સ્વામી સચ્ચિદાનંદ સાથે ચોવીસ કલાક (ભાગ ત્રીજો)

(ગુડ મૉર્નિંગ: મહા વદ અગિયારસ/બારસ , વિક્રમ સંવત ૨૦૭૮. રવિવાર, 27 ફેબ્રુઆરી 2022)

અગિયારના ટકોરે આશ્રમવાસી વૃદ્ધો, થોડાક મહેમાનો તથા અમારી સાથે સ્વામીજી જમવા બેઠા. મહિનેપંદર દહાડે એક વાર જે મિષ્ટાન્ન બને છે તે આજે મેહમાનોને કારણે બન્યું. દૂધપાક અને મરચાંનાં ભજિયાં, પૂરી તથા બટાકાનું મસાલાવાળું શાક, કઢી અને ભાત. સ્વામીજીએ પૂરીને બદલે રોટલી લીધી. બીજું બધું જ એકદમ થોડું થોડું. અમે નક્કી કર્યું હતું જલસાથી જમવાનું. અને એ જ રીતે અમે જમ્યા. જમીને સ્વામીજીને આડે પડખે થવાની ટેવ હશે એમ વિચારીને અમે હવે શું કરવું એના વિચારોમાં હતા ત્યાં જ એમણે કહ્યું, ‘ચાલો’… ફરી પાછા હીંચકા પાસે.

સ્વામીજીએ આત્મકથા લખી પણ પ્રસ્તાવનામાં જ સ્પષ્ટતા કરી દીધી કે, ‘પ્રસ્તુત પુસ્તકમાં મેં ગૃહત્યાગના દિવસોથી શરૂઆત કરી છે. મને વૈરાગ્ય કેમ થયો તથા બીજાં કયાં પરિબળો હતાં, જેણે મને ગૃહત્યાગ કરવા દબાણ કર્યું તે બધી ચર્ચા કરી નથી.’ જમીને અમે સ્વામીજીને પૂછ્યું, ‘બાપજી, ઘર તમે શા માટે છોડ્યું? વૈરાગ્ય કયા કારણે આવ્યો? એકવીસ વર્ષની ઉંમર વૈરાગ્યભાવ માટે તો નથી હોતી.’

સ્વામીજીએ ઉદાસ સ્મિત સાથે કહ્યું, ‘આ વાત હું બહુ લોકોને કરતો નથી. એક-બે જણાને કરી છે. આજે તમનેય કહું, મારે કોઈ વાંધો નથી. ઓગણીસ વર્ષ સુધી સામાન્ય છોકરાઓનું હોય એવું મારું જીવન હતું. એટલું ખરું કે વાંચવાનો વિશેષ શોખ હતો. નવલકથા ખૂબ વાંચું. ફિલ્મો પણ જોઉં. થોડો આદર્શવાદ પણ ખરો. મેં નક્કી કર્યું હતું કે લગ્ન કરીશ પછી એક જ સ્ત્રી સાથે આખી જિંદગી વીતાવીશ. રામ અને સીતા છે એવા અમારા સંબંધો હશે. એ વખતે હું એક છોકરીના પ્રેમમાં પડ્યો પણ સ્પર્શનોય સંબંધ નહીં. પછી તો એ બીજે… પણ એનો એટલો બધો આઘાત લાગ્યો, એટલો બધો આઘાત લાગ્યો કે અમારા ગામના છેડે એક અવાવરુ બંગલો અને વાડી હતાં ત્યાં હું આખો દહાડો, રાત્રે મોડે સુધી વિષાદમય બનીને બેસી રહું. જેવાં આવડે એવાં વેદનાનાં ગીતો રચું. આટલાં બધાં ગીતો એ વખતે મેં લખ્યાં હતાં. આજે પણ જૂની ફિલ્મોનાં વેદનાનાં ગીતો ક્યારેક કાને સંભળાય છે ત્યારે મનમાં રડવું આવી જાય… એક વાર વાડીએથી પાછો આવતો હતો ત્યારે ગામમાં બે પથરા ભેગા કરીને વગાડતા એક ભિખારીને કબીરનું ભજન ગાતાં સાંભળ્યોઃ કૈસા તેરા નાતા રે… એની મારા પર ઘણી ઘેરી અસર પડી. મારો અંદરનો ભાવ ઘૂંટાતો ગયો. લાઇબ્રેરીમાં જઈને જે હાથ આવ્યાં તે ધર્મ-અધ્યાત્મનાં પુસ્તકો વાંચ્યાં. એમાં એક મહારાજ ગામમાં આવ્યા. રોજ મોક્ષની વાતો કરે. રામકૃષ્ણ પરમહંસ વિશે વાંચું. અગાઉ મારી એવી જીદ હતી કે મારો જે નિશ્ચિત વાળંદ હોય તે જ મારા વાળ કાપે. એ ના હોય તો વાળ ના કપાવું. એને બદલે આ દોઢ વર્ષમાં હું લાકડાની ચાખડીઓ પહેરીને ગામમાં ચાલતો થઈ ગયો. મનમાં એક જ વાત ઘૂંટાયા કરે. ઈશ્વર કેવા હશે? એમનો સાક્ષાત્કાર થશે કે નહીં? સાધુ થઈને કયા સંપ્રદાયમાં જોડાવું એની કશી ગતાગમ નહીં…’

