હરકિસન મહેતાનાં સાઠ વર્ષનું જમા-ઉધાર : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : સોમવાર, 25 મે 2020)

હરકિસન મહેતાનો આ દીર્ઘ ઈન્ટરવ્યુ 1988માં એમની ષષ્ટિપૂર્તિ નિમિત્તે તૈયાર કરવામાં આવેલી સ્મરણિકામાં પ્રગટ થયો ત્યારે એમણે લખ્યું : ‘આ સ્મરણિકામાં પ્રગટ થયેલી મારી મુલાકાતમાં એકાદ-બે અપવાદ સિવાય મેં શક્ય એટલા નિખાલસ રહેવાનો પ્રયાસ કર્યો છે. મારા માટે, મારા વ્યવસાય અંગે કે પછી અથાગ સંઘર્ષ પછી મળેલી સફળતા બાબત જે કાંઈ કહેવા જેવું હતું તે આ મુલાકાતમાં કહેવાયું છે. તેમાંથી માત્ર સાઠ ટકા જેટલું કથન આ સ્મરણિકામાં સમાવી શકાયું… હું મને ઓળખી શક્યો નથી, તમે ઓળખીને કહેજો કે હું તમને કેવો લાગ્યો?’

આ મુલાકાતનું શીર્ષક એમણે જ બાંધ્યું હતું : ‘હરકિસન મહેતાનાં સાઠ વર્ષનું જમા-ઉધાર’. પત્રકાર તરીકે લીધેલી વિવિધ ક્ષેત્રની સંખ્યાબંધ મુલાકાતોમાંથી આ સૌથી યાદગાર મુલાકાત છે મારા માટે:

સૌરભ શાહ: સાઠ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે તમે જિંદગીનું સરવૈયું કાઢ્યું હશે, જમા બાજુનું ટોટલ માર્યું હશે, ઉધાર બાજુનો સરવાળો પણ કર્યો હશે… તમારા જમા પાસે કઈ કઈ બાબતોની યાદી કરી?

હરકિસન મહેતા: જમા બાજુમાં… જેને માટે ષષ્ટિપૂર્તિ ઉજવાઇ રહી છે તે એક સફળ સામયિકના સફળ તંત્રી અને ગુજરાતી ભાષામાં બહુ વંચાતા નવલકથાકાર… એ તો બહુ ઉઘાડાં જમા પાસાં વ્યવસાયિક જીવનના છે. ત્રીજું પાસું જે છે તે એ કે થોડાક પણ બહુ સારા મિત્રો. કોઈ પ્રયાસ વિના મળેલા અને આત્મીય બનેલા મિત્રો. એમની સંખ્યા વધુમાં વધુ બાર-પંદરની… અને ઓછામાં ઓછા ચાર તો ખરા જ જેમની ખાંધે ચડીને જતા રહીશું… બાકી સંતાનોનું સંપૂર્ણ સુખ હોય, તમારો પુત્ર તમારા જેટલો જ આર્થિક રીતે સમૃદ્ધ હોય. તમારો વંશ-વારસ પણ આગળ વધતો હોય, કોઈને કોઈ જાતનું આર્થિક, શારીરિક, માનસિક કષ્ટ ન હોય. મને લાગે છે કે આવું બધાના જીવનમાં નહીં હોય… કોઈકને ને કોઈકને કંઇક તકલીફ તો પડતી જ હશે… અને સૌથી વધારે તો તમે તમારા સર્જન દ્વારા વધુમાં વધુ વખત વધુમાં વધુ લોકોમાં સૂક્ષ્મ સ્વરૂપે, તમારા અક્ષર સ્વરૂપે જીવી રહ્યા છો એ જ મોટી મૂડી છે.

…અને સરવૈયાની બીજી બાજુ?

