવીની સાથે દેખાતા ગણપતિના ચારમાંના એક હાથમાં ત્રિશૂળ, બીજા હાથમાં પરશુ (કુહાડી), ત્રીજા હાથમાં હસ્તપ્રત અને ચોથા હાથમાં લાડુનો મોટો વાટકો દેખાય છે.

પ્રકાશ કોઠારી જણાવે છે કે પૂર્વના ઘણા દેશોમાં ગણપતિ વિવિધ નામે ઓળખાય છે. ચીનમાં કુઆન-શી ત્યેન તો નેપાલમાં હેરમ્બા ગણપતિ તથા બિનાયકના નામે ઓળખાય છે. બર્મા (મ્યાનમાર), કમ્બોડિયા, જપાન, જાવા, મોન્ગોલિયા, થાઇલૅન્ડ તથા તિબેટમાં પણ ગણપતિ માટેનાં વિવિધ નામ છે, જેવાં કે ભારતમાં અનેક નામ છેઃ વક્રતુંડ (વાંકી સૂંઢ), એકદન્ત (એક દંતૂશળ), વિઘ્નેશ્વર અથવા વિઘ્નહર્તા (વિઘ્નોને દૂર કરનાર), વિનાયક (એટલે કે જેને કોઈ નાયક નથી તે અર્થાત્ જે પોતે જ પોતાનો નાયક છે તે), સિદ્ધિદાતા (સફળતા આપનાર), રિદ્ધિદાતા (સમૃદ્ધિ-સંપત્તિ આપનાર), બુદ્ધિદાતા (અક્કલ આપનાર) વગેરે.

પ્રકાશ કોઠારીના સંગ્રહમાં બિહાર, કર્ણાટક, તમિળનાડુ, કેરળ અને ગુજરાત તથા મહારાષ્ટ્રમાંથી મળી આવેલી પાંચમીથી 15મી સદી સુધીની ગણપતિદાદાની મૂર્તિઓ છે. આ દરેક મૂર્તિ પાછળ કોઈ ને કોઈ ઇતિહાસ છુપાયેલો છે. તિબેટ કે નેપાલમાંથી મળી આવેલી 17મી સદીની કાંસાની મૂર્તિ કંઈક વિચિત્ર જ છે. બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મનો વિરોધ કરવા માટે ફેલાયો એ આપણે જાણીએ છીએ. ઘણાને ખબર હશે કે લુચ્ચો અને બુદ્ધુ શબ્દ હિન્દુઓએ (કેશ) લુંચન કરેલા બૌદ્ધ સાધુઓને હલકી રીતે ઓળખવા માટે ઊભા કર્યા. બૌદ્ધ ધર્મના ફૉલોઅર્સે શું કર્યું? પ્રકાશભાઈના સંગ્રહમાં ષડભુજા મહાકાલ નામના તાંત્રિક બૌદ્ધ ભગવાનની મૂર્તિ છે, જેમાં (હોલ્ડ યૉર બ્રેથ) ગણપતિને એ દેવતાના પગ તળે કચડી નાખવામાં આવે છે. હિન્દુ ગણેશભક્તોનું દિલ દુભાવવા બૌદ્ધોએ બનાવેલી આ મૂર્તિ હિન્દુઓ માટેની પરધર્મીઓની તથાકથિત ધાર્મિક સહિષ્ણુતાને ખુલ્લી પાડે છે.

વિધર્મીઓએ બનાવેલી 17મી સદીની કાંસાની મૂર્તિઃ બૌદ્ધ ધર્મમાં ભગવાનના તાંત્રિક સ્વરૂપ ષડભુજા મહાકાલની આ મૂર્તિમાં ગણપતિને એમના પગ નીચે કચડાતા જોઈને આપણને દુઃખ થાય પણ એ જમાનામાંય આવી અસહિષ્ણુતા હતી.

સંગ્રહમાં 18મી સદીની કાંસાની આચમની છે, જેના હૅન્ડલના મથાળે ગણપતિની ઇમેજ છે. પૂજા વખતે પંચામૃત કે ઘી અથવા જળ વગેરેની આહુતિ માટે વપરાતી આ આચમની (આપણી ભાષામાં કહીએ તો ચમચી) જેવી જ બીજી એક વરાઇટી છે કંકુ મૂકવાની ડબ્બી. 18મી સદીની કાંસાની આ ડબ્બીના ઢાંકણા પર ગણપતિ છે. કાચબા આકારના પિત્તળના ધૂપપાત્રનું ઢાંકણ પણ ગણપતિની પ્રતિમા ધરાવે છે.

