( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: ગુરુવાર, 9 એપ્રિલ 2020)
ચાણક્ય સિરિયલનો ગઈ કાલનો એપિસોડ તમે જોયો? તક્ષશિલામાં ઉચ્ચ અભ્યાસ કરીને ચાણક્ય વર્ષો પછી પોતાના વતન પાટલિપુત્ર પાછો આવે છે. નગરમાં પ્રવેશે છે ત્યાં જ ઓક્ટ્રોય નાકા પર એને બહારનો અજાણ્યો માણસ ગણીને રોકવામાં આવે છે. નામ પૂછ્યા પછી સંતોષ થયો નથી એટલે રાજ્યનો કર્મચારી પહચાનપત્ર માગે છે. ચાણક્ય ઝોળીમાંથી તાડપત્રીના ‘કાગઝાત’ કાઢીને દેખાડે છે તે પછી જ એને મગધની રાજધાનીમાં પ્રવેશ મળે છે. ચાણક્યના જમાનામાં પણ ભારત વર્ષ બોડી બામણીનું ખેતર નહોતું, આજે પણ નથી. ભારતમાં રહેવું હશે તો કાગઝાત તો દેખાડવા જ પડશે.
સ્વામી સચ્ચિદાનંદે ‘ચાણક્યની વ્યવહારનીતિ’ નામનો ગ્રંથ લખ્યો છે. સત્તર અધ્યાયના આ ગ્રંથના આરંભે સ્વામીજીએ નોંધ્યું છે કે ચાણક્યે પાંચ વ્યવહારોને આ ગ્રંથમાં સાંકળી લીધા છે:
૧. રાજવ્યવહાર,
૨. ધર્મવ્યવહાર,
૩. સમાજવ્યવહાર,
૪. અર્થવ્યવહાર અને
૫. કામવ્યવહાર.
પ્રથમ અધ્યાયના પ્રથમ શ્ર્લોકની સમજૂતી દરમ્યાન સ્વામીજી કહે છે કે વિદ્વત્તા બે પ્રકારની હોય છે: એક સ્વયંભૂ – પોતાની જ, જે બહુ થોડામાં હોય છે.
બીજી ‘નાનાશાસ્ત્રગ્રાહી’, અર્થાત્ અનેક શાસ્ત્રો, લેખકો, વક્તાઓ વગેરેમાંથી ગ્રહણ કરેલી. આ બીજી વિદ્યા કોઈ દોષ નથી. મધુકર જેમ અનેક પુષ્પોમાંથી પરાગરસ ગ્રહણ કરીને મધ બનાવે છે તેમ આ બીજા પ્રકારના વિદ્વાનો પણ અનેકોની સહાયતાથી ગ્રંથ રચતા હોય છે. પણ અનેકની સહાયતા લીધા પછી પણ જે યોગ્ય સમયે તેનો સ્વીકાર કરતો નથી તેને ‘પ્રજ્ઞાચોર’ કહેવાય. પ્રજ્ઞાચોરના દોષથી બચવા માટે જેમનો – જેમનો સાથસહકાર લીધો હોય એમને કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારી યાદ કરવા જરૂરી છે. તેથી ચાણક્ય સ્વીકારે છે કે અનેક શાસ્ત્રોના સહકારથી આ ગ્રંથ રચી રહ્યો છું.
મિત્ર કોને કહેવો? ચાણક્યના હિસાબે ૬ કસોટીમાંથી પાર ઊતરે તે ખરો મિત્ર.
૧. આતુરે. વ્યક્તિ જ્યારે કોઈ અસાધ્ય રોગમાં સપડાઈ જાય અને તનમનથી બરબાદ થઈ જાય તે વખતે જે સાથ આપીને પડખે ઊભો રહે તેને બાંધવ અર્થાત્ મિત્ર કહેવાય.
૨. વ્યસને. વ્યસન એટલે વિપત્તિ. કોઈ ઓચિંતી વિપત્તિ આવી પડે ત્યારે ભાગી ન જતાં સાથે અડીખમ ઊભો રહે તેને મિત્ર કહેવાય.