અમે એકધ્યાન બનીને સ્વામીજીને સાંભળીએ છીએ. તેઓ કશા જ હિચકિચાહટ વિના, નિર્મળપણે જૂની વાતો કહેતા જાય છે. વાક્‌પ્રવાહ અટકે છે એટલે એને આગળ વધારવા અમે પૂછીએ છીએ, ‘મા’રાજ, તમારી યુવાવસ્થામાં તમારી જિંદગીએ જે વળાંક લીધો એને કારણે આજે તમે કેટલાંય વર્ષોથી ગુજરાતને ઉપયોગી એવી કેટલીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છો. પણ આવું લાખોમાં કદાચ એકાદ કિસ્સામાં બને. ભગવાન તમારી સાથે ન હોત તો તમે પણ હજારો-લાખો સાધુઓમાંના એક બનીને ક્યાંય અટવાઈ ગયા હોત તો તમે પણ હજારો-લાખો સાધુઓમાંના એક બનીને ક્યાંય અટવાઈ ગયા હોત, ખોવાઈ ગયા હોત. બીજા યુવાનો સાથે આવું બને એ શક્ય છે. એ ન બને તે માટે કેવી તકેદારી રાખો છો?’

‘લગ્ન-સંસ્થા માટેનો મારો સહેજ પણ વિરોધ નથી. એ ઉત્તમ છે. પણ જે વ્યક્તિએ કંઈક મોટું કામ કરવું છે તેને તમે ફરજિયાત પરણાવી ન શકો. બાકી જે ધોરી માર્ગ છે તે લગ્નનો જ છે.’: સ્વામી સચ્ચિદાનંદ

બાપજી સાથે જાણે હવે ઔપચારિકતાનો તબક્કો ક્યારનોય પૂરો થઈ ગયો છે. તેઓ વડીલભાવે વાત્સલ્યથી કહે છેઃ ‘આજે મારી પાસે કેટલીય વખત યુવાનો-યુવતીઓ આવે છે. એમને ખૂબ શાંતિથી, ધીરજપૂર્વક સમજાવી પાછાં મોકલું છું કે તમારાથી સાધુ ન થવાય. સંસારમાં રહીને તમે ઊંચું ચારિત્ર્ય કેળવીને જે કામ કરવું હોય તે કરો. કૉલેજમાં ભણતી બે છોકરીઓ થોડાં વર્ષો પહેલાં આવી હતી. એમને પરણવું નહોતું. સાધ્વી થઈ જવું હતું. મેં કહ્યું સાધ્વી થયા પછી આખી જિંદગી કષ્ટ વેઠવા કરતાં તમારાં મા-બાપ પર ભરોસો રાખો કે તેઓ તમારા માટે જે નિર્ણયો લેશે તે લાંબા ગાળે તમારા માટે જ ઉપકારી નીવડશે. આવાં તો કેટલાંય છોકરા-છોકરીઓને હું સાધુ બનતાં અટકાવું છું.’

