( ગુડ મૉર્નિંગ, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ: સોમવાર, 5 મે 2025)
દશરથ પુત્ર શ્રીરામ રાજા હતા. ભગવાન તો પછી ગણાયા. રામચંદ્રજીને એમના જમાનાના લોકો આદર આપતા, પ્રેમ કરતા, એમનાં વખાણ કરતા પણ કોઈ એમની પૂજા નહોતું કરતું, અત્યારે આપણે જેમ કરીએ છીએ એમ. શ્રીરામની મૂર્તિ બનાવીને મંદિરમાં એ મૂર્તિની સ્થાપના નહોતી થતી. આ બધું એમનો જીવનકાળ પૂરો થયો એ પછી બન્યું. કેટલા વર્ષ કે કેટલી સદી પછી રાજા રામચંદ્ર ભગવાન શ્રીરામ તરીકે ભારતવર્ષમાં પૂજાવા લાગ્યા તેનો કોઈ રેકોર્ડ નથી.
આમ છતાં એક વાત દીવા જેવી સ્પષ્ટ છે. ભગવાન શ્રીરામ ઇતિહાસપુરુષ છે અને એમના જીવનકાળ દરમ્યાન તેઓ એક આદર્શ શાસક, પ્રજાવત્સલ રાજા તરીકે લોકોના મનમાં વસી ગયેલા. આ એક હકીકત છે. જીવનકાળ દરમ્યાન તેઓ ભગવાન નહોતા કહેવાતા પણ જીવનકાળ પૂરો થયાના કેટલાક સમય બાદ તેઓ ભગવાન તરીકે પૂજાતા થયા. હા, એમના જીવનમાં કેટલાક એવા લોકો પણ હતા જેમણે કહ્યું કે રાજા રામમાં ભગવાન વિષ્ણુના અંશ છે. આવી ઉપમા આજે પણ આપણે આપીએ છીએ —લતા મંગેશકરની હયાતીમાં પણ કહેવામાં આવ્યું હતું કે એમનામાં સરસ્વતી દેવીનો વાસ છે.
ફરી એકવાર જાણી લો કે શ્રીરામના જીવનકાળ દરમ્યાન તેઓ ભગવાન તરીકે પૂજાતા નહોતા. એમના જીવનકાળના અમુક સમયગાળા બાદ તેઓ ( વાજબી રીતે જ ) ભગવાન તરીકે પૂજાવવા લાગ્યા. ભારતનું, ભારતની પ્રજાનું સદ્નસીબ છે કે આ ભૂમિને રાજા રામચંદ્ર પ્રાપ્ત થયા. આ ભૂમિને ભગવાન રામ મળ્યા.
રામજી વિશેની આ વાત મેં 1 મેના રોજ મુંબઈના મુલુંડમાં યોજાયેલા વિદુષી અમી ગણાત્રાના રામાયણ વિશેના વ્યાખ્યાન બાદ પ્રશ્નોત્તરી દરમ્યાન સવાલ કરીને કન્ફર્મ કરી. અમીજીએ ખાતરીપૂર્વક કહ્યું કે રાજારામ ( અને ઇવન શ્રીકૃષ્ણ ) પોતપોતાના જીવનકાળ દરમ્યાન ભગવાન તરીકે પૂજાતા નહોતા, જીવનકાળ પૂરો થયા બાદ પ્રજા એમને ભગવાન ગણીને પૂજવા લાગી, વિષ્ણુના અવતાર તરીકે પૂજવા લાગી.
આ વાત હું શા માટે ભારપૂર્વક વારંવાર તમને કહું છું એનો આશય તમને આ નહીં તો આની પછીના મારા બેત્રણ લેખમાં સ્પષ્ટ થઈ જશે જ્યારે હું તમને અત્યારના ભારતની, સમકાલીન ભારતની ભૂમિકાએ લઈ જઈશ. એ વખતે ત્યારના અને અત્યારના રાક્ષસોની અવધારણા પણ સ્પષ્ટ થશે. એ વાત વધુ દૃઢતાથી સમજાવી શકું એટલે આ બૅકગ્રાઉન્ડ બાંધી રહ્યો છું.