૩. દુર્ભિક્ષે. દુર્ભિક્ષ એટલે દુષ્કાળ. જ્યારે અકાળ પડે, વરસાદ ન થાય, લોકો ભૂખે મરવા લાગે, જાનવરો ભૂખતરસથી મરી જાય તેવા સમયમાં જે સાથે ઊભો રહે, પૂરેપૂરો સાથ આપે તેને બાંધવ કહેવાય.
૪. શત્રુસંકટે. જ્યારે કોઈ પ્રબળ શત્રુ પાછળ પડી જાય, પ્રબળ સેના યુદ્ધ કરવા ચઢી આવે ત્યારે જે સાથે આવીને ઊભો રહે તેને બાંધવ અર્થાત્ મિત્ર કહેવાય.
૫. રાજદ્વારે. જ્યારે કોઈ કોર્ટ-કચેરીમાં કેસ ચાલે ત્યારે જે સાથે આવીને ઊભો રહે તેને મિત્ર કહેવાય.
૬. સ્મશાને. જ્યારે વ્યક્તિ મરી જાય અને તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવે ત્યારે હજાર કામ પડતાં મૂકીને જે સ્મશાનમાં સાથે આવે તેને મિત્ર કહેવાય.
આમ આ છ વિકટ પ્રસંગોએ જે સાથે ને સાથે રહે તેને બાંધવ કહેવાય. જે ભાગી જાય કે મોઢું છુપાવે તેને મિત્ર ન કહેવાય.
સ્વામી સચ્ચિદાનંદે આપેલી સમજૂતી પ્રમાણે ચાણક્યે કહ્યું છે કે પાંચ કારણો ઊભાં થાય ત્યારે જે ભાગી છૂટે તે જ જીવિત રહી શકે છે. બધા પ્રસંગે ભાગી છુટાય નહીં. કેટલાક પ્રસંગે અડીખમ ઊભા રહેવું જોઈએ પણ આ પાંચ પ્રસંગે તો ભાગી છૂટવું જ હિતાવહ કહેવાય:
૧. ઉપસર્ગે: જ્યારે પ્રાકૃતિક આપત્તિઓ આવે. જેમ કે સુનામી, રેલ, ધરતીકંપ વગેરે કારણો હોય ત્યારે ભાગી છૂટવું હિતાવહ કહેવાય.
૨. અન્યચક્રે: હુલ્લડો થાય, મારામારી થાય, ચેપી રોગ ફેલાઈ જાય ત્યારે ભાગી છૂટવું હિતાવહ ગણાય.
૩. દુર્ભિક્ષે: જ્યારે દુષ્કાળ પડે, અન્નજળ ન મળે ત્યારે જ્યાં રોજ-જીવન હોય ત્યાં ભાગી છૂટવું હિતાવહ કહેવાય.
૪. ભયાવહે: યુદ્ધ થાય, બળવો થાય, મારામારી અને કાપાકાપી થાય ત્યારે સ્થળાંતર કરી લેવું હિતાવહ કહેવાય.
૫. કોઈ નીચ, દુર્જન વ્યક્તિ કે સમૂહના ચક્કરમાં પડી જવાય ત્યારે તેમાંથી બચવા ભાગી છૂટવું હિતાવહ કહેવાય.
ચાણક્યનીતિના અધ્યાયો જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ ચાણક્યની નિરીક્ષણશક્તિ સોળે કળાએ ખીલતી જાય છે. ચાણક્ય કહે છે કે ચાર પ્રકારના માણસોને ચાર રીતે પ્રસન્ન કરવા જોઈએ:
૧. જે લોભિયો માણસ હોય તેને હાથ જોડીને, નમ્રતાથી વ્યવહાર કરીને કામ કઢાવી લેવું.
૨. જે અહંકારી વ્યક્તિ હોય તેને હાથ જોડીને, નમ્રતાથી વ્યવહાર કરીને કામ કઢાવી લેવું જોઈએ. અહંકારી વ્યક્તિ હંમેશાં ખુશામતપ્રેમી હોય છે. આ તેની કમજોરી કહેવાય. તે રાજી થાય તેમ તેની વાહવાહ કરીને કામ કઢાવી લેવું જોઈએ.