‘સ્વામીજી, દરેક યુવાને કે યુવતીએ લગ્ન કરીને સંસાર માંડવાનું ધ્યેય રાખવું જ જોઈએ?’

‘ના, જેમણે અમુક મહત્ત્વનાં કામો કરવાના હોય તેઓ લગ્નની જવાબદારી ના નિભાવી શકે તો એમણે અવિવાહિત રહેવું જોઈએ. આજે જ્યારે હું વિચારું છું કે મારાં લગ્ન થઈ ગયાં હોત તો હું અત્યારે જે કંઈ પ્રવૃત્તિઓ કરી રહ્યો છું તે ન કરી શકતો હોત. ભ્રમણ, અભ્યાસ બધા પર મર્યાદા આવી ગઈ હોત… આમાં લગ્ન-સંસ્થા માટેનો મારો સહેજ પણ વિરોધ નથી. એ ઉત્તમ છે. પણ જે વ્યક્તિએ કંઈક મોટું કામ કરવું છે તેને તમે ફરજિયાત પરણાવી ન શકો. બાકી જે ધોરી માર્ગ છે તે લગ્નનો જ છે.’

‘એકાદ-બે વખત મને એવો પણ વિચાર આવ્યો હતો કે હવે આપણે ઋષિની માફક, સાધુની માફક નહીં, સંસાર રચીને જીવન જીવવું. પણ પછી લોકોમાં ગેરસમજ ફેલાય કે આ બાવાની બુદ્ધિ બગડી લાગે છે.’: સ્વામી સચ્ચિદાનંદ

‘સ્વામીજી, સાધુ બન્યા પછી, ખૂબ અનુભવો લીધા પછી, તમે જ્યારે જાણ્યું કે મોક્ષ જેવું કંઈ છે જ નહીં, પરમાત્માના સાક્ષાત્કારની તો બધી વાતો જ માત્ર છે ત્યારે તમે સંન્યાસ છોડી સંસારમાં પાછા કેમ ન આવી ગયા?’

‘આ બધું મને સમજાયું ત્યાં સુધીમાં મને અને મારી પ્રવૃત્તિઓને લોકોની માન્યતા મળી ચૂકી હતી. એકાદ-બે વખત મને એવો પણ વિચાર આવ્યો હતો કે હવે આપણે ઋષિની માફક, સાધુની માફક નહીં, સંસાર રચીને જીવન જીવવું. પણ પછી લોકોમાં ગેરસમજ ફેલાય કે આ બાવાની બુદ્ધિ બગડી લાગે છે. છતાંય માનો કે એવું કરવું હોય તો આપણી કક્ષાનું પાત્ર ન મળે ત્યારે તમે અહીંનાય ન રહો ને ત્યાંનાય ન રહો…’

‘સ્વામીજી, તમે સાધુ છો અને એક આદર્શ સાધુનાં તમામ સદ્‌લક્ષણો સૌએ તમારામાં જોયાં છે. પણ કેટલાક સાધુઓ, જેમને કારણે સમગ્ર સાધુસંસ્થા બદનામ થઈ ગઈ છે, એમને જોઈને તમને ક્યારેય એવો વિચાર નથી આવ્યો કે ભગવાં કપડાં અને સ્વામી સચ્ચિદાનંદ નામનો ત્યાગ કરી દઉં, બાકીનું બધું જ જીવન જેમ છે એમ જ રહે, માત્ર સાધુનાં નામ અને કપડાં જતાં રહે – એવો વિચાર તમે કર્યો છે ખરો?’

‘હા, વચ્ચે એક-બે વર્ષ સંઘર્ષમાં વીત્યાં હતાં. બે-ચાર માણસોને પણ પૂછ્યું પણ બધાની સલાહ થઈ કે લોકો આનો સારો અર્થ કરે અને કદાચ ખોટો અર્થ પણ કરે અને મને પણ એમ લાગ્યું, આ બધું હવે છોડવામાં ગેરસમજ થશે.’