રામજી જ્યારે અયોધ્યામાં રાજ સિંહાસન પર બિરાજતા હતા તે સમયે મહર્ષિ વાલ્મીકિએ રામજીનું જીવનચરિત્ર લખ્યું- રામજીની બાયોગ્રાફી લખી, ગદ્ય નહીં પણ પદ્ય સ્વરૂપે લખી- કવિતાના રૂપમાં લખી, સંસ્કૃતમાં છંદોબદ્ધ શ્લોક લખીને એક સુંદર મહાકાવ્યરૂપે આ ઇતિહાસ લખ્યો. મહર્ષિ વાલ્મીકિને રામજીનું જીવનચરિત્ર લખવાની પ્રેરણા કોણે આપી? મજાની વાત છે.
વિગતોમાં ઉતરતાં પહેલાં જાણી લઈએ કે વાલ્મીકિને ખબર હતી કે રામચંદ્ર કોણ છે. રામજીના જીવનથી, એમનાં પરાક્રમોથી વાલ્મીકિ અવગત હતા. કારણ કે સીતાજી પોતાના બે પુત્રો કુશ અને લવ સાથે વાલ્મીકિના આશ્રમમાં રહેતા હતા. ( લવકુશ ભલે બોલાતું હોય પણ કુશ મોટા ભાઈ છે. આપણા ગુજરાતી સુગમસંગીતમાં શ્યામલ-સૌમિલની બંધુબેલડી અત્યંત લોકપ્રિય છે. આમાંથી સૌમિલભાઈ મોટા છે, શ્યામલ એમના લઘુબંધુ છે. આપણને પરંપરાગત રીતે મોટાભાઈનું નામ પહેલું આવે અને બીજું નામ નાના ભાઈનું આવે એ રીતે બોલવાની ટેવ હોય છે. જેમ કે કલ્યાણજીભાઈ-આણંદજીભાઈ કે બલરામ-શ્રીકૃષ્ણ. વાલ્મિકીએ રામજીના બે પ્રતાપી પુત્રોનો ઉલ્લેખ ક્યારેય લવ-કુશ તરીકે નથી કર્યો, કુશ-લવ તરીકે જ કર્યો છે. રામજીના વારસદાર તરીકે મોટા ભાઈ કુશને સત્તાનું સિંહાસન મળ્યું ).
પણ વાલ્મીકિને અત્યાર સુધી રામજીની બાયોગ્રાફી લખવાનો વિચાર નહોતો આવ્યો. તો આ વિચાર કેવી રીતે આવ્યો એની રસપ્રદ વાત છે.
એક વખત એવું બન્યું કે ( આ પાંચ શબ્દોની શબ્દાવલી જેમણે ગુજરાતી વાચકોમાં પોપ્યુલર કરી તે પત્રકારશિરોમણિ નગેન્દ્ર વિજયસાહેબને પ્રણામ ) મહર્ષિ વાલ્મીકિના આશ્રમમાં દેવર્ષિ નારદજી પધાર્યા. નારદજીની આગતાસ્વાગતા કરીને વાલ્મીકિએ પોતાના મનમાં જે વાત ઘૂંટાતી હતી તે વાત કન્ફર્મ કરવા નારદજીને પૂછયું. વાલ્મીકિ અને નારદજીના આ સંવાદ દરમિયાન શ્રી રામનાં ગુણો વિશે જે જે વિશેષણો વપરાયાં છે એને સડસડાટ વાંચી જવાની ઉતાવળ નથી કરવાની. દરેક વિશેષણમાં વ્યક્ત થયેલા ગુણનો કેટલો અંશ તમારા પોતાનામાં રહેલો છે તે વિચારો અને તમે આવો ગુણ બીજી કઈ વ્યક્તિમાં જોઈ રહ્યા છો એ વિશે વિચારતાં વિચારતાં આગળ વધશો તો બેત્રણ લેખના અંતે તમારી સાથે હું જે વાત શેર કરીશ એ તમને સારી રીતે સમજાશે. વાલ્મીકિ નારદજીને પૂછે છે:
‘હે મહર્ષિ, આ સંસારમાં ગુણવાન, વીર્યવાન, ધર્મજ્ઞ, ઉપકાર માનનારા, સત્યવક્તા અને દૃઢ પ્રતિજ્ઞ કોણ છે ? સદાચારયુક્ત, પ્રાણીમાત્રના હિતચિંતક, વિદ્વાન, સામર્થ્યશાળી અને એક માત્ર સુંદર પુરુષ કોણ છે ? (એક વાત નોંધી તમે ? વાલ્મીકિ નારદજીને એક ‘પુરુષ’ વિશે પ્રશ્નો કરે છે, કોઈ ‘ભગવાન’ વિશે નહીં. જીવતા જાગતા મનુષ્ય વિશે પૂછે છે કે આવો કોઈ માણસ હોય તો મને કહો કે એ કોણ છે. આગળ વધીએ… ) મનને વશમાં રાખનારા, ક્રોધને જીતનારા, કાંતિમાન અને કોઈની નિંદા ન કરનારા કોણ છે ? તથા યુદ્ધમાં કોપાયમાન થાય ત્યારે દેવતાઓ કોનાથી ડરે છે ? મહર્ષે, હું એ સાંભળવા ઈચ્છું છું, એ સાંભળવાની મને બહુ ઉત્સુકતા છે અને તમે એવા પુરુષને ( પુરુષને,માણસને—ભગવાન કે અવતારને નહીં ) જાણવામાં સમર્થ છો.’
વાલ્મીકિના આ વચન સાંભળીને નારદજીએ કહ્યું: ‘ તમે જે ગુણોનું વર્ણન કર્યું છે તે ગુણો ધરાવનાર ગુણી પુરુષ ( અગેઇન પુરુષ, ભગવાન નહીં ) વિશે હું તમને વિચાર કરીને કહું છું, સાંભળો. ઈશ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલા એક એવા પુરુષ છે જે લોકોમાં રામ નામે પ્રખ્યાત છે, તેઓ જ મનને વશમાં રાખનારા, મહાબળવાન, કાંતિમાન, ધૈર્યવાન અને જીતેન્દ્રિય છે. તેઓ બુદ્ધિમાન, નીતિજ્ઞ, વક્તા, તથા શત્રુસંહારક છે… તેઓ મહાપરાક્રમી છે… તેઓ શોભાયમાન અને શુભ લક્ષણો વાળા છે. ધર્મ, સત્યપ્રતિજ્ઞ તથા પ્રજાના હિત-કાર્યમાં જોડાઈ રહેનારા છે. તેઓ યશસ્વી, જ્ઞાની, પવિત્ર, જીતેન્દ્રિય અને એકાગ્ર મનના છે. પ્રજાપતિ જેવા પાલક, શ્રીસંપન્ન, શત્રુઓનો સંહાર કરનારા અને પ્રાણીઓ તથા ધર્મના રક્ષક છે. સ્વધર્મ અને સ્વજનોના પાલક, વેદ-વેદાંગના તત્વવેત્તા તથા ધનુર્વેદમાં પ્રવીણ છે. તેઓ સઘળા શસ્ત્રોના તત્વજ્ઞ, સ્મરણશક્તિયુક્ત અને પ્રતિભાસંપન્ન છે. સુંદર વિચારો અને ઉદાર હૃદયના તે શ્રીરામચંદ્રજી વાતચીત કરવામાં ચતુર તથા સૌના પ્રીતિપાત્ર છે. જેમ નદીઓ સમુદ્રને મળે છે, તે જ રીતે સાધુ પુરુષો સદા શ્રીરામને મળતા રહે છે. તેઓ આર્ય અને પ્રાણીમાત્ર પ્રત્યે સમભાવ રાખનારા છે. તેમના દર્શન હંમેશા પ્રિય લાગે છે… ગંભીરતામાં સમુદ્ર જેવા અને ધૈર્યમાં હિમાલય જેવા છે… તેઓ વિષ્ણુ ભગવાન જેવા બળવાન છે. એમના દર્શન ચંદ્રમાની જેમ મનોહર લાગે છે. તેઓ ક્રોધમાં કાલાગ્નિ જેવા અને ક્ષમા આપવામાં પૃથ્વી જેવા છે. ત્યાગ કરવામાં કુબેર જેવા અને સત્ય બોલવામાં સાક્ષાત ધર્મરાજ જેવા છે.’
