‘કમ-સે-કમ ઈસ્તીફે કા ઑફર તો કરતે’

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

વાજપેયી સાથેના બીજા મહત્ત્વના મતભેદ વિશેનું બયાન લખતાં અડવાણી આત્મકથામાં જણાવે છે કે નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન બન્યાના એક વર્ષ કરતાં પણ ઓછા ગાળામાં જટિલ સાંપ્રદાયિક સ્થિતિનો શિકાર બનવું પડે તે અન્યાયપૂર્ણ કહેવાય, અડવાણીએ સ્પષ્ટ કહી દીધું કે રમખાણોના કારણે મોદીને હટાવવામાં આવશે તો ગુજરાતના સામાજિક તાણાવાણા પર એની દીર્ઘકાલીન અસરો પડશે. અડવાણી જાણતા હતા કે ગુજરાતની ઘટનાઓએ વાજપેયીને ઊંડું દુ:ખ પહોંચાડ્યું છે. ૧૯૯૮માં એન.ડી.એ.ની સરકાર બની એ પછી દેશ આખામાં કોમી રમખાણોના કિસ્સા સાવ ઘટી ગયા હતા એ વિશે ભાજપને ગર્વ હતો. ૨૦૦૨નાં રમખાણો ન્હોતાં થયાં ત્યાં સુધી ભાજપે વિપક્ષીઓના એ ડરને નાબૂદ કરી નાખ્યો હતો કે ભાજપ સત્તા પર આવશે તો દેશમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વિરુદ્ધ મોટે ભાગે કોમી હુમલાઓ થવા માંડશે. વાસ્તવિક્તા એ હતી કે વાજપેયીની સરકારે ભારતના મુસ્લિમોનો જ નહીં, વિશ્ર્વના ઈસ્લામિક દેશોના મુસ્લિમોનો વિશ્ર્વાસ જીતવામાં પણ સફળતા મેળવી હતી. આવામાં ગુજરાતનાં કોમી રમખાણોને કારણે સરકારના તેમ જ ભાજપના વૈચારિક વિરોધીઓએ જે કડવી નિંદાનો મારો ચલાવ્યો તેને કારણે ઘણું નુકસાન થઈ રહ્યું હતું, એવું લખીને અડવાણી ઉમેરે છે કે આવી પરિસ્થિતિને કારણે અટલજીના મન પર ઘણો મોટો બોજો હતો. અટલજીને લાગતું હતું કે, આનો કોઈ ઈલાજ કરવો જોઈએ, કોઈ નક્કર નિર્ણય લેવાવો જોઈએ. એ ગાળામાં મોદીએ રાજીનામું આપી દેવું જોઈએ એવી માગ થઈ રહી હતી, મોદી પર દબાણ વધી રહ્યું હતું. વાજપેયીએ આ વિશે પોતાના વિચારો સ્પષ્ટપણે પ્રગટ નહોતા કર્યા પણ અડવાણી જાણતા હતા કે વાજપેયી મોદીએ રાજીનામું આપવું જોઈએ એવું જ કહેવાના છે. વાજપેયીને એ પણ ખબર હતી કે અડવાણી આવા કોઈ નિર્ણયના પક્ષમાં નહોતા.

એપ્રિલ ૨૦૦૨ના બીજા અઠવાડિયામાં ગોવામાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક હતી. મીડિયા અને મીડિયાના રાજકીય સૂત્રો એવી અટકળો લગાવી રહ્યા હતા કે, આ બેઠકમાં ભાજપ ગુજરાત વિશે કઈ દિશામાં વિચારવિમર્શ કરશે અને મોદી વિશે શું નિર્ણય લેવાશે.

(એક આડવાત: ગોવાની આ બેઠકમાં જતાં પહેલાં, દસમી એપ્રિલે, મોદી મુંબઈની મુલાકાતે આવ્યા હતા અને મલબાર હિલ પર આવેલા મહારાષ્ટ્ર સરકારના ગેસ્ટ હાઉસ ‘સહ્યાદ્રિ’માં મોદી મુંબઈના કેટલાક સિનિયર ગુજરાતી પત્રકારોને લંચ પર મળ્યા હતા).

અડવાણી લખે છે: ‘અટલજીને કહા કિ મૈં નઈ દિલ્લી સે ગોવા તક કી યાત્રા કે સમય ઉનકે સાથ રહું.’