‘ના…ના…ના… કંચન-કામિનીનો ત્યાગ હોય એ જ મોક્ષ મેળવી શકે એવી એક ભ્રમણા છે. હું તો ઈચ્છું કે દરેક યુવાન યોગ્ય પાત્રને પરણે અને સફળ જીવન જીવે. એની પાસે બે પૈસા હોય, એ પોતાના પગ પર ઊભો રહી શકે એમ હોય.’: સ્વામી સચ્ચિદાનંદ

‘સ્વામીજી, આ નામ અને કપડાંને કારણે લોકો પર તમારો પ્રભાવ કંઈક ઓર જ પડે છે. લોકોમાં તમને તરત સ્વીકૃતિ મળી જાય છે. તમારી પ્રવૃત્તિનો માર્ગ મોકળો બની જાય છે. કાલ ઊઠીને મારા જેવાને એવો વિચાર આવે ખરો કે છાપાં-મેગેઝિનોમાં કૉલમો લખવી ને લેખો લખવા એને બદલે નામ-કપડાં બદલીને એ જ વિચારો પ્રસરાવવાનું કામ સહેલું બની જાય… આમ તમે સાધુનું નામ કે ભગવાં કપડાં ચાલુ રાખીને અમારા જેવા પર એક ખોટો દાખલો નથી બેસાડતા કે વધારે માનપાન જોઈતાં હોય તો આવો, સાધુ બની જાઓ. લોકો પગે પડતા આવશે…’

‘આમાં બે વાત સમજવા જેવી છેઃ પાંડુરંગ શાસ્ત્રી સાધુ નથી, સંસારી છે પણ ઉમદા કાર્ય કરે છે. લોકોમાં પૂજાય એવાં કામો કરે છે. તેઓ પહેલેથી જ સંસારી હતા એટલે લોકોએ એમને એ રીતે સ્વીકારી લીધા છે. મને પ્રજાએ સાધુ તરીકે સ્વીકાર્યો છે. હવે તેઓ મને સંસારી તરીકે નહીં સ્વીકારી શકે. આ એક વાત. બીજી વાત કે આવું કર્યા પછી તમે લોક-માન્ય નથી રહેતા— સાધુપણું છોડીને સંસારી બન્યા પછી— તમે એવા ઘણા દાખલા જોયા હશે. સંસારમાં પાછા આવીને તમારે એક ખૂણામાં રહીને તમારું કામ કર્યા કરવાનું હોય તો કોઈ ફરક નથી પડતો. પણ પ્રજાની વચ્ચે રહીને પ્રવૃત્તિઓ કરવાની હોય તો લોક-માન્ય રહેવું ખૂબ જ જરૂરી બની જાય છે. તમને લોકોએ પહેલેથી જે રીતના જોયા છે એવા જ રહો તો લોક-માન્યતા જળવાઈ રહે છે. તમે પહેલેથી જ માંસાહારી હો તો લોકોને કશો વાંધો નથી આવતો. ખ્રિસ્તી પાદરીઓમાં ઘણા માંસાહારી જ હોય છે, પણ શાકાહારી તરીકે જાણીતા થઈ ગયા પછી માંસાહાર ચાલુ કરો છો ત્યારે લોક-માન્યતા પાછી ખેંચાઈ જાય છે જેને પરિણામે તમે પ્રજાહિતનાં કાર્યો કરવામાં અડચણો અનુભવતા થઈ જાઓ છો. પણ મારી પછીની પેઢીમાંથી કોઈનેય હું સાધુ બનવાનું ઉત્તેજન નથી આપતો.’

‘સ્વામીજી, તમે હાથમાં માત્ર સવા રૂપિયો લઈને ગૃહત્યાગ કર્યો અને એ રકમ પણ ટ્રેનમાં બેઠાં પછી ભિખારીના હાથમાં મૂકી દીધી. અકિંચન હોવાનું તમને એ વખતે ગૌરવ હતું. અત્યારે છે?’

‘ના…ના…ના… કંચન-કામિનીનો ત્યાગ હોય એ જ મોક્ષ મેળવી શકે એવી એક ભ્રમણા છે. હું તો ઈચ્છું કે દરેક યુવાન યોગ્ય પાત્રને પરણે અને સફળ જીવન જીવે. એની પાસે બે પૈસા હોય, એ પોતાના પગ પર ઊભો રહી શકે એમ હોય.’