૩. મૂર્ખ વ્યક્તિની ઈચ્છા પૂરી કરીને કામ કઢાવી લેવું.
૪. પણ જ્ઞાની પુરુષ મળે તો તેની આગળ સાચી વાત બોલીને કામ કઢાવવું. જ્ઞાની વ્યક્તિ સત્યપ્રેમી હોય છે, તેથી તેની આગળ કશી ચાલાકી કર્યા વિના જે સાચેચાચું હોય તે કહીને કામ પતાવવું.
સાતમા અધ્યાયના આરંભે ચાણક્યે કહેલું છે કે બુદ્ધિમાન પુરુષે પાંચ વાતો કદી કોઈની આગળ પ્રગટ કરવી નહીં. સ્વામીજી આ પાંચેય વાતો વિશે વિસ્તૃત રીતે સમજાવે છે. આ જ વાતને ગઈ કાલે આપણે જુદી રીતે ટચ કરી. આજે એને સ્વામીજીની ગહન દ્રષ્ટિએ માણીએ.
૧. અર્થનાશ: જો પોતાની ધનહાનિ થઈ હોય તો કોઈને કહેવું નહીં, અર્થાત્ તમારું ધન ખોવાઈ ગયું હોય, ચોરાઈ ગયું હોય કે ઉછીનું લઈને કોઈએ પાછું ન આપ્યું હોય તો તેવા અર્થનાશની વાત કોઈને કહેવી નહીં. કહેવાથી કોઈ લાવી આપશે નહીં, ઊલટાના કેટલાક વિરોધી માણસો રાજી થશે. તેથી કહેવાથી કોઈ ફાયદો નહીં થાય. માટે જે ધનહાનિ થઈ હોય તેને મનમાં જ દબાવી રાખવી.
૨. મનસ્તાપં: મનની પીડા એટલે કે માનસિક ચિંતાની વાત પણ કોઈને કરવી નહીં. તમારી માનસિક પીડા સાંભળીને કોઈ ઓછી નહીં કરે. ઊલટાના વિરોધીઓ રાજી થશે. હા, શરીરપીડા કે એવી બીજી પીડા હોય તે વાત કરવી, જેથી કદાચ કોઈ ડૉક્ટર-વૈદ્ય સહાયક બને.
૩. ગેહે દુશ્ર્ચરિતાનિ ચ: તમારા ઘરમાં પત્ની કે બીજું કોઈ ચારિત્ર્યહીન હોય તો તેવી વાત કોઈને કરવી નહીં. પત્ની વગેરેનાં દુશ્ર્ચારિત્રથી તમારી જ આબરૂ ઓછી થાય છે. જેમ જેમ તમે બીજા લોકો આગળ આ વાતો કરતા જશો તેમ તેમ તમારી ફજેતી વધતી જશે. તેના કરતાં દુશ્ર્ચારિત્રને રોકી શકાય તો રોકો. ન રોકી શકાય તો મૌન સેવી સહન કરો. સંયુક્ત પરિવારમાં સહન કરવું જરૂરી હોય છે. તેથી ચૂપ રહો, બડ-બડ ન કરો.
૪. વંચનમ્: કદાચ કોઈ દ્વારા તમે ઠગાઈ ગયા હો તો તેની વાત કોઈને ન કરો, ચૂપ રહો. જીવનમાં ઠગનારા ઘણા મળતા હોય છે. વિશ્ર્વાસ મૂકવાથી લોકો ઠગતા – ઠગાતા હોય છે અને વિશ્ર્વાસ વિના સંસાર ચાલે જ નહીં તેથી ઠગાયા તો ઠગાયા, પણ હવે ચૂપ રહો. ફરી સાવધાન રહેવાનુું.
૫. અપમાનં: કોઈએ અપમાન કર્યું હોય તો તેને લોકો આગળ કહેતા ન ફરો, ચૂપ રહો. તમારું અપમાન વિરોધીઓને આનંદદાયક બની શકે છે. તેથી તેઓ તમારા અપમાનની વાતો ચારે તરફ કરતા ફરશે અને આ રીતે તમારી ફજેતીનો વાવટો ફરકાવતા રહેશે. તેના કરતાં ચૂપ રહેવું સારું. પણ હા, જો તમારામાં બદલો લેવાની ક્ષમતા હોય અને સામેનો માણસ શઠ હોય તો તેને બોધપાઠ જરૂર જણાવો. પણ ચૂપચાપ.
