આજે મુંબઈમાં અમી ગણાત્રા અને એમનાં રામાયણ-મહાભારતનો મહોત્સવ : સૌરભ શાહ

( ગુડમૉર્નિંગ, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ: ગુરુવાર, ૧ મે ૨૦૨૫)

અમી ગણાત્રા વિદુષી છે, આઈઆઈએમ-અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે, અંગ્રેજીમાં લખે છે, અંગ્રેજીમાં દેશ-વિદેશમાં પ્રવચનો આપે છે, અંગ્રેજીમાં ભારતના સંસ્કાર વારસા વિશે પુસ્તકો લખે છે જેને હેરી પોટરવાળા પ્રકાશકો ( બ્લુમ્સબરી ) છાપે છે અને બેસ્ટ સેલર બનાવે છે. અમી ગણાત્રા ગુજરાતી છે. ઘણું મીઠડું ગુજરાતી બોલે છે. મુંબઈમાં રહે છે. અમીબહેન મારા વાચક છે. હું એમનો ઘણો મોટો પ્રસંશક છું.

આજે પહેલી મે છે. મુંબઈગરા ગુજરાતીઓ માટે ગુજરાત દિવસ અને મહારાષ્ટ્ર દિવસની ડબલ ઉજવણી છે. મારા સહિત મોટા ભાગના મુંબઈગરા ગુજરાતીઓની જન્મભૂમિ ગુજરાત છે. માતૃભૂમિ ગુજરાતને વંદન. અમારી કર્મભૂમિ મહારાષ્ટ્ર છે. કર્મભૂમિ મહારાષ્ટ્રને વંદન.

આજના આ પવિત્ર દિવસે મુંબઈની ‘ગુજરાતી વિચાર મંચ’ નામની અતિ પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા મુલુંડમાં અમી ગણાત્રાનું વ્યાખ્યાન છે. સાથે એમના બે બેસ્ટ સેલર અંગ્રેજી પુસ્તકોના ગુજરાતી અનુવાદોનું લોકાર્પણ પણ છે. આ બંને ગુજરાતી પુસ્તકો બ્લુમ્સબરી દ્વારા જ પ્રગટ થયાં છે તેનું ગુજરાતીઓને ગૌરવ હોવું જોઈએ. કાર્યક્રમની વિગતો આ સાથેના પોસ્ટરમાં છે. અનુકૂળતા કરીને જરૂર આવજો. ડ્રાય-ડેને હિસાબે સાંજે બીજો કોઈ, ‘સાંસ્કૃતિક કાર્યક્રમ’ તો નહીં હોય. તો જરૂર આવજો. મુલુંડ આમેય ગુજરાતી સ્ટ્રીટફુડ માટે ફેમસ છે. મુલુંડની કોલ્ડ-ભેળપુરી જગવિખ્યાત છે.

અમી ગણાત્રાનાં બે પુસ્તકો ‘રામાયણનું અનાવરણ’ અને ‘મહાભારતનું અનાવરણ’નું આજે લોકાર્પણ છે.

અમીજીએ ઋષિ વાલ્મિકીના મહાકાવ્યના અલ્પજ્ઞાત આયામો વિશે પુસ્તક લખ્યું તે પહેલાં વેદ વ્યાસ રચિત ભારતના પ્રસિદ્ધ ઇતિહાસનાં અજ્ઞાત પાસાં વિશેનું પુસ્તક લખ્યું.

‘મહાભારત’ અને ‘રામાયણ’ આ બંને પ્રાચીન ગ્રંથોના મૂળ કથાનકમાં હજારો વર્ષના ગાળામાં અનેક આડીટેડી કથાઓ ઉમેરાઈ ગઈ. આ બધા ક્ષેપકોને અવગણીને જે ઓરિજિનલ છે તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય. ( દા. ત. સ્વામી ગોવિંદદેવ ગિરિ કહે છે એમ વાલ્મીકિય રામાયણમાં ક્યાંય ધોબીનો ઉલ્લેખ છે જ નહીં. સીતા ત્યાગનું કારણ ધોબી નહોતો.)

