હર શીશે કે દિલ મેં એક તસવીર હૈ, એક શીશા દિલ હમારે સીને મેં ભી હૈ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : મંગળવાર, ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૩)

રોઝીની કરિયર કેવી રીતે સડસડાટ ભાગે છે તે દર્શાવવા એક એવું ગીત હવે આવે છે જેમાં વહીદા રહેમાનની નૃત્ય વિશારદ તરીકેની તમામ ખૂબીઓ પ્રગટ થાય છે.

‘પિયા તોસે નૈના લાગે રે…’માં એક લેયર પર રોઝીની કારકિર્દી તેમ જ એની ડાન્સિંગ એબિલિટી દર્શાવાઈ છે અને બીજા સ્તર પર – ગીતના શબ્દોના સ્તર પર – રાજુ માટેના એના પ્યારની તડપ પ્રગટ કરવામાં આવી છે.

હોળી-દિવાળીના તહેવારો તારા વિના કેટલા ફિક્કા છે અને હે રાતની ચાંદની, તું અત્યારે નહીં આવ, મારા પ્રિયતમ આવશે ત્યારે તું આવજે—શૈલેન્દ્રે લખેલા આ શબ્દોને કારણે ગીત મલ્ટિડાયમેન્શનલ બન્યું છે. એટલું જ નહીં દિવાળીવાળા અંતરા વખતે વહીદાજીને મરાઠી લાવણીના સ્ટેપ્સ (તથા એવો જ નવવારી સાડીનો ડ્રેસ) આપવામાં આવ્યાં છે તો તમે જુઓ કે આ મહાન ગીતકારે દિવાળી ‘આવી’ માટે હિંદીમાં ‘આઈ’ શબ્દ વાપરવાને બદલે મરાઠી શબ્દ ‘આલી’ વાપરીને એનો પ્રાસ દીવાલી સાથે કેવો જોડી દીધો છે. આવું બારીક નકશીકામ કર્યું હોય ત્યારે સાડા આઠ મિનિટ લાંબું ગીત ક્યારે પૂરું થઈ જાય એની પણ ખબર ના પડે:

પિયા તોસે નૈના લાગે રે
જાને ક્યા હો અબ આગે રે…
જગ ને ઉતારે ધરતી પે તારે
પર મન મેરા મુરઝાએ
ઉન બિન આલી, ઐસી દીવાલી
મિલને કો જિયા ઉકલાયે
આ સજન પાયલ પુકારે
ઝનક ઝન ઝન ઝનક ઝન ઝન
પિયા તોસે…

રોઝીમાંથી મિસ નલિની બની ગયેલી નાયિકાના નૃત્ય-પ્રવાસના વિવિધ તબક્કાઓ આ એક જ ગીતમાં એક પછી એક આવતા જાય છે.

‘ભોર કી બેલા સુહાની’વાળો અંતરો પૂરો થયા પછી સંગીત અને લતાજીનો અવાજ મંદ થતાં જાય છે, જાણે ગીત પૂરું થવાનું છે એવો અણસાર મળે છે. આમેય પોણા પાંચ મિનિટ વીતી ચૂકી છે એટલે ગીત પૂરું જ થશે એવું દર્શકોને લાગે. વહીદાજી અને દેવસા’બ ઘરમાં રાત્રે આડા પડી રહ્યાં છે એટલે ગીતનો નિશ્ર્ચિતપણે અંત આવી રહ્યો છે એવી પ્રતીતિ થાય. પણ ત્યાં જ ઘૂંઘરુનો રણકાર થાય અને વાયોલિનોનો ‘વોઈન્ક’ જેવો અવાજ સંભળાય જેમાં સિતાર ભળે અને તરત હોળીવાળો અંતરા શરૂ થઈ જાય. કેટલાકના મતે ફિલ્મના આરંભે, હજુ એક પણ ગીત નથી આવ્યું ત્યારે (અફકોર્સ ‘વહાં કૌન હૈ તેરા’ ટાઈટલ પડે છે ત્યારે આવી ગયું છે) વહીદાજી સપેરાની બસ્તીમાં જઈને નાગકન્યાની જેમ નૃત્ય કરે છે તે આ ફિલ્મમાં વહીદાજીએ કરેલું શ્રેષ્ઠ નૃત્ય છે. પણ જો તમે ‘પિયા તોસે’માં હોળીવાળા અંતરામાં વહીદાજીને જુઓ તો લાગે કે આ અંતરામાં એમણે કરેલા બહેતરીન સ્ટેપ્સની તોલે ફિલ્મના બીજા કોઈપણ ગીતમાં (કે સર્પનૃત્યમાં માત્ર સંગીત સાથે) કરેલા સ્ટેપ્સ ન આવે.

આઈ હોલી આઈ સબરંગ લાઈ
બિન તેરે હોલી ભી ન ભાયે
ભર પિચકારી સખિયોં ને મારી
ભીગી મોરી સારી હાયે હાયે
તનબદન મોરા કાંપે થર થર
ધિનક ધિન ધિન ધિનક ધિન ધિન
પિયા તોસે…

આ ગીતમાં સચિનદાએ ઉત્કૃષ્ટ કંપોઝિશન કરવાની સાથે કોરસનો જે લાજવાબ ઉપયોગ કર્યો છે તે ખાસ માર્ક કરજો. વિશેષ કરીને આ છેલ્લા અંતરામાં સંગીતના કોઈ ઈન્સ્ટ્રુમેન્ટની અવેજીમાં તેમ જ ગીતની છેલ્લી ક્ષણોમાં ક્રેસેન્ડો વખતે જે રીતે કોરસનો ઉપયોગ થયો છે તેને મહેસૂસ કરશો તો દિલ ઝૂમી ઊઠશે. આ અંતરામાં પ્રિય વ્યક્તિના મિલનની આશાને, તડપને કેટલી મખમલી રીતે શબ્દો દ્વારા વ્યકત કરવામાં આવી છે તેની પણ તમે નોંધ લેજો:

રાત કો જબ ચાંદ ચમકે જલ ઉઠે તન મેરા
મૈં કહું મત કરો ચંદા ઈસ ગલી કા ફેરા
આના મોરા સૈંયા જબ આયે
ચમકના ઉસ રાત કો જબ મિલેંગે તનમન મિલેંગે તનમન
પિયા તોસે…

હવે જે ગીત આવી રહ્યું છે તે ગીત ટેક્નિકલી પિકચરનો મિડ પોઈન્ટ છે કારણ કે આ ગીત પછી સ્ટોરી પલટો મારવાની છે, ડાર્ક બનવાની છે. દિલથી બનાવેલી ફિલ્મમાં આવતા આવા ભાવપલટાની રોલર કોસ્ટર રાઈડને કારણે પ્રેક્ષક વારંવાર એ ફિલ્મ જોવા આકર્ષાતો હોય છે.

દેવસા’બ કહે છે: ‘હર શીશે કે દિલ મેં એક તસવીર હૈ, એક શીશા દિલ હમારે સીને મેં ભી હૈ જો હરદમ ઈસ મોહાની (મોહક) સૂરત કો છુપાયે રખતા હૈ.’

આ સાંભળીને વહીદાજી કહે છે: ‘અચ્છા! આગે બોલિયે…’

અને ગીત શરૂ થાય છે જેમાં બૉન્ગો અને કોન્ગોની રિધમ તેમ જ સેક્સોફોનનો જે રીતે ઉપયોગ થયો છે તે શમ્મી કપૂરની એ વાતને સાબિત કરે છે જે શમ્મીજીએ આર. ડી. બર્મન વિશેની બ્રહ્માનંદ સિંહની દસ્તાવેજી ફિલ્મ ‘પંચમ અનમિક્સ્ડ’માં ઑન રેકોર્ડ કહી છે. શમ્મી કપૂરના કહેવા મુજબ બર્મનદાની બીમારીના ગાળામાં ‘ગાઈડ’નું ‘ગાતા રહે મેરા દિલ’ તથા ‘આરાધના’નું ‘કોરા કાગઝ થા યે મન મેરા’ પંચમે કંપોઝ કર્યાં અને રેકોર્ડિંગ પણ પંચમે જ કરાવ્યું. (ઘણા જાણકારો ‘મેરે સપનોં કી રાની’ તથા ‘રૂપ તેરા મસ્તાના’ પણ આર. ડી.ની નીપજ છે એવું કહે છે. બીજી બાજુ, ‘નાઈન્ટી ફોર્ટી ટુ-અ લવ સ્ટોરી’ના ‘કુછ ના કહો’ – વાળા ગીતની પ્રેરણા પંચમે પોતાના પિતાજીની અતિ પ્રાચીન ધૂન ‘રોંગીલા રોંગીલા’ પરથી લીધી હતી. આપણે ચાહકોએ આવા વિવાદોમાં ઊંડા ઉતરવાને બદલે ગીતો માણવાનાં. પિતાનું સર્જન હોય કે પુત્રનું – અંતે તો હેમનું હેમ જ છે ને, અને તે પણ ચોવીસ કેરેટનું હેમ છે).

ગાતા રહે મેરા દિલ
તૂ હી મેરી મંઝિલ
કહીં બીતે ના યે રાતેં
કહીં બીતે ના યે દિન

ગીતના પ્રથમ ચાર શબ્દો હિન્દી ભાષામાં એક સ્વતંત્ર મુહાવરા જેવા બની ગયા છે અને અનેક સંદર્ભમાં અનેક લોકોએ અનેક પ્રકારે એનો સુંદર ઉપયોગ કર્યો છે. વહીદાજીની પિન્ક સાડી અને દેવસા’બના રેડ સ્વેટરને યાદ કર્યા વિના આ ગીત અધૂરું લાગે. આ ગીતમાં વહીદાજીની હેરસ્ટાઈલ પણ તમારું ધ્યાન ખેંચ્યા વિના ન રહે.

ગીત પૂરું થાય અને પ્રેક્ષકને પણ લાગવા માંડે કે આ હરીભરી ક્ષણો વીતવી ન જોઈએ, તૂટવી ન જોઈએ. રાજુ-રોઝીના પ્યારમાં કોઈ વિઘ્ન ન આવવું જોઈએ.

કથાનક અને ગીતો એકબીજાનો હાથ પકડીને એકબીજાની આડે આવ્યા વિના એકબીજાને ગતિ આપતાં રહીને યાત્રા કરતાં રહે ત્યારે કેવું જબરજસ્ત પરિણામ આવે છે તેનો પુરાવો ‘ગાઈડ’ ફિલ્મ છે.

ફિલ્મમાં એક તોતિંગ વળાંક આવ્યા પછી જે ગીતો આવે છે તેના વિશે હવે વાત કરીશું.

* * *

‘ક્યાબાત હૈ સર, આજ આપ અકેલે પી રહે હૈં?’

‘બાતેં કરને કે લિયે ઈતના તરસ રહા થા કિ સોચા થોડી પી કર અપને આપ સે કુછ કહુંગા… મણિ, મૈં કુછ ચીડચીડાસા હો ગયા હૂં. કભી ગુસ્સે મેં બુરાભલા કહ ડાલા કરું તો બુરા મત માનના…

‘મેરી ક્યા મજાલ, સર’

‘ઝિંદગી ભી એક નશા હૈ, દોસ્ત… જબ ચડતા હૈ તો પૂછો મત ક્યા આલમ રહતા હૈ. લેકિન જબ ઉતરતા હૈ…’

રાજુ ગાઈડ અને એના પર્સનલ સેક્રેટરી મણિ વચ્ચેનો આ યાદગાર સંવાદ જેમણે ‘ગાઈડ’નાં ગીતો એલ. પી. રેકૉર્ડ પર સાંભળ્યાં હશે તેમને યાદ હશે અને એ પણ યાદ હશે કે આ સંવાદ દરમ્યાન ગ્લાસમાં શરાબ રેડવાનો અને પછી સોડા નાખવાનો અવાજ પણ સ્પષ્ટ સંભળાય છે.

