તમારું તેજ તમારા જ કન્ટ્રોલમાં : હનુમાન ચાલીસામાંથી શીખવા જેવી ૩૧ વાતો : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ: ન્યુઝપ્રેમી.કૉમ, ગુરુવાર, ૬ એપ્રિલ ૨૦૨૩)

આજે હનુમંત જન્મોત્સવ નિમિત્તે મને ખૂબ ગમતો એક ક્લાસિક લેખ તમારી સાથે શેર કરું છું. સાતેક વર્ષ પહેલાં લખાયેલા આ લેખમાં બિટવીન ધ લાઇન્સ મારા અનુભવો છે. જીવનના સૌથી કપરા કાળમાં એક પૂજનીય સંતે મને હનુમાન ચાલીસાનું સો વાર રટણ કરવાનું માર્ગદર્શન આપ્યું હતું. મારી સેકન્ડ ઇનિંગ્સ શ્રદ્ધાના આ પાયા પર ચણાઈ છે.

ગોસ્વામી તુલસીદાસે હનુમાનજીના ગુણ ગાવા માટે હનુમાન ચાલીસાનું સર્જન કર્યું. આપણે એનું ભાવપૂર્વક રટણ કર્યું. સંકટમોચન આપણા પર વિપત્તિ આવશે ત્યારે એને હરી લેશે એવી આશાએ સો વાર એનું પારાયણ કર્યું. વર્ષો અને દાયકાઓ દરમ્યાન દરરોજ અથવા દર મંગળ કે શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કર્યા. પણ એમાંથી જે શીખવાનું છે તે હજુ સુધી શીખ્યા નથી. સંકટ કે આપત્તિ સમયે હનુમાનજીનું માત્ર સ્મરણ તમારું મનોબળ નથી વધારતું. હનુમાન ચાલીસાનો પાઠ યંત્રવત કરી જવાથી ફળ નથી મળી જતું. હનુમાનજીના ગુણો તમારા પોતાનામાં ખીલવ્યા હોય ત્યારે એનું સાચું ફળ મળે- તમને અને તમારી આસપાસના લોકોને.

ગોસ્વામી તુલસીદાસે હનુમાનજીની સ્તુતિમાં ચાળીસ ચોપાઈઓ લખી. (આરંભના બે અને અંતનો એક – આ દુહા જુદા ગણવાના) ૧૬મી સદીના સંતકવિની આ રચના ૨૧મી સદીમાં પણ કરોડો લોકોને કંઠસ્થ હોય એ કેટલી મોટી વાત છે. દુનિયામાં એવી કેટલી ભક્તિરચનાઓ હશે જે આટલી લાંબી હોવા છતાં અને જેની રચનાને પાંચ સદીઓનો ગાળો વીતી ગયો હોવા છતાં એનો સંપૂર્ણ પાઠ કરોડો બાળકો-વયસ્કોને મોઢે હોય. હનુમાન ચાલીસા અનેક રીતે અદ્વિતીય છે.

તુલસીદાસજીએ તો કિલયર કટ પ્રિસ્ક્રિશન આપી દીધું છે સદીઓ પહેલાં. એને અનુસરવાનું આપણે છે. હનુમાન ચાલીસાના પાઠ કર્યા પછી એક મહિના સુધી રોજ આમાંનો એક એક સંકલ્પ અમલમાં મૂકીએ તો હનુમાનજીના ચરણની રજ બનવાની લાયકાત કેળવાતી જશે. કુલ એકત્રીસ સંકલ્પ છે– રોજનો એકઃ

૧.બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરૌ પવનકુમાર: આપણી હોશિયારી છોડી દઈએ. આપણી આસપાસના ચાર જણા કરતાં આપણામાં વધારે અક્કલ હશે તો એવા ફાંકામાં રહેવાની જરૂર નથી કે બહુ મોટા બુદ્ધિશાળી છીએ આપણે. તમને નહીં દેખાતા હોય પણ તમારા કરતાં લાખગણા અક્કલવાળા લોકો આ દુનિયામાં પડયા છે. માટે ખોટા અહમ્ માં ના રહીએ. અહમ્ ને ઓગાળી કાઢીએ. જાતને બુદ્ધિહીન માનીશું તો પ્રોગ્રેસ સારો થશે.

