આજના મહા-ભારતમાં ભીષ્મ-યુધિષ્ઠિર સંવાદ : સૌરભ શાહ

( આ લેખ ૨૦૨૫ના પ્રજાસત્તાક દિન નિમિત્તે ‘સાધના’ સાપ્તાહિકના અનુશાસન વિશેષાંકમાં પ્રગટ થયો. ગુજરાતી પ્રકાશન વિશ્વના ગૌરવસમા આ બહોળો ફેલાવો ધરાવતા લોકપ્રિય અને પ્રતિષ્ઠિત સાપ્તાહિકમાં ગોધરા હિન્દુ હત્યાકાંડને કારણે થયેલા રમખાણો પછીના જમાનામાં મેં ‘રાજધર્મ’ નામે નિયમિત સાપ્તાહિક કૉલમ લખી હતી.)

મહાભારતના અનુશાસન પર્વ વિશે તમે જાણો છો. પિતામહ ભીષ્મ કુરુક્ષેત્રમાં બાણશય્યા પર છે. એમની જિંદગીના આ છેલ્લા દિવસો છે. યુધિષ્ઠિર પોતાના ચાર ભાઈઓ સાથે પિતામહ પાસે આવ્યા છે. ઉપરાંત કૃષ્ણ છે, અન્ય રાજાઓ છે, સાધુસંતોની ઉપસ્થિતિ પણ છે. યુધિષ્ઠિર પિતામહ ભીષ્મને અસંખ્ય પ્રશ્ર્નો પૂછે છે – જીવનમાં સાચું શું, ખોટું શું. ભીષ્મ આ પ્રશ્ર્નોનો વિગતવાર ઉત્તરો આપે છે. ભીષ્મના સમગ્ર જીવનનો નિચોડ આ પ્રશ્ર્નોત્તરીમાં સમાયેલો છે. મહાભારતકાર વેદ વ્યાસે આ વિશાળ વિભાગને અનુશાસન પર્વ નામ આપ્યું છે.

આજના યુગમાં આપણી પાસે ન તો યુધિષ્ઠિર છે, ન પિતામહ ભીષ્મ છે. પરંતુ એમણે કરેલો સંવાદ આપણા માટે દીવાદાંડીની ગરજ સારે છે. આજની તારીખે યુધિષ્ઠિર પ્રશ્ર્નો પૂછે છે તો કેવા પ્રશ્ર્નો પૂછે ? અને આજના પિતામહ ભીષ્મ એ પ્રશ્ર્નોના ઉત્તર આપે તો એ શું શું સલાહ આપે?

વેદ વ્યાસની પ્રજ્ઞાને પ્રમાણ કરીને એક નાનકડો સાત્વિક પ્રયોગ કરીએ:

યુધિષ્ઠિર : હે, પિતામહ! મીડિયામાં અને સોશિયલ મીડિયામાં દિવસરાત તમારા પર ટીકાનાં બાણ વરસે છે. અમે જોઈએ છીએ કે આ બાણ તમને ભોંકાય છે. શું તમને વેદના નથી થતી? તમે આ બાણવર્ષાનો સામનો કેવી રીતે કરો છો તે અમને સમજાવો. અમારી આસપાસના લોકો અમને એમનાં વાગ્બાણથી વીંધવાની કોશિશ કરતા હોય ત્યારે અમે તમને અનુસરીને અમારી રોજિંદી જિંદગીને પાટા પરથી ખડી પડતી કેવી રીતે અટકાવી શકીએ?