ઉધાર પાસામાં… વિદ્યાર્થી અવસ્થામાં કે મુગ્ધાવસ્થામાં જે મહત્વાકાંક્ષા રાખી હશે કે વધુમાં વધુ માણસોનાં દુઃખ દૂર કરવા, બહુ માણસોની સેવા કરવી. લક્ષ્મીનો અપરિગ્રહ રાખવો, સાદાઈથી જીવવું, જીવનની શક્ય એટલી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરવી… આ બધું નહીં મેળવી શકવાનો રંજ… આ ક્ષેત્રમાં તમે જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ પ્રાપ્ત કરવા માટે તમે સિદ્ધાંતોની જે બાંધ-છોડ કરી. બધાની સાથે મળીને આગળ વધવાને બદલે તમે એકલા આગળ વધી જાઓ. બીજા પાછળ રહી જાય, એમાં મારી ઉતાવળ દેખાય, પાછળવાળાને સાથે નહીં લેવાની તમારી ખામી, એમને લેવા જતાં તમારે રોકાઈ જવું પડશે એવી અધીરાઈ… એક જમાનાની તમારી અવાસ્તવિક છતાં એક ઉચ્ચ કક્ષાની વિચારસરણીથી ઘણા દૂર થતા ગયા એ જ ઉધાર બાજુ.

‘ચિત્રલેખા’ અને ‘હરકિસન મહેતા’ — આ બે નામ એકબીજા સાથે એટલાં એકરૂપ થઈ ગયાં છે કે આ બેમાંથી એક નામ બોલાય કે તરત જ બીજું નામ આપોઆપ મનમાં ઊગે. તમે કદી કલ્પના કરી છે કે તમે ‘ચિત્રલેખા’ના તંત્રી ન હોત તો શું થયા હોત?

કોણ શું ન હોત તો શું થાત એ કોઈ કહી ન શકે. હું જે કંઈ છું અને ‘ચિત્રલેખા’ સાથે જે કંઈ છું, એ મને તો જોગ-સંજોગની જ વાત લાગે છે. મારે કંઈ પત્રકાર થવું નહોતું. તંત્રી થવું નહોતું, લેખક થવું નહોતું…1942ની લડત પછીનાં વર્ષોમાં વિદ્યાર્થી અવસ્થાના મારા મિત્રો અને હું રાષ્ટ્રીય ચળવળના રંગે રંગાયેલા હતા. 1952માં જો હું ‘ચિત્રલેખા’માં જોડાયો ન હોત તો આજે કદાચ કોઈ સામાજિક કાર્યકર હોત, કદાચ કોઈ ગાંધીવાદી નેતા હોત, કદાચ રાજકીય નેતા હોત. આ બધાં લક્ષણ કહો કે અપલક્ષણ થોડાંઘણાં મારામાં છે. બાકી જે ‘ન હોત’ તેનો વિચાર પણ ન આવે કારણ કે જે છે તે જ સાચું છે અને સારું પણ છે.

તમે જે રાષ્ટ્રવાદી વાતાવરણમાં કિશોરાવસ્થા વિતાવી તેના કરતાં તદ્દન જુદા જ ક્ષેત્રમાં આવી પહોંચ્યા. આ સંજોગો કેવી રીતે બદલાયા?

આપણને ખ્યાલ પણ ન આવે એ રીતે આપણે કોઈક જુદા જ સંજોગો તરફ ખેંચાતા જઈએ છીએ. મેટ્રિક સુધીનું ભણતર ભાવનગર જિલ્લાના મારા વતન મહુવામાં પૂરું કરીને હું 1945ના જૂનમાં મુંબઈ આવ્યો.

મહુવાના વતની શેઠ લાલદાસ દેવરાજ મહેતાનાં બર્મામાં વહાણો ચાલતાં જેમાનાં એકનું નામ ‘હરકિસન’ હતું. બર્માના ફોટો સ્ટુડિયોમાં ડાબેથી નાનાભાઈ દોલત (દોલુભાઈ), પિતા લાલદાસ દેવરાજ મહેતા તથા માતા પ્રેમકુંવર સાથે બાળક હરકિસન.