વિશેષ વિમાનમાં વડા પ્રધાન મોટેની નિર્ધારિત જગ્યામાં વાજપેયી, અડવાણી, વિદેશ મંત્રી જસવંત સિંહ તથા કમ્યુનિકેશન તથા ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રી અરુણ શૌરી પણ હતા. બે કલાકના પ્રવાસ દરમ્યાન શરૂઆતમાં ચર્ચાનું કેન્દ્ર ગુજરાતની ઘટનાઓ હતું. અટલજી ધ્યાનમગ્ન હતા. થોડી વાર સુધી નિસ્તબ્ધતા છવાયેલી રહી. ત્યાં જ જસવંત સિંહે પૂછેલા પ્રશ્ર્નને કારણે મૌનનું વાતાવરણ વિખરાયું: ‘અટલજી, આપ ક્યા સોચતે હૈ?’ અટલજીએ કહ્યું: ‘કમ-સે-કમ ઈસ્તીફે કા ઑફર તો કરતે.’ ત્યારે અડવાણી બોલ્યા: ‘યદિ નરેન્દ્ર કે પદ છોડને સે ગુજરાત કી સ્થિતિ મેં સુધાર આતા હૈ તો મૈં ચાહૂંગા કિ ઉન્હેં ઈસ્તીફે કે લિએ કહા જાએ. લેકિન મૈં નહીં માનતા કિ ઈસસે કોઈ મદદ મિલ પાએગી. મુઝે વિશ્ર્વાસ નહીં હૈ કિ પાર્ટી કી રાષ્ટ્રીય પરિષદ યા કાર્યકારિણી ઈસ પ્રસ્તાવ કો સ્વીકાર કરેગી.’

પ્લેન જેવું ગોવા પહોંચ્યું કે અડવાણીએ પહેલું કામ નરેન્દ્ર મોદીને મળવાનું કર્યું. અડવાણીએ મોદીને કહ્યું કે તમારે ત્યાગપત્ર આપી દેવાની ઑફર કરવી જોઈએ. મોદીએ તરત જ અડવાણીને હા પાડી. રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ગુજરાત વિશે ચર્ચા-વિચારણા શરૂ થઈ ત્યારે અનેક સભ્યોએ પોતપોતાના વિચારો રજૂ કર્યા. સૌને સાંભળી લીધા પછી મોદીએ સૌને સંબોધવા ઊભા થયા. એમણે ગોધરામાં બનેલી અને ગોધરા પછી ગુજરાતમાં બનેલી ઘટનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી. સાથોસાથ ગુજરાતમાં ભૂતકાળમાં થયેલાં કોમી રમખાણોના ઈતિહાસનું બૅકગ્રાઉન્ડ પણ આપ્યું અને સ્પષ્ટ કર્યું કે પાછલા દાયકાઓમાં કેવી રીતે વારંવાર રમખાણો થતાં રહ્યાં છે. આટલું કહીને એમણે પોતાના ભાષણના અંતમાં કહ્યું:

‘ફિર ભી, સરકાર કા અધ્યક્ષ હોને કે નાતે મૈં અપને રાજ્ય મેં ઘટિત હોનેવાલે ઈસ કાંડ કી જિમ્મેદારી લેતા હૂં. મૈં ત્યાગપત્ર દેને કે લિએ તૈયાર હૂં.’

આ પછી શું થયું તેની વિગતો આવતી કાલે. દરમ્યાન, અડવાણીએ ‘માય ક્ધટ્રી, માય લાઈફ’માં લખેલા પોતે જે બનાવના સાક્ષી છે તેના વર્ણનથી વિપરીત એવી હજાર બાબતો કોઈએ સાંભળી હોઈ શકે છે. એની વાતો પર ભરોસો ન થાય. અડવાણી જ્યારે જાહેરમાં, પોતાની જવાબદારીથી, પોતાની હન્ડ્રેડ પર્સેન્ટની ક્રેડિબિલિટી સાથે જે કંઈ કહેતા હોય તેમાં અસત્યનો એક પણ છાંટો ન હોઈ શકે. અડવાણીના આ વર્ઝનને જો કોઈ ચેલેન્જ કરી શકે એમ હોય તો તેવી એક જ વ્યક્તિ છે, મોદી સ્વયં. એ જ્યારે પોતાના સંસ્મરણો કે આત્મકથા લખે ત્યારની વાત ત્યારે. ત્યાં સુધી અડવાણીનું આ વર્ઝન જ ફાઈનલ ગણાય. અને આપણને ખાતરી છે કે મોદીના વર્ઝનમાં પણ તસુભાર તફાવત નહીં હોય.

આજનો વિચાર

સ્મૃતિ એક એવી ડાયરી છે જે ચોવીસે કલાક આપણા ખિસ્સામાં રહેતી હોય છે.

– ઑસ્કાર વાઈલ્ડ

( મુંબઇ સમાચાર : સોમવાર, 3 સપ્ટેમ્બર 2018)

5 COMMENTS

  1. સુવાની તૈયારી ચાલતી હતી ત્યાં તો જન્માષ્ટમી સ્પેશિયલ ભાગ:૧, ભાગ:૨ અને કમસેકમ ઈસતિફે કા ઓફર તો કરતે.. વાંચીને ખરેખર *જન્માષ્ટમી* સુધરી ગઈ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here