૨. બલ, બુદ્ધિ, વિદ્યા દેહુ મોહિ,હરહુ કલેસ વિકાર: હનુમાનજી તો તમને બળ, બુદ્ધિ અને વિદ્યા આપશે જ. તમારે એ તમારી આસપાસનાઓમાં વહેંચવાની છે. સૌથી પહેલાં તો તમારે પોતે બળવાન થવાનું, બુદ્ધિવાન બનવાનું અને વિદ્યા પ્રાપ્ત કરવાની. તમારા અથક પ્રયાસો હશે તો હનુમાનજીની કૃપા અવશ્ય વરસશે. પણ એથીય વધુ અગત્યનું જીવનમાં એ છે કે જેમ હનુમાનજીએ તમારા પર કૃપા વરસાવી એમ તમે તમારી આસપાસના-તમારાં નિકટના સ્વજનો-મિત્રો-પરિચિતો સૌ કોઈના બળ-બુદ્ધિ-વિદ્યા વધે એવો સતત પ્રયાસ કરતા રહો. માત્ર તમે એકલા શક્તિશાળી હશો અને તમારી આસપાસનાઓ અશક્ત હશે તે નહીં ચાલે. એમને પણ પાવરફુલ બનાવો. એમની બુદ્ધિ વિકસે એવી વાતો એમને કરો. એમની વિદ્યામાં વૃદ્ધિ થાય એવી વાતો કરો.આવું થશે તો તમારા સહિત સૌ કોઇની મનશુદ્વિ — તનશુદ્ધિ થશે. કલેશ એટલે કે સંતાપ — ઉદ્વેગ મનમાં હોય. વિકાર-રોગ શરીરમાં હોય. તન-દુરસ્તી અને મન-દુરસ્તી : આ બેઉ એકબીજા સાથે જોડાયેલાં છે. આપણે હજારો વર્ષ પહેલાં આ વાત જાણી લીધી. પશ્ચિમ જગતની એલોપેથીએ માંડ પચાસ-સો વર્ષ પહેલાં સાયકો-સોમેટિક રોગ પિછાણ્યા.

૩. જય હનુમાન જ્ઞાાન ગુન સાગરઃ હનુમાનજી તો જ્ઞાાનનો સાગર છે જ. તમારે એ સાગરમાંથી અંજલિ ભરીને જેટલું જ્ઞાાન મેળવાય એટલું મેળવવાનું છે. અને આ જ્ઞાાન એટલે માહિતીનો ખડકલો નહીં. એ તો ગૂગલ પર ઉપલબ્ધ છે. માહિતીના મંથનમાંથી જે તારવણી નીકળે છે તે નવનીત તમને જ્ઞાાન તરીકે કામ લાગવાનું છે. શારીરિક બળ તો હોવું જ જોઈએ. ફિઝિકલી સ્ટ્રોંગ તો બનવાનું જ છે. પણ હનુમાનજી માત્ર મસલમેન નહોતા. એમની પાસે અગાધ જ્ઞાાન હતું. તમે જિમ્નેશિયમમાં જાઓ- ત્રણ દિવસ કાર્ડિયો કરો, ત્રણ દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો. બોડી તો બનાવો જ. સાથોસાથ બુદ્ધિની કસરત કરો. ખૂબ વાંચો, સારું સારું વાંચો. પુસ્તકાલય મનનું જિમ્નેશિયમ છે. સારું સારું સાંભળો, જુઓ, વિચારો અને બધા સાથે ડિસ્કસ કરો. જ્ઞાાન ગુન સાગર બનવાની તૈયારી આજથી જ શરૂ કરી દો.

૪. મહાવીર વિક્રમ બજરંગીઃ મહાવીર બનો. વીરતા અને સાહસ વિનાની જિંદગી ફટ્ છે. એડવેન્ચર પહાડો ચડવામાં તો છે જ, એડવેન્ચર જીવનની કટોકટીઓનો બહાદુરીપૂર્વક સામનો કરવામાં પણ છે. બીજાઓ જ્યારે સત્ય માટે લડતા હોય ત્યારે એમની પડખે રહેવામાં પણ સાહસ છે. પ્રામાણિક માણસોનું ઉપરાણું લેવામાં પણ બહાદુરી છે. દુશ્મનોનો સામનો કરવામાં તો વીરતા છે જ, વીરપુરુષોના આદર્શોને અનુસરવામાં પણ વીરતા છે.

૫. કુમતિ નિવાર સુમતિ કે સંગીઃ મનમાં આવતા ખરાબ વિચારોને હનુમાનજી આવીને દૂર કરશે તે તો સાચું જ છે. પણ એ શ્રદ્ધા ત્યારે ફળીભૂત થાય જ્યારે તમે તમારું મન એવું મજબૂત બનાવ્યું હોય જેમાં કુવિચારોનો જન્મ જ ન થઈ શકે અને ભૂલેચૂકે જો જન્મ્યા તો હનુમાનજી આવીને એને હાંકી કાઢે એ પહેલાં તમે જ સાવધ બનીને એને ભગાડી મૂકો. એવું ક્યારે થાય? જ્યારે મનમાં સારા વિચારોનો ઉછેર થઈ શકે એવી ફળદ્રુપ ભૂમિ તમે કલ્ટિવેટ કરેલી હોય ત્યારે. સારી જાતિનાં બી વાવીને રાખ્યાં હશે તો એને ઉછેરવામાં એટલું બધું ધ્યાન રાખવું પડશે કે ખરાબ વિચારો નજીક પણ નહીં ફરકે. મન એટલે વિચારોનો પ્રવાહ. સારા વિચારોનો પ્રવાહ વહેતો હશે તો ખરાબ વિચારો ટકી જ નહીં શકે.