પિતામહ ભીષ્મ: મારા વહાલા, યુધિષ્ઠિર! તું તો જાણે છે કે આજના યુગમાં મીડિયાનું અને વિશેષ કરીને સોશિયલ મીડિયાનું કામ ધોબી જેવું થઈ ગયું છે. રામાયણના ધોબીની અટક કેજરીવાલ હતી એવું હમણાં જ કોઈએ સંશોધન કરીને શોધી કાઢ્યું છે. બેફામ અને બેબુનિયાદ આક્ષેપો તેઓ કરતા રહેવાના. એક વાત સમજી લે, યુધિષ્ઠિર! જેમની પાસે પોતે કરેલાં નક્કર કામોની કોઈ યાદી નથી હોતી, જેઓ જીવનભર બીજાઓની પ્રતિમા ખંડિત કરવાના પ્રયત્નો કરીને જાહેર જીવનમાં આગળ વધવા માગે છે અને જેમને પોતાના રાષ્ટ્ર માટે નહીં પણ રાષ્ટ્રના દુશ્મનો માટે પ્રેમ હોય એવા લોકો પ્રજાના મનમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જવા સમાજમા અરાજકતા ફેલાવવા સિવાય બીજું કશું કરી શકતા નથી. એવાઓ તારા વિશે કે તારા ભાઈઓ સમાન અમિત શાહ, મોહન ભાગવત, એસ. જયશંકર કે અશ્ર્વિની વૈષ્ણવ વિશે બિકાઉ મીડિયામાં કે બેજવાબદાર સોશિયલ મીડિયામાં જે કંઈ બોલે તેની કિંમત ધૂળ બરાબરની પણ હોતી નથી. માટે તું કોઈનીય ફિકર કર્યા વિના તારી જવાબદારી નિભાવવામાં મગ્ન રહેજે. ભસતાં કૂતરાઓની સામે આપણાથી ના ભસાય.

યુધિષ્ઠિર: આપની વાતમાં મને સો ટકા ભરોસો છે, પિતામહ. પણ એ લોકો દર કલાકે ફેક ન્યુઝ ક્રિયેટ કરે છે તેનું શું કરવું? એટલું જ નહીં એડિટ કરેલા વીડિયોની ક્લિપ વાયરલ કરે છે, ફોટોશોપ કરેલી અને એઆઈથી સર્જેલી ઈમેજીસ પોસ્ટ કરે છે, અમારા શાસનની સિદ્ધિઓને નાકામિયાબી ગણાવીને પ્રજાને ભરમાવે છે, એટલું જ નહીં પોતાની નાકામિયાબીઓને છુપાવીને બિકાઉ મીડિયામાં કરોડો રૂપિયાની જાહેરખબબરો આપીને પોતાના શાસન દરમ્યાન ક્યારેય નહીં થયેલા કામનાં ગુણગાન ગાય છે – પિતામહ, આવા લોકોનું અમારે શું કરવું? એમના પર પગલાં લેવાં જઈએ તો અમારા પર અખબારી સ્વાતંત્ર્યનું ગળું ઘોટવાના આક્ષેપો થાય છે. અને બીજી બાજુ, અમને વોટ આપનારા અમારા કરોડો સમર્થકોના મનમાં શંકાનો કીડો સળવળતો થઈ જાય છે કે અમને વોટ આપીને ક્યાંક ભૂલ તો નથી કરી ને. પિતામહ, બહુ અકળાવનારી પરિસ્થિતિ છે આ. આનો ઉકેલ અમને શોધ્યો જડતો નથી.

પિતામહ ભીષ્મ: વત્સ, આવા કપરા કાળમાં જ શાસકની ખરી કસોટી થતી હોય છે. ઉપજાવી કાઢેલી માહિતીનું આયુષ્ય 24 કલાકનું પણ હોતું નથી. જે જમીની હકીકત છે તેનાથી પ્રજા સારી રીતે વાકેફ હોય છે. એક ઉદાહરણ આપું. રાજધાની ઈન્દ્રપ્રસ્થમાં ડઝનબંધ આધુનિક મોહલ્લા ક્લિનિક બનાવ્યાનો પ્રચાર કરનારાઓ ઇન્દ્રપ્રસ્થની બહાર વસનારી પ્રજાની આંખમાં ધૂળ નાખી શકે પણ સ્થાનિક રહેવાસીઓને તો ખબર જ હોય છે કે આ મોહલ્લા ક્લિનિકોની હાલત ગમાણ કરતાંય બદતર છે અને દરેક મોહલ્લામાં એ લોકોએ દવાખાનાં નહીં પણ શરાબના ઠેકાઓ ખોલ્યા છે. હે યુધિષ્ઠિર, હું તારું મન વાંચી શકું છું. તું મને પૂછવા માગે છે કે પ્રજા જો બધું જ સમજતી હોય તો દસ-દસ વરસથી આવા લોકોને શું કામ ચૂંટી કાઢે છે? આનો જવાબ છે મારી પાસે. એક જૂની ને જાણીતી અંગ્રેજી ઉક્તિ તેં સાંભળી જ છે : તમે થોડાક લોકોને કાયમ માટે બેવકૂફ બનાવી શકો. તમે બધા લોકોને થોડાક વખત માટે બેવકૂફ બનાવી શકો. પણ બધા લોકોને આખો વખત બેવકૂફ નહીં બનાવી શકો. આ કુદરતનો નિયમ છે અને કુદરતના નિયમમાં ક્યારેય મીનમેખ નથી હોતી. માટે તું અકળાયા વિના ધીરજ રાખ. દસ વરસ નહીં પચાસ કરતાં વધુ સમય માટે ઈન્દ્રપ્રસ્થના જ નહીં સમગ્ર ભારતવર્ષની પ્રજાને બેવકૂફ બનાવનારાઓ આપણે નથી જોયા? અત્યારે ક્યાં છે એ કૌરવો? આ દુ:શાસનો અને દુર્યોધનોની પણ એ જ હાલત થવાની છે. તું નિશ્ર્ચિંત રહેજે. તારી બાજુમાં પ્રતાપી શ્રીકૃષ્ણ ઊભા છે. એમણે યુદ્ધ થતાં પહેલાં તારા ભાઈને જે શિખામણ આપી હતી તે યાદ રાખીને દિવસના 18 કલાક કામ કર્યા કર અને એનું પરિણામ શું આવશે તેની ફિકર છોડી દે.

