કવિ રઈશ મનીઆરે કબીર જેવું લખ્યું, મીરાં જેવું પણ લખ્યું : સૌરભ શાહ

(‘ત્રિવિધા, Newspremi.com: ગુરુવાર, 14 નવેમ્બર 2024)

રઈશ મનીઆરનો નવો ગઝલસંગ્રહ આવતી કાલે રિલીઝ થાય છે. મુંબઈમાં. કાલે ‘ગ્લેડિયેટર-ટુ’ કે ‘ધ સાબરમતી રિપોર્ટ્સ’ રિલીઝ થાય છે જેનું કોઈ એક્સાઈટમેન્ટ અમને નથી. ‘કેવળ સફરમાં છું’ના રિલીઝ પ્રસંગે દેવ દિવાળીના ઉત્સવનો આનંદ અમારા માટે બમણો થઈ જવાનો.

રઈશ મનીઆર બીજા કેટલાક કવિ-ગઝલકારોની જેમ આડેધડ લખલખ નથી કરતા. જે કંઈ લખે છે તે પૂરતા ચિંતન પછી, પૂરતી સજ્જતા સાથે લખે છે. એક શેરમાં એ કહે છે:

ભલે અલ્પ તોયે વધારે લખ્યું છે;
લખ્યું તે બધું રક્તધારે લખ્યું છે,
લખાણે લખાણે પ્રહારો થયા છે;
અમે પણ પ્રહારે પ્રહારે લખ્યું છે.

આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું છે;
રેત પર જેમ પાગલ સમીરે લખ્યું,
રોજ માણસ ઘવાતો રહ્યો ચૂપચાપ;
જે લખ્યું તે નીતરતા ઝમીરે લખ્યું.

આપણે ક્યાં કદી કંઈ લખ્યું છે‘રઈશ’!,
એક મીરાએ લખ્યું એક કબીરે લખ્યું.

રઈશ અને એમનાં પત્ની અમી બેઉ ડૉક્ટર છે, બાળરોગોના નિષ્ણાત. પીડિયાટ્રીશન. બેઉની ઘણી સારી પ્રેક્ટિસ. પણ જીવ સાહિત્યનો. રઈશ મનીઆર એકલા જ એવા કવિ છે ગુજરાતીમાં જેમણે સાહિત્ય માટેના લગાવને કારણે પોતાની આજીવિકા જ્યાંથી આવે છે, પોતાનું ભવિષ્ય જેને કારણે સિક્યોર્ડ થાય છે તે વ્યવસાયનો ત્યાગ કરી દીધો. તમને થશે કે એમાં શું. પત્ની ડૉ. અમી મનીઆરની પ્રેક્ટિસમાંથી પૂરતું મળી રહેતું હશે. ના, બંનેયે પ્રેક્ટિસ છોડી દીધી છે. સુરતી નર્મદની જેમ સુરતવાસી રઈશ પણ હવે કલમના ખોળે છે. રઈશ (કે અમી)ને બાપદાદાનો કોઈ ખજાનો વારસામાં નથી મળ્યો, એટલું તમારી જાણ ખાતર.

રઈશ સાથે પહેલવહેલો પરિચય 1985-86ના અરસામાં હું સુરત જઈને ‘ગુજરાતમિત્ર’માં કવિ ભગવતી કુમાર શર્માના હાથ નીચે નોકરી કરતો હતો ત્યારે થયો. કવિ નયન હ. દેસાઈ પણ મારા સિનિયર પત્રકાર હતા. કવિ મુકુલ ચોક્સી સાથે મૈત્રી થઈ. એમનું મેડિસિનનું ભણવાનું ચાલતું હતું, રઈશનું શરૂ થઈ રહ્યું હતું.

પરિચય ક્રમશ: મૈત્રીમાં પલટાતો ગયો, એકબીજાના માટેના ગાઢ રિસ્પેક્ટમાં ફેરવાતો ગયો. જોતજોતામાં રઈશ મનીઆર ગુજરાતી સાહિત્યના ટોચના કવિ-ગઝલકારોની હરોળમાં હક્કથી ઊભો રહે એવો દબદબો ધરાવતો થઈ ગયો.

ત્રીસેક વર્ષ પહેલાં સુરેશ દલાલ અને કાન્તિ મડિયા મુંબઈમાં દર મહિનાના એક રવિવારની સવારે નરીમાન પૉઈન્ટસ્થિત તાતા-એનસીપીએના એક્સપરિમેન્ટલ ઑડિટોરિયમમાં ‘કાવ્ય સંપદા’ નામના કાર્યક્રમનું આયોજન કરતા. અનેક ટોચના કવિઓને આમંત્રણ આપવામાં આવતું. યુવાન, નીવડેલા કવિઓ પણ આવતા. ટોકન તરીકે પ્રવેશ ફી રાખી હતી જે દસ રૂપિયાથી શરૂ થઈને ત્રીસ રૂપિયા સુધી પહોંચી હતી. કવિતા સાંભળવાની ફી! અને તે પણ એક જ કવિની કવિતા અને તે પણ રવિવારના સવારે દસ વાગ્યે. અને તે પણ છેક મુંબઈના પેલા છેડે. છતાં દહાણુ-વાપીથી લોકો સાંભળવા આવતા. હાઉસફુલ થઈ જતું.