‘તમારી પાસે અત્યારે કેટલા પૈસા છે?’

‘મારી પાસે મારા લેખનમાંથી મળતી કમાણી છે. પુસ્તકોની રૉયલ્ટી આવે છે…મારા અંગત ખર્ચ માટે કોઈનીય આગળ હાથ લાંબો કરવો પડતો નથી. બાયપાસ સર્જરી કરવાની હતી ત્યારે વિદેશની સારામાં સારી હૉસ્પિટલમાં વિનામૂલ્યે ઑપરેશન થાય એવી સગવડ કેટલાક મિત્રોએ કરી હતી. છતાં મેં મારા ખર્ચે મદ્રાસ જઈને ઍપોલો હોસ્પિટપલમાં સર્જરી કરાવવાનો આગ્રહ રાખ્યો…’: સ્વામી સચ્ચિદાનંદ

‘મારી પાસે મારા લેખનમાંથી મળતી કમાણી છે. પુસ્તકોની રૉયલ્ટી આવે છે. કૉલમ લખવાના હું પૈસા નથી લેતો. આશ્રમ મારી માલિકીનો નથી, ટ્રસ્ટનો કરી દીધો છે. રૉયલ્ટીની રકમ પણ હું ટ્રસ્ટના નામે થઈ જાય એવા કરાર કરવા માગતો હતો, પણ થોડાક સ્નેહીઓએ સલાહ આપી કે તમે જીવો છો ત્યાં લગી એ રકમ તમારા નામે જ રાખો. વખત આવે કામ લાગે. મેં એમ કર્યું. આને કારણે મારે ક્યારેય મારા અંગત ખર્ચ માટે કોઈનીય આગળ હાથ લાંબો કરવો પડતો નથી. બાયપાસ સર્જરી કરવાની હતી ત્યારે વિદેશની સારામાં સારી હૉસ્પિટલમાં વિનામૂલ્યે ઑપરેશન થાય એવી સગવડ કેટલાક મિત્રોએ કરી હતી. છતાં મેં મારા ખર્ચે મદ્રાસ જઈને ઍપોલો હોસ્પિટપલમાં સર્જરી કરાવવાનો આગ્રહ રાખ્યો… પહેલાં હું પૈસાને અડતો નહીં. પછી મારા ગુરુજીએ જ મને કહ્યું કે તારે ભણવાનું છે એટલે સાથે પૈસા રાખવા સારા. એ વખતે મને ભણવા માટે રાજ્ય-કેન્દ્ર સરકારની ઘણી સ્કૉલરશિપો મળતી. એમાંથી હું મારા માટે મહિનાના ત્રીસ રૂપિયા રાખી બાકીના પૈસા બીજા વિદ્યાર્થીઓમાં વહેંચી દેતો. આશ્રમ કર્યો એ પહેલાં ગામેગામ ફરીને પ્રવચનો કર્યા કરતો ત્યારે જે કંઈ દક્ષિણા આવે તે ગામમાં ને ગામમાં ગરીબો માટે અનાજ-કપડાં વગેરે માટે આપી દેતો. આશ્રમ કર્યો ત્યારે જે પૈસા આવે તે બધાં તરત જ કોઈને કોઈ સારી પ્રવૃત્તિમાં વાપરી નાખતો જેથી કોઈ હિસાબની મગજમારી નહીં. પણ પછી પૈસા વધારે આવવા માંડ્યા એટલે મેં ટ્રસ્ટ કર્યું અને હિસાબના ચોપડાઓ લખાવા માંડ્યા. વરસેદહાડે આજે વીસ-પચીસ લાખ રૂપિયા આવે છે અને એમાંથી બધી પ્રવૃત્તિઓ ચાલે છે. આમ મારા માથે હવે કોઈ ટેન્શન નથી. ટેન્શન એટલું જ કે આ બધી પ્રવૃત્તિઓ હવે કોઈ સારા હાથમાં મૂકીને જાઉં તો સારું. આટલી ચિંતા મને રહે.’