રાજુ અને રોઝી વચ્ચે અત્યાર સુધી જે ગુલાબી-ગુલાબી હતું તે બધું બ્લૅક ઍન્ડ વ્હાઈટ થઈ ચૂક્યું છે. રોઝીની કમાણીમાંથી જુગારમાં પૈસા ઉડાવતો રાજુ રોઝી માટે આવેલી માર્કોની કિતાબને છુપાવે છે. અને ભલે બદઈરાદો ન હોય છતાં પણ કાયદેસર જે ગુનો ગણાય તે રોઝીની બનાવટી સહી પણ એ કરી ચૂક્યો છે. રોઝીને હજુ માત્ર પેલી બુકવાળી જ વાતની ખબર છે, સહીવાળી વાત હજુ એના કાને આવી નથી. રાજુ અને રોઝી વચ્ચેનું અંતર વધતું જાય છે. રાજુ રોઝીને મનાવવાની ઘણી કોશિશ કરે છે. છેવટે હારીને એ પોતાના સેક્રેટરી સાથે પીવા બેસી જાય છે. આ એ જ સેક્રેટરી છે જેણે અજાણતાં, ઈનોસન્ટલી, માર્કોની બુક આવી છે એ વાત રોઝીને કહી દીધી હતી જેને કારણે રોઝી રાજુથી રૂઠી ગઈ હતી અને રાજુએ આ ખાનગી વાત રોઝી આગળ જઈને કહી આવવા બદલ મણિને તતડાવી નાખ્યો હતો. અત્યારે આ જ મણિને રાજુ એનો અને પોતાનો – બેઉના પેગ તૈયાર કરવાનું કહે છે, માફી પણ માગે છે. રાજુ જિંદગીમાં હતાશ થઈ ગયો છે. દિવસ તો જેમ તેમ કામની દોડાદોડીમાં પૂરો થઈ જાય છે પણ સાંજ પછી આવતી ભેંકાર રાતે એની પાસે કોઈ નથી, એની સાથે કોઈ નથી.

દિન ઢલ જાયે, હાય રાત ન જાયે
તૂ તો ન આયે તેરી યાદ સતાયે

પ્યાર મેં જિનકે સબ જગ છોડા ઔર હુએ બદનામ
ઉનકે હી હાથોં હાલ હુઆ યે, બૈઠે હૈ દિલ કો થામ
અપને કભી તો, અબ હૈ પરાયે
દિન ઢલ જાયે…

દિલ કે મેરે પાસ હો ઈતને ફિર ભી કિતની દૂર
તુમ મુઝ સે, મૈં દિલ સે પરેશાન દોનો હૈ મજબૂર
ઐસે મેં કિસ કો કૌન મનાયે
દિન ઢલ જાયે…

લાચારી, અફસોસ અને ગિલ્ટના ત્રિવેણી સંગમ જેવા શૈલેન્દ્રના આ શબ્દો તમારા દિલમાં સોસરવા ઊતરી જાય. દિલની અંદર એકલતાની વરાળ ઉમટે, એનું વાદળું બંધાય જેની વર્ષા આંખમાંનાં આંસુરૂપે બહાર નીકળે. દારૂ પીતા હો કે ન પીતા હો – આ ગીત સાંભળીને/જોઈને તમારી આંખ ભીની થયા વિના નહીં રહે.

ચેલેન્જ.

આ ગીતની ધૂન, એના શબ્દો આ નહોતા. એસ. ડી. બર્મને અલગ ધૂન અને અલગ શબ્દો ધરાવતું ગીત રેકોર્ડ કરી લીધું હતું પણ દેવ આનંદ – વિજય આનંદે એ જ્યારે સાંભળ્યું ત્યારે લાગ્યું કે એમણે આ ધૂન ઓકે કરવામાં ભૂલ કરી છે. પણ સિંહને કોણ કહે કે મોઢું ગંધાય છે. સચિનદાને ફોન કરવાની હિંમત તો કરી પણ કહેવું શું. કહે કે, ગીત બહુ સરસ બન્યું છે, પણ એમાં એ ભાવ નથી આવતો જે સિચ્યુએશન માગે છે.

બેઉ ભાઈઓએ ગરમ મિજાજના સચિનદા પાસે રૂબરૂ જઈને ફરી સિચ્યુએશન સમજાવી. જે કંઈ તૂટ્યું છે તેમાં માત્ર રોઝીનો કે માત્ર રાજુનો વાંક નથી. રાજુએ કિતાબ છુપાવી તે રોઝીને છેતરવા નહીં પણ માર્કો ફરી રોઝીના જીવનમાં પ્રવેશવાની કોશિશ કરશે એવી અસલામતીથી છુપાવી. રોઝીએ રાજુને જુગાર માટે વધારાના પૈસા આપતી વખતે આટલા બધા પૈસા ક્યાં ખર્ચાય છે એવું કહ્યું તે કંઈ એવા ભાવથી નહીં કે આ બધી મારી એકલીની કમાણી છે. રોઝી એવું પણ જતાવવા નથી માગતી કે રાજુ તો મારા પૈસે માત્ર તાગડધિન્ના કરે છે. પણ એવા ભાવથી કહે છે કે જરા સંભાળીને ખર્ચા કરીશું તો ભવિષ્યમાં જ્યારે હું સ્ટેજ શો કરવાની ઉંમર વટાવી ગઈ હોઈશ ત્યારે પૈસા બચાવ્યા હશે તો કામ લાગશે. રોઝીના ઠપકાનો સૂર આ હતો.