ચાણક્યે કહ્યું છે કે મૌન સેવવું કે ઓછું બોલવું સારું છે પણ આ જ બાબતે સંકોચ વિના જે હોય તે બોલવું હિતાવહ છે.
૧. ધનધાન્યાદિની લેવડદેવડ કરવી હોય કે કરી હોય તેવા પ્રસંગોમાં સંકોચ છોડીને ચોખ્ખી વાત કરવી.
૨. વિદ્યાગ્રહણકાળમાં પણ ગુરુ આગળ સ્પષ્ટ વાત કરવી હિતાવહ કહેવાય. ન સમજ પડી હોય તો ના કહેવી જેથી ફરી-ફરીને ગુરુ સમજાવે. સમજ ન પડી હોય છતાં હાએ હા કરવાથી નુકસાન થાય. માટે સંકોચ છોડીને ચોખ્ખી જેવી હોય તેવી વાત કરવી.
૩. આહારે – જમવા બેઠા હોઈએ ત્યારે સંકોચ રાખીને ના-ના ન કહેવું અને હાથ ધોઈ નાખવાથી ભૂખ્યા રહેવાય. તેથી તે વખતે સંકોચ છોડીને જરૂરી વાનગીઓ માગીને પણ ખાવી, જેથી તૃપ્તિ થાય. પણ જો રસોઈ થોડી હોય અને જમનારા વધારે હોય તો સંકોચ જરૂર કરવો.
૪. વ્યવહારે – વ્યવહારની વાતોમાં ચોખવટ કરવી. ખરીદ – વેચાણ કે બીજો કોઈ વ્યવહાર હોય, વર-ક્ન્યાનો ઈન્ટરવ્યૂ, નોકરીનો ઈન્ટરવ્યૂ, દુકાનની ભાગીદારી વગેરે બધા વ્યવહારોમાં બને તેટલી ચોખવટ કરી લેવી, તેમાં સંકોચ ન રાખવો.
સંતોષ અને અસંતોષ બેઉ જરૂરી છે જીવનમાં. લજ્જા અને નફ્ફટાઈ એ બંને જરૂરી. ચાણક્ય સમજાવે છે કે ક્યારે શું જરૂરી છે. ‘ચાણક્યની વ્યવહારનીતિ’ પુસ્તકમાં સ્વામી સચ્ચિદાનંદ ચાણકયનીતિના આઠમા અધ્યાયના ૧૮મા શ્ર્લોકની સમજૂતી આપતાં ૪ વાત લખે છે.
૧. અસંતુષ્ટ બ્રાહ્મણ નષ્ટ થઈ જાય છે. અર્થાત્ બ્રાહ્મણ અને સાધુ વગેરે જે ભિક્ષાજીવી હોય તેમણે જે કંઈ પોતાની મેળે પ્રાપ્ત થાય તેમાં સંતોષ કરવાનો હોય. જો તે સંતોષ ન કરે અને ‘લાવો-લાવો’ કરે તો તેનું બ્રાહ્મણત્વ અને સાધુત્વ ખોઈ બેસે.
૨. પણ જો બ્રાહ્મણ અને સાધુની માફક રાજા પણ સંતોષી થઈ જાય તો તે નષ્ટ થઈ જાય. રાજા, વ્યાપારી, ઉદ્યોગપતિ અને સાહસિકોએ કદી સંતોષી ન થવું જોઈએ. તેણે તો વધુ ને વધુ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવાની જેથી તે ચક્રવર્તી રાજા થઈ શકે. આ બધાં ક્ષેત્રોમાં જે સંતોષ કરીને અટકી જાય તેનું પતન થઈ જાય. અર્થાત્ અટકીને સ્થિર થવાતું નથી પણ પતન થતું રહે છે. તેથી અસંતોષ એ રાજાનો ગુણ કહેવાય.