‘હું સમજું છું કે આ બધી પ્રવૃત્તિના વહીવટમાં હું ન હોઉં તો લેખનમાં વધારે સારી રીતે પ્રવૃત્ત થઈ શકું. પણ મારે જે કંઈ કહેવું છે, દાખલા તરીકે, હું એમ કહું કે બધા આશ્રમોએ માનવતાવાદી કામ કરવા જોઈએ અને હું પોતે જ કશું કરતો ન હોઉં તો મારી વાતનો કશો પ્રભાવ પડે નહીં.’: સ્વામી સચ્ચિદાનંદ

‘સ્વામીજી, આ આશ્રમ, આશ્રમમાં ચાલતી સમાજકલ્યાણની અનેક પ્રવૃત્તિઓ- આ બધા વહીવટમાં તમારો સમય, તમારી શક્તિ ખર્ચાય એના કરતાં એને પ્રવચન-લેખનમાં વાળી શકો તો લોકો માટે એ વધુ ઉપયોગી ન કહેવાય? અન્નક્ષેત્ર, દવાખાનું, વિદ્યાર્થી સહાય આ તમામ પ્રવૃત્તિઓ સારી છે. પરંતુ બીજા અનેક લોકો પણ ઉત્તમ રીતે એ કરી શકે છે, કરી જ રહ્યા છે, જ્યારે તમારા જેવા વિચારો પ્રગટ કરનારા સાધુઓ જવલ્લે જ જોવા મળે છે.’

‘હું સમજું છું કે આ બધી પ્રવૃત્તિના વહીવટમાં હું ન હોઉં તો લેખનમાં વધારે સારી રીતે પ્રવૃત્ત થઈ શકું. પણ મારે જે કંઈ કહેવું છે, દાખલા તરીકે, હું એમ કહું કે બધા આશ્રમોએ માનવતાવાદી કામ કરવા જોઈએ અને હું પોતે જ કશું કરતો ન હોઉં તો મારી વાતનો કશો પ્રભાવ પડે નહીં. વર્ષો પહેલાં વિશ્વ હિન્દુ પરિષદે સિદ્ધપુરમાં સાધુઓનું એક સંમેલન યોજ્યું હતું તે વર્ષે કુંભમેળો ભરાવાનો હતો. કુંભમેળો આજની તારીખે ૮૦૦થી ૧૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે થાય છે. ત્યારે દુકાળ હતો. મેં પ્રવચનમાં કહ્યું કે આપણે સાધુઓએ નક્કી કરવું જોઈએ કે કુંભમેળો કરવાને બદલે એ ખર્ચો બનાસકાંઠા અને સાબરકાંઠાના દુષ્કાળ રાહતકાર્યમાં આપી દઈએ. છાપાઓએ તે વખતે એની હેડલાઇનો બનાવેલી. પણ એવું થયું નહીં. પછી મેં નક્કી કર્યું કે હું જે કહું તે પહેલાં મારે તો કરવું જ જોઈએ. અને મેં રાધનપુર-ભાભર થઈને રણના કાંઠે વસેલા સુઈ ગામમાં જઈને તદ્દન નાના પાયે દુકાળ રાહતની પ્રવૃત્તિ શરૂ કરી જેને ધીમે ધીમે સારું એવું મોટું સ્વરૂપ મળ્યું. આજે ભારતના હજારો આશ્રમો-મંદિરોમાં અઢળક પૈસો પડ્યો છે, એમનો એમ પડ્યો છે, જે હું ઇચ્છું છું કે માનવકલ્યાણના કામમાં વપરાય. એટલે મેં સમજ કેળવી કે દાખલો બેસાડવા પણ આશ્રમની પ્રવૃત્તિઓને તો મારે ચાલુ જ રાખવાની હોય. એક વખત ભરૂચમાં એક સંમેલનમાં મંચ પર શંકરાચાર્યની હાજરીમાં મેં અધ્યક્ષસ્થાનેથી કહ્યું હતું કે વર્ણવ્યવસ્થાને તોડવી હોય તો શંકરાચાર્યની ગાદી પર હરિજનને બેસાડો. એ પછી મેં તરત જ અમારા અહીંના મંદિરમાં હરિજનને પૂજારી રાખ્યો હતો. આજે પણ આશ્રમના રસોડામાં જે બહેન જમાડે છે તે મોચી છે.’

