બોલવા કરતાં ન બોલવું વધારે સારું : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 13 એપ્રિલ 2025 )

‘સળગતી આગથી સોનાની કસોટી થાય છે, સદાચારથી ભદ્ર પુરુષની, વ્યવહારથી શ્રેષ્ઠજનની, ભયમાં શૂર પુરુષની, આર્થિક કઠિનાઈમાં ધીર પુરુષની તથા વિપત્તિમાં શત્રુ અને મિત્રની કસોટી થાય છે.’ એવું વિદુરે ધૃતરાષ્ટ્રને કહ્યું.

તમે જોયું? દરેક ગુણની કસોટી કઠિન સમયમાં જ થતી હોય છે. સારા સમયમાં તમામ ગુણ વણપરખાયેલા જ રહેવાના. એનો અર્થ એ કે વિપત્તિ આવે ત્યારે માનવાનું કે ભગવાનને પરીક્ષા લેવાનું મન થયું છે. એનો અર્થ એ કે સારા સમય દરમ્યાન આપણે જાતને એવી રીતે તૈયાર કરવાની કે ભગવાન ગમે ત્યારે સરપ્રાઈઝ ટેસ્ટ અનાઉન્સ કરશે અને આપણે એમાં ઉત્તીર્ણ થવાનું છે. આપણે આપણી જાતને ગમે એ માનતા હોઈએ પણ ખરેખર આપણામાં શું છે, કેટલું છે એનું માપ જીવનમાં કપરો કાળ આવે ત્યારે જ નીકળતું હોય છે. દુઃખનો સમય આપણી પાસે આવેલી અમુલ્ય તક છે. આપણામાં જે કંઈ ખૂટતું હોય તેને ઉમેરવાની તક.

પૈસા વિશે વિદુરજીએ એકદમ જ અલગ ઊંચાઈની વાત કરી છે: ‘શુભ કાર્યો કરવાથી લક્ષ્મી ઉત્પન્ન થાય છે, પ્રગલ્ભતાથી વધે છે, દક્ષતાથી દૃઢ થાય છે અને સંયમથી સ્થિર થાય છે.’

કોઈને છેતરીને, કોઈને ફસાવીને, બનાવટ કરીને, ચોરી કરીને આવેલો પૈસો લક્ષ્મી નથી બનતો. લક્ષ્મી હંમેશાં શુભ કાર્યો કરવાથી જ મળે. પ્રામાણિકતા અને મહેનતથી જ આ શુભ કાર્યો થઈ શકે. લક્ષ્મી દરેકને એના ગજા મુજબ મળતી હોય છે. જિંદગી આખી ડ્રાઈવરની નોકરી કરનાર પાસે આવી આવીને કેટલી લક્ષ્મી આવશે? પણ જો એ બેન્ક લોન લઈને પોતાની ટેક્સી ફેરવશે તો વધુ કમાશે. એ કમાણીમાંથી નવી નવી ટેક્સીઓ ખરીદીને પોતાને ત્યાં બીજા ડ્રાઈવરોને નોકરીએ રાખશે તો એનાથી વધુ કમાશે. ટ્રાવેલ એજન્સી શરૂ કરીને મોટી મોટી કંપનીઓના કૉન્ટ્રાક્ટ લેશે તો હજુ વધુ કમાશે. અને કોને ખબર, એનામાં સૂઝબૂઝ તથા કૌવત હશે તો એ ઓલા કે ઉબર જેવી કંપનીઓનો સ્થાપક પણ બની શકે. આપણે ક્યા સ્તરે રહીને કેટલું કામ કરીએ છીએ તેનો ક્યાસ કાઢીને નક્કી કરવું પડે કે મારા આ કામમાંથી મને કેટલી કમાણી થઈ શકે એમ છે.

શુભ કાર્યો દ્વારા પ્રાપ્ત થયેલી લક્ષ્મી પ્રગલ્ભતાથી વધે છે. પ્રગલ્ભ એટલે મેચ્યોર, ધીરગંભીર. ઉછાંછળા માણસના હાથમાં આવી ગયેલી લક્ષ્મી ટકતી નથી, વેડફાઈ જાય છે. તમે કમાણી કેવી રીતે કરો છો એ વાત જેટલી અગત્યની છે એના કરતાં વધુ અગત્યની વાત એ છે કે તમે ખર્ચાઓ ક્યાં ક્યાં કરો છો. જેની પાસે ખર્ચો કરવાની આવડત નથી એનામાં કમાણી કરવાની ગમે એટલી ત્રેવડ હશે તો પણ એની લક્ષ્મીમાં વધારો નહીં થાય.