યુધિષ્ઠિર: પિતામહ, એક વાત મારા મનમાં ઘણા વખતથી રમ્યા કરે છે. સતત હું અવઢવમાં રહું છું કે પૂછું કે ના પૂછું. આજકાલ મારા સમર્થકોમાં એક ટોળકી એવી ઊભી થઈ છે જેમને લાગે છે કે પોતે પાંડવો કરતાં મોટા રાષ્ટ્રવાદી છે. તેઓ માને છે કે અમારા કરતાં તેમનામાં હિંદુત્વના સંસ્કારો વધારે છે, સનાતનનો વારસો એમણે જ સાચવ્યો છે, અમે તો જાણે ભાજીમૂળા હોઈએ એ રીતે તેઓ અમને ટ્રીટ કરે છે. આવા હાઈપરડા હિંદુઓનું અમારે શું કરવું? રાઈટ વિંગમાં રાયતો ફેલાવવા માગતા આ રાયતાગેન્ગને અમારે કેવી રીતે ટૅકલ કરવા?

પિતામહ ભીષ્મ: હે યુધિષ્ઠિર, આ બધા અધૂરા ઘડાઓ છે જે વારંવાર છલકાયા કરે છે. જેમ કૌરવોમાં આજકાલ ખમીસની ઉપર જનોઈ પહેરવાની ફેશન છે એવી રીતે તારા નામે તરી જવા માગતા કેટલાક લોકો મંજીરાં લઈને, બગલમાં ભગવદ્ ગીતા રાખીને ટીવીની ડિબેટ્સમાં માયસોર પાક ખાઈને જયપુરમાં બેઠાં બેઠાં સંવાદ કરતા થઈ ગયા છે. આવા લોકો બોલબચ્ચન થઈને પાંડવોના દરબારમાં માનભર્યું સ્થાન મેળવવા માગે છે. અને જ્યારે તું એમને અવગણે છે ત્યારે ભારતવર્ષની પ્રજા સમક્ષ તું કોઈ મામૂલી માણસ હોય એવું પ્રોજેક્શન કરે છે. એ મૂર્ખાઓને ખબર નથી કે તારા શાસનમાં ભારતવર્ષના ભવ્ય સંસ્કારવારસાનો જિર્ણોદ્ધાર થયો એટલે એમનામાં હિંદુત્વ વિશે, સનાતન વિશે બોલવાની હિંમત આવી, સૂઝ આવી. બાકી, દસ વર્ષ પહેલાં ક્યાં હતા એ લોકો? ગોધરા હિંદુ હત્યાકાંડ વખતે કેમ એમની જબાન ચૂપ હતી. બાબરીના જર્જરિત ઢાંચાને ધ્વસ્ત કરવામાં આવ્યો ત્યારે તેઓ સેક્યુલર બનીને કેમ ફરતા હતા? હે, યુધિષ્ઠિર! આ હાયપરડા હિંદુઓને તું અવગણે છે એ જ બરાબર છે. એમને તું રાજ્યસભાનું સભ્યપદ, પદ્મશ્રી જેવા અવૉર્ડ કે સરકારી માનઅકરામો આપીશ તો તેઓ ચૂપ થઈ જશે અને જો તું એમને તારી નજીક નહીં આવવા દે તો તેઓ માનુષીની તંત્રી અને આતંકવાદીની ટેકેદાર મધુ કિશ્ર્વારન જેમ પલટી મારીને પોતાની અસલી જાત દેખાડશે. આવા દોગલા લોકો દરેક કાળમાં, દરેક સમાજમાં હોવાના. આ લાલાઓને ખાતરી થઈ જશે કે પોતાને લાભ નથી મળવાનો ત્યારે તેઓ આપોઆપ આળોટવાનું બંધ કરી દેશે. તું રાહ જોજે, ભૂલેચૂકેય તારાં વળતાં પાણી થતાં દેખાશે તો આ મૂષકો જહાજ છોડી જનારાઓમાં અગ્રસ્થાને હશે.