૩. ગણિકા જો બહુ શરમાળ હોય તો તેનો નાશ થઈ જાય. અર્થાત્ તેનો ધંધો ચાલે નહીં. ગણિકા તો નિર્લજ્જ હોવી જોઈએ. તે ચેનચાળા-હાવભાવ કરીને કામી લોકોને પોતાની તરફ ખેંચે તો જ તેને સફળતા મળે.
૪. પણ જો કોઈ ખાનદાન ઘરની કુળવધૂ હોય તે જો નિર્લજ્જ થઈ જાય, ગમેતેમ હાવભાવ-ચેનચાળા કરતી થઈ જાય તો તે નષ્ટ થઈ જાય. અર્થાત્ તેની કુલીનતા નષ્ટ થઈ જાય. તેણે તો માન-મર્યાદામાં રહીને લજ્જારૂપી વસ્ત્રો ધારણ કરીને જ જીવવાનું હોય.
નવમા અધ્યાયના ત્રીજા શ્ર્લોકમાં ચાણકયે બ્રહ્માજીએ સર્જેલી સૃષ્ટિમાં જે પાંચ દોષ રહી ગયા છે તેની વાત કરી છે અને સ્વામી સચ્ચિદાનંદે બહુ જ સમજપૂર્વક આ પાંચેય દોષોને વાજબી ઠેરવ્યા છે:
૧. બ્રહ્માજીએ સોનાને સુગંધ ન આપી તે એનો સૌથી પહેલો દોષ. જો સોનું મઘમઘતું હોત તો સોનાના દાગીના પહેરેલી વ્યક્તિમાંથી મઘમઘતી સુગંધ આવતી હોત. પણ જો સોનામાં સુગંધ હોત તો ચોર-લૂંટારાઓએ શોધવા જવું ન પડત. તેને ગમે ત્યાં સંતાડ્યું હોત તો પણ એની સુગંધથી તે જાહેર થઈ જાય, તો તેની રક્ષા કઠિન થઈ જાત.
૨. શેરડીને મીઠો ગળ્યો રસ આપ્યો પણ ફળ ન આપ્યું. જો શેરડીને ફળ લાગતાં હોત તો કેટલા બધાં મીઠાં હોત. આવા મીઠા રસ વિનાનાં વૃક્ષોને મીઠાં ફળ લાગે છે, જેમ કે કેરી, કેળાં, સંતરાં, દ્રાક્ષ વગેરે. તો મીઠા રસવાળા શેરડીના સાંઠાને જો ફળ લાગ્યું હોત તો તે કેટલું બધું મીઠું હોત! બ્રહ્માજીની આ બીજી ભૂલ! પણ માનો કે શેરડી ઉપર ફળોની લૂમ લાગી હોત તો શેરડીમાં રસ જ ન હોત કારણ કે રસ ફળમાં જતો રહેત તો પછી ગોળ, ખાંડ વગેરે પદાર્થોની છૂટ ન હોત અને એટલે જ જે છે તે જ બરાબર છે.
૩. ચંદનમાં મઘમઘતી સુગંધ તો છે પણ તેને પુષ્પો બેસતાં નથી. જો પુષ્પો બેસતાં હોત તો તેની સુગંધ બીજાં બધાં જ પુષ્પો કરતાં વધારે હોત. બ્રહ્માની ભૂલ થઈ ગઈ એમ ચાણક્ય માને છે, પણ સ્વામીજી કહે છે કે જો ચંદનના વૃક્ષને ફૂલો બેસતાં હોત તો ચંદનકાષ્ઠનું કોઈ મહત્ત્વ જ ન હોત. બધી સુગંધ પુષ્પોમાં ચાલી જાત તો ચંદન ઘસીને પૂજન-અર્ચનમાં લગાવવાનું ન હોત. તો ચંદનનું લાકડું એ માત્ર લાકડું જ થઈ જાત, બળતણના કામમાં જ આવતું હોત.