19મી સદીમાં જપાનમાંથી મળેલા ગણપતિ પોર્સેલેનમાંથી બનાવ્યા છે. સફેદ સ્પૉટલેસ મૂર્તિના લલાટે લાલચટ્ટક સિંદૂરનું તિલક એવી રીતે બનાવાયું છે જાણે અત્યારે જ કોઈએ કર્યું હોય.

ગણપતિનાં પેન્ડન્ટ, વીંટી, બુટ્ટી તથા બ્રેસલેટ ઉપરાંત પંજાબ કે હિમાચલ પ્રદેશમાં બનેલો ચાંદીનો મોઢ છે જે લગ્ન વખતે વરરાજાને માથે પહેરાવવામાં આવતો હોય છે. કર્ણાટકમાં બનેલી લગભગ સાડા પાંચ કિલોની સોનાનો ઢોળ ચડાવેલી કાંસાની પંચમુખી ગણપતિની મૂર્તિ છે. પાંચ મોઢાવાળા ગણેશ આપણે હજી સુધી ક્યારેય જોયા તો શું સાંભળ્યા પણ નહીં હોય. સાડા છ સેન્ટિમીટરનો વ્યાસ ધરાવતો 7 સેન્ટિમીટર ઊંચો એક પ્યાલો છે જે કેરળથી આવ્યો છે. આ પ્યાલા પર ગણપતિની ઇમેજ કોતરેલી છે. કયા મટીરિયલમાંથી બન્યો છે! હાડકામાંથી. ચાંદીનો એક દીવો છે જેને લટકાવી શકાય. એના લટકાવવાવાળા ભાગ પર એકદમ મૉડર્ન આર્ટ પેઇન્ટિંગમાં ગણપતિનું લાઇન ડ્રૉઇંગ હોય એવી કળા છે.

પહેલીથી એકવીસમી સદી સુધી લંબાતા આ એક્ઝિબિશનમાં મુંબઈના મોહનકુમાર નામના આર્ટિસ્ટે પીપળાના પાનને કાચ પર એન્ગ્રેવ કરીને એને ગણપતિનો આકાર આપ્યો છે. લગભગ પોણો બાય પોણો ફૂટની આ ફ્રેમ પ્રકાશભાઈના ઘરમાં તમે પ્રવેશો કે તરત જ પૅસેજમાં ડાબે હાથે જોવા મળે. આ 2005ની કૃતિ છે.

કાચમાં પાંદડું, પાંદડામાં ગણેશઃ મોહનકુમાર નામના આર્ટિસ્ટે પીપળાના પાંદડાને ગણપતિનો આકાર આપીને કાચમાં જડી સુંદર કલાકૃતિનું સર્જન કર્યું.

અમદાવાદના સુપ્રસિદ્ધ આર્ટિસ્ટ વૃંદાવન સોલંકીએ 2009માં ફાઉન્ટન પેનથી કાગળ પર દોરેલા ગણપતિનું મિનિમાલિસ્ટિક ચિત્ર આ પ્રાચીન પ્રદર્શનમાં આધુનિકતાની આબોહવા આપે છે.

ગુજરાતી ગણપતિઃ અમદાવાદના જાણીતા ગુજરાતી ચિત્રકાર વૃંદાવન સોલંકીએ માત્ર ફાઉન્ટન પેનથી કાગળ પર દોરેલા આ ગણપતિની મિનિમાલિસ્ટિક સ્ટાઇલ બારીકીથી અવલોકન કરવા જેવી છે.

2012માં ઝાંસીના રાજેશ દેવરિયાએ ભંગારની મેટલમાંથી એક તાળું બનાવ્યું જે પહેલી નજરે તમને તાળા જેવું લાગે જ નહીં. ગણપતિના માથાના આકારના આ એક કિલો કરતાં વધારે વજનના અડધો ફૂટ લાંબા તાળાની ચાવી લગભગ પા ફૂટ (સાડા આઠ સે.મી.) જેટલી છે. ગણપતિની સૂંઢ પાછળની જગ્યામાં આ ચાવી ભેરવો એટલે કળ દબાય અને તાળું ખૂલી જાય.