માટુંગાની કપોળ બોર્ડિંગમાં રહેવાનું અને ખાલસા કૉલેજમાં એડમિશન લીધું. કૉલેજમાં જૂના મિત્રો પણ સાથે હતા. વાતાવરણ તો સાથે હતું જ. મેં નક્કી કરેલું કે ડૉક્ટર થવું જેથી નાનાં નાનાં ગામડાંઓમાં પહોંચીને લોકોની સેવા કરી શકાય. પણ આપણું ધ્યાન ભણવામાં ઓછું અને સમાજવાદી પ્રવૃત્તિઓમાં વધારે… આ પ્રવૃત્તિમાં એટલા તો ગળાડૂબ હતા કે એ સિવાય બીજું કંઈ દેખાતું જ નહીં. એક વખતનો એક કિસ્સો યાદ આવે છે. એકવાર પરેલ પાસે મોટો મોરચો હતો. બધા ચળવળિયાઓની ધરપકડ થતી હતી. આપણને ત્યારે એમ કે આપણી ધરપકડ ન થાય ત્યાં સુધી આપણે મહત્વના ન ગણાઈએ. હું ટ્રેન પકડીને ખૂબ દોડધામ કરી પરેલ પહોંચ્યો, પણ ત્યાં સુધીમાં બધાની ધરપકડ થઈ ગઈ હતી. લોકો વીખેરાઈ ગયા હતા. મને થયું કે આપણે હજુ એ કક્ષાએ પહોંચ્યા નથી કે આપણી પણ ધરપકડ થાય! આ બધી પ્રવૃત્તિઓ સાથે ફર્સ્ટ યર સાયન્સમાં હું નાપાસ થયો. ઘેરથી કહેણ આવી ગયું કે ભાઈ, તમે ભણતા તો નથી એટલે હવે આગળ કંઈ કરવાનું માંડી વાળો અને કામધંધે લાગી પડો. મને થયું કે સાયન્સમાં આગળ ભણીને ડૉક્ટર ભલે ન થવાય, આર્ટ્સમાં ભણીશું. ઘેરથી બધાએ ના પાડી કે આર્ટ્સનું ભણીને માસ્તર-બાસ્તર થવું નથી. પણ મેં કહ્યું કે આ બધા મોટા મોટા નેતાઓ ભણેલા છે. બીએ થઈને એલએલબી થયા છે. આપણે પણ એ જ પ્રવૃત્તિ કરવી છે તો એ જ ભણવું જોઈએ. ટૂંકમાં, નાનપણથી એક વાત મનમાં ઘર કરી ગયેલી કે કોઈ પણ ક્ષેત્રમાં જઇએ ત્યાં કંઇક અસાધારણ બનીને દેખાડવું પડે છે.

આ રીતે અસાધારણ બનવા તમે શું કર્યું?

અસાધારણ બનતાં પહેલા મારે તો સાધારણ બનીને ટકી રહેવાનું વધારે અગત્યનું હતું. કારણકે આર્ટ્સનું ભણવા માટે ખાલસામાંથી રુઇયા કોલેજમાં પ્રવેશ લીધો ત્યારે ઘેરથી વિરોધ હતો. ભણવાના પૈસા મારે જ કમાઈ લેવાના હતા, રહેવાના પૈસા પણ નહોતા. કમાણી માટે નોકરી શોધવી જરૂરી હતી. સાથોસાથ ભણવાનું ય ખરું એટલે નોકરી પાર્ટ ટાઇમ જોઇએ. સરકારી દૂધ સેન્ટર પર વહેલી સવારે દૂધના પૈસાનો હિસાબકિતાબ રાખવાની મહિને ચાળીસ રૂપિયાવાળી નોકરી મળી. પણ આટલા રૂપિયામાં બોર્ડિંગમાં રહેવાનું પરવડે નહીં એટલે એ નોકરી તો લીધી પણ થોડા વખત પછી વધારે પગારવાળી નોકરીની શોધ કરી. કોઇએ કહ્યું કે એક ઇન્શ્યોરન્સ કંપનીનું પોતાનું મેગેઝિન ચાલે છે, ત્યાં પ્રેસમાં લેખો લઈ જવાનું અને બીજું પરચૂરણ કામ મળી રહે એમ છે. પગાર અગાઉ કરતાં દસ રૂપિયા વધારે! થોડો વખત કામ કર્યું ત્યાં ખબર પડી કે ‘સવિતા’ વાર્તા માસિકવાળા સેવંતીભાઈ શાહના સાંજના અખબાર માટે જાહેરખબરો લાવવા કોઈ કેનવાસરની જરૂર છે… હવે જુઓ કે સંજોગો તમને ક્યાંથી ક્યાં ખેંચી જાય છે. આડકતરી રીતે હું પત્રકારત્વ તરફ ખેંચાતો જતો હતો એની મને ખબર પણ નહોતી. ત્યાં થોડું કામ કર્યું અને એ ગાળામાં મહુવાના મારા ગાંધીવાદી મિત્ર બળવંતભાઈ ત્રિવેદીએ એક સૂચન કર્યું. એ પણ મુંબઈમાં આવીને ભણવાનું છોડી કોઈ કામધંધો કરતા હતા. મને કહે કે ચાલો આપણે એક એડવર્ટાઇઝિંગ એજન્સી શરૂ કરીએ!’ મેં કહ્યું, ભલે એ કરીએ. અને અમે કૉમેટ એડવર્ટાઇઝિંગ નામની એક એજન્સી શરૂ કરી.