૬. હાથ બ્રજ ઔ ધજા બિરાજૈ, કાંધે મૂંજ જનેઊ સાજૈ: બીજાઓ કેવી રીતે જાણશે કે તમારા ઈરાદાઓ કેવા છે? તમારે પ્રગટપણે તમારા ઈરાદાઓ એમને કહેવા પડશે જેથી સાથ આપનારાઓ તમને સાથ આપી શકે અને ડરપોક તમારાથી દૂર ભાગે. હાથમાં વજ્ર અને વિજયધ્વજ રાખવાં એટલે કે તમારી તાકાત અને તમારા દૃઢનિશ્વયની લોકોને જાણ કરવી. પણ સાથે જનોઈ ધારણ કરેલી હોવી જોઈએ. જે મેળવવું છે તે મેળવવા માટેનો માર્ગ શુભ અને પવિત્ર છે એવો સંકલ્પ પહેરેલો હોવો જોઈએ. અપવિત્રતતા ગમે એટલી આકર્ષક લાગે પણ આ માનસિક જનોઈ ચોવીસ કલાક તમને ભ્રષ્ટ કર્મોથી દૂર રાખશે.

૭. વિદ્યાવાન ગુનિ અતિ ચાતુરઃ વિદ્વતાની વાત રિપિટ છે. સદ્ગુણી હોવાનું પણ આવી ગયું. હવે એક નવી વાત ઉમેરાય છે. ચતુરાઈ. આ ચતુરાઈ કોઈને ઉલ્લુ બનાવવા માટે નથી કેળવવાની. કે પછી તમારા પોતાનાં ખોટાં કર્મોને વાજબી ઠેરવવા પણ નથી વાપરવાની. આ ચતુરાઈ કોઈ તમને ઠગી ન જાય તે માટે કેળવવાની છે. તમારામાં કમ સે કમ એટલી અક્કલ તો હોવી જોઈએ કે કોઈ તમને પેંડો આપીને તમારા હાથની કલ્લી કાઢી ન જાય. કોઈ તમારા ખભા પરના બકરાને કૂતરું ગણીને ફેંકાવી ન દે એટલી સ્માર્ટનેસ તમારી પાસે હોવી જોઈએ.

૮. રામ કાજ કરિબે કો આતુરઃ તમે જેમને હૃદયથી ચાહો છો એમનું કામ કરવા માટે તમારે હંમેશાં તૈયાર રહેવાનું છે. અડધી રાતે જરૂર પડે તો હાજર થઈ જવાનું છે. તમારું આ ડેડિકેશન માત્ર એમને જ નહીં તમને પણ ઉપયોગી થશે તે એ રીતે કે તમે જ્યારે મહેસૂસ કરશો કે તમારામાં કોઈના માટે આવી નિષ્ઠા છે ત્યારે તમારા બાકીના તમામ જીવન વ્યવહારોમાં પણ આવી નિષ્ઠા પ્રસરવા માંડશે. તમે સૌ કોઈના માટે એક ભરોસાપાત્ર વ્યક્તિ બની જશો.

૯. પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયાઃ તમને જેમના માટે આદર છે, પૂજયભાવ છે, પ્રેમભાવ છે એમનાં ગુણો ગવાતા હોય ત્યારે તમને એમાં આનંદ મળવો જોઈએ. આનો બીજો અર્થ એ કે એમની નિંદા થતી હોય, કૂથલી થતી હોય, ટીકા થતી હોય ત્યારે તમને એમાંથી આનંદ નથી મળતો. તમને એવું સાંભળીને ગ્લાનિ થાય છે. જો તમે એને અટકાવી શકો એમ હો તો અટકાવો. અન્યથા ત્યાંથી દૂર થઈ જાઓ. ફેસબુક પરથી એવી વ્યક્તિને અનફ્રેન્ડ કરી નાખો,ટ્વિટર પર બ્લૉક કરી દો અને વૉટ્સએપ ગ્રુપમાંથી હાંકી કાઢો.

