શું નાલંદા વિદ્યાપીઠ માત્ર બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે હતી? અને એટલે બ્રાહ્મણોએ એનો નાશ કર્યો? : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગઃ ફાગણ સુદ સાતમ, વિક્રમ સંવત ૨૦૭૮, બુધવાર, ૯ માર્ચ ૨૦૨૨)

ભારતના દરેક ક્ષેત્રને લગતા ઇતિહાસ સાથે ભયંકર મોટાં ચેડાં થયાં છે. મોગલો અને અંગ્રેજોના શાસન દરમ્યાન થયાં. આઝાદી પછી નેહરુની બનાવટી બિનસાંપ્રદાયિકતાનો અને એમના હિન્દુદ્વેશનો લાભ લેવાનું શરૂ થયું. શિક્ષણ-ઇતિહાસ-સાંસ્કૃતિક બાબતો-મીડિયા-બ્યુરોક્રસીમાં ચડી બેસેલા સામ્યવાદીઓને કારણે ભારતીય પરંપરાઓને લગતા ડૉક્યુમેન્ટ્સમાં કાં તો ઘાલમેલ કરવામાં આવી કાં પછી એને તદ્દન નષ્ટ કરવામાં આવ્યાં.

આજની તારીખે પણ તમારે ધ્યાન રાખવું પડે કે તમે કયા સોર્સમાંથી મળતી માહિતી પર આધાર રાખો છો, એ સોર્સની ક્રેડિબિલિટી કેટલી છે. તમારા નીરક્ષીર વિવેક, તમારી કોઠાસૂઝ તથા તમારા બૅકગ્રાઉન્ડ નૉલેજ ઉપરાંત પ્રાપ્ય એટલા વધુ રેફરન્સીસનો આધાર લો ત્યારે માંડ સત્ય સુધી પહોંચી શકો.

નાલંદા માત્ર બૌદ્ધ ધર્મના અભ્યાસ માટેની વિદ્યાપીઠ હતી અને બખ્તિયાર ખિલજીએ એને નષ્ટ કરી તે પહેલાં બ્રાહ્મણોએ એનો વિનાશ કરી નાખ્યો હતો એવી તદ્દન ધડમાથા વિનાની વાતો તમને વિકીપીડિયા-ક્વોરામાં વાંચવા મળશે.

નાલંદા વિદ્યાપીઠને લગતી બે બદમાશીઓને મેં પકડી પાડી. એક વિકીપીડિયામાંથી, બીજી ક્વોરામાંથી. આ બેઉ માધ્યમો ક્યારેક સોનાની ખાણ સમા પુરવાર થાય તો ક્યારેક એમાં ઘૂસી ગયેલા સેક્યુલરિયાઓ એને ગંધાતી ગટર અને ખદબદતો ઉકરડો બનાવી દે. વિકીપીડિયા અને ક્વોરા આ બેઉ એક રીતે જુઓ તો બોડી બામણીનાં ખેતર જેવાં છે. લેફટિસ્ટોએ આ બેઉ માધ્યમો પર શરૂઆતથી જ કબજો જમાવી દીધો છે એટલે અત્યારે જિસ કી લાઠી ઉસકી ભેંસ જેવી હાલત છે. તમે જો એ લોકોની બદમાશીઓને ખુલ્લી પાડીને સત્ય લખવા માટે એડિટિંગ કરો તો કલાક-બે કલાકમાં જ આ સેક્યુલર ગેન્ગ ગીધડાંની જેમ તમારા પર તૂટી પડે અને તમે જે સાચી વાતો લખી હોય એને ભૂંસીને વધુ બદમાશીભરી વાતો એ વિષયમાં ઘૂસાડી દે. 2002ની સત્યાવીસમી ફેબ્રુઆરીના હિન્દુ હત્યાકાંડ વિશે હજુય, સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયા પછી પણ અને તમામ મુસ્લિમ ગુનેગારોને સજા પડી ગઈ છે તો પણ, હજુય આ લોકો પોતાનો નરેટિવ ચાલુ રાખે છે – જેનોસાઇડ, પોગ્રોમ વગેરે. જો નજીકના ભૂતકાળમાં બનેલી ઘટનાઓને લેફ્ટિસ્ટો ટ્વિસ્ટ આપીને ભારત વિરુદ્ધનું, હિંદુઓ વિરુદ્ધનું, આ દેશની પરંપરા વિરુદ્ધનું વાતાવરણ ખડું કરી શકતા હોય તો જે ઘટનાઓ વિશે એમણે ઇતિહાસ લખ્યો (નહેરુની કૃપાથી) તે સો-બસો-પાંચસો-હજાર-દોઢ બે હજારવર્ષ પહેલાંની (કે તેથીય પહેલાં)ની ઘટનાઓ સાથે આ વામપંથીઓએ રિસર્ચ અને અભ્યાસના નામે કેવાં કેવાં ચેડાં કર્યાં હશે તેની કલ્પના કરો. અને આવું કરવા બદલ નહેરુ સરકાર આ લોકોને વર્ષે કરોડો રૂપિયાની ખેરાત કરતી જે નેહરુના વારસદારોએ ચાલુ રાખી. સામ્યવાદી ઇતિહાસકારોએ કરેલાં અક્ષમ્ય અપરાધો વિશે અરુણ શૌરીએ વર્ષો પહેલાં એક આખું પુસ્તક લખ્યું છેઃ ‘એમિનન્ટ હિસ્ટોરિયન્સ – ધેર ટેક્નોલોજી, ધેર લાઇફ, ધેર ફ્રૉડ.’