સચિનદાએ કહ્યું: ઠીક છે. બેઉ ભાઈઓ પાછા ગયા. થોડા જ દિવસમાં અચાનક સચિનદાનો ફોન આવ્યો. નવી ધૂન તૈયાર છે. સંભળાવી. ખુશ ખુશ. પણ શબ્દો? શૈલેન્દ્રને ફોન કરીને બોલાવવામાં આવ્યા. ધૂન સાંભળીને શૈલેન્દ્રે પંદર જ મિનિટ એકાન્તમાં બેસીને ગીતનું સર્જન કર્યું. દિગ્દર્શકની સૂઝ, નિર્માતાની ફરી ખર્ચ કરવાની તૈયારી, સંગીતકારની ખેલદિલી અને ગીતકારની તત્પરતાનું પરિણામ છે ‘દિન ઢલ જાયે’ જેવું અમર ગીત. મોહમ્મદ રફીએ જીવ નીચોવીને ગાયું છે. ‘તૂ તો ન આયે તેરી યા…દ સતાયે’માં યાદ શબ્દના બે અક્ષર વચ્ચેની જગ્યાને લંબાવીને આ દર્દના નીચોડને એમાં ઠાંસી ઠાંસીને રફીસા’બે ભર્યો છે. ‘દિલ કે મેરે પાસ હો ઈતને’વાળા અંતરામાં વહીદાજી નિસરણી ઊતરીને નીચે આવે છે, અડધે આવીને રોકાઈ જાય છે અને નિસરણીની બીજી બાજુ દેવસા’બ છે. બેઉ ફરી મળવાને આતુર છે, છતાં મળતાં નથી, મળી શકતાં નથી, બેઉના મનમાં એવું ઘણું બધું છે જેને છોડીને ફરી મળવાનું કોઈના માટે શક્ય નથી. ગેરસમજો અને અહમ વચ્ચે ટકરાવ થાય ત્યારે પહેલો ભોગ સંબંધનો લેવાતો હોય છે. આ શોટ પહેલાં, વરસાદવાળા અંતરામાં મણિ અધૂરો ગ્લાસ છોડીને, દેવસા’બને એમના પોતાના વાતાવરણમાં મૂકીને, જતો રહ્યો છે. રાજુ ફરી એકલો પડી ગયો છે. રોઝી આવે છે પણ પૂરેપૂરી નિસરણી ઉતરતી નથી. પાછી ઉપર જતી રહે છે. બેઉના જીવનમાં, હવે કઈ આંધી આવવાની છે એની એંધાણી આ ગીત પૂરું થયા પછીના દૃશ્યમાં મળી જાય છે. રાજુ રોઝીનો સાથ છોડી દે છે, સંગાથ છોડી દે છે. ગાઈડ તરીકેના પોતાના અસલી પહેરવેશમાં આવીને રોઝીને એકલી જ શો માટે થિયેટર પર મોકલી આપે છે. અને પોતે મામાને ત્યાં જતી રહેલી માને પત્ર લખીને જણાવી દે છે: માં, તુમ્હારા રાજુ લૌટ આયા હૈ, મગર તુમ્હારે બગૈર ઘર ઘર નહીં લગતા. રાત રાત પડા રહતા હૂં, નીંદ નહીં આતી, ન કોઈ ખિલાનેવાલા, ન કહાની સુનાકર સુલાનેવાલા…

આ પત્ર વાંચીને તરત મામા કહે છે: ‘ચલો, બહન સામાન બાંધો, શહર જાયેંગે…’

રોઝી માટે જેણે બધું જ છોડી દીધેલું એવો થાકેલો હારેલો રાજુ મા સાથેના પુનર્મિલનની રાહ જોતો પોતાના જૂના આવાસમાં રોઝીની તસવીરો પંપાળી રહ્યો હોય છે ત્યાં જ દરવાજા પર ટકોરા પડે છે. રોઝી મનાવવા આવી હશે? મા પાછી આવી હશે?

ના. રાજુનો જૂનો દોસ્ત ગિરધારી છે. પોલીસ અફસર બની ગયો છે. દોસ્ત તરીકે નહીં, ફરજપરસ્ત સરકારી નોકર તરીકે આવ્યો છે. આ ગિરધારીનો રોલ કૃષ્ણ ધવને કર્યો છે. આ કૃષ્ણ ધવન એટલે? શૈલેન્દ્ર નિર્મિત ‘તીસરી કસમ’માં ‘ચલત મુસાફિર’ ગીત સાંભળ્યું છે ને તમે? રાજ કપૂર એ ગીતમાં માત્ર હાથમાં ડફલી લઈને બજાવ્યા કરે છે. મન્નાડેના અવાજમાં ગીત ફિલ્મમાં કોણ ગાય છે? ‘ગાઈડ’નો પોલીસવાળો ગિરધારી ઉર્ફે કૃષ્ણ ધવન. એમના દીકરાને પણ તમે ટીવી સિરિયલોમાં તથા ફિલ્મોમાં જોયો છે. કોણ?

‘નુક્કડ’ સિરિયલથી વધુ જાણીતા થયેલા ટીવી એકટર દિલીપ ધવનના પિતા કૃષ્ણ ધવન વિશે જાવેદ અખ્તરે એક વખત શૈલેન્દ્ર વિશેના પોતાના ટીવી શોના એપિસોડમાં ભૂલથી એવી માહિતી આપી હતી કે ચલત મુસાફિરવાળા અભિનેતા કૃષ્ણ ધવન વરુણ ધવનના દાદા અને ડેવિડ ધવન (તથા અનિલ ધવન)ના પિતા થાય. જાવેદ સા’બની આ સરતચૂક હતી. મેં એક કરતાં વધુ ઑથેન્ટિક સોર્સીસમાંથી કન્ફર્મ કર્યું છે કે આ કૃષ્ણ ધવનના પુત્ર દિલીપ ધવન છે, નહીં કે ડેવિડ-અનિલ ધવનના પિતા.