દક્ષતા એટલે પ્રવીણતા, ચાતુર્ય, હોશિયારી, આવડત. લક્ષ્મીને સાચવવાની જવાબદારી ઘણી મોટી છે. બાપદાદાનો પૈસો ત્રીજી પેઢી પછી કામ નથી લાગતો એવું સમાજમાં ઘણાએ જોયું છે. અચ્છા અચ્છા ઉદ્યોગગૃહોની ચોથી પેઢી લાખના બાર હજાર કરી નાખતી હોય છે. આપણને તરત એમની ‘કંગાલિયત’ નજરે નથી પડતી કારણ કે એમનો લાખ ઈટસેલ્ફ એટલો તોતિંગ હોય કે એમના બાર હજાર પણ ઘણા મોટા હોય. વાલકેશ્વરના મહેલ જેવા બંગલામાં રહેતા લોકો ‘ગરીબ’ થઈ જાય ત્યારે નેપિયન્સી રોડના થ્રી બેડરૂમ હૉલ કિચનના સી ફેસિંગ ફ્લેટમાં રહેતા થઈ જાય એટલે આપણા માટે તો તેઓ શ્રીમંત જ ગણાય પણ વાસ્તવમાં તેઓએ બાપદાદાનો લાખનો વારસો બાર હજાર જેટલો કરી નાખ્યો હોય છે. લક્ષ્મીને સાચવવાની આવડત સૌ કોઈનામાં નથી હોતી.

સંયમથી લક્ષ્મી સ્થિર થાય છે. ગરીબ કે મધ્યમ વર્ગના માણસે જ નહીં શ્રીમંતે પણ ખર્ચ કરવામાં સંયમ જાળવવો પડે, કરકસર કરવી પડે. તો જ લક્ષ્મી એના ઘરમાં સ્થિર થઈને રહે. પાણીની જેમ પૈસો ખર્ચાતો હોય, વગર ફોગટના ખર્ચા થતા હોય ત્યારે લક્ષ્મી પણ વહી જવાનું પસંદ કરે, કોઈ બીજું ઘર શોધી લે. વાપરવામાં સંયમ ન રાખો તો કુબેરનો ખજાનો પણ ખાલી થઈ જાય.

આગળ વધીએ. સારો માણસ કોને કહેવો? સારો માણસ કેવી રીતે પરખાય? આપણે પોતે સારા બનવું હોય તો શું કરવું? વિદુરજીએ સૂચવેલા આ આઠ ગુણમાંથી આપણામાં કયા કયા છે, કયા નથી અને ક્યાં આપણે સુધરવાની જરૂર છે તે જાતે જ નક્કી કરી લઈએ. લખે છેઃ ‘આ આઠ ગુણો પુરુષની શોભા વધારે છે: બુદ્ધિ, કુલીનતા (ખાનદાની), ઇન્દ્રિયનિગ્રહ, શાસ્ત્રજ્ઞાન, પરાક્રમ, મિતભાષીપણું, યથાશક્તિ દાન, તથા કૃતજ્ઞતા.’

આ આઠમાંના બાકીના ગુણોની તો ખબર નથી પણ છેલ્લેથી ત્રીજો મારામાં નથી જ નથી.

આ અધ્યાયમાં વિદુરજીએ બે અલગ શ્લોકમાં બહુ ઊંડી વાત કરી: ‘ગુણોમાં પણ દોષદૃષ્ટિથી જોનાર…સદૈવ મહાન દુઃખને પામે છે (અને) બીજાના દોષ ન જોનાર મોટા સુખને મેળવે છે.’