આટલું કહીને નારદજી મુનિ મહર્ષિ વાલ્મીકિને રામના જન્મથી માંડીને કૈકેયીને આપેલું વરદાન, વનવાસ, રાવણવિજય, અને પુષ્પકમાં અયોધ્યા પાછા ફરવાની કથા અત્યંત સંક્ષિપ્તમાં જણાવે છે અને પછી ઉમેરે છે : ‘હવે રામના રાજ્યમાં પ્રજા પ્રસન્ન, સુખી, સંતુષ્ટ, તંદુરસ્ત, ધાર્મિક તથા રોગ-વ્યાધિથી મુક્ત રહેશે. તેમને દુકાળનો ભય રહેશે નહીં. કોઈપણ પરિવારમાં માતા-પિતાની હયાતીમાં પુત્રનું મૃત્યુ થતું નહીં દેખાય. સ્ત્રીઓ વિધવા નહીં થાય અને સદા પતિવ્રતા રહેશે. અગ્નિનો ભય નહીં રહે, કોઇ પ્રાણી ( જીવ ) જળમાં ડૂબીને મળશે નહીં, વાયુ અને તાવનો (જ્વરનો કે રોગનો. આજના જમાનાના સંદર્ભમાં કહીએ તો કોરોના જેવી મહામારી વખતે આવતા તાવનો) ભય લગીરે નહીં રહે. ક્ષુધા અને ચોરીનો ભય ચાલ્યો જશે. સઘળાં નગર અને રાજ્ય ધન-ધાન્યથી સંપન્ન થશે. સતયુગની જેમ સૌ પ્રસન્ન રહેશે. મહાયશસ્વી રામ સુવર્ણની વિપુલ દક્ષિણાવાળા સો અશ્વમેધ યજ્ઞ કરશે, એમાં વિધિપૂર્વક વિદ્વાનોને દસ હજાર કરોડ ( એક ખર્વ) ગાયો અને બ્રાહ્મણોને અપાર ધન અપાશે તથા સોગણા રાજવંશોની સ્થાપના કરાશે. સંસારમાં ચારેય વર્ણને પોતપોતાના ધર્મમાં ( જવાબદારીઓમાં, કાર્યમાં ) નિયુક્ત કરશે.
નારદજી સાથેના આ સંવાદ બાદ વાલ્મીકિ એમનું સન્માન કરે છે. નારદજી ઋષિ વાલ્મીકિના આશ્રમમાંથી વિદાય લે છે અને વાલ્મીકિ તમસા નદીના કિનારે જાય છે, જે ગંગાજીની નજીક છે. સ્નાન કરવા જઈ રહેલા વાલ્મીકિ ક્રૌંચ પક્ષીના સુંદર જોડાને ક્રિડા કરતાં પ્રસન્નતાપૂર્વક જુએ છે ત્યાં જ એક પારધીએ વગર કારણે નર ક્રૌંચને બાણથી વીંધી નાખ્યું. માદા ક્રૌંચ કરુણાજનક સ્વરમાં વિલાપ કરવા લાગી. વાલ્મીકિએ વ્યથિત થઈને પારધીને આકરા શબ્દો કહ્યા. શબ્દો બોલ્યા બાદ વાલ્મીકિએ પોતાના શિષ્ય ભરદ્વાજને કહ્યું: ‘શોકથી વ્યથિત થયેલા મારા મુખેથી જે શબ્દો નીકળ્યા છે એ ચાર ચરણમાં બંધાયેલા છે. એના દરેક ચરણમાં એક સરખા ( આઠ-આઠ ) અક્ષર છે તથા આને વીણાના લય સાથે પણ ગાઈ શકાય છે; તેથી મારા આ શબ્દો નકામા નથી પણ શ્લોકરૂપ ( શ્લોક નામના છંદમાં રચાયેલા કાવ્યરૂપ અથવા યશઃસ્વરૂપ ) હોવા જોઈએ.’