આ ગાળામાં તમારું ભણવાનું ક્યાં સુધી પહોંચ્યું?

આ દરમિયાન હું ફર્સ્ટ યર આર્ટ્સ પાસ કરી ઇન્ટરમાં ભણતો… ભણતો એટલે કોલેજમાં ફી નહોતી ભરી પણ ચોપડી લઈને કોલેજ જઇએ એટલે આપણને લાગે કે ભણીએ છીએ! ગાંધીવાદની અસર એટલે હાફ પેન્ટ પહેરીને કોલેજમાં જવાનું અને બધાથી જુદા છીએ એવો દેખાવ કરીને ખુશ થવાનું… પણ આ અભ્યાસ ધીમે ધીમે છૂટી ગયો અને એડ એજન્સી ચાલવા માંડી. ક્રાફર્ડ માર્કેટ પાસે જે ઝવેરી બ્રધર્સની દુકાન છે એ વિઠ્ઠલભાઈ સોશ્યાલિસ્ટ પાર્ટીના એટલે એમણે પ્રોત્સાહન આપવા જાહેરખબરનો સારો ધંધો આપ્યો. એક સિંધી સાઈકલવાળાએ બહુ જાહેરખબરો આપી. એણે અમારી સાથે ઘણો મોટો ધંધો કર્યો પણ છેવટે પૈસા આપવાની ના પાડી દીધી. એ જમાનાના પચીસેક હજાર રૂપિયા એણે ના આપ્યા. એના પૈસા ન આવ્યા એટલે અમે પણ છેવટે છાપાંવાળાઓની ને બધાની માફી માગીને કહ્યું કે આ પૈસા અમે ચૂકવી શકીએ એમ નથી અને અમારી એડવર્ટાઇઝિંગ એજન્સી બંધ કરીએ છીએ. હવે કિસ્મત જુઓ કે એક દિવસ પહેલાં હું એક એડ એજન્સીનો ભાગીદાર હતો અને બીજે દિવસે મારે બીજી એડ એજન્સીમાં નોકરી કરવા જવું પડ્યું. મેં ત્યાં મહિને દોઢસો રૂપિયામાં એક વર્ષ સુધી કામ કર્યું પણ પછી ત્યાંની પદ્ધતિથી થાકી ગયો. આપણા વિચારો સાવ જુદા પરંતુ સંજોગોને કારણે, લાચારીને કારણે, તદ્દન અલગ વાતાવરણમાં કામ કરવું પડતું. વરસ પછી મેં એમને કહ્યું કે, ‘હું જાઉં છું.’ માલિક કહે, ‘પણ જશો ક્યાં?’ મેં કહ્યું, ‘એ તમે ચિંતા ન કરતા. એટલું તમને જરૂર કહું કે જ્યાં જઈશ ત્યાં એવું કામ કરીશ કે ભવિષ્યમાં તમે પણ ગૌરવ લઈ શકશો કે એક જમાનામાં હું તમારે ત્યાં કામ કરતો હતો…’ આપણા પુરુષાર્થમાં અને નિષ્ઠામાં એટલી શ્રદ્ધા ખરી કે મોટા થઈને કંઈક તો બનવાના પણ શું બનવાના એની ખબર નહીં એટલે કોઈને એમ ન કહીએ કે શું બનીશું. એ પછી આપણા સર્કલમાંથી કોઇકે કહ્યું કે ગામદેવી પાસે વિક્ટોરિયા મિલ કમ્પાઉન્ડમાં પ્રતિમા પ્રિન્ટરીમાં માણસની જરૂર છે. આ પ્રેસ કાન્તિભાઈ પરીખનું હતું. એમનું ‘પ્રતિમા’ નામનું માસિક પ્રગટ થાય અને ‘પુષ્પ’ નામનું બાલ્કન-જી-બારીનું બાળ સામયિક પણ નીકળે. આ પ્રેસમાં મારું કામ મેનેજરનું અને પ્રૂફ જોવાનાં ય આવે. ક્યારેક હિંદીમાંથી સારી વાર્તા અને લેખોના અનુવાદ કરીને પણ કાન્તિભાઈને આપું જે છપાય પણ ખરા. ‘પુષ્પ’માં બાળકો માટે ઓરિજિનલ પણ લખતો. મેં તો જોયું છે કે જ્યાં જ્યાં મારા પર જવાબદારી વધી છે, મારું કામ વધ્યું છે ત્યાં મને લાભ જ થયો છે… આ બધું કરતાં કરતાં હું અજાણતાં જ લેખનના ક્ષેત્ર તરફ સરકવા લાગ્યો.