પ્રભુ કો લૉક કિયા જાયેઃ ઝાંસીના રાજેશ દેવરિયાએ ભંગારની ધાતુમાંથી અડધો ફૂટ લાંબું ગણપતિ આકારનું તાળું બનાવ્યું છે જેમાં સૂંઢની પાછળના ભાગમાં ચાવી ફેરવતાં લૉક ખૂલી જાય.

ગણપતિ સાથે આવાં તો કંઈકેટલાંય રહસ્યો સંકળાયેલાં છે, જેને ખોલવા માટે એક આખો દિવસ પણ ઓછો પડે. પ્રકાશ કોઠારીના કલેક્શનમાં એકસો કરતાં વધુ અજાયબીઓ આ વિષયને લગતી છે જેમાંથી એક્ઝિબિશનની મર્યાદિત જગ્યાને ધ્યાનમાં લઈને માત્ર બે-તૃતીયાંશ જેટલી આઇટમો પેશ થઈ. ત્રીજા ભાગની આઇટમો તો હજી જાહેરમાં આવવાની બાકી.

દેશ-વિદેશમાં ગણપતિઃ ડાબે છેક ઉપર અમેરિકાના ટપાલ ખાતાએ બહાર પાડેલું ગણપતિની સ્ટૅમ્પવાળું ફર્સ્ટ ડે કવર છે.

માણસ પાસે પૅશન હોય, પૈસા હોય અને ધીરજ હોય ત્યારે જ આવું કલેક્શન થઈ શકે. સેક્સોલૉજિસ્ટ તરીકેની ધમધમતી પ્રૅક્ટિસ કરવી, મિત્રો સાથે મહેફિલો કરવી, ગુજરાતી-હિન્દી-ઉર્દૂ કવિતા-ગઝલ-શાયરીઓમાં ડૂબી જવું અને એ પછી કોઈ માણસ પોતાના લાઇફટાઇમમાં એક જ વાર આવા કલેક્શનનું એક્ઝિબિશન કરે તોય એનું નામ ઇતિહાસનાં પાનાંઓ પર લખાઈ જાય એ પ્રકારનો સંગ્રહ કરીને સંશોધન સાથે એમાં ઊંડા ઊતરવું. આયુષ્યના આઠમા દાયકાના અંતે પહોંચી રહેલા પ્રકાશ કોઠારી એમના યુવાન મિત્રોને હમઉમ્ર જેવા લાગતા હોય એનું કારણ આ જ હશે – જે કંઈ કરવું એમાં પૂરેપૂરા ઊંડા ઊતરી જવું, પૅશનેટ બનીને કામ કરવું, આજુબાજુની દુનિયાને ભૂલી જઈને કામ કરવું અને દિલની સચ્ચાઈની સાથે કામ કરવું.

આશા રાખીએ કે ભવિષ્યમાં આ એક્ઝિબિશન લઈને ડૉ. પ્રકાશ કોઠારી અમદાવાદ પણ આવે, દિલ્હી લઈ જાય અને લંડન-પૅરિસ-ન્યુ યૉર્કવાસીઓને પણ ગણેશજીનાં દર્શન કરાવી આશીર્વાદ અપાવે.

તાજા કલમ: આજે ગણેશ વિસર્જનના પવિત્ર દિવસે (ગુરુવાર, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૯) ડૉ. પ્રકાશ કોઠારીએ પોતાના ગણેશ કલેક્શન વિશે અપાર મહેનત અને કાળજીપૂર્વક તૈયાર કરેલી ખૂબસૂરત અને દુર્લભ થઈ જશે એવી કૉફીટેબલ બુક “ગણેશ થ્રુ ધ એજિસ” વિશે સુરતમાં કાર્યક્રમ છે. ડૉ. પ્રકાશ કોઠારી સ્વયં હાજર રહેશે. કાર્યક્રમનું આયોજન ડૉ. મુકુલ ચોક્સી, એષા દાદાવાલા તથા મિત્રોએ કર્યું છે. સ્થળ: સંસ્કાર ભારતી સ્કૂલનું ઑડિટોરિયમ, પાલનપુર પાટિયા, સુરત. સમય: રાત્રે ૯.૦૦ વાગ્યે.