૧૦. રામ લખન સીતા મન બસિયાઃ તમને જેમના માટે પૂજયભાવ છે તેમનો પરિવાર પણ તમારા માટે એટલો જ નિકટ હોવો જોઈએ. સમગ્ર પરિવારનું હિત તમારે હૈયે હોવું જોઈએ-માત્ર પૂજનીય કે પ્રિય વ્યક્તિનું જ નહીં. આનું કારણ છે. એ વ્યક્તિને ચોવીસે કલાક તો એનો પરિવાર જ સાચવે છે ને. એમનું ભોજન, એમનો વિશ્રામ, એમના વ્યવહારો-આ બધી જ વ્યવસ્થા એમના પરિવારે જ એમના માટે કરવાની હોય છે. તો માત્ર એમને જ નહીં, પરિવારને પણ આદર આપો. રામભક્ત તમે ખરા પણ સીતા-લક્ષ્મણને પણ તમારી ભક્તિના દાયરામાં રાખો.

૧૧. સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા. બિકટરૂપ ધરિ લંક જરાવા. ભીમ રૂપ ધરિ અસુર સંહારે. રામચંદ્ર કે કાજ સંવારેઃ જે કંઈ કાર્યો કરવાના છે તે ત્રણ પ્રકારે કરવાનાં છે. સૂક્ષ્મરૂપે, વિકટરૂપે અને ભયંકરરૂપે. હનુમાનજી વારાફરતી આ ત્રણેય રૂપ ધારણ કરીને સીતાજી સમક્ષ પ્રગટ થયા પછી એમણે લંકા જલાવી અને પછી રાક્ષસોનો નાશ કર્યો. જે કામ કરવામાં બીજા કોઈનેય જાણ ન થવી જોઈએ એમ હોય ત્યારે સૂક્ષ્મરૂપે કામ કરવાનું. ચુપચાપ. હું જાણું અને એ જાણે. કામ થવું જોઈએ. બીજા કોઈનેય એની જાણ કરવાની જરૂર નથી. કેટલાક નિર્ણયો લેવાનું કામ કપરું હોય છે. ઊંટની પીઠ પર છેલ્લું તણખલું મુકાય તે પહેલાં જ વિકટ નિર્ણય કરી લેવાનો હોય જે સમસ્તના હિતમાં હોય. આવો નિર્ણય કરતી વખતે સૂકા ભેગું લીલું ય બળી જવાનું છે એનો ખ્યાલ રાખવો પણ ઝાઝો અફસોસ ન કરવો. સમગ્રતયા દૃષ્ટિ કેળવીને જ વિકટ નિર્ણયો લેવાય. ઓસામા બિન લાદેનનો વધ કરવા અમેરિકન લશ્કરની ‘સીલ’ ટીમ પાકિસ્તાન ગઈ ત્યારે એમણે ગણતરી રાખેલી કે કદાચ એના કોઈ ફેમિલી મેમ્બર અડફટે ચડી જાય તો ચડી જાય પણ ઓસામા બિન લાદેનનો ખાતમો તો કરવાનો જ છે.ભીમ રૂપ એટલે પોતાની ભયંકર તાકાતનું પ્રદર્શન. લોકો થરથરવા જોઈએ તમારા કોપથી. (બાલાકોટની એર સ્ટ્રાઇક પછી દુશ્મનો ભારતથી કાંપતા થઈ ગયા).

૧૨. લાય સંજીવન લખન જિયાયે. શ્રી રઘુબીર હરષિ ઉર લાયેઃ તમારા માટે જે આદરણીય, પૂજનીય, પ્રિય વ્યક્તિ છે-એમને જે ગમતી વ્યક્તિ હોય એની કાળજી તમે કરો છો ત્યારે તમારા માટેની આદરણીય વ્યક્તિના જીવનમાં અત્યંત હર્ષ વ્યાપી જાય છે અને આ સેવા માત્ર લિપ સર્વિસ નથી. માત્ર મીઠું મીઠું બોલવાથી આ કાળજી વ્યક્ત થવાની નથી. તમારે ખરેખર સંજીવની લેવા દોડવાનું છે. ફિઝિકલ કામ કરવાનું છે અને એમાં બહાનાંબાજી નથી કરવાની. કઈ જડીબુટ્ટી લાવવાની છે તે ભૂલી જાઓ તો મોં વકાસીને ખાલી હાથે પાછા આવવાને બદલે આખો પહાડ લઈ આવવાનો. ડેડિકેશન એને કહેવાય.

૧૩. જમ કુબેર દિક્પાલ જહાં તે. કબી કોબિદ કહિ સકૈં કહાં તેઃ તમારી સિદ્ધિઓ એવી હોવી જોઈએ કે કોઈ જાહેરમાં તમારો પરિચય આપતાં જ્યારે કહે કેઃ ‘આમની ઓળખાણ આપવી એ તો સૂરજ સામે દીવો ધરવા જેવું છે’ ત્યારે એ શબ્દો અક્ષરશઃ તમને લાગુ પડે. તમારું નામ જ તમારી ઓળખાણ બની જાય એવી સિદ્ધિ પ્રાપ્ત કરવાની. જીવનમાં એવાં કામ કરવાનાં કે યમ, કુબેર, દિગ્પાલ, કવિઓ અને વિદ્વાનો તમારી કીર્તિની યશોગાથા ગાવામાં ઊણા ઉતરે.