‘ચિત્રલેખા’ના સ્થાપક વજુ કોટકને તમે એ જ અરસામાં મળ્યા?

એ જ અરસામાં… 1950ના જાન્યુઆરીમાં હું પ્રતિમા પ્રિન્ટરીમાં જોડાયો અને ચાર મહિના પછી, એપ્રિલમાં વજુ કોટકે પોતાનું સાપ્તાહિક શરૂ કર્યું ‘ચિત્રલેખા’. તે વખતે ‘ચિત્રલેખા’માં મોટેભાગે ફિલ્મની સામગ્રી આવતી. ફિલ્મ મેગેઝિન માટે મને કોઈ લગાવ નહીં પણ પ્રેસ લાઇનમાં હતા એટલે ખબર કે વજુ કોટકે દસ હજાર ને એકસો એક નકલના પ્રિન્ટ ઓર્ડરથી ‘ચિત્રલેખા’ શરૂ કર્યું છે અને સારું ચાલે છે. શરૂઆતના ચાર- છ મહિના ‘ચિત્રલેખા’ બીજે છપાતું પણ ત્યાં પ્રિન્ટિંગમાં મઝા નહોતી એટલે વજુ કોટકે અમારી પ્રતિમા પ્રિન્ટરીમાં છપાવવું શરૂ કર્યું. ત્યાં વજુભાઈને એક કેબિન બનાવી આપેલી. ઘણી વખત કોઈ જ ન હોય ત્યારે વજુભાઈ વાતો કરવા મને બોલાવે. કોઈ વખત વજુભાઈના સહાયક તરીકે સૂર્યકાંત સાંઘાણી પોતાનું કામ મને સોંપી જાય. તે વખતે શબ્દરચના હરીફાઈઓ બહુ ચાલતી અને વજુભાઈને એ ભરવામાં બહુ રસ પડતો. કાંતિભાઈ પરીખ પણ આવી એક હરીફાઈના નિર્ણાયક હતા. વજુભાઈ મને બોલાવે અને પૂછે કે, ‘તમને આ બે શબ્દોમાંથી કયો શબ્દ ચોકઠામાં મૂકવા જેવો લાગે છે?’ આમ પરિચયમાંથી મૈત્રી થઈ. એક-બે વખત મને એમના માટુંગાના ઘરે લઈ ગયા. મને પૂછે કે ‘તમારે ત્યાં પ્રિન્ટિંગમાં શાહી કેટલી જાય, કાગળની ગણતરી કેવી રીતે થાય…’ વજુભાઈએ બધી ગણતરી માંડી અને મને કહ્યું કે ‘ચાલો આપણે પ્રેસ કરીએ તો તમે સંભાળો કે નહીં?’ મેં કહ્યું, ‘હું પ્રેસ સંભાળું, બાઈન્ડિંગ સંભાળું, કહો તો મેનેજમેન્ટ સંભાળું પણ ફિલ્મ જર્નલિઝમમાં મને રસ નથી એટલે મેગેઝિન સંભાળવાનું કામ મારું નહીં.’ વજુભાઈએ કહ્યું કે જુઓ, ‘એક વાત તમને સમજાવું કે ફિલ્મ પત્રકારત્વમાં હું પૂરેપૂરો ડૂબી નથી ગયો એટલે જ બીજું બધું પણ ઘણું લખું છું. તમે આવી જાઓ તો ભવિષ્યમાં ‘ચિત્રલેખા’માં તમારા વિચારોને પણ યોગ્ય સ્થાન મળશે. તમે ‘પ્રતિમા’માં જે પ્રકારની વાર્તાઓના અનુવાદ કરો છો એવી વાર્તાઓ પણ આપણે છાપીશું…’ જોકે મને આ બધું લખવામાં કે સંપાદન કરવામાં રસ નહોતો. હું તો પ્રેસને હિસાબે જ જોડાવા માગતો હતો. એટલું ખરું કે આપણને જે પ્રકારના આદર્શવાદી કે સમાજવાદી સાહિત્યમાં રસ હતો એવું જો લખવા મળે તો સારું એ વિચાર ખરો મનમાં… અને 1952ના જાન્યુઆરીમાં હું વજુભાઈ સાથે જોડાયો અને અમે મઝગાંવમાં એક મારવાડીનું પ્રેસ લીઝ પર લઈને ‘ચિત્રલેખા’ છાપવાનું શરૂ કર્યું.