ફૂટનોટમાં જે સોર્સ આપવામાં આવ્યો હોય તે લખાણ આ જ લોકોની ગૅન્ગના ટપોરીઓનું હોય અને એ જ લોકોના મીડિયા – ડિજિટલ મીડિયામાં કે પછી કોઈ નગણ્ય વેબસાઇટ પર પ્રસિદ્ધ થયું હોય

નાલંદા માત્ર બૌદ્ધ ધર્મના અભ્યાસ માટેની વિદ્યાપીઠ હતી અને બખ્તિયાર ખિલજીએ એને નષ્ટ કરી તે પહેલાં બ્રાહ્મણોએ એનો વિનાશ કરી નાખ્યો હતો એવી તદ્દન ધડમાથા વિનાની વાતો તમને વિકીપીડિયા-ક્વોરામાં વાંચવા મળશે. પાછું એમાં ઉમેરે શું? ‘કહેવાય છે કે બખ્તિયાર ખિલજીએ ત્રીજી વખત નાલંદાને સંપૂર્ણપણે નષ્ટ કરી.’

કહેવાય છે?

સામ્યવાદી પાખંડી ઇતિહાસકારો જેવું જ આજનું મીડિયા કરે છે. કોઈ હિન્દુએ હત્યા કરી હોય તો છાપરે ચડીને એનું નામઠામ, એની ઓળખ જાહેર કરશે. પણ મુસ્લિમ જો હિન્દુની હત્યા બદલ પકડાય તો લખશે ‘બે માણસો બાઇક પર આવીને એક જણની હત્યા કરીને ચાલ્યા ગયા.’

વિકીપીડિયામાં તમે જે પણ માહિતી ઉમેરો તેનો રેફરન્સ ફૂટનોટરૂપે આપવો પડતો હોય છે. આમાં ઉપરછલ્લે તમને લાગે કે કેટલું વૈજ્ઞાનિક અને તાર્કિક કામકાજ છે આ લોકોનું. જે માહિતી આપી હોય તેની ઉપર નાનકડા ફોન્ટમાં પાદટીપનો ક્રમાંક લખ્યો હોય એટલે સામાન્ય માણસ ભોળવાઈ જાય, ભોળવાઈ જ નહીં અંજાઈ પણ જાય કે, વાહ, શું વિદ્વતાભર્યું કામ છે – જાણે કે પીએચડીની થીસિસ છે. પણ તમે એ ફૂટનોટ ચકાસવાની ભાગ્યે જ તસદી લેતા હો છો. ફૂટનોટમાં જે સોર્સ આપવામાં આવ્યો હોય તે લખાણ આ જ લોકોની ગૅન્ગના ટપોરીઓનું હોય અને એ જ લોકોના મીડિયા – ડિજિટલ મીડિયામાં કે પછી કોઈ નગણ્ય વેબસાઇટ પર પ્રસિદ્ધ થયું હોય અથવા તો આવા જ કોઈકના પુસ્તકમાં છપાયેલી બનાવટી વિગતો હોય.