અમીજીએ રામાયણના પુસ્તકમાં ઘણી જિજ્ઞાસાઓનું નિરાકરણ કર્યું છે: શું માત્ર પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે જ રામે વનવાસ સ્વીકાર્યો, કે પછી બીજું કોઈ કારણ પણ હતું? શું લક્ષ્મણ હંમેશાં ગુસ્સામાં જ રહેતા કે એમના વ્યક્તિત્વનું ધીર-ગંભીર પાસું પણ હતું. શું સીતાજી અબળા નારી હતાં કે સ્વતંત્ર વિચારોવાળી સ્ત્રી હતાં? રામાયણમાં અહલ્યાની વાસ્તવિક કથા શું છે? ગીતામાં શ્રીકૃષ્ણ કેમ એવું કહે છે કે ‘યોદ્ધાઓમાં હું શ્રીરામ છું’?

આ અને આવી અનેક ઇન્ટરેસ્ટિંગ વાતો અમીજીએ આ બેઉ પુસ્તકોમાં નવી જનરેશનના વાચકોને પણ મજા પડે એ રીતે લખી છે. જરૂર વાંચજો અને વંચાવજો. બંને પુસ્તકો તમને એમેઝોન પર ‘અમી ગણાત્રા’ ( Ami Ganatra) સર્ચ કરવાથી મળી જશે.

એક ગજબની ઇન્ટરેસ્ટિંગ વાત. આપણામાંથી ઘણાએ અયોધ્યાની યાત્રા કરી છે. આ અયોધ્યા અત્યારે તો પગે ચાલીને બે-ત્રણ દિવસમાં આખેઆખું જોઈ લેવાય એવું શહેર છે. પણ શ્રીરામના જમાનામાં અયોધ્યાનો વિસ્તાર કેટલો હતો? મુંબઈ કરતાં પણ મોટું હતું. મોટું એટલે દસ ઘણું મોટું. મુંબઈ મેટ્રોપોલિટન રિજન જેટલું – જેમાં થાણે, વસઈ, પનવેલ, નવી મુંબઈ બધું જ સમાઈ જાય- લગભગ એટલું.

એક બોક્સ આઈટમમાં અમી ગણાત્રાએ આ વિગતો આપી છે. રામાયણ કાળમાં અયોધ્યા કેટલું મોટું હતું?

અયોધ્યા: 6,000 ચોરસ કિલોમીટર
મુંબઈ: 600 ચો.કિ.મી.
દિલ્હી (નવી): 1,484 ચો.કિ.મી.
ન્યુયોર્ક (સિટી): 1,213 ચો.કિ.મી.
લંડન: 1,572 ચો.કિ.મી.
શાંઘાઈ (મોટ્રોપોલિટન વિસ્તાર): 6,340 ચો.કિ.મી.
મુંબઈ (મેટ્રોપોલિટન રીજન): 6,328 ચો. ચો.કિ.મી.

તમે અંગ્રેજીમાં કમ્ફર્ટેબલ હો તો અમી ગણાત્રાએ મૂળ અંગ્રેજીમાં લખેલાં બંને પુસ્તકો વાંચજો. ગુજરાતીમાં પણ હવે ઉપલબ્ધ છે. હિન્દીમાં પણ છે.

અમી ગણાત્રાને મેં આઇઆઇટી-પવઈના એમના એક કાર્યક્રમમાં સાંભળ્યા છે. એમનું અસ્ખલિત, વિદ્વતાપૂર્ણ વક્તવ્ય કોઈપણ શ્રોતા માટે બૌદ્ધિક પિકનિક છે. મુંબઈમાં (અને મહારાષ્ટ્રમાં) અને ગુજરાતમાં અનેક શિક્ષણસંસ્થાઓ છે. આ દરેક શાળા, કોલેજ, યુનિવર્સિટીએ અમીજીને લેક્ચર માટે નિમંત્રણ આપીને પોતાના વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કારવારસાની લહાણી કરવી જોઈએ. દરમ્યાન, આજે સાંજે 5:30 વાગે મુલુંડના ફેમસ કાલિદાસ સભાગૃહ સંકુલમાં આવેલા ‘તથાસ્તુ’ હૉલમાં મળીએ છીએ. એમની સાથે પ્રશ્નોત્તરી કરવાનો લાભ પણ મળશે.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi .comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

1 COMMENT

  1. There is a plausible narrative which says that Seeta was never exiled. The Uttar-Ramayan is fictional.
    May I suggest you check out a video on Manoj Muntashir Shukla’s YouTube channel, which provides credible reasons for Uttar-Ramayan to be fake.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here