૧૪. તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા, રામ મિલાય રાજપદ દીન્હાઃ તમારી નિષ્ઠા ભલે એકમેવ હોય પણ એ નિષ્ઠાના વિસ્તારનો લાભ તમારા સમગ્ર સમાજને મળવો જોઈએ. સુગ્રીવને રામ સાથે મેળવીને એને એનું રાજ પાછું મેળવવામાં હનુમાનજીનો ક્યાં કોઈ સ્વાર્થ હતો? સમાજ માટે એવાં કાર્યો નિરંતર કરવાનાં જેમાં તમારો કોઈ સ્વાર્થ ન હોય પણ બધાનું ભલું થતું હોય.

૧૫. તુમ્હરો મંત્ર બિભીષન માના, લંકેશ્વર ભયે સબ જગ જાનાઃ તમારામાં લોકોને એવો વિશ્વાસ હોવો જોઈએ કે દુશ્મન પણ તમારી સલાહ લેવા આવે, તમારી સાચી સલાહને એ અનુસરે ને છેવટે એ તમારો મિત્ર બની જાય જેને કારણે એને પોતાને પણ લાભ થાય ને તમને પણ. આવી નિષ્ઠા, આવું ચારિત્ર્ય ત્યારે કેળવાય જ્યારે તમે હંમેશાં સત્યને જ સાથ આપો છો એવી જગતને ખાતરી હોય.

૧૬. દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ્હરે તેતેઃ હનુમાનજીના સ્મરણથી એમની કૃપાથી આપણાં અતિ દુર્ગમ કામો પણ પાર પડતાં હોય છે. હનુમાનજી પર સ્વયં પ્રભુ રામચંદ્રજીની કૃપા હતી. તમારા પર હનુમાનજીની કૃપા ત્યારે વરસે ત્યારે તમારામાં હનુમંત સમાન એકનિષ્ઠા, તત્પરતા અને એકગ્રતા આવે. તમારા પોતાના સાથીઓમાંથી જેઓ તમારા પ્રત્યે આવી એકનિષ્ઠા રાખતા હોય, તમારાં ચીંધેલાં કામ ચીંધતાં પહેલાં જ પૂરાં થાય એવી તત્પરતા રાખતા હોય અને તમે જે કંઈ કરી રહ્યા છો તે તમામ કાર્યોને એકગ્રતાપૂર્વક નિહાળીને એમાંથી બે વસ્તુ શીખવાની કોશિશ કરતા હોય એમનાં દુર્ગમ કામો આસાન થઈ જાય તે જોવાની જવાબદારી તમારી. તમારે એમની જરૂરિયાતો સમજીને એમના માર્ગ પરની કઠણાઈઓ દૂર કરી આપવાની. હનુમાનજીના ગુણો તમારા પોતાનામાં ખિલવવા હોય તો આ પવિત્ર શબ્દોમાંથી જે શીખવાનું છે તે શીખીને અને શીખેલી વાતોને જીવનમાં ઊતારીને આસપાસના લોકોને એના ફળનો લાભ આપવો એમાં જ હનુમાન ચાલીસાના પઠનની કે રટણની સાર્થકતા છે.

૧૭. રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનુ પૈસારે. સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રક્ષક કાહૂ કો ડરનાઃ તમારાં સ્વજનોને તમારા પર એવો અતૂટ વિશ્વાસ હોવો જોઈએ કે તમે એમના જીવનમાં છો એટલે એમને આપોઆપ કોઈપણ આપત્તિનો સામનો કરવાનું બળ મળી ગયું. પોતે નિશ્વિંત છે. જેમ હનુમાનજી રક્ષક હોય ત્યારે કોઈનેય કશાનો ડર નથી હોતો તેમ તમારી ફરજ છે કે જેમને તમે પ્રિય છો, જેમના માટે તમે આદરણીય છો એમના તમામ પ્રકારના ડર તમે દૂર કરો, એમને ભયમુક્ત રાખો.

૧૮. આપન તેજ સમ્હારો આપૈઃ તમારું તેજ તમારા કાબૂમાં છે. તમારી પ્રચંડ શક્તિઓ પર તમારા એકલાનો જ કન્ટ્રોલ છે. તમારા પર બીજું કોઈ હાવી થઈ શકે એમ નથી. આવું ક્યારે બને? જ્યારે તમે સ્વંયપ્રકાશિત હો. તમારું તેજ, તમારી તાકાત ઉછીનાં લીધેલાં ન હોય. જેઓ પોતાની તેજસ્વિતા બીજાઓના ડહાપણમાંથી ચોરીને લઈ આવે છે એમનું તેજ ઝાઝું ટકતું નથી.