નાલંદા માત્ર બૌદ્ધ ધર્મના અભ્યાસ માટેની વિદ્યાપીઠ નહોતી. અહીં સનાતન ધર્મની વિરાસત સમા વેદ-ઉપનિષદ, આયુર્વેદ, શરીરરચનાશાસ્ત્ર, ગણિત, દર્શનશાસ્ત્ર ખગોળશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, વિજ્ઞાન, વ્યાકરણ, સ્થાપત્ય, સંગીત ઇત્યાદિ અનેક વિષયો ભણવા માટે વિદ્યાર્થીઓ આવતા. બૌદ્ધ ધર્મ વિશે પણ અહીં ભણાવાતું. એક સોર્સ કહે છે કે અહીં નેવું લાખ પુસ્તકો-હસ્તપ્રતો હતાં અને એ બાળી નાખવામાં આવ્યાં તે પછી એક મહિને નહીં, છેક ત્રણ મહિને એ આગ ઠંડી પડી.

નાલંદાની સ્થાપનામાં ગુપ્તવંશના રાજાઓનો ઘણો મોટો ફાળો હતો. મોતીલાલ બનારસીદાસ નામના પ્રતિષ્ઠિત પ્રકાશકે 1973ની સાલમાં રાધાકુમુદ મુખર્જીનું ‘ધ ગુપ્તા એમ્પાયર’ પુસ્તક પ્રગટ કર્યું છે જે 1947માં લખાયું હતું. આ વેલ ડૉક્યુમેન્ટેડ પુસ્તક પરથી તમને ખબર પડે કે નાલંદા વિદ્યાપીઠના અભ્યાસક્રમોના કેન્દ્રમાં સનાતન ધર્મની પરંપરાઓ હતી. આચાર્ય રાહુલ શ્રીભદ્ર એક તબક્કે નાલંદા વિદ્યાપીઠના આયુર્વેદ વિભાગના વડા હતા. ઇરાન, તુર્કિસ્તાન, ગ્રીસ, ચીન અને તિબેટથી વિદ્યાર્થીઓ ભણવા માટે નાલંદા આવતા. દસ હજાર વિદ્યાર્થીઓ ઉપરાંત બારસોથી બે હજાર જેટલા આચાર્યો-અધ્યાપકો તો નાલંદામાં રહેતા જ, એમને ખવડાવવા-પીવડાવવાનો સ્ટાફ, વિદ્યાપીઠના સંચાલન-વ્યવસ્થાપનને લગતા કર્મચારીઓ વગેરેની બહુ મોટી ફોજ નાલંદામાં રહેતી. આજે પણ એના અવશેષોમાં આઠ ફૂટ લાંબો એક ચૂલો સચવાયેલો છે. ચૂલાના એક છેડે લાકડાં સળગાવવાનાં પછી અંદરના પોલાણથી છેક છેલ્લા ચૂલા સુધી ગરમી જાય. ચૂલા પર પાંચેક તપેલાંમાં રસોઈ થાય અને જરૂર પડ્યે આ ચૂલાને નાનો-મોટો પણ કરી શકાય.

જે બખ્તિયાર ખિલજીએ નાલંદાનો સર્વનાશ કર્યો એના જ નામનું બખ્તિયારપુર રેલવે સ્ટેશન આજે પણ છે જ્યાં ટ્રેનમાંથી ઊતરીને તમે નાલંદા જઈ શકો. વિચાર કરો નહેરુના રાજનો ગટર વારસો હજુય બિહાર જેવામાં સચવાયો છે – લાલુ, પાસવાન અને નીતિશકુમારની જય હો. યોગીજીનું રાજ હોત તો અલ્હાબાદનું પ્રયાગરાજ થયું તેની સાથે જ બખ્તિયારપુર સ્ટેશનનું પાટિયું બદલાઈને ગુપ્તવંશના કોઈ પણ એક પરાક્રમી રાજાના નામનું થઈ ગયું હોત.

બારમી સદીના અંતે નાલંદા નષ્ટ થઈ ગઈ. એ પછી એને ફરી જીવંત કરવાના બેએક પ્રયાસ થયા, ફરી નષ્ટ કરવામાં આવી. નાલંદાનું નામ ભૂંસી નાખવામાં આવ્યું. ત્યાં સુધી અમેરિકાની આઈવી લીગની આઠ પ્રસિદ્ધ યુનિવર્સિટીઓનો કોઈ અતોપતો નહોતો.