તમસામાં સ્નાન કરીને આશ્રમમાં પાછા આવીને વાલ્મીકિ જુએ છે કે બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું છે, વાલ્મિકી એમનું પૂજન કરે છે. બ્રહ્માજી કહે છે: ‘તમારા મુખેથી નીકળેલું આ છંદોબદ્ધ વાક્ય શ્લોકરૂપે જ થશે. આ બાબતમાં તમારે કોઈ બીજો વિચાર કરવો ન જોઈએ. મારા સંકલ્પ અને પ્રેરણાથી જ તમારા મુખેથી આવી વાણી નીકળી છે.’
બ્રહ્માજી આગળ કહે છે, ‘હે, મુનિશ્રેષ્ઠ તમે રામના સંપૂર્ણ ચરિત્રનું વર્ણન કરો. પરમ બુદ્ધિમાન ભગવાન શ્રીરામ સંસારમાં સૌથી મોટા ધર્માત્મા અને વીરપુરુષ છે. તમે નારદજીના મુખેથી જેવું સાંભળ્યું છે તે મુજબ જ તેમના ચરિત્રને પ્રકાશિત કરો. આ કાવ્યમાં લખાયેલી તમારી કોઈ વાત મિથ્યા નહીં થાય, તેથી તમે શ્રીરામની પરમ પવિત્ર અને મનોહર કથાને શ્લોકબદ્ધ કરી લખો… આ પૃથ્વી પર જ્યાં સુધી નદીઓ અને પર્વતોનું અસ્તિત્વ રહેશે, ત્યાં સુધી સંસારમાં રામાયણકથાનો પ્રચાર થતો રહેશે ‘
આટલું કહીને બ્રહ્માજી અંતર્ધાન થઈ ગયા. બ્રહ્માજીના આદેશનું પાલન કરીને મહર્ષિ વાલ્મીકિએ, રાવણવિજય બાદ પાછા ફરીને રામચંદ્રજીએ રાજ્યનું શાસન પોતાના હાથમાં લીધું હતું એ સમયે, રામાયણની રચના કરી. એમાં નારદજી પાસે સંક્ષિપ્તમાં સાંભળેલી તમામ વાતોનો વિસ્તાર કરીને વણી લીધી. સંભવતઃ કેટલીક વાતો સીતાજીના મુખેથી પણ સાંભળી હોવી જોઈએ. આમ મહર્ષિ વાલ્મીકિ દ્વારા ચોવીસ હજાર લોકોનો ઇતિહાસ ધરાવતા ‘રામાયણ’ નામનું મહાકાવ્ય રચાયું.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
સૌરભભાઇ, સોમવાર નો લેખ રામજી અંતરઞત તેમજ એ વિષય ના આપની ભવિષ્ય કથન વિષે વિચારતા લાગે છે કે આપ આજના અવતાર પુરુષ તરીકે શું વિચાર કરો છો? બધા ગુણો જોતા ,વિચાર તા એક જ માણસ તેની નજદીક છે તે આપણા પ્રિય એવા પ્રધાન સેવક છે, દરેક મનુષ્ય કંઈ સંપુર્ણ હોતો નથી પણ આપણે એમ કહી શકાય ” પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો” જય હિન્દ…