૪. બ્રહ્માએ સરસ્વતીના ઉપાસકો એવા વિદ્વાનોને ગરીબ બનાવ્યા, દરિદ્ર બનાવ્યા, કોઈને ધનાઢ્ય ન બનાવ્યા. ખરેખર તો વિદ્વાનોને ધનાઢ્ય બનાવવા જોઈતા હતા જેથી સરસ્વતી અને લક્ષ્મી એકસાથે રહી શકત. પણ આ દરિદ્રતા અનુભવોનો ભંડાર બની જતી, જેમાંથી નિર્મિત થયેલું સાહિત્ય અદ્ભુત બનીને અમર થઈ જતું. ગરીબી વિના જીવનના અનુભવોનો ભંડાર મળતો નથી. ધનભંડાર કરતાં અનુભવ ભંડાર ઘણો મહાન હોય છે. તેમાંથી રચાયેલા સાહિત્યને અમર સાહિત્યનું પદ મળે છે.
૫. ચાણક્ય બ્રહ્માજીનો પાંચમો દોષ એ બતાવે છે કે તેમણે જે મહાન રાજવીઓ બનાવ્યા અથવા મહાન મનુષ્યો બનાવ્યા તેમને અલ્પાયુ બનાવ્યા. તે બધા વહેલા મરી જતા હોય છે અને મોટા ભાગે જે દુષ્ટ લોકો બનાવ્યા છે તે બહુ લાંબું જીવતા હોય છે. આ ભૂલ થઈ ગઈ કહેવાય. પ્રજાપાલક રાજાઓને દીર્ઘજીવી અને ખલ પુરુષોને અલ્પજીવી બનાવવાની જરૂર હતી, તો લોકો વધુ સુખી થાત. પણ એવું લાગે છે કે તો સજ્જનતાની કે સદ્ગુણોની કદર-કિંમત ન હોત. સજ્જનતા અને સદ્ગુણોની કિંમત-કદર તેમની હયાતીમાં ભાગ્યે જ થતી હોય છે. તેમની ગેરહાજરીમાં લોકોને તેમનો મહિમા સમજાતો હોય છે. લોકોને જે સરળતાથી મળે તેની તેમને કિંમત નથી હોતી, તેનો અભાવ થાય ત્યારે જ તેની મહત્તા સમજાય છે.
ચાણક્ય કહે છે કે આ નવ વસ્તુઓનું જેટલું મર્દન કરો તેટલી જ વધુ ગુણકારી થઈ શકે છે.
૧. શેરડીના સાંઠાને જેમ-જેમ ચાવો તેમ-તેમ રસ આપે. સાંઠાને ચાવ્યા વિના માત્ર મોઢામાં મૂકી રાખવાથી રસ ન આવે.
૨. તલને ઘાણીમાં જેટલા પીસો તેટલું વધુ તેલ નીકળે. પીલ્યા વિના તેલ ન નીકળે.
૩. ક્ષુદ્ર એટલે તુચ્છ માણસોને દબડાવતા રહો તો જ કામ આપે. તેમને બહુ માન-સન્માન આપો તો માથે ચઢી જાય, કામ ન કરે.
૪. કાન્તા-સ્ત્રીને વધુમાં વધુ શારીરિક દબાણ-ઘર્ષણ કરો તો પ્રસન્ન રહે, જો તેને સ્પર્શ પણ ન કરો તો નારાજ રહે. તેને સ્પર્શ-દબાણ-ઘર્ષણ વધુ ગમતાં હોય છે.
૫. હેમ-સુવર્ણને પણ વધુ તપાવીને વધુ ટીપો તો ચળકતું થાય.
૬. મેદિની-ભૂમિને જેમ જેમ હળ વગેરેથી ખેડતા રહો તેમ તેમ તે વધુ ફળ આપતી થાય.
૭. ચંદન-ચંદનને ખૂબ ઝીણું ઘસો તો તેના લેપથી શીતળતા મળે.
૮. દધિ-દહીંને જેટલું વલોવો તેટલું જ માખણ આપે. વલોવ્યા વિના માખણ છૂટું ન પડે.
૯. તામ્બૂલ-પાનને જેમ જેમ ચાવતા રહો તેમ તેમ તેમાંથી સ્વાદ મળે.
ચાણક્ય કહે છે કે આ નવ વસ્તુઓને જેમ જેમ ઘસો તેમ તેમ વધુ ફળદાયી થાય.