૧૯. ભૂત પિશાચ નિકટ નહિં આવૈ, મહાબીર જબ નામ સુનાવૈ: આ જગત ઉપદ્રવી લોકોથી ભર્યું છે. સજ્જનોના હવનમાં હાડકાં નાખવા માટે રાક્ષસજનો તૈયાર જ બેઠા હોય છે. સારું કામ લઈને તમે બેઠા નથી ને તમારા હવનમાં હાડકાં જ નહીં આખેઆખાં હાડપિંજર નાખવા લોકો ટોળે વળતા હોય છે. પણ તમારું નામ, તમારા ભૂતકાળનું કામ એવું હોવું જોઈએ, તમારી પ્રતિભાનો દબદબો એવો હોવો જોઈએ કે એ નામ પડતાંની સાથે જ આ ભૂત-પિશાચ જેવી પ્રજા સો જોજન દૂર ભાગે, અને દૂર રહીને પણ ફડ ફડ કાંપે. તમારાં વીરતાભર્યા કામ તમને મહાવીર બનાવશે.

૨૦. નાસૈ રોગ હરૈ સબ પીરા: તમારાં સ્વજનોને પીડામુક્ત કરવાની જવાબદારી તમારી. એમને સંકટમાંથી છોડાવવાની જવાબદારી પણ તમારી. સ્વજનો કોને કહેવાય? જે તમારા માટે તન-મન-ધનથી ખર્ચાઈ જાય. આવાં સ્વજનો માટે તમારે એ બધું જ કરવાનું જે તમે હનુમાનજી તમારા માટે કરશે એની આશા રાખી રહ્યા છો.

૨૧. સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ તુમ સાજા. ઔર મનોરથ જો કોઈ લાવૈ. સોઈ અમિત જીવન ફલપાવૈઃ આ એક સુંદર અમૃતચક્ર છે. પ્રભુ રામચંદ્ર આ જગતમાં રહેલા એમના તમામ ભક્તોના મનોરથ પૂરા કરે છે. પ્રભુ રામચંદ્રના તમામ કામ હનુમાનજી પાર પાડે છે. તમે જે કંઈ ચાહો છો તેની ફળપ્રાપ્તિ તમને હનુમંત આરાધનાથી પ્રાપ્ત થાય છે. તો પછી તમારા મિત્રો-શુભેચ્છકો-કુટુંબીઓ-ચાહકોની તમારી પાસેથી જે કંઈ અપેક્ષા રાખતા હોય તેને ફુલફિલ કરવાની જવાબદારી તમારી.

૨૨. સાધુ સન્ત કે તુમ રખવારેઃ હનુમાનજીની જેમ તમારે પણ આ દુનિયામાં જે લોકો સારું કામ કરી રહ્યા છે તે સૌનું રક્ષણ કરવાનું છે. આજના જમાનામાં આ રીતનું રક્ષણ ગદા કે ધનુષ્યબાણથી કરવાની જરૂર નથી રહેતી. ફેસબુક કે બીજા સોશિયલ મીડિયા પર તમે સજ્જનોનો બચાવ કરી શકો છો. તમારી કમેન્ટ્સ, લાઈક્સ, ડિસ્લાઈક્સ દ્વારા. જેઓ આ દુનિયાને એક ડગલું આગળ લઈ જવાના પ્રયત્નોમાં દિન-રાત ગળાડૂબ છે તે સૌ આજના સાધુ-સંતો છેે.

૨૩. અસુર નિકંદન રામ દુલારેઃ અને માત્ર સાધુપુરુષોના રક્ષણથી કંઈ નહીં વળે અસુરોનું નિકંદન પણ કરવું પડશે. આ દેશની સંસ્કૃતિ, પરંપરાને રગદોળી નાખવા માગતા અસુરોને મારી હટાવવા પડશે. એમને એમના ટૂંકા સ્વાર્થો સિદ્ધ કરવામાં ફાવવા નહીં દેતા. હનુમાનજી આ જ રીતે રામજીના પ્યારા બન્યા. તમારે જો હનુમાનજીના પ્યારા બનવું હોય તો તમારી આસપાસના અસુરોને શોધીને એમનું ‘નિકંદન’ કાઢી નાખવાનું.