(ઉપર) ૧૯૫૦ના દાયકાના આરંભે વજુ કોટકના મદદનીશ તરીકે ‘ચિત્રલેખા’ કાર્યાલયમાં. રાજકોટમાં ૧૯૯૧માં વજુ કોટકનાં તમામ પુસ્તકોના પુનઃપ્રકાશન નિમિત્તે પ્રવીણ પ્રકાશન દ્વારા યોજાયેલા સમારંભમાં હરકિસન મહેતાએ કહ્યું હતું: ‘વજુભાઈ અને મારી વચ્ચે કૃષ્ણ-અર્જુનનો સંબંધ હતો. (નીચે) ‘ચિત્રલેખા’ના કાર્યાલયની બહાર જમણેથી વજુ કોટક, ટાઈમાં હરીશ બૂચ, ઢંકાઈ ગયેલા વિજયગુપ્ત મૌર્ય અને હરકિસન મહેતા. આ તસવીર આપતાં મધુરીબહેન કોટકે સાંભર્યું હતું કે રસ્તા વચ્ચે ઊભાં ઊભાં ચર્ચાઓ કરવામાં અડધો કલાક-કલાક વીતી જતો.

ચિત્રલેખામાં જોડાતી વખતે તમારા મનમાં ઊંડે ઊંડે પણ એવી મહત્વાકાંક્ષા હતી ખરી કે ભવિષ્યમાં આ સાપ્તાહિકના તંત્રી બનવું છે?

ના, મારી મહત્વાકાંક્ષા તો એ હતી કે સમાજમાં બહાર આવીને, લોકની વચ્ચે જઈને કામ કરવું, મારી રુચિ એ હતી કે આપણે જે વિચારીએ છીએ તે લખી શકીએ અને જે લખીએ છીએ તે લોકો સુધી પહોંચે. લોકો સુધી પહોંચાડવાની મહત્વાકાંક્ષા ખરી, વધુમાં વધુ લોકો સુધી પહોંચવાની… પણ એ પત્રકારત્વ દ્વારા નહીં, બીજી કોઇક રીતે. એ વખતે વજુભાઈ કહેતા કે, ‘હરકિસન, તમને એમ થાય કે સોશ્યાલિસ્ટ પાર્ટીમાં દેશનેતા થઈએ, આ થઈએ, તે થઈએ… પણ એટલું ય સાથોસાથ જોવું જોઈએ કે વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા એ છે કે જે દિશાનું કામ તમને મળે એ તમારે કરવાનું અને એમાંથી જ સંતોષ શોધવાનો…’ મહત્વાકાંક્ષા વિશે વજુભાઈ એક બિલાડીનું ઉદાહરણ આપતા… આ દ્રષ્ટાંત આજે ય મને યાદ છે. એક બિલાડી વહેલી સવારે ઊઠીને શરીર લાંબું કરી આળસ મરડે છે. સૂરજ પૂર્વમાં નીચે છે એટલે બિલાડીનો પડછાયો રસ્તો ઓળંગીને છેક સામેની દીવાલ સુધી પહોંચે છે. બિલાડીને થાય છે કે ઓહોહોહો, મારું કદ કેટલું મોટું છે! આજે તો મારે નાસ્તામાં વાઘની સાઇઝનો ઉંદર જોઇશે! બીજા નાના-મોટા ઉંદરોથી કામ નહીં ચાલે… બિલાડી બેઠાં બેઠાં આંખો મીંચીને એ જ વિચાર્યા કરે છે. થોડીવાર રહીને આંખો ઉઘાડે છે ત્યારે જુએ છે કે સૂરજ ઉપર આવ્યો છે અને પડછાયો થોડો ટૂંકો થઈ ગયો છે. બિલાડીને થાય છે કે ચાલો, વાઘ નહીં તો કંઈ નહીં, કૂતરાની સાઇઝનો ઉંદર પણ ચાલશે… એમ કરતાં કરતાં પડછાયો વધુને વધુ નાનો થતો જાય છે. બિલાડી ઉંદરની સાઈઝ પણ નાની કરતી જાય છે. છેવટે બપોરે સૂરજ માથે આવે છે અને બિલાડીને પોતાની પૂંછડી જેટલો જ પડછાયો દેખાય છે ત્યાં સુધીમાં ભૂખ એટલી કકડીને લાગી ગઈ હોય છે કે એને થાય છે, હવે તો ઉંદરની સાઇઝનો ઉંદર મળી જાય તો ય ઘણું! બિલાડી આવું વિચારીને ઉંદરની શોધમાં નીકળી પડે છે અને એને ઉંદર મળી પણ જાય છે કારણકે શિકાર માટેની એની મહત્વાકાંક્ષા ભલે વાઘની હોય, વાસ્તવિકતા તો ઉંદરની જ હતી… આ દાખલો આપીને વજુભાઈ મને કહેતા કે, ‘માણસને જે રોલ ભજવવા મળ્યો છે તે એણે વફાદારીપૂર્વક ભજવવો જોઇએ. તમારી સામે અત્યારે આ જ રોલ આવ્યો છે તો તમારે એ કરવો જોઇએ. માત્ર ફિલ્મ જર્નાલિઝમ છે એટલે જવા દો એવું ન કરવું જોઇએ. બાકી, આદર્શ તો મને પણ છે. હું પણ આઝાદીની લડતમાં જેલમાં જઈ આવ્યો છું. પણ મને એમ થયું કે આપણી પાસે જે શક્તિઓ છે એના દ્વારા જ આપણે લોકોનું કામ કરવું જોઈએ…’ વજુભાઈ સાથે હું જોડાયો ત્યારે બાર-તેર હજારનું સરક્યુલેશન હતું. વધીને સોળ-સત્તર હજાર સુધી પહોંચ્યું એટલે પ્રેસનું લીઝ નવ મહિનામાં જ પૂરું કરીને ‘ચિત્રલેખા’એ રૂપિયા બેતાળીસ હજારમાં પોતાનું પ્રેસ ખરીદ્યું અને મુંબઈ જી.પી.ઓ પાસે 62, કારવાર સ્ટ્રીટમાં જગ્યા લીધી જે અત્યારે વજુ કોટક માર્ગ તરીકે ઓળખાય છે.