આ ઉપરાંત ચાણક્ય કહે છે કે ૧. દરિદ્રતા ધીરજથી શોભે છે. અર્થાત્ જીવનમાં દરિદ્રકાળ પણ આવે. તેવા સમયે જો માણસ હાય-હાય કરીને જ્યાં ત્યાં ગમે તેની પાસે રડીને માગતો ફરે તો તુચ્છ થઈ જાય. પણ તેવા સમયે જો ધીરજ રાખીને ચૂપ રહે, શાન્ત રહે, કોઈની પાસે કશું માગે નહીં તો તેની દરિદ્રતા પણ શોભી ઊઠતી હોય છે. દરિદ્રતામાં જ અયાચકતા શોભે છે.
૨. કુવસ્ત્રતા – માણસ સસ્તાં વસ્ત્રો પહેરે, પણ સ્વચ્છ કરીને પહેરે તો સસ્તાં વસ્ત્રો પણ શોભી ઊઠે છે. વસ્ત્રો મોંઘાં હોય પણ મેલાં હોય, લઘરવઘર હોય તો ન શોભે.
૩. સસ્તું અન્ન હોય પણ તાજું, સારી રીતે રાંધેલું હોય તો તે સ્વાદિષ્ટ લાગે છે. મોંઘું અન્ન હોય, પણ કાચુંપાકું, બરાબર રંધાયેલું ન હોય તો તેનો સ્વાદ ન આવે.
૪. કુરૂપતા – માણસ કદરૂપો હોય, પણ શીલવાન હોય તો દીપી ઊઠે. બહુ રૂપાળું માણસ હોય પણ શીલ વિનાનું હોય તો તે શોભે નહીં, તુચ્છ લાગે.
ચાણક્ય નીતિ વિશેની વાતોને અહીં વિરામ આપીને આવતી કાલથી બે દિવસ માટે મહાભારત ની વાત કરીએ. લૉકડાઉનના આ ગાળામાં દૂરદર્શન પર એનું પણ પુનઃપ્રસારણ તમે જોઈ રહ્યા છો. ગુરુ દ્રોણાચાર્યની એન્ટ્રી થઈ ચૂકી છે. બે દિવસ માટે એમની જ વાત કરીને જીવનમાં કામ લાગે એવી ચાર ચીજો શીખવાની છે.
આજનો વિચાર
વર્તમાનની આ પળને જીવો જો જીવી શકો,
એમાં જ તો ભવિષ્યનાં આગામી સાલ છે.
—મરીઝ
અનેક સંતોનો સંગ મેળવીને, અથાગ પ્રયત્ને
સાગર મંથનથી અમૃત કાઢીને, આપ જેવા સ્વજન આમ જનતાની અવિરત સેવા કરવા સૌરભભાઈ આપને સ્નેહવંદન ! 🙏
સૌરભભાઈ, ખૂબ સરસ…
પણ એક ભૂલ હોય એવું લાગે છે,
જે લોભીયો માણસ હોય એને ધન આપીને…..
સુધારવા જેવું હોય તો સુધારી લેજો પ્લીઝ…
?
Sir ji, pls kahevata buddhijivi like Javed Akhtar, nasirudin shah and anya ni tablingi Jamat na loko na vartan ange ni chpkidi ange ek lekh Lakho, thnx
શ્રી સૌરભભાઈ ,
વંદન .
આપના લેખ વાંચી ખુબ આનંદ થાય છે . એક નવાજ દ્રષ્ટિ કોણ થી પ્રસન્ગ જોવા મળે છે . આપના કાર્ય માટે અભિનંદન . કુદરત આપને આ કાર્ય માટે સદાય શક્તિ આપે તેજ પ્રાર્થના .
નીચે જણાવેલ વિચાર સાથે આપ સહમત હસો .
સમર્ગ દેશ માંથી કાળાબજાર કે કોઈ પણ વસ્તુ ના વેપારીઓ કે પ્રજા દ્વારા સંગ્રહ થયા ના પણ સમાચાર નથી .
ખરે ખર –
मेरा भारत बदल रहा है .
मुझे गर्व है सभी भारत वसीयो पर .
??
નવનીત કા બોડા
( ret teacher.)
હું એકસો રૂપિયા ન્યૂઝ પ્રેમી માટે મોકલવું છું સાભાર સ્વીકાર કરશો
?