૨૪. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતાઃ અષ્ટ સિદ્ધિ એટલે યોગથી પ્રાપ્ત થતી આ ૮ સિદ્ધિ-અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ. આ આઠેયનો સરવાળો થાય-જીવનમાં લીલાલહેર. નવ નિધિ એટલે કુબેરના ખજાનામાં રહેલાં ૯ પ્રકારના રત્નઃ કચ્છપ, મુકુંદ, નંદ અથવા કુંદ, વર્ચ્ચ, મકર, નીલ, શંખ, પદ્મ અને મહા પદ્મ. આ ઉપરાંત બીજા નિધિઓ પણ છે. આ બધા નિધિ લક્ષ્મીના આશ્રિત છે. જેને તે પ્રાપ્ત થાય તેના પર ભિન્ન ભિન્ન પ્રકારે ધનવર્ષા થાય છે.

૨૫. જનમ-જનમ કે દુઃખ બિસરાવેઃ તમારું સ્તુતિગાન મને પ્રભુ રામ પાસે લઈ જાય છે, હે હનુંમતવીરા. તમારી ભક્તિ કરવાથી મને પણ પ્રભુ જન્મોજનમના દુઃખમાંથી મુક્તિ અપાવે છે. દુનિયાના વહેવારોમાં જે પ્રિયજનો તમારું સ્મરણ કરતા હોય એમને ક્યારેક તમારે પણ સામેથી યાદ કરવા, મળવું અને એમને સુખ આપવું. સુખ આપી ન શકાય તો કમ સે કમ એમનું દુઃખ જરૂર દૂર કરવું.

૨૬. ઔર દેવતા ચિત્ત ન ધરઈઃ બધી ભાષાઓને માન આપીએ પણ માતૃભાષાનું ગૌરવ તો ગુજરાતીને જ. દુનિયાના તમામ દેશોની પ્રજા સાથે આદર સત્કારનો વહેવાર રાખીએ પણ માતૃભૂમિ તો એક જ, ભારત. એ જ રીતે બધી વાતે મને આ પણ ગમે છે, તે પણ ગમે છે અને એ પણ ગમે છે એવું કહીને વહેંચાઈ જવાને બદલે અમુક બાબતોમાં એકનિષ્ઠ થઈએ.

૨૭. સંકટ કટૈ મિટૈ સબ પીરા, જો સુમિરૈ હનુમત બલબીરાઃ સ્મરણમાત્રથી સંકટ દૂર થતું હશે કંઈ? પીડા મટી જતી હશે કંઈ? હા. જો એ સ્મરણ પાછળ વર્ષોનું તપ હોય. વર્ષો સુધી તમે સ્મરણ કરતાં કરતાં તમારામાં પણ એવા ગુણો ખીલવ્યા હોય જે હનુમંતવીરામાં છે તો ખરેખર સંકટ આવશે ત્યારે એમનું સ્મરણમાત્ર તમને પ્રચંડ તાકાત આપશે, એમના સ્મરણથી તમને એવાં એવાં કાર્યો કરવાની પ્રેરણા મળશે જે તમારાં બધાં જ દુઃખ, તમારી બધી જ પીડા-વેદના દૂર કરશે.

૨૮. જય જય જય હનુમાન ગોસાઈ, કૃપા કરહુ ગુરુદેવ કી નાઈં: જેઓ સંત છે, જેમની વૃત્તિમાં સાધુપણું છે તેમની કૃપાદ્દષ્ટિ મેળવવા હંમેશાં એમની નિશ્રામાં રહેવું. એમનો છાંયો તમારા પર પડતો હશે તો તમામ તડકી છાંયડીઓનો સામનો તમે કરી શક્શો.

૨૯. જો શત બાર પાઠ કર કોઈ, છૂટહિ બંદિ મહા સુખ હોઈઃ સો વાર હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો બંદિગૃહમાંથી, પોલીસ કસ્ટડી કે જેલમાંથી તમારી મુક્તિ થઈ જશે એવું માનવાની જરૂર નથી. પણ સો વાર પઠન કર્યા પછી અર્થાત્ એનું હાર્દ પૂરેપૂરું સમજીને જીવનમાં ઉતારી લીધા પછી આ દુન્યવી વળગણોના બંધનમાંથી તમે છૂટી જશો. પછી તમે સંસારમાં હોવા છતાં એક સાધુની જેમ હળવાશથી, પીછું હવામાં તરતું હોય એટલી આસાનીથી જીવી શકશો.

૩૦. જો યહ પઢે હનુમાન ચાલીસાઃ મહાત્મય દર્શાવતી આ છેલ્લી ચોપાઈનો ભાવાર્થ એ કે જેમ હરિને ભજતાં હજુ સુધી કોઈની લાજ ગઈ હોય એવું જાણ્યું નથી એમ હનુમાન ચાલીસાનું પઠન કરવાથી કયારેય કોઈનું અહિત નથી થયું, વહેલી કે મોડી ફળની પ્રાપ્તિ જ થઈ છે. માટે જો ધાર્યું તરત ન મળે તો પાઠ કરવાનું પડતું નહીં મૂકવું. તુલસીદાસની જેમ સદાયને માટે પ્રભુના ચરણસેવક બનીને રહેવું.