યુધિષ્ઠિર: હે, પિતામહ! મારી સામે, સમગ્ર દેશ સામે વિકરાળ સમસ્યાઓ મોં ફાડીને ઊભી છે. એક બાજુ મારે વસ્તી નિયંત્રણનો કાયદો લાવવો છે, યુનિફોર્મ સિવિલ કોડ લાવવો છે અને બીજી બાજુ મારે વક્ફ બોર્ડની સત્તા પર નિયંત્રણો લાવવાં છે. ચારસો પાર ગયા હોત તો આ બધું સહેલાઈથી થઈ શક્યું હોત પણ 240માં કેવી રીતે થઈ શકવાનું છે?

પિતામહ ભીષ્મ: આ પ્રકારનાં કામો કરવા માટે સંસદમાં સીટો જોઈએ એના કરતાં વધારે જરૂર પ્રજાના હૃદયમાં તારું સ્થાન હોય તેની છે. અને સૌ કોઈ જાણે છે કે ભારતવર્ષની પ્રજાના હૃદયમાં તું ઉચ્ચ સ્થાને બિરાજે છે. આ જ નહીં આવાં અનેક નેત્રદીપક કાર્યો ભવિષ્યમાં તારા હાથે જ થવાનાં છે તે હું જોઈ શકું છું. કળિયુગમાં તું નરશ્રેષ્ઠ છે કારણ કે તું હંમેશાં સત્યને પડખે રહ્યો છે.

આટલું કહીને ભીષ્મ પિતામહ સહેજ અટક્યા અને થોડીવાર સુધી આસપાસ ઊભેલાઓ સૌને જોતા રહ્યા. પછી બોલ્યા:

‘હવે હું મારા પ્રાણનો ત્યાગ કરવા ઇચ્છું છું. તમે સહુ મને આજ્ઞા આપો, તમે સહુ સદા સત્યમાં જ રહેવાનો જ યત્ન કરજો, કેમ કે સત્ય જ શ્રેષ્ઠ બળ છે. હે ભારત! તમે સદાયે દયાપરાયણ રહેજો, ચિત્તને વશમાં રાખજો, બ્રાહ્મણો પ્રત્યે ભક્તિભાવ રાખજો તથા ધર્મશીલ રહેજો. હે નરપતિ! બ્રાહ્મણોની તેમાં પણ ખાસ કરીને બુદ્ધિમાન કે જ્ઞાની બ્રાહ્મણોની, આચાર્યોની અને ઋષિઓની સદા પૂજા કરતા રહેજો” (અનુશાસનપર્વ: 13: 153: 47, 48, 49, 50).

મહાભારતના રચયિતા વેદ વ્યાસે 13મા પર્વને ‘અનુશાસન પર્વ’ નામ આપ્યું છે. આ પર્વના કુલ 154 અધ્યાયના સેંકડો શ્ર્લોક આજે પણ કેટલા બધા રિલેવન્ટ છે તે દર્શાવવાનો આ એક નાનકડો પ્રયાસ છે. પિતામહ ભીષ્મ અને યુધિષ્ઠિર વચ્ચેની સંવાદગંગાના અર્કમાંથી આ તો માત્ર એક આચમની છે. આધુનિક ભારતની સમસ્યાઓ સમજવા અને ઉકેલવા વારતહેવારે મહાભારતમાં ડૂબકી લગાવવાની જરૂર છે. દરેક વખતે મુઠ્ઠી બે મુઠ્ઠી ભરીને મોતી મળશે.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here