તમારી નવલકથાની જેમ તમારી કારકિર્દીમાં એકાએક મોટો વળાંક આવ્યો અને તમે છ વર્ષની નોકરી પછી અચાનક જ ચિત્રલેખામાંથી છૂટા થઈ ગયા. એવું કેમ બન્યું?

1958ના જૂનમાં હું ‘ચિત્રલેખા’માંથી છૂટો થયો હતો. એનાં બે-ત્રણ કારણો હતાં. એક તો ‘ચિત્રલેખા’માં આટલાં વર્ષ કામ કર્યા પછી મને લાગવા માંડ્યું હતું કે આમાં આપણી ઉન્નતિ નથી. ઉન્નતિ બે વાતની. આર્થિક ઉન્નતિ પણ એમાં ખરી જ. કારણ કે મારું ફેમિલી થયું હતું. 1953થી 1958 સુધીમાં મારે બે સંતાનો થયાં હતાં. આર્થિક જરૂરિયાત વધી હતી.

લાઠીના નગરશેઠનાં પુત્રી કલા છગનલાલ વળિયા સાથે ૧૦ ફેબ્રુઆરી, ૧૯૫૩ના રોજ મુંબઈમાં હરકિસન મહેતાનાં લગ્ન થયા. માટુંગાની ગુજરાતી ક્લબના પ્રાંગણમાં શ્રીમંત વેવાઈએ સાત વાનાની મીઠાઈઓ જમાડી.
(ઉપર) મોરારજી દેસાઈ જેવા દેખાતા વરરાજા અને અડખેપડખે કોટ પહેરેલા વજુ કોટક તથા હરીશ બૂચ. (નીચે) નવદંપતિને આશીર્વાદ આપતાં મધુરી કોટક- વજુ કોટક.

