વાજપેયી સાથેના મતભેદ વિશેની વાત કરતાં અડવાણી 2002ની સાલમાં ગોવામાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનું બયાન આગળ લંબાવે છે. નરેન્દ્ર મોદીએ અડવાણીના કહેવાથી ભાષણના અંતે જાહેર કરી દીધું કે, ‘મૈં ત્યાગપત્ર દેને કે લિએ તૈયાર હૂં.’
મોદીની આ જાહેરાત થઈ કે તરત સેંકડો કાર્યકર્તાઓ-નેતાઓ અને વિશેષ આમંત્રિતોથી ખીચોખીચ સભાગૃહ એક જ નારાથી ગુંજી ઉઠ્યું: ‘ઈસ્તીફા મત દો, ઈસ્તીફા મત દો.’
સૌની આ પ્રતિક્રિયા સાંભળીને અડવાણીએ એ પછી પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ આ વિશે શું કહે છે તે જાણ્યું. દરેકે દરેક જણે એક અવાજે કહ્યું કે, ‘ના, એમણે રાજીનામું ન આપવું જોઈએ.’ પ્રમોદ મહાજન જેવા કેટલાક નેતાઓએ તો ત્યાં સુધી કહ્યું કે, ‘સવાલ જ ઊભો નથી થતો.’
અને આમ આખા દેશમાં ચર્ચાસ્પદ બનેલા મુદ્દાનો શાંતિપૂર્ણ અંત આવ્યો. જોકે, ગોવામાં લેવાયેલા આ નિર્ણયથી દેશના ઘણા લોકો ખુશ નહોતા. આમ છતાં, એ પણ સાચું છે કે સમાજના ખૂબ મોટા હિસ્સાની ઈચ્છા અનુસાર આ નિર્ણય લેવાયો હતો. ગુજરાતમાં પણ મોટાભાગના લોકોએ આ નિર્ણયને આવકાર આપ્યો.
અડવાણી આત્મકથામાં લખે છે: ‘… મેરા વિશ્વાસ હૈ કિ જબ કોઈ કિસી નિર્ણય કો સહી માનતા હૈ, તબ ઈસ નિર્ણય પર અડિગ રહને મેં સંકોચ નહીં કરના ચાહિએ. વસ્તુત: ઈતિહાસ ને પાર્ટી કે ઈસ નિર્ણય કો ન્યાયસંગત ઠહરાયા હૈ કિ ઉસને ઉસ સમય મોદી સે ત્યાગપત્ર નહીં માગા.’
અડવાણીએ માર્ચ 2008માં પ્રગટ થયેલી આત્મકથા ‘માય કન્ટ્રી, માય લાઈફ’માં આ વાત લખી છે. અડવાણીએ 2002માં મોદીને ન હટાવવાનો નિર્ણય વાજબી ઠેરવ્યો છે. અડવાણીની આ વાત નીચે ખુદ કુદરતે બે વર્ષ બાદ સહી કરી. 26 માર્ચ 2010નો દિવસ ભારતના લોકતંત્ર માટે કાળો દિવસ હતો. 1947માં આઝાદી પામેલા આ દેશમાં અત્યાર સુધી કોઈ મુખ્યમંત્રીની સી.બી.આઈ. દ્વારા નિમાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેટિવ ટીમ દ્વારા ઊલટતપાસ થઈ નહોતી. શરદ પવાર કે લાલુ પ્રસાદ યાદવ જેવાની પણ નહીં. લાલુની થઈ, જ્યારે તે મુખ્યમંત્રી નહોતા ત્યારે અને એ તો કોર્ટમાં ગુનેગાર પુરવાર થયા અને જેલમાં પણ ગયા. એ વાત અલગ છે.
નરેન્દ્ર મોદી ભારતના સૌપ્રથમ ચીફ મિનિસ્ટર હતા જેમને ગુજરાતમાં ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી થયેલાં રમખાણો માટે જવાબદાર ઠેરવીને સીબીઆઈની એસ.આઈ.ટી. દ્વારા ઊલટતપાસ માટે બોલાવવામાં આવ્યા. કૉન્ગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય અહેસાન જાફરી, જેમને રમખાણો દરમ્યાન કેટલાક અજાણ્યાઓએ મારી નાખ્યા હતા એમનાં વિધવા ઝાકિયા જાફરીએ અમુક તત્ત્વોની ઉશ્કેરણીથી સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી હતી અને સુપ્રીમ કોર્ટના હુકમથી સીબીઆઈ દ્વારા આ એસ.આઈ.ટી. રચવામાં આવી. તિસ્તા સેતલવાડે સુપ્રીમ કોર્ટની આ નિર્ણય પ્રક્રિયા દરમ્યાન ઘણો અહમ્ ભાગ ભજવ્યો હતો. સેક્યુલરોની હીરોઈન બની ગયેલી તિસ્તાની સામે આજની તારીખે ગરીબ મુસ્લિમોના કલ્યાણ માટે ઉઘરાવાયેલા કરોડો રૂપિયાના ફંડફાળાનો ઉપયોગ પોતાના અંગત મોજશોખ માટે કરવા બદલ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે જેનો ચુકાદો જો એની વિરુદ્ધમાં આવ્યો તો એણે જેલમાં જવું પડે એવી પરિસ્થિતિ છે.