એક રવિવારે રઈશ મનીઆર હતા. કવિનો પરિચય આપવા માટે કોઈક જાણકારને કહેવામાં આવે. જાણકાર તો શું, ઑથોરિટી કહેવાય એવા સુરેશ દલાલ પોતે જ આયોજક હતા. રઈશને એડવાન્સમાં પૂછવામાં આવ્યું ત્યારે એણે સુરતથી સુરેશભાઈને ફોન પર કહ્યું હતું: સૌરભ શાહ આવી શકે તો સારું!

મારું સારું ભાગ્ય.

1998માં રઈશનો પ્રથમ ગઝલ સંગ્રહ પ્રગટ થયો ‘શબ્દ મારા સ્વભાવમાં જ નથી.’ તેજપાલમાં સમારંભ. કવિ સંમેલન. વિશાલ પબ્લિકેશન્સના વિજય મહેતાનું આયોજન. સુરેશ દલાલના હાથે લોકાર્પણ. મોટા મોટા કવિઓનું કવિ સંમેલન. કાર્યક્રમમાં સંચાલન સૌરભ શાહનું.

ફરી એકવાર મારું સારું ભાગ્ય.

એ જ ગાળામાં એક સાંજે રઈશ-અમી તે વખતના મારા બોરીવલીના સ્ટડીરૂમે આવ્યા હતા. હું એમને મારા હાથે પાઉંભાજી બનાવીને જમાડવાનો હતો. રઈશ કહે કે હું તમને આસિસ્ટ કરું છું. અમીને આરામ કરવા દઈને અમે તૈયારી શરૂ કરી. કોથમીરનાં હું ખાલી પાંદડાં જ વાપરું, ડાંડીઓ કાઢી નાખું. રઈશે શીખવાડ્યું કે ડાળીઓ તો રાખવાની હોય. એમાં ઘણું પૌષ્ટિક તત્ત્વ હોય.

રઈશ નવા કવિઓને ગઝલ લખતાં શીખવાડે છે, નવાં માબાપને પેરન્ટિંગ શીખવાડે છે. ગુજરાતી ફિલ્મો માટે સુંદર ગીતો લખે છે. અર્થસભર હાસ્યકવિતાઓ લખે છે. ગુલઝાર, જાવેદ અખ્તર અને કૈફી આઝમીની કવિતાઓ શાયરે જે મીટરમાં લખી હોય તે જ મીટરમાં ગુજરાતીમાં એનું નવસર્જન કરીન સંગ્રહો બહાર પાડે છે અને એમની શાબાશી મેળવે છે. નાટક અને નવલકથા પણ લખે છે.

આવતી કાલે સાંજે ૬ વાગ્યે અંધેરી ભવન્સમાં એને મળીશું એટલે ખબર પડશે કે બીજું શું શું કરે છે. જતાં જતાં રઈશ મનીઆરનો એક ઔર ખૂબ ગમતો શેર:

સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.

* * *

છેક ચાળીસ વર્ષ પહેલાંની વાત છે. ટુ બી પ્રિસાઈસ 1983ની. ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપનું ‘સમકાલીન’ દૈનિક લૉન્ચ થવાનું હતું. રામનાથ ગોએન્કાએ જર્મનીથી ટાઈપસેટિંગ માટેનાં કૉમ્પ્યુટરો ઈમ્પોર્ટ કરેલાં. કંપોઝિટરોને ટાઈપસેટિંગ કરવા માટેની તાલીમ આપવાનું શરૂ થઈ ગયેલું. ગોએન્કાજીએ તંત્રી હસમુખ ગાંધીને કહ્યું કે તમે અને તમારા તંત્રીખાતાનો આખો સ્ટાફ પણ ટાઈપસેટિંગ કરતાં શીખી જાય તો સારું. ગાંધીભાઈ કહે: અમે પત્રકારો છીએ, ટાઈપિસ્ટ નથી. ગોએન્કાજી કહે કે પરદેશમાં બધા પત્રકારો પોતાનું મેટર જાતે જ ટાઈપસેટ કરતા થઈ ગયા છે, ભારતમાં પણ આ ટ્રેન્ડ આવશે.