બીજું, ‘ચિત્રલેખા’ને અમે જે ધારતા હતા એવો આકાર આપી શકાયો નહોતો કારણ કે મેનેજમેન્ટના પ્રશ્નો હતા. જે પેપરનું વેચાણ સોળ-સત્તર હજાર સુધી લઈ આવ્યા હતા તે તૂટવા માંડ્યું હતું. ઉપરાંત, પાંચ-સાત વર્ષ કામ કર્યા પછી મને લાગતું હતું કે હવે આમાં બહુ મઝા નથી રહી. બીજું કારણ એ હતું કે મારા મોટા ભાઈ મને કહ્યા કરતા કે નોકરી છોડીને તું વેપારમાં આવી જા, ઘણી બધી લાઈનો છે… એ વખતે મને ‘ચિત્રલેખા’ના કામમાંથી બસો રૂપિયા મળતા જે વધીને ત્રણસો-ચારસો થયા હતા. ‘બીજ’નું સંપાદન કરવાના સોએક રૂપિયા વધારાના મળતા એટલે હું ચારસો-પાંચસો કમાઈ લેતો પણ એટલામાં પૂરું થાય એમ નહોતું. ત્રીજું કારણ એ પણ ખરું કે મોટેભાગે વજુભાઈ જ આખું ‘ચિત્રલેખા’ લખતા એટલે મને લાગતું નહોતું કે હું કંઇક લખી શકીશ. એ વખતે હું મુખ્યત્વે અનુવાદ કરતો, નાની નાની વાર્તાઓ લખતો. ત્રણ સાહસકથાઓનું રૂપાંતર કર્યું હતું. એટલું જ મેં લખ્યું હતું. આ બાજુ મારા ઘરવાળાઓ તરફથી ધંધો કરવાનું દબાણ હતું અને બીજી બાજુ વજુભાઈ ઘણીવાર મનોમન વિચારતા અને મધુબહેનને કહેતા પણ ખરા કે આમાં કંઈ મઝા નથી આવતી, વ્યવસ્થા બરાબર નથી, આના કરતાં આ બધું છોડીને ભાવનગર જતાં રહીએ…

(વધુ વાતો આવતી કાલે)

12 COMMENTS

  1. સુખદ માહિતિ પ્રદ જાણકારી અને અનુભવ જાણે પિક્ચર જોઈ રહ્યા છીએ. સરસ બહુજ સરસ ? ? ? ?

  2. Harkisan Meheta atle gujrati navalkatha na Badshah lekhak amna vishe atyant najdik thi vanchi ne maja aavi .

  3. વાહ… અદ્ભૂત….. હરકીસનજીની વાતની સાથે સાથે , ગુજરાતીઓમાં સદાય અગ્રેસર એવા સાપ્તાહિક ચિત્રલેખાની સફર વાંચવાની ખૂબ મજા આવે છે. કંઈક જાણ્યાનો સંતોષ થાય છે. વાંચતા જ રહીએ…. વાંચતા જ રહીએ…. એવી લાગણી થાય છે. સર , કાલ સુધી રાહ જોવી અઘરી થઈ પડશે !!

  4. વાહ સૌરભભાઈ દુર્લભ ફોટા જોઈ ને ખુબજ આનંદ થયો યાર હવે બ્રેક સહન નથી થતો હરકીશન મહેતા વાળી શ્રેણી ને વારાણસી વાળી એમ થાય કે પુરી જ ના થાય તમે આપ્યા કરો અમે વાચાયજ કારી એ .

  5. ખૂબજ સારો સબજેક લીધો છે. અભિનંદન.

  6. તમારા દ્વારા તેઓ નું જીવનચરિત્ર જાણવા મળશે એ ખરેખર અમારાં માટે આનંદ ની વાત છે.

    • સૌરભભાઈ,હું ભૂલતો ના હોવું તો હરકિસન મહેતા વિશે ના એક પુસ્તક નું સંપાદન કદાચ તમે કર્યું છે.મને એ પુસ્તક નું નામ યાદ નથી આવતું.મને એ પુસ્તક લેવું હોય તો ક્યાંથી મળી શકે?એ પુસ્તક નું નામ પણ જણાવશો તો આભારી થઈશ.

      • ‘સર્જન વિસર્જન’
        પ્રવીણ પ્રકાશન, રાજકોટ.
        2003નું આ પુસ્તક આઉટ ઑફ પ્રિન્ટ છે.

        • ઓહ,એટલેજ કેટલાય વખતથી ગોતવા છતાં એ પુસ્તક મને મળતું ના હતું.બહુજ ઈચ્છા છે એ પુસ્તક વસાવવાની.સૌરભભાઈ,તમે મદદ કરી શકો?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here