ઍની વૅ. ‘ગાઈડ’ના એ સીનમાં દેવ આનંદ રોઝીને છોડીને પોતાનાં મૂળિયાં શોધતો પાછો પોતાના ઘરે આવે છે. માને લખેલા પત્ર પછી મા ક્યારે મામાને ત્યાંથી પાછી આવે અને ફરી ક્યારે એ પોતાની જૂની જિંદગી શરૂ કરે, ગાઈડ તરીકેનું કામ શરૂ કરે એની રાહ જોઈ રહ્યો છે. ત્યાં જ અભિનેતા કૃષ્ણ ધવન ઉર્ફે ગિરધારી રાજુના દરવાજે ટકોરા મારે છે. રાજુ પોતાના જૂના દોસ્તને આવકારે છે પણ ગિરધારી દોસ્ત તરીકે નહીં, પોલીસ તરીકે આવ્યો છે.

ગિરધારી રાજુની ધરપકડ કરવા આવ્યો છે. એની પાસે અરેસ્ટ વૉરન્ટ છે. રાજુને તાત્કાલિક પોલીસ કસ્ટડીમાં લઈ જવાનો છે. રાજુની વિનંતીને માન્ય રાખીને દોસ્તીદાવે ગિરધારી એને નલિની ઉર્ફે રોઝીને મળવા માટેનો મોકો આપે છે. (જેથી ડિરેક્ટરને બે અદ્ભુત ગીતો મૂકવાની સિચ્યુએશન મળી જાય!).

ફિલ્મનો આ જબરજસ્ત વળાંક છે. શોનો ટાઈમ થઈ ગયો છે. થિયેટર પર જઈને રાજુ રોઝીને જુએ છે. રોઝી રાજુને જુએ છે. પણ ત્યાં જ રોઝીને કહેવામાં આવે છે, ‘મૅડમ, કર્ટન ખુલ ચૂકા હૈ…’

સ્ક્રિપ્ટ રાઈટરની આ ખૂબી છે. કટોકટીની પરિસ્થિતિમાં અર્જન્સી ઉમેરવા માટે ‘મૅડમ, કર્ટન ખુલ ચૂકા હૈ’ સંવાદ મૂકી દીધો જેથી જે કંઈ વાત થવાની હોય તે ગીતો પતી ગયા પછી થાય.

વાયોલિન, તબલાં, સિતાર અને ઘૂંઘરુના ઈન્ટ્રો મ્યુઝિક સાથે જોશભેર ગીત શરૂ થાય છે:

મોસે છલ કિયે જાય સૈયાં બેઈમાન

વહીદાજી આ ગીતમાં એક પ્રેમિકા તરીકેની તમામ વ્યથા ઠાલવી દે છે. જે વ્યક્તિને તમે આખી જિંદગી સોંપી દીધી હોય એ તમારી સાથે આટલી નાની રકમ માટે છેતરપિંડી કરે જ કેવી રીતે? માર્કો પાસે રોઝીનાં જે ઘરેણાં હતા તે બૅન્કના લૉકરમાં હતાં અને એ લૉકર ઉઘાડવા માટે રોઝી-માર્કો બેઉની સહીની જરૂર હતી. વકીલ દ્વારા આ કાગળિયાં રાજુના હાથમાં આવે છે ત્યારે વકીલ કહે છે પણ ખરો કે માર્કો આ ત્રીસ હજારની કિંમતનાં ઘરેણાં રોઝીને આપી દેવા માગે છે. ૧૯૬૬ની સાલમાં આ ફિલ્મ આવી હતી. ત્યારના સોનાના ભાવ ગૂગલ સર્ચ કરશો તો મળી જશે. આજે આટલા રૂપિયામાં અડધા તોલા જેટલું સોનું આવે. એ વખતે એટલે કે ૧૯૬૫-૧૯૬૬માં સોનાનો ભાવ માંડ ૭૦થી ૮૦ રૂપિયે તોલા જેવો હતો. વિચ મીન્સ કે લગભગ ૩૦૦થી ૪૦૦ તોલા જેટલું સોનું માર્કો પોતાનાથી સેપરેટ થઈ ગયેલી વાઈફને આપી દેવા માગતો હતો. આજના ભાવે લગભગ દોઢ-પોણા બે કરોડ રૂપિયાનો માલ થાય. તમે સમજી શકો છો કે માર્કો પોતાને છોડીને પરપુરુષ પાસે જતી રહેલી પત્નીને આટલી બધી સંપત્તિ આપી દેવાનો હોય તો તમે જો એ પરપુરુષ હો તો તમને શું વિચાર આવે? માર્કો પોતાની બિછડી હુઈ પત્નીને વાપિસ પોતાની તરફ આકર્ષવાની કોશિશ કરી રહ્યો છે. એક્ઝેટલી. રાજુ ગાઈડના દિમાગમાં પણ આ જ વિચાર આવી ગયો. રોઝી મને છોડીને માર્કો પાસે પાછી જતી રહેશે તો? – આ ઈનસિકયોરિટીને લીધે કાગળિયા પર રોઝીની સહી લેવાને બદલે દેવસા’બ રોઝીની નકલી સહી કરીને વકીલને કાગળિયું પાછું મોકલી આપે છે. રાજુની બનાવટી સહી પકડાઈ જાય છે. રોઝી પણ કહે છે કે એ સહી મારી નથી, કોઈએ ખોટી સહી કરી છે.