પણ ગાંધીભાઈ ના માન્યા. તે વખતે ‘સમકાલીન’માં એમના હાથ નીચે કામ કરનારા અમને સૌને લાગતું કે હાશ, બચી ગયા. ગાંધીભાઈએ બચાવી લીધા. પણ અમે ખોટા હતા. એ પછીના દસકામાં ઘણા પત્રકારો પોતાની મેટરનું ટાઈપસેટિંગ કરતા થઈ ગયા. 1990ના દશકમાં પર્સનલ કૉમ્પ્યુટરનું ચલણ વધ્યું અને લગભગ તમામ ગુજરાતી પત્રકારોને ટાઈપસેટિંગ આવડી ગયું. નવા મિલેનિયમમાં પ્રવેશેલો કોઈ ગુજરાતી પત્રકાર એવો જોવા નહીં મળે જે કૉમ્પ્યુટર પર પોતાના લેખો/રિપોર્ટ્સ નહીં લખતો હોય.

૧૯૯૯માં હું ‘મિડ-ડે’માં જોડાયો ત્યારે મેનેજમેન્ટે જે જે પત્રકારોને ટાઈપસેટિંગ ના આવડતું હોય એમને ત્રણ દિવસની ટ્રેનિંગ સેશન માટે અંધેરીમાં કોઈ જગ્યાએ મોકલવાની ગોઠવણ કરી હતી. મારા કેટલાક કલીગ્સ ગયા પણ ખરા. હું અડધો દિવસ માટે જઈને પાછો આવી ગયો. એ પછીના બે-અઢી દાયકામાં મને ઘણી વખત જાતે ટાઈપસેટિંગ કરવાનો સોલો ઉપડ્યો છે. પણ જેવો હું કૉમ્પ્યુટર પર કી દબાવવા બેસું કે તરત જ મારે શું લખવું છે તે ભૂલી જાઉં. ક્યારેક વિચારું કે પહેલાં આદત મુજબ હાથથી કાગળ પર લખી લઉં પછી ટાઈપસેટિંગ કરું. પણ પછી થાય કે એવી ડબલ હજામત કોણ કરે. આજ દિવસ સુધી હું કાગળ પર લેખો/નવલકથા લખું છું.

મારી પાસે લખવા માટે ઉત્તમ ફાઉન્ટન પેનોનું કલેક્શન છે. પાંચ રૂપિયાની બૉલપેનથી પણ લખી શકાય છે, લખ્યું પણ છે. રદ્દી કાગળ પર પણ લખ્યું છે. વખત આવે હજુય લખાય જ છે. પણ સારો કાગળ હોય તો ઘરે મહેમાન આવવાના હોય ત્યારે કેવું નવું નવું સરસ ઈલેબોરેટ ગુજરાતી ભોજન બને ને આનંદ આવે–એવો આનંદ આવે. મારા સ્ટડીરૂમમાં એક એકથી ચઢિયાતી બ્રાન્ડના ભારતીય, જાપાની, ચાઈનીઝ, ઇટાલિયન અને ફ્રેન્ચ બનાવટના ઉમદા કાગળોના થપ્પાના થપ્પા છે.

પેન્સિલથી પણ લખું. દેશ-વિદેશની પેન્સિલોનું હ્યુજ કલેક્શન છે. અણી છોલવા માટેના સાદા, મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ સંચાઓ છે.

જેફ્રી આર્ચર નવલકથાનો પહેલો ડ્રાફ્ટ કાગળ પર પેન્સિલથી લખે છે એ જાણ્યું ત્યારે આનંદ થયેલો. હું જે પેન્સિલોનો ચાહક છું એ જ બ્રાન્ડની પેન્સિલ એમની પણ ફેવરિટ છે એ જાણીને આનંદ બેવડાઈ ગયેલો. પછી તો ખબર પડી દેશ-વિદેશના અનેક જાણીતા લેખકોને કૉમ્પ્યુટર વાપરવાને બદલે કાગળ પર પોતાના અક્ષરે લખવાની આદત છે, આ જમાનામાં પણ. જૂના જમાનાના કેટલાક જાણીતા લેખકો ફાઉન્ટન પેનને બદલે પેન્સિલ વાપરતા, જેફ્રી આર્ચરની જેમ.

ફાઉન્ટન પેનમાં ભરવાની શાહી પણ દેશ-વિદેશની સસ્તી-મોંઘી ઘણી આવે છે. બધી જ છે. અલગ-અલગ કલરની. પણ લાંબું લખવા માટે બે કે ત્રણ રંગ જ બરાબર છે.

આ બધી વાતો એક દિવસ ચોપાટી-ભવન્સના પગથિયે ઊભાં ઊભાં હું ‘નવનીત સમર્પણ’ના તંત્રી દીપક દોશીની સાથે શેર કરતો હતો ત્યારે એમણે મને કહ્યું કે આ બધું તમે જે કહો છો તેનો એક લેખ લખી આપો. મેં કહ્યું : બહુ લાંબો લેખ થશે. મને કહે કે વાંધો નહીં, દિવાળી અંકમાં છાપીશું, નહીં તો બે-ત્રણ-ચાર હપ્તામાં છાપીએ.