આપણામાંના ઘણામાં એક કુટેવ હોય છે. કેટલાયને મોઢે તમે સાંભળ્યું હશે: ‘ઓહો, ફલાણી વ્યક્તિ બહુ મહાન, બહુ સરસ પણ…’ આ ‘પણ’ પછી જે કંઈ આવે તેને કારણે આગળની મહાનતાને આપણે ઢાંકી દઈએ. કોઈનો ગુણ આપણને સ્પર્શી જાય તો પછી એનામાં ખોડખાંપણ શોધવાનું બંધ કરીએ. એ ગુણમાંથી જે કંઈ શીખવાનું, મેળવવાનું હોય તે મેળવીએ. શક્ય છે કે કોઈ ગુણીજનમાં દોષ હોય પણ ખરા. પરંતુ આપણે શું કામ એના દોષ જોવા; એનામાં રહેલી ખરાબીઓમાંથી શીખવાનું કે એમની પાસે રહેલી સારી વાતોમાંથી? વાંકદેખાઓ અને વક્રદૃષ્ટાઓની ખાસિયત હોય છે કે તેઓ દરેકમાં કંઈ ને કંઈ ખોડખાંપણ શોધી કાઢશે. આવું કરીને તેઓ કદાચ બીજાઓ આગળ અને પોતાની આગળ સિદ્ધ કરવા માગતા હશે કે મારામાં જેમ ખામીઓ છે એમ એમનામાં પણ ખામીઓ છે. અમે બેઉ સરખા છીએ. તેઓ ભૂલી જતા હોય છે સરખાપણું ખામીઓની સામ્યતાને કારણે સિદ્ધ નથી થતું. ગુણોની સરખામણી કર્યા પછી કોણ મોટું ને કોણ નાનું તે નક્કી થાય. તમે દારૂ પીતા હો અને કે. એલ. સાયગલ પણ દારૂ પીતા હોય એટલે તમે બેઉ જણા ઈક્વલ નથી થઈ જતા. સાયગલ કેવું ગાય છે અને તમે કેવું ગાઓ છો એના આધારે નક્કી થશે કે તમે બંને સરખા છો કે નહીં. પોતાની ભવાઈને લીલાનો દરજ્જો આપવા નહીં પણ બીજાની લીલાને પોતાની ભવાઈની કક્ષાએ ઉતારી પાડવા કેટલાક લોકો સતત અન્યના દોષ શોધતા રહે છે.

મહાભારતના ઉદ્યોગપર્વના છત્રીસમા અધ્યાયમાં વિદુરજીની વાત આગળ ચાલે છે. કેટલાક લોકોને અંગત વાતચીતમાં જ નહીં, જાહેરમાં પણ કઠોર વાણી બોલવાની આદત પડી ગઈ હોય છે. પોતે જેમની સાથે સહમત ન થતા હોય અથવા પોતાની સાથે જેઓ સહમત ન થાય એમને ઉતારી પાડવા, એમના વિશે એલફેલ સર્ટિફિકેટો ફાડવાં, એમનું ઘોર અપમાન કરવું એવી ટ્રેઈટ તમે ઘણામાં જોઈ હશે. વિદુરજીએ ચાર શ્લોકમાં આ વિશે જે વાતો કહી એનું સંકલન કરીએઃ ૧. બીજાઓની ગાળો સાંભળીને જ્યારે સામે ગાળ નથી આપતા ત્યારે ગાળને સહન કરનારાનો અપ્રગટ ક્રોધ ગાળ દેનારને સળગાવી દે છે. અને ગાળ સહન કરનારને પુણ્ય પ્રાપ્ત થાય છે. ૨. બીજાઓને ન ગાળો દેવી તેમ ન તો તેમનું અપમાન કરવું. કઠોર અને રોષભરી વાણી ન બોલવી. ૩. ધર્માનુરાગીએ ઉદ્ધત અને કઠોર વાણીનો નિત્ય ત્યાગ કરવો. ૪. જે મનુષ્ય ક્રૂર તથા કઠોર વાણીરૂપી કાંટા વડે લોકોને પીડા ઉપજાવે છે તેને મનુષ્યોમાં મહાદરિદ્રી સમજવો.

તો પછી વાણી કેવી હોવી જોઈએ? વિદુરજીએ સમજાવ્યું છે: ‘બોલવા કરતાં ન બોલવું વધારે સારું . વાણીની આ પ્રથમ વિશેષતા . જો બોલવું જ પડે તો સત્ય બોલવું. વાણીની આ બીજી વિશેષતા. સત્ય અને પ્રિય બોલવું એ ત્રીજી વિશેષતા અને સત્ય તથા પ્રિય સાથે ધર્મયુક્ત બોલવું એ વાણીની ચોથી વિશેષતા.’