પિક્ચરમાં (કે આર. કે. નારાયણે લખેલી નૉવેલમાં પણ) ક્યાંય એવું જણાવવામાં નથી આવ્યું કે રોઝીએ રાજુને બચાવી લેવા માટે જુઠ્ઠું કેમ ન કહ્યું કે ‘હા, આ સહી મારી જ છે.’ રોઝીએ એવું કેમ માની લીધું કે જેણે પોતાની માને છોડી છે, દુનિયાની બદનામી વહોરી છે એ માણસ ફ્રોડ છે? રોઝીએ જો એક વખત જુઠ્ઠું બોલીને રાજુને કોર્ટ કેસના લફરામાંથી બચાવી લીધો હોત એ પછી પણ એની પાસે એ વિકલ્પ તો હોત જ કે જો ખરેખર રાજુ ફ્રોડ હોય તો એને છોડી દેવાનો, પોતાની જિંદગીમાંથી દૂર કરી દેવાનો – જે માણસ પર તમે તમારી જિંદગીની તમામ કમાણીની બાબતમાં વિશ્ર્વાસ કરતા હો એ ત્રીસ હજારના દાગીના માટે જો તમારી સાથે છેતરપિંડી કરે તો એ વિશ્ર્વાસઘાત જ કહેવાય. એની સાથે તમે ન તો કોઈ પ્રોફેશનલ સંબંધ રાખી શકો, ન કોઈ પર્સનલ.

પણ રાજુ હકીકતમાં એવો નથી જેવો રોઝીબહેને ધારી લીધો છે. રાજુ બિચારાને ગાંધીજીની ફિલોસોફીનો ખ્યાલ નહીં હોય કે સાધ્યની જોડે જોડે સાધનશુદ્ધિ પણ રાખવી જોઈએ જીવનમાં. લક્ષ્ય પવિત્ર હોય તે પૂરતું નથી, એ લક્ષ્ય સુધી પહોંચવા માટેના તમારા પ્રયત્નોમાં પણ ચોખ્ખાઈ, શુદ્ધતા હોવાં જોઈએ. એક ગાઈડની અક્કલ ચાલી ચાલીને કેટલી ચાલે. બાકી ખોટી સહી કરવા પાછળનો એનો આશય માત્ર એટલો જ હતો કે રોઝી પોતાને છોડીને પાછી માર્કો પાસે જતી રહે એવી કોઈ શક્યતા ઊભી થવાની હોય તો તે શક્યતા જન્મે એ પહેલાં જ એને ભૂંસી દઈએ. રાજુની જગ્યાએ તમે હોત તો? કદાચ એવું જ કર્યું હોત, કારણ કે નવલકથામાં નહીં પણ ફિલ્મમાં તો રોઝી રાજુને જ્યારે જેલની સજા પડે છે ત્યારે એની મુલાકાતે જઈને કહે છે કે: રાજુ, મને જો ખબર હોત કે આવું થવાનું છે તો મેં જુઠ્ઠું બોલીને તને બચાવી લીધો હોત.

પણ આ બધું રોઝીબહેનનું રાંડ્યા પછીનું ડહાપણ હતું. ઢોળાયેલા દૂધ પરનો અફસોસ હતો. બાજી હજુ હાથમાં હતી ત્યારે જ રોઝીએ કોર્ટમાં જઈને જાહેર કર્યું હોત તો રાજુ નિર્દોષ છૂટી જાત.

પણ જો – તોની શક્યતાનો રિયલ લાઈફમાં જેટલી હોય છે એટલી ફિક્શનમાં પણ હોવાની. રાજુ નિર્દોષ છૂટ્યો હોત તો નવલકથા અને ફિલ્મ ત્યાં જ પૂરાં થઈ જાત. અને ખરી મઝા તો આ વાર્તાની ક્લાઈમેક્સમાં છે, જે આવવાની હજુ બાકી છે – ક્લાઈમેક્સનાં ગીતો પણ બાકી છે.

‘મોસે છલ કિયે જા’ ગીત તમે ધ્યાનથી સાંભળશો તો એમાં કેટલેક ઠેકાણે શબ્દને બદલે ‘નિ, નિ, નિ રે રે, ગ ગ, મ મ, પ, ધ, ની સા’ જેવી સરગમ મૂકવામાં આવી છે. કવિ સહેલાઈથી ત્યાં રાજુના કૃત્યને કોસતા આકરામાં આકરા શબ્દો મૂકીને ગીત લખી શક્યા હોત. ‘મન કા હૈ બૈરી કાલા’ જેવા શબ્દો મુકાયા જ છે. ‘પ્રીત મોરી પલ પલ રોયે’ જેવી વેદના પણ તીવ્રપણે વ્યક્ત થઈ છે. છતાં અમુક જગ્યાએ શબ્દો, વિશેષણો છોડીને સરગમનો સહારો લેવાયો છે. શું કામ? મને લાગે છે કે કવિ કહેવા માગે છે કે રોઝીની આ વ્યથા એટલી બધી ગહરી છે કે એને વ્યક્ત કરવા હવે કોઈ શબ્દો રહ્યા જ નથી. શૈલેન્દ્રના દિલમાં આવું કંઈક હશે કે નહીં એ તો એમનો આત્મા જ જાણે પણ શબ્દોની જગ્યાએ ‘નિ, નિ, સા, સા’ આવે છે ત્યારે આપણે કલ્પી શકીએ છીએ કે રોઝી રાજુને શું નું શું સંભળાવવા માગતી હશે પણ એવું બોલવામાં એને સંસ્કારિતા આડે આવતી હશે. બાકી, બીટવીન ધ લાઈન્સ તમે એમાં યુ સન ઑફ અ બીચ અને એના કરતાંય આકરા જાહિલ શબ્દો સાંભળી શકો છો.

રોઝીની આ ‘ગાળાગાળી’ પૂરી થયા પછી તરત જ દેવ આનંદ શરૂ કરે છે:

ક્યા સે ક્યા હો ગયા બેવફા તેરે પ્યાર મે
ચાહા ક્યા, ક્યા મિલા…

આ સિચ્યુએશનમાં આમેય આપણી બધી જ સિમ્પથી દેવસા’બ જોડે છે એટલે રોઝીને એ જ્યારે ‘બેવફા’ કહે છે ત્યારે આપણે પણ મોહમ્મદ રફી સાથે ગાતાં ગાતાં આ શબ્દ વખતે કચકચાવીને ગાઈએ છીએ: બેવફા… આ… આ… આ તેરે પ્યાર મેં.