મેં વચન આપ્યું. પણ હજુ સુધી પાળ્યું નથી. ‘ત્રિવિધા’ના આ પીસને એ લેખનું ટીઝર કે ટ્રેલર ગણજો.

* * *

મોદીના આવ્યા પછી ભારતમાં મેઈન સ્ટ્રીમ મીડિયાની જેવી હાલત થઈ એવી જ હાલત ટ્રમ્પના આવ્યા પછી અમેરિકન મીડિયાની થઈ છે.

આજથી લગભગ ચાર વર્ષ પહેલાં મારી ડેઈલી કૉલમમાં એક લેખ લખ્યો હતો જેનું મથાળું હતું : ‘પ્રિન્ટ મીડિયાના બેસણાની જાxખ ડિજિટલ મીડિયામાં આવશે કે છાપામાં જ આવશે ? ’

આજે જ સમાચાર આવ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી સી.એન.એન. નામની જગવિખ્યાત ચૅનલની વ્યુઅરશિપમાં 40% નો ધરખમ ઘટાડો થયો છે. અને એક અન્ય ચેનલ નામે એમ.એસ.એન.બી.સી.ના દર્શકોમાં 23% નો ઘટાડો થયો છે.

નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી એન.ડી.ટી.વી. જેવી કેટલીય દેશદ્રોહી ચૅનલોએ રવીશકુમાર, બરખા દત્ત, અજિત અંજુમ, પુણ્યપ્રસન્ન બાજપાઈ સહિતના બે ત્રણ ડઝન પત્રકારોને છૂટા કરી દેવા પડ્યા. શું કામ ? આ બધા જ હરામખોરો દિવસરાત મોદીને, ભાજપ-સંઘને, ભારતની સનાતન સંસ્કૃતિને ગાળો આપ્યા કરતા હતા જેને કારણે દર્શકો ઘટતા જતા હતા.આ બદમાશ પત્રકારોએ બીજી બેચાર જગ્યાએ નોકરી કરી જોઈ પણ કોઈએ એમને સંઘર્યા નહીં એટલે છેવટે તેઓએ બે પૈસા કમાવા ઘેર બેસીને યુટ્યુબ ચૅનલ ચાલુ કરવી પડી.

અમેરિકામાં પણ સેમ પરિસ્થિતિ સર્જાઈ છે. ટ્રમ્પના આવ્યા પછી સી.એન.એન.માં ટોચની પોઝિશન પર હતા એવા અડધો ડઝનથી વધુ અમેરિકાભરમાં જાણીતા પત્રકારોને હાંકી કાઢવામાં આવ્યા છે. આ ટીવી પત્રકારો ટ્રમ્પને, રિપબ્લિક પાર્ટીની નીતિઓને દિવસરાત ગાળો આપતા અને બાઈડન-કમલાના કુશાસનનો બચાવ કરીને ડેમોક્રેટિક પાર્ટીના ગુણગાન ગાતા.

ભારતમાં પણ આ જ બધા કારણોસર વાસી થઈ ગયેલાં જર્જરિત છાપાં-મૅગેઝિનોનો ફેલાવો ઘટીને સાવ તળિયે બેસી ગયો છે અને અમુક તો બંધ થવાને આરે છે, અમુક બજારમાં વેચાવા માટે મૂક્યા. છે, સસ્તા ભાવે. મામૂલી કરોડની રકમમાં. છતાં એમનું કોઈ લેવાલ નથી.

અમેરિકામાં એમેઝોનના જેફ બેઝોસની માલિકીના ‘વૉશિંગ્ટન પોસ્ટ’ દૈનિકમાંથી પણ લેફ્ટિસ્ટ પત્રકારોની હાકલપટ્ટી થઈ રહી છે. બેલેન્સ્ડ રિપોર્ટિંગ કરી શકે એવા રિપોર્ટરો તથા અમેરિકાનું હિત સાચવી શકે એવા લેખો-તંત્રી લેખો લખી/લખાવી શકે એવા એડિટરોની ભરતી થઈ રહી છે. ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ પણ જો એવું નહીં કરે તો એનું સર્ક્યુલેશન પણ હજુ વધારે ઘટતું જશે— ટીવીની ન્યુઝ ચેનલોની વ્યુઅરશિપ ઘટી ગઈ એમ.

આટલું બૅકગ્રાઉન્ડ જાણ્યા પછી જો તમને પેલો ચાર વર્ષ પહેલાંનો લેખ વાંચવાની ઉત્સુકતા થતી હોય તો આવતી કાલ સુધી રાહ જુઓ!

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here