ભારતના ભૂતકાળની ગ્લોરિની વાત કરીએ છીએ ત્યારે કેટલાક ડાહ્યા લોકો આપણા દેશમાં કેટલી ગરીબી છે, ગંદકી છે, નિરક્ષરતા છે, માંદગી છે વગેરેની વાતો કરતા હોય છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલસ જેવાં અતિ અતિ સમૃદ્ધ શહેરોમાં ભીખ માગતા, ઝૂંપડપટ્ટીઓમાં રહેતા. ગંદાગોબરા અમેરિકનો વિશેની જાણ તો હમણાં હમણાં થવા લાગી – સોશ્યલ મીડિયાના આવિષ્કાર પછી. ત્યાં સુધી તો જાણે મુંબઈની ધારાવીની ઝુંપડપટ્ટી જ દુનિયાભરમાં સૌથી વધુ બદનામ થતી રહી. બાય ધ વે, ધારાવીમાં છેલ્લા બે દાયકામાં ચિક્કાર ડેવલપમેન્ટ થયા પછી ત્યાં બંધાઈ રહેલાં નવાં મકાનો પાડોશના સાયન જેવા વૈભવી ઇલાકાઓના ભાવે વેચાતા થયા છે અને એની સામે અમેરિકામાં બ્લેક લાઇફ મૅટર્સ આંદોલનને ત્યાંના ડાબેરીઓ તથા અરાજકતાવાદીઓએ જે રીતે સર્જ્યું-ચગાવ્યું એ પછી મોટાં મોટાં અમેરિકન શહેરોમાં ખુલ્લેઆમ સ્ટોર્સ, મૉલમાં ઘૂસીને માલ લૂંટીને લોકો ઘરભેગા થઈ જાય છે, પોલીસ કંઈ કરી શકતી નથી.

પાયાની વાત. બહારથી જે રૂપાળું દેખાય તે બધું જ કંઈ રૂપાળું નથી હોતું. મીડિયા તેમ જ અન્ય પ્રચાર માધ્યમો દ્વારા ફેલાવવામાં આવતા ભ્રમમાં તણાઈ જવું નહીં.

બારમી સદીના અંતે નાલંદા નષ્ટ થઈ ગઈ. એ પછી એને ફરી જીવંત કરવાના બેએક પ્રયાસ થયા, ફરી નષ્ટ કરવામાં આવી. નાલંદાનું નામ ભૂંસી નાખવામાં આવ્યું. ત્યાં સુધી અમેરિકાની આઈવી લીગની આઠ પ્રસિદ્ધ યુનિવર્સિટીઓનો કોઈ અતોપતો નહોતો. એ બધીઓ તો સત્તરમીથી ઓગણીસમી સદી વચ્ચેના ગાળામાં સ્થપાઈ-નાલંદાની સ્થાપનાના એક હજાર કરતાં વધુ વર્ષ પછી. હાર્વર્ડ 1636માં, યેલ 1701માં, પ્રિન્સ્ટન 1746માં, કોલિમ્બિયા 1754, કૉર્નેલ 1865માં વગેરે.

વડા પ્રધાન મોદીએ એક વાર કોઈ દીક્ષાન્ત સમારંભમાં ગળું ખોંખારીને કહ્યું હતું કે ભારતની શિક્ષણ વ્યવસ્થા એવી બની રહી છે કે ભવિષ્યમાં આપણા વિદ્યાર્થીઓ ત્યાંની જાણીતી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે પડાપડી કરવાને બદલે ભારતમાં જ રહીને અભ્યાસ કરશે. એટલું જ નહીં, એ દેશોના વિદ્યાર્થીઓ આપણી યુનિવર્સિટીઓમાં ભણવા માટે તલપાપડ બની જશે.

ભારતની ભવ્ય શિક્ષણ વ્યવસ્થા જાણવા માટે વિશ્વની સૌપ્રથમ યુનિવર્સિટીઓમાંથી એક એવી નાલંદા મહાવિદ્યાપીઠના અવશેષો પર જામી ગયેલી સદીઓ જૂની ધૂળ ખંખેરવી પડશે.

વધુ આવતી કાલે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

16 COMMENTS

  1. ખૂબજ સરસ લેખ. સત્ય હકીકતથી વાકેફ કરતો લેખ.

  2. પ્રિય સૌરભભાઇ, તમારી સત્યનિષ્ઠા અને શોધ પ્રત્યે ઝીણી ઝીણી માહિતીની જાતતપાસ,પરિશ્રમ અને પછી અમને રસાસ્વાદ કરાવતા તે રજૂ કરો છો.આ સઘળી મહેનત એળે નથી જતી.આજે ઈતિહાસના
    પુનર્લેખનની પ્રવૃત્તિ ચાલી રહી છે,તેમાં તમારું યોગદાન વિશિષ્ટ સ્થાન ધરાવે છે.સહ્રદય અભિનંદન.

  3. Thank you for reviving the topic. This is close to my heart. I would love to see the revival of the prestigious universities. Our country was great, and there is a huge potential for greatness. I am sure we shall achieve it soon.