અને પછી આશ્વાસન લઈએ છીએ કે:

ચલો, સુહાના ભરમ તો ટૂટા
જાના કે હુસ્ન ક્યા હૈ…

આ પંક્તિ વખતે દેવ આનંદને બૅકગ્રાઉન્ડમાં રાખીને ફોરગ્રાઉન્ડમાં વહીદાજી દેખાય છે તે માર્ક કરજો, સ્મુધ સ્ટેપ્સમાં એ કઈ રીતે સરકી રહ્યાં છે તે જો જો. જાણે સમુદ્રમાં આવેલી ભરતી હવે ધીમે ધીમે ઓટ તરફ જઈ રહી છે.

દિલને ક્યા ના સહા, બેવફા તેરે પ્યાર મેં

‘બેવફા’ શબ્દ હવે વારંવાર આવવાનો છે, જિંદગી આખી એ શબ્દનું રટણ થવાનું છે, કારણ કે ‘તેરે મેરે દિલ કે બીચ અબ તો સદીયોં કે ફાસલે હૈ… યકીન હોગા કિસે કિ હમતુમ એક રાહ સંગ ચલે હૈ…’

હવે આનાથી વધારે શું થવાનું હતું? એ મૂડમાં દેવ આનંદનું આ ગીત પૂરું થાય છે એ પછી બૅક સ્ટેજમાં એ રોઝીને મળે છે: રોઝી પૂછે છે કે તેં આવું કેમ કર્યું, રાજુ? પૈસાની જ જરૂર હતી તો મને કહ્યું હોત. મેં મારા દાગીના, ઘર બધું જ વેચી દીધું હોત.

રાજુ કહે છે: સમઝતા થા, કોઈ સમઝે ના સમઝે, રોઝી ઝરૂર સમજ જાયેગી. સમજ હી દેખો કિતની નાસમજ નીકલી.

રોઝી કહે છે: સચ તો યે હૈ રાજુ, ન મૈં તુમ્હેં સમઝી ન તુમ મુઝે સમઝે…

રાજુ પર ફ્રોડનો આક્ષેપ પુરવાર થાય છે અને એને ઈન્ડિયન પીનલ કોડની કલમ ૪૧૭ હેઠળ જાલી દસ્તખત કરવાના જુર્મમાં દો સાલની કેદ થાય છે.

જેલની મુલાકાત વખતે રોઝી અફસોસ કરે છે કે તને બચાવી લેવા માટે હું એક જુઠ્ઠાણું પણ ન બોલી શકી!

દેવ આનંદના મોઢે હવે જબરજસ્ત સંવાદ મુકાય છે: દોષ મારો જ હતો, રોઝી! શોહરત તુમ્હેં મિલી, સર મેરા ઘૂમ ગયા. હોશ આયા તો દેખા જેલ મેં હૈ…

રોઝીને લાગે છે કે બે વરસ જોતજોતામાં વીતી જશે પછી નવેસરથી (નવા સિરાથી, નવા છેડાથી) જિંદગી શરૂ કરીશું. પણ કુદરતે કંઈક જુદું જ લખી રાખ્યું છે રોઝીના જીવનમાં, રાજુના જીવનમાં. આપણા સૌના જીવનમાં.

અંત ભણી આગળ વધીએ.

સાચા ઈરાદાથી કરેલા ખોટા કામનો અંજામ પણ ખોટો આવે છે એ સાબિત થઈ ગયું. રોઝી તો તૈયાર હતી રાજુ બે વરસની જેલ કાપીને બહાર નીકળે ત્યાં સુધી રાહ જોવા. એવું ફિલ્મમાં છે. મૂળ નવલકથામાં તો એમ છે કે રાજુ જેલમાં મદ્રાસનું ‘હિન્દુ’ દૈનિક વાંચતો જેમાં વીકએન્ડ પૂર્તિમાં રોઝીના ઠેકઠેકાણે યોજાતા કાર્યક્રમોની તસવીરો છપાયા કરતી. રાજુએ સ્વીકારી લીધું કે રોઝી હવે ઠેકાણે પડી ગઈ હશે, અને મારું કંઈ કામ નહીં હોય. નવલકથામાં રાજુને જેલ થઈ એ પછી રોઝી (કે રાજુની મા) રાજુને મળ્યાં નથી. રાજુ સ્વામી થઈ ગયો એ પછી પણ મળ્યાં નથી. મા અને રોઝીનાં પાત્રોનું કામ જેલવાસ પહેલાં જ પૂરું થઈ જાય છે. મારે હિસાબે એ જ બરાબર છે. પણ ફિલ્મની વાત જુદી છે. મા અને રોઝી રાજુના સ્વામી અવતાર પછી જો ન આવ્યાં હોત તો એક પ્રેક્ષક તરીકે આપણને જરા અધૂરું અધૂરું લાગ્યું હોત. ‘ગાઈડ’ના નવલકથાકાર આર. કે. નારાયણને ફિલ્મનો આવો એન્ડ નહોતો ગમ્યો. સ્વાભાવિક છે. પણ ફિલ્મમાં જે છે એ ફેરફારો જરૂરી હતા.

ફિલ્મનો આરંભ જેમ એસ. ડી. બર્મનના કંઠે ગવાયેલા ગીતથી થયો એમ ફિલ્મના અંતમાં જે બે ગીતો આવે છે તેમાંના એક ગીતમાં એસ. ડી. બર્મન સંભળાય છે.