25 COMMENTS

  1. સૌરભભાઇ, જસ્ટ માઇન્ડ બ્લોઇંગ, સ્પિચલેસ, રેરેસ્ટ અનબિલિવેબલ, બટ જ્યાં ડોક્ટર સર પ્રકાશ કોઠારી નું નામ આવે અને કહેવા વાળા તમે હોય પછી પ્રેરણા જ પ્રાપ્ત થાય, પ્રાચીન ભારત ના ઋષિ મુનિ ઓ જોયા નથી સાંભળ્યુ છે અને વિશ્વાસ પણ કરું છું, એમના જ અંશો લઈને આજના અર્વાચિન ઋષીઓમાના એક ડોક્ટર સર ને અનેક પ્રણામ, મારા લગ્નજીવન ની સફળતામાં સર નું પરોક્ષ માર્ગદર્શન એક કોલમ માત્ર થી થયું, એમની આપેલી ટિપ્સ ઘણી ઉપયોગી થઇ, મારી લાગણીઓ એમને તમારા માધ્યમથી પોહોચાડવા વિનંતી,
    જય શ્રી કૃષ્ણ

  2. We proud of you for bringing such article to us !! We heard or know Dr prakash kothari As sexologist ..but now he has beautiful collection at the age of 80 …and look like young..then we can say this is one of the finest life…he lives ..thanks for all beautiful articles

  3. Very very interesting information about Lord GANESH & huge collection of Ganesh by Dr Prakash kothari

  4. ઉત્તમ માહિતીસભર લેખ.

  5. An excellent and highly informative article.
    Heartiest congratulations to Dr. Kothari also for all his painstaking efforts to collect all these priceless items.

  6. અદભુત, વિધ્નહર્તા ગણેશજીના વિવિધ સ્વરૂપો જોઈને મન પ્રસન્ન ?? Salute to Dr Kothari and you.

  7. ગણેશજી વિશે અદભુત માહિતી મળી…

  8. વાંચીને ઘણું જાણવા મળ્યું, સાદર પ્રણામ.

  9. અમારા ફ્રેન્ચ મિત્રોને ગણેશ વિષયે અહોભાવથી વાત કરતાં..,અહીં હોય ત્યારે લાકડા, ધાતુ કે કાપડ પરની કૃતિઓને પ્રેમથી ખરીદતાં ને, ત્યાં હોય ત્યારે અમારા તરફથી ગિફ્ટ સ્વીકારીને ખુશખુશાલ થતાં જોયા છે; પણ બાકીના અનેક દેશો સુધીનો આટલો બધો વ્યાપ, આ આર્ટિકલને કારણે જ ધ્યાનમાં આવ્યો !
    સૌરભભાઈ, ગણ-પતિ એટલે લોક-લાડકવાયો લીડર..,એને લાડ લડાવનાર પ્રકાશ કોઠારી, અને લિડ આપી લખનાર, તમને પણ અભિનંદન !!

  10. Very informative & interesting article.Thanks Saurabhbhai. Feel like I had got aachman of gangajal.

  11. વાહ… ડોક્ટર પ્રકાશ કોઠારી ને સલામ… and many thanks સૌરભ ભાઈ . જય ગણેશ…!!!

  12. ખુબ જ સરસ અલભ્ય માહિતી ..એક ડોક્ટર પોતાના વ્યવસાય ઉપરાંત સઁસ્ક્રુતી માટે કેટલી જહેમત ઉઠાવે છે તે પણ ઉજાગર થયું ..ખુબ ગમ્યું ..ડોક્ટર અને તેના પરિવાર ને અભિનંદન અને વંદન ..

  13. It is treat to read your artice…And that too after long time …Sir keep on sharing .We are eagerly waiting your regular column

  14. બહુજ રોચક માહિતી આપી, એક થી કરી એકવીસમી સદી સુધી નું ગણેશજી નું સ્વરૂપ અને ચિત્રણ મનન પટ્ટલ પર અંકિત કરી દીધું .

  15. Osho said in one office lecture that ‘Lucha’ word came from Jain sadhu who was doing ‘lochan’ meaning ‘to pluck hair from self’

  16. Very informative article. Interesting facts about the Ganesh ji collector’s item with Dr. Prakash Kothari ji.

    Thanks, Saurbha Bhai for wonderful coverage. I felt like I have visited the Jahangir Art Gallery

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here