૩૧. પવનતનય સંકટ હરન મંગલ મૂરતિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુર ભૂપઃ સમાપનના આ દુહામાં સૌને યાદ કરીને હૃદયમાં સમાવાયા છે. શુભનો વાસ હોય એવા મનમાં અશુભ ટકતું નથી. સારા વિચારોના આગમનથી આપોઆપ નકામા વિચારો બહાર ધકેલાઈ જાય છે. હનુમાન ચાલીસાના દરેક શબ્દનો અર્થ સમજી, એની દરેક ચોપાઈનું આપણા જીવનના સંદર્ભમાં અર્થઘટન કરીને રટણ કરીએ છીએ ત્યારે ઘણી શાતા મળે છે. હવે જ્યારે હનુમાનજીની સ્તુતિ કરો ત્યારે આ વાત ધ્યાનમાં રાખજો. તમારી આધ્યાત્મિક સમૃદ્ધિમાં ઔર વધારો થશે.

આજનો વિચાર

શ્રી ગુરુ ચરન સરોજ રજ નિજ મનુ મુકુરુ સુધાર.

બરનઉં રઘુબર બિમલ જસુ જો દાયકુ ફલ ચારિ.

–હનુમાન ચાલીસા (ઈન્ટ્રોડક્ટરી દોહો)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

15 COMMENTS

  1. એક રામ ભક્ત “હનુમાન “હતા.. છે..
    બીજા કલમ ભક્ત “સૌરભ શાહ “છે.
    મર્મ વાંચી સાચો ધર્મ સમજાયો

  2. આપે જે રીતે હનુમાન ચાલીસા નું હાર્દ સમજાવ્યું છે તે માટે શત શત વંદન 🙏🏻🙏🏻

  3. હનુમાન ચાલીસા નો મર્મ તમો એ સરળ શૈલી માં રજુ કર્યો તે બદલ ખુબ ખુબ ધન્યવાદ. તમારા લખેલ પુસ્તકો ઓનલાઇન કદાચ મળતા j હસે તેમ છતાં લિંક હોય તો મોકલજો. હું પણ તમારો એક અદનો નાનો વાચક છું.

  4. હનુમાન ચાલીસા નો મર્મ નવી દ્રષ્ટિ એ સમજાવવા માટે દિલથી ધન્યવાદ!

  5. વાહ સૌરભ ભાઈ, પહેલા પણ આ લેખ વાચેલો , બને એટલો અમલ કરવાની try કર તો તો, તમે ફરી એક વાર પાનો ચડાવી દીધો. લગભગ એ અરસામાં આપે વારાણસી ના હનુમાન મંદિર વિશે વાત કરેલી ત્યાં પણ જવા નું થયેલ ગયા વર્ષે.
    તેમજ આજે પણ સવારે પંડિત શ્રી જસરાજ જી ના અવાજ માં ચાલીસા સાંભળ્યા હતા આપ ને યાદ કરતા.

  6. Thanks. ખરુ કહુ, તો આજે મોટી કોમેન્ટ લખતા પહેલા હનુમાન ચાલીસા નો પાઠ અજાણતા થૈ ગયો. 73 વર્ષ મા યાદ નથી ક્યારે પાઠ કર્યો હતો.
    જય શ્રી………

  7. સલાહ આપવી સહેલી, બીજાના દોષો ને લખવા એથીય સહેલું. સૌ મનુષ્ય ને સર્જનહારે બુધ્ધિ આપી નેજ મોકલ્યા છે. અને મારી જાણ અને પહેચાન મા લાખ્ખો દૈવી સંબંધે બંધાયેલા ભાય બહેનો છે જે Bhakti is an understanding સમજ્યા છે અને આચરણમાં મૂકવા સદા તત્પર રહે છે. જસ્ટ Shared for information and if effect to some Critics then intensity of criticism will be mild. JSK

  8. વિચારો ગમ્યા. લેખ બહું લાંબો લાગ્યો. વચ્ચે વચ્ચે થોડો કંટાળો આવ્યો. સંક્ષિપ્ત હોતે તો concentration વધારે સારું રહેતે.

  9. હનુમાન ચાલીસા નો અર્થ અને મર્મ બન્ને સમજાવવા માટે ખુબ આભાર.

  10. Jai Shree Ram
    Jai Jai Jai Hanuman Gosai
    Jai Ho….

    હનુમાન ચાલીસા ના અર્થ સભર દર્શન કરાવવા માટે ધન્યવાદ..
    દીલ થી પ્રણામ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here