મનુષ્યો ત્રણ પ્રકારના હોય છે, વિદુરજી કહે છે: ‘જે સર્વનું કલ્યાણ ઈચ્છે છે, કોઈનું અકલ્યાણ નથી ચાહતો, જે સત્ય બોલનારો, કોમળ સ્વભાવનો અને જિતેન્દ્રિય છે તેને ઉત્તમપુરુષ સમજવો. જે ખોટું આશ્વાસન નથી આપતો, (કશુંક આપવાની) પ્રતિજ્ઞા કર્યા બાદ (અર્થાત્‌ વચન આપ્યા બાદ) અવશ્ય આપે છે અને (પોતે) કરેલા અપરાધને ઓળખે છે તેને મધ્યમપુરુષ સમજવો.’

અને અધમપુરુષ કોણ છે? ‘જેનું શાસન ભયંકર છે, જે અનેક દોષોથી ભરેલો છે, જે બીજાને સમજાવી શકતો નથી, જે ક્રોધને લીધે બીજાની બૂરાઈ કરવામાં પાછો પડતો નથી, જે કૃતઘ્ની છે, જે કોઈનો મિત્ર બની શકતો નથી, જે દુષ્ટાત્મા છે, જે (પોતાના) કલ્યાણ માટે પણ બીજાઓનો વિશ્વાસ કરી શકતો નથી, જેને પોતાના પર પણ શંકા છે – વિશ્વાસ નથી, જે મિત્રોને પણ પોતાનાથી દૂર રાખે છે તે નિશ્ચિતપણે અધમપુરુષ છે.’

મિત્રો વિશે વિદુરજીએ સરસ ચિંતન કર્યું છે: ‘જે મિત્રના ગુસ્સે થવાની બીક લાગે તથા જે મિત્રની સાથે શંકાપૂર્વક વર્તવું પડે તે મિત્ર નથી, તે મિત્રતાને પાત્ર નથી. જે મિત્ર સાથે પિતાની જેમ વર્તી શકાય તે જ મિત્ર છે…તમારો સંબંધી ન હોવા છતાં જે તમારી સાથે મિત્રભાવે વ્યવહાર કરે તે જ આપણો બંધુ અને તે જ આધાર તથા તે જ આપણો આશ્રય સમજવો…જેનું ચિત્ત ચંચળ છે, જે વૃદ્ધોની (વડીલોની) સેવા નથી કરતો, જેની બુદ્ધિ અનિશ્ચિતતાથી ભરેલી છે તેવા પુરુષનો મિત્રસંગ્રહ (એનું ફ્રેન્ડસર્કલ) પણ સ્થાયી નથી… મિત્રોએ જેમનું સન્માન કર્યું હોય તથા કામ કરી આપ્યાં હોય છતાં જેઓ તે મિત્રનું હિત કરતા નથી, તેઓ કૃતઘ્ની છે. આવા લોકો મૃત્યુ પામે છે ત્યારે માંસભક્ષી પ્રાણીઓ પણ એના શબનું માંસ ખાતા નથી…મિત્રોની પાસે માગણી અવશ્ય કરવી જોઈએ, ધન હોય કે ન હોય, કારણ કે મિત્ર પાસે માગ્યા સિવાય તેના સાર કે અસારની પરીક્ષા થઈ શકતી નથી (સાર એટલે સત્ત્વ, અસાર એટલે નિઃસત્ત્વ).

આજે બસ આટલું જ. બાકી રહેલું આવતા રવિવારે પૂરું કરીએ.

પાન બનારસવાલા

તમારું અપમાન કરનારાઓને ક્યારેય સામે જવાબ ના આપો. જે લોકો તમને અપમાનિત કરી રહ્યા છે એમનો હેતુ તમારી વિવેકબુદ્ધિને ખોરવીને, તમારી જજમેન્ટશકિતને ખોટી દિશામાં લઈ જઈને તમારી પાસે વગર વિચાર્યે વર્તન કરાવવાનો હોય છે. તમારા મૌનથી એ લોકોને મ્હાત કરો અને તમારી સફળતાથી એમને ચૂપ કરો.
—અજ્ઞાત

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here