દુકાળના દિવસોમાં સ્વામી (રાજુ)એ પરાણે કરવા પડેલા ઉપવાસમાં ગામવાસીઓની પ્રાર્થનાને બર્મનદા વાચા આપે છે:

‘અલ્લાહ મેઘ દે, પાની દે, છાયા દે, શ્યામા મેઘ દે, રામા મેઘ દે… હાય રે વિશ્વાસ મેરા, હાય મેરી આશા…’

રાજુથી ઉપવાસની ભૂખ સહન થતી નથી. પરસાદની થાળીમાં પડેલાં કેળાં – સાકરિયા મુઠ્ઠીમાં લે છે, છોડી દે છે. ત્યારે આ ગીત શરૂ થાય છે. ગીત પૂરું થયા પછી રાજુની મા ભીડ ચીરીને એનાં દર્શને આવે છે.

રાજુનું મનોમંથન શરૂ થાય છે. રાજુએ પરાણે શરૂ કરવા પડેલા ઉપવાસ પછી એની આત્મશુદ્ધિ થઈ રહી છે. રાજુની શારીરિક શક્તિ હણાઈ રહી છે પણ એનું મનોબળ વધી રહ્યું છે. પથારીવશ રાજુની ચાકરી કરતી માનું દૃશ્ય આવે છે. ‘માં, સેવા તો મુઝે કરની ચાહિયે તુમ્હારી. જાઓ, સો જાઓ.’

ફિલ્મમાં હજુ સુધી સસ્પેન્સ છે. શું થશે. વરસાદ આવશે. રાજુ પારણાં કરી શકશે? મા આવી, રોઝી કેમ ન આવી.

અને રોઝી આવે છે. બૅકગ્રાઉન્ડમાં ‘લાખ મના લે દુનિયા, સાથ ન યે છૂટેગા… આ કે મેરે હાથોં મેં હાથ ન યે છૂટેગા’નાં આવર્તનો સંભળાય છે. રોઝી રાજુને અલમોસ્ટ ભેટી પડે છે–એની માફી માગતી હોય એમ. ‘… ઓ મેરે જીવનસાથી, તેરે મેરે સપને અબ એક રંગ હૈ…’

આપણને લાગે છે કે આ હેપ્પી એન્ડિંગનું બૅકગ્રાઉન્ડ બંધાઈ ગયું. કોણ ઈચ્છા ન કરે કે વિખૂટાં પડેલાં રાજુ અને રોઝી ફરી એક થાય અને સાથે જીવન ગાળે. ખાધું પીધું ને રાજ કીધુંવાળા અંતવાળી વાર્તાઓ બાળપણમાં ગમતી અને મોટા થયા પછી પણ ગમે છે. ખબર છે કે દરેક વાર્તાનો અંત એવો નથી હોતો. હવે તો અનુભવ પણ થવા લાગ્યો છે. છતાં મનમાં એક જ તાંતણે ટકી રહેલી આશા તૂટતી નથી. ત્યાં સુધી નથી તૂટતી જયાં સુધી એ તાંતણા સાથે આશા બંધાયેલી રહે છે. પણ જેવી આશા નીચે પડી અને તાંતણો હવામાં અધ્ધર ઝૂલવા લાગ્યો કે તરત આશાની સાથે આપણે પણ જમીનદોસ્ત થઈ જઈએ છીએ.

‘ગાઈડ’નો બહુ વખણાયેલો ક્લાઈમેક્સનો સીન હવે આવે છે. સ્વામી બની ગયેલા રાજુ અને રાજુ ગાઈડ વચ્ચેનો આ સંવાદ છે. બેઉ તરફની દલીલો છે. બેઉ સાચી લાગે એવી છે. પર્સનલી મને આ પર્ટિક્યુલર સીન બહુ ગમતો નથી પણ ચાલે. ફિલ્મ જબરજસ્ત છે એટલે ચાલે. બાકી બહુ બોલકો છે, ઓવર ધ ટૉપ જઈને સંવાદો લખાયા છે, આટલી બધી વળ ચડાવવાની કે ગીતાની ફિલસૂફી ઝાડવાની જરૂર નહોતી. બહુ ટૂંકમાં સચોટ સંવાદો લખી શકાયા હોત. ફિલ્મમાં થ્રુ આઉટ આવું લાઘવભર્યું અને સચોટ કામ સંવાદોની બાબતોમાં થયેલું જ છે. કેટલા પાવરફુલ સંવાદો, કેવો પાવરફુલ સ્ક્રીન પ્લે.

‘ગાઈડ’ની સ્ટોરી અમર છે, અમર રહેવાની છે. ‘ગાઈડ’ આખેઆખી ફિલ્મ – એનું દિગ્દર્શન, એમાં દેવસા’બ, વહીદાજી, કિશોર સાહુની એક્ટિંગ તમારા ચિત્ત પરથી ક્યારેય ભૂંસાવાની નથી. એના ડાયલોગ્સ તમે ક્યારેય ભૂલવાના નથી. અને સચિનદા, શૈલેન્દ્ર, મોહમ્મદ રફી, લતાજી, કિશોરકુમારે સર્જેલાં ગીતો તમે મરતાં દમ સુધી ગણગણવાના છો, છેલ્લા શ્વાસ સુધી ગાતા રહેવાના છો કે આજ ફિર જીને કી તમન્ના હૈ.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. .
    અતી સુંદર લેખ. બીજા આવાજ લેખ ની રાહ જોઉં છું

  2. સૌરભભાઈ, નાગિન ફિલ્મ( સંગીતકાર : હેમંતકુમાર)માં ૪ ગીતો બેક ટુ બેક છે. આ તો યાદ આવ્યું એટલે…..લેખમાળા સરસ છે. અભિનંદન

  3. આખો લેખ જાણે ચિત્રનું ” રી– રન “!! ગાઇડ ફરી શબ્દો દ્વારા નિહાળી
    ..સૌરભ શાહ શબ્દોના શહેનશાહ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here