બપોરની ચાનો સમય થઈ ગયો છે. સ્વામીજી સાથેની વાતોમાં તમે એટલા ડૂબી ગયા છો કે સમય તરફ ધ્યાન નથી. મોટી ઉંમરે પણ ખડતલ શરીર અને ઘણું સારું કહેવાય એવું આરોગ્ય ધરાવતા સ્વામી સચ્ચિદાનંદજી સાથે તમે જીવનને લગતા કોઈ પણ પ્રશ્ન વિશે ચર્ચા કરી શકો છો અને કશુંક પામ્યાનો સંતોષ પ્રાપ્ત કરી શકો છો. સાંજે સ્વામીજી એક સ્નેહીના યુવાન પુત્રને નડેલા કાર અકસ્માત પછી એની ખબર પૂછવા પેટલાદ જાય છે. સાથે અમે જોડાઈએ છીએ. રાત્રે અમદાવાદ પાછા પહોંચી જવું છે. સ્વામીજી સાંજે છ વાગ્યે ખીચડી કઢી રોટલાનું વાળુ કરાવીને વિદાય કરે છે. દંતાલીના આશ્રમમાં સાંજ આથમી રહી છે.

વીસમી સદીના છેલ્લા દાયકામાં ભારત પાસે સ્વામી સચ્ચિદાનંદ જેવા કેટલાક વધુ સંતો હોય તો દેશનું ધાર્મિક જ નહીં, સામાજિક અને રાજકીય ચિત્ર પણ જુદું હોય એવા વિચાર સાથે ભાવપૂર્વક તમે આશ્રમમાંથી વિદાય લો છો. માત્ર ચોવીસ કલાકના નાનકડા સમયખંડ દરમ્યાન એક તીર્થયાત્રા કરવાનો અનુભવ તમને આગામી કેટલાય દિવસો સુધી તરબતર રાખે છે.

સંપૂર્ણ.

( આ મુલાકાત ૧૯૯૬મા એક ગુજરાતી સાપ્તાહિકના દીપોત્સવી અંકમાં પ્રકાશિત થઈ)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

7 COMMENTS

  1. સંસાર છોડી ને પાછા ફરવા ની ઇચ્છા હોવા છતાં લોક કલ્યાણ માટે લોક માન્યતા જરુરી છે એ વિચાર માત્ર સ્વામી મહારાજ ની મહાનતા દર્શાવે છે

  2. પૂ. સ્વામીજી અમેરિકા આવતા ત્યારે ચાર વાર અમારે ત્યાં આવેલા, સ્વામીજીની કથાની મોટાભાગની ઓડીઓ કેસેટ વસાવેલ અને સાંભરેલ અને સ્વામીજીનાં બધા જ પુસ્તકો મેં વસાવેલ અને વાંચેલાં.
    છતાં આપના આજના સ્વામીજી સાથેના ચોવીસ કલાક ( ભાગમાં. 3 ) અમુક વાતો પહેલી વાર જાણવા મળી.
    આપને ખુબ ખુબ ધન્યવાદ, આપના લેખોથી અવશ્ય જનતાને સ્વામીજી વિષે થોડામાં ઘણું જાણવાનું મળશે… આભાર ! 👏

    • Ati uttam lekh! Aabhar. Mari pan Bharat aavi ne Swami ji na darshan karva ni ichchha prabal thai rahi chhe.

  3. Envying you for your enjoyable time with Swamiji. You are lucky.
    During reading your above article, continuously felt Bharat Desh is fortunate even after
    a token marriage Narendrabhai Modi took an unimaginable path in his teenage. Unbelievable.

  4. ખૂબ સરસ. મઝા પડી રહી છે. શીખવાનું મળે છે.

  5. ખુબ જ સરસ લેખ છે, ખુબ ખુબ આભાર તથા અભિનંદન, આશ્રમ વિશે ની તાજેતરની માહિતી આપવા બાબત પ્રયત્ન કરશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here