    • બહુ જ સરસ લખો છો સૌરભભાઈ ઘણી જાણકારી મળી રહે છે.
      ઇતિહાસ અને સાચા ઇતિહાસનો ફરક હવે સમજાય છે

  4. Avi abhutpurve mahiti apva badal tamne khub khub dhanyavad.kharekhar tamara lekho vachine khub janvanu msle che.ava sara sara lekho apta.raho.tamro kub abhar.

  5. આ દેશ જેટલો બહારના લોકોથી બરબાદ થયો એના કરતાં આંતરિક, આ ભૂમિ પર જેનું અન્ન, પાણી ખાધેલ લોકોથી જ વધુ બરબાદ થયો છે, એનો એક વધુ અને જાણીતો પુરાવો છે, આમાં તો પીએમ સાહેબ ની કોઈ જુઠી ( એમને જૂઠા ચિતરનારા ઓ) વાત નથી, આ તો અમારા અભ્યાસક્રમમાં જ્યારે આ લખનાર ૧૯૭૫ માં 3જા ધોરણથી લઈને 10માં ધોરણ સુધી વારંવાર ઇતિહાસ વિષય ના સારામાં સારા શિક્ષકો પાસે થી જાણી છે,મારા પિતા અને કુટુંબ ના અન્ય વડીલો પાસેથી પણ જાણી છે, (આ વાચનાર લોકોએ પણ જાણી હશે,) અને એમને આજ માટે પ્રશ્ન પણ કર્યા હતા કે આપની પાસે આવી ઉચ્ચ કક્ષાની યુનિવર્સિટી પહેલેથીજ હોવા છતાં આપણાં લોકો વિદેશ કેમ ભણવા જાય છે? આ જેમ હવે સ્વીકાર થયો કે આપની દેશી ગાય( ગીર ગાય) નું દૂધ ઉત્તમ છે, એમાં ની પીળાશ જે ખરેખર તો પોષણ વર્ધી હતું, તેની સામે સંકર ગાય ના દૂધ નો કુપ્રચાર થયો, અને આપને ભેંશ અને બનાવટી ગાય નું દૂધ પીતા થયા, મારા દેશની હાલ ની સરકારને શુભેચ્છા આપી છું, જો આવનારા વર્ષોમાં આ ગૌરવાંકિત ભૂતકાળ ને વર્તમાન બનાવી ને આપના રાષ્ટ્રને ફરી દેશ દુનિયામાં નામાંકીત બનાવે,

  6. તમે એકલે હાથે વામપંથીઓ સામે લડત આપી રહ્યા છો એ બદલ ધન્યવાદ અને શુભેચ્છાઓ.

  7. ગૌરવાન્વિત મસ્તકે નાલંદાથી નવી શિક્ષણ પધ્ધતિ ભણી…..
    આભાર….

  8. ખરેખર મજા પડી.
    વિકિપીડિયા ની બદમાશી જૂઓ. જે વિષય વિશે જાણીબૂઝીને ખોટી માહિતી આપી હોય એના એડિટિંગ ઓપશન ને એ બ્લોક કરી દે છે.મોદીજી ને ખરાબ ચીતરી ને અને રાહુલ પપ્પુ ને સારો ચીતરી ને એ બંને ના એડિટ ઓપશન લૉક કરી ને રાખ્યા છે.

  9. ભારતવર્ષની ભૂમી પર ગૌરવની લાગણી ઊભી કરતો લેખ…!
    ખાસ તો ટપોરિયાઓની ટપોરીગીરી સામે મુંગા ન ઊભુ રહેવું પડે તેવી ઊર્જાપદ વાતો જાણવા મળી…

    વંદન આપને…. 🙂

  10. મેકૉલે એ એના ફાધર ને લખેલો પત્ર કે ભારતની ગુરૂકુળ શિક્ષણ પ્રથાનો નાશ કરવાથી ભારતીય સંસ્કૃતિનો નાશ થશે અને અંગ્રેજી શિક્ષણ આપવામાં આવે તો ભારતીયો કાયમી ધોરણે આપણી ગુલામીની માનસિકતા થી મુક્ત થઈ શકશે નહીં એ નહેરુ એની ડાયનેસ્ટી ;ડાબેરીઓ;કોંગ્રેસીઓની માનસિકતા ધરાવતા નેતાઓની છે.

  11. આવી અમૂલ્ય માહિતી સવિસ્તાર આપવા માટે આપને ખુબ ખુબ હાર્દિક ધન્યવાદ સહ સ્નેહ
    વંદન ! 👏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here