માર્ચ 2010માં મોદીને એક ક્રિમિનલની જેમ બેસાડીને એસ.આઈ.ટી. દ્વારા કડક પૂછપરછ કરવામાં આવી. કલાકો સુધી પ્રશ્નોત્તરી ચાલી. પૂછનારાઓને પરસેવો વળી ગયો. રાત્રે એમણે મોદીને બીજા દિવસે આવવાનું કહ્યું. મોદીએ જણાવ્યું કે મારે સરકાર ચલાવવાની છે. મને તમે આજે બોલાવ્યો છે તો આજે જ પૂરું કરી દો. આખી રાત બેસવા તૈયાર છું. તમે લોકો થાક્યા હો તો જમી કરીને ફ્રેશ થઈને પાછા આવી જાઓ, આપણે બીજો દૌર શરૂ કરીએ.
આકરી ઊલટતપાસ પછી પણ ન એસ.આઈ.ટી, ન સી.બી.આઈ., ન સુપ્રીમ કોર્ટ મોદી સામેનો એક પણ આરોપ પુરવાર કરી શક્યા નહોતા. 2002થી 2010 સુધી જે લોકો મોદીને મોતના સોદાગર માનતા રહ્યા તે લોકો ફ્રસ્ટ્રેટ થઈ ગયા. પણ મોદી આ બધા કાદવમાં કમળની જેમ સ્વચ્છ અને પવિત્ર રહ્યા. ગોવાની કાર્યકારિણીમાં મોદી પાસે રાજીનામું નહીં લઈને ભાજપે ભારે ડહાપણનું કામ કર્યું. જો મોદીને તે વખતે ગુજરાતના ચીફ મિનિસ્ટરપદેથી હટાવવામાં આવ્યા હોત તો 2002ના ડિસેમ્બરમાં ભાજપ 127 બેઠકો વડે વિધાનસભામાં થમ્પિંગ મેજોરિટીથી ચૂંટાઈ ન આવી હોત. મોદી કદાચ ક્ષેત્રસંન્યાસ લઈને ફરી ક્યાંક ચાલ્યા ગયા હોત અથવા તો એમના વિરોધીઓ ગીધડાંની જેમ એમના પર તૂટી પડ્યા હોત અને સત્તાવિહીન મોદીને ફોલી ખાધા હોત. મોદીનું જો રાજીનામું લેવાઈ ગયું હોત તો સૌથી ખરાબ વાત એ બની હોત કે રમખાણો વિશે જે જુઠ્ઠાણાંઓ મીડિયાએ વિરોધીઓની મદદ વડે ફેલાવ્યાં તે બધાંને જાણે આપોઆપ સત્ય હોવાનું સર્ટિફિકેટ પ્રાપ્ત થઈ ગયું હોત. અને પરિણામે ગુજરાતમાં જ નહીં, આખા દેશમાં ભાજપની બેઈજ્જતી થઈ હોત. 2002ની વિધાનસભા ચૂંટણી પછી 2007 તથા 2012ની ચૂંટણીમાં ભાજપનો ગુજરાતમાંથી એકડો નીકળી ગયો હોત અને 2014ની ચૂંટણીમાં ભાજપ પાસે વડા પ્રધાન બનવાને લાયક કોઈ નેતા ન હોત એટલે વડા પ્રધાનપદે આજે કૉન્ગ્રેસનો કયો નેતા હોત? તમને ખબર છે, શું કામ મારા મોઢે બોલાવડાવો છો!
2002માં ગોવામાં વાજપેયી સાથે ખુલ્લેઆમ મતભેદ પ્રગટ કરીને અડવાણીએ મોદીને જ નહીં આખા દેશને બચાવી લેવાનું પુણ્ય કાર્ય કર્યું. આ કિસ્સામાં વાજપેયીએ આપેલા ફાળાને પણ ભૂલવો ન જોઈએ. વાજપેયી સ્વયં એક કદાવર નેતા છે. એમણે ધાર્યું હોત તો અડવાણીને બાજુએ મૂકીને પોતાનું ધાર્યું કર્યું હોત અને મોદીની પાસે રાજીનામું લઈ લેવાની જીદ પકડી રાખી હોત. પણ વાજપેયી ખરા અર્થમાં એક ઉદાર અને દીર્ઘ દૃષ્ટિવાળા નેતા હતા. નહેરુ જેવા નહોતા. નહેરુએ પોતાના સાથીઓની અવગણના કરીને પોતાની મનમરજી ચલાવી હોત. પણ વાજપેયીએ પોતાના અંગત વિચારો તથા અંગત અભિપ્રાયોને બાજુએ રાખીને દેશનું હિત જેમાં સમાયેલું હતું એવા નિર્ણયને કોઈ જીદ રાખ્યા વિના સમર્થન આપ્યું. ભારતનું સદ્ભાગ્ય છે કે આપણને ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય પછી અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર દામોદરદાસ મોદી જેવા ઉચ્ચ કોટીના દેશપ્રેમીઓ નેતા તરીકે મળ્યા.
આજનો વિચાર
સત્ય કા સંઘર્ષ સત્તા સે,
ન્યાય લડતા નિરંકુશતા સે,
અંધેરે ને દી ચુનૌતી હૈ,
કિરણ અંતિમ અસ્ત હોતી હૈ,
દાંવ પર સબકુછ લગા હૈ,
રુક નહીં સકતે,
ટૂટ સકતે હૈં,
મગર ઝુક નહીં સકતે.
– અટલ બિહારી વાજપેયી
••• ••• •••
આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.
‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ
પ્રિય વાચક,
તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.
‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.
વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.
કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.
તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.
દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